Saturday, October 28, 2017

વીર ભગતસિંહ


છલકતો આત્મવિશ્વાસ


એક દિવસ ભગતસિંહ અને તેમના પિતા લાહોરના બજારમાં ફરી રહ્યા હતા. બપોરનો સમય હતો. દુકાનો પર ખરીદી માટે લોકોની ભીડ હતી. પિતાપુત્ર ફરતા ફરતા અનારકલી નામથી ઓળખાતા બજારમાં જઈ પહોંચ્યા. પણ ભગતસિંહ તો પ્રથમથી જ તોફાની ! તેમણે ચાલવાને બદલે કૂદકા મારવા માંડ્યા. પિતાને આ ગમ્યું નહિ. પિતાએ કૂદકા મારતા ભગતસિંહને એક તમાચો માર્યો.

બાદ પિતાએ પુત્રને કહ્યું : ‘આટલો બધો શાનો ફૂલાયા કરે છે ? ખબર છે તને કે તું મારા નામથી શહેરમાં ઓળખાય છે ! લોકો તને નહિ, મને ઓળખે છે. એટલે તો તેઓ કહે છે કે તું ફલાણાનો પુત્ર છે. તારા નામથી તો તને શહેરનું કોઈ ઓળખતું નથી. પછી આટલો બધો ફાંકો તું મનમાં શાનો રાખે છે ?’

પિતાના શબ્દો ભગતસિંહના હૃદયમાં શૂળની જેમ ભોંકાઈ રહ્યા. પિતાના નામથી પુત્ર ઓળખાય તેમાં પુત્રની શી હોંશિયારી ? એમ બાળક ભગતસિંહના મનને થયું. તે ઘડીભર તો પિતાને કશો જવાબ આપી શક્યો નહિ. પણ બેચાર ક્ષણ પછી એ ગર્વીલા અને મહત્વાકાંક્ષી પુત્રે પિતાને જે જવાબ આપ્યો તે આત્મવિશ્વાસના એક રણકાર સમાન હતો. ભગતસિંહે પિતાને કહ્યું : ‘પિતાજી, ગુસ્તાખી માફ કરજો ! પણ…. એક દિવસ એવો જરૂર આવશે કે લોકો તમને ઓળખશે ભગતસિંહના પિતા તરીકે ! હું તમારા નામથી નહિ, પણ તમે મારા નામથી ઓળખાશો.’ અને એ બાળકનો આ આત્મવિશ્વાસ એક દિવસ સાચો જ નીવડ્યો ! સમય જતાં લોકો એવું કહેતા થયા કે આ મુરબ્બી વીર ભગતસિંહના પિતા થાય ! આનું નામ તે છલકાતો આત્મવિશ્વાસ !

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...