વાત વિચારવા જેવી છે. જીવનનો નકાર એટલે ઈશ્વરનો ઇન્કાર. કેટલાક લોકો જિંદગી શું છે એ જાણવામાં જ સમય વેડફે છે અને તમે... જાણીને પણ કેટલું જાણો ? માણવું એજ જાણવું! નદીમાં હોવું એ જ નદીનું જ્ઞાન! જીવનમાં હોવું એટલું જ પૂરતું છે. ખુલ્લા મનથી જીવનનો સ્વીકાર કરવો જોઈએ. આપણી પ્રિય વ્યક્તિને જોઈને એને મળવા કે ભેટવા આપણા હાથ અને મન ખુલ્લા થાય તો જ એ આપણી ભીતર અંકાય છે તેમ જ ખુલ્લા મને અને ખુલ્લા હાથે જીવનને ઝીલવું જોઈએ - ચાહવું જોઈએ!
ચાહવું એટલે પ્રત્યેક પળમાં રસ! ઉદાસીની પળને પણ ચાહવી જોઈએ -- એને પાળ્યા કે પંપાળ્યા વિના! જીવનરસથી મધુર (કઠિન સમયમાં પણ!) બીજો કોઈ રસ જ નથી!
ઉદાસ થઇએ તો એમ કહીએ: "રામ રાખે તેમ રહીએ!" જે કંઈ કરવું હોય તે પૂર્ણ મનથી કરવું જોઈએ, કોઈ પણ જાતના દ્વિધા કે મનોમંથન વિના સંકલ્પના શિખર ઉપર પલાંઠી વાળીને અને ધૂણી ધખાવીને!! જે કાર્ય કરીએ એમાં એવા ઓતપ્રોત થઇ જઈએ કે જાણે કાલે મોત ના આવવાનું હોય! એક વાત હંમેશા યાદ રાખો કે પૂર્ણ રીતે સજ્જ અને સંપુક્ત (ઇન્વોલ્વ) થયા વિના કંઈ જ થતું નથી!
જ્ઞાન ગુરુ પાસેથી જ મળે એવું નથી. હું તો ત્યાં સુધી કહું છું કે જેની પાસેથી આપણને નવું જ્ઞાન મળે એ આપણા ગુરુ!
પણ ઘણીવાર મેં જોયું છે કે જીવનનું સત્ય સમજાવતા અને જીવનની કઠિન પરીક્ષાઓમાં પાસ થવાનું શીખવાડતાં ઘણાં માણસો કે માર્ગદર્શકોને આપણે પોતે જ ગુરુ તરીકે સન્માન નથી આપતાં જે ખરેખર યોગ્ય નથી. આજે હું એ તમામ પથદર્શકોને ગુરુતુલ્ય માની આપ સૌની સાક્ષીમાં જાહેરમાં નમન કરું છું!
ઘણીવાર, હું લિફ્ટમેનને જોઉં છું ત્યારે એમ થાય છે એની જિંદગીમાં રૂટિન-રોંજીદાપણું કેટલી હદે છે એની વચ્ચે પણ શંકર નામનો લિફ્ટમેન લખલૂટ આનંદ લૂંટતો જાય છે જતા-આવતા દરેક માણસો સાથે આનંદથી વાતો કરી કરી ને! કામને કેવી મોજથી કરે છે અને જરા પણ ભાર નહિ કામનો મન ઉપર! મારુ માનવું છે કે લિફ્ટમેનને જીવનનો જેટલો ખ્યાલ આવતો હશે એટલો બહુ ઓછાને આવતો હશે! સતત ચડતી-પડતીનો ચકરાવો! એને બરાબર ખબર છે કે આજે હમણાં જ તો હું ઉપર આવ્યો છું કે તરત નીચે પડવાનો છું, અરે કદાચ એમ જ કહું કે બહુ જલ્દીથી કોઈ મને નીચે ખેંચવાનું છે! ઉપર-નીચે તો ક્યારેક મધ્યમાં બરાબર અટવાયેલા રહેવું અને પાછા પ્રફુલ્લિત રહેવું એનાથી વધુ બીજી સ્થિતપ્રજ્ઞતા બીજી કઈ!?
એ જ રીતે ટેક્સી કે રીક્ષા ચાલક પણ ઘણું શીખવાડી જાય છે. એક રીક્ષાચાલક કહે કે આપણા રાજકારણીઓ એટલી હદે પૈસા બનાવે છે કે એમને પાંચસો પાંચસોની નોટોથી બાળીએ તો, એમનો આખો દેહ રાખ થઇ જાય એ પછી પણ કરોડોની નોટો શેષ રહેશે! વાતવાતમાં એણે મને પૂછી નાખ્યું, "સાહેબ, આમાં કોઈ સુખી હશે ખરું?"
મેં કહ્યું, "દુઃખ હશે તો ય સહન કરી શકાય એવું હશે. આ બધા જીવે છે તે કંઈક ને કૈંક આશામાં જ જીવતા હશે, આશા રાખવી અને ભ્રમણામાં ના રહેવું એવો મારો મંત્ર!" ઘણાને એવુંય કહેતા સાંભળ્યા છે કે જીવન શબ્દની અંદર જ "વન" છે એટલે એક વાર ભગવાન શ્રી રામ જેવું વનવાસ તો ભોગવવું જ પડે! પણ જીવન ને જીવન નહિ પણ સંજીવન ગણવું! જે પોતાનામાં રસ લેતો નથી એ બીજામાં રસ લઇ શકતો નથી. રસ લેવા માટે કશું જ નાનું કે મોટું નથી.
વાતવાતમાં નિર્વેદ, કંટાળો કે થાક -- આ બધા વિચારો માણસને મારી નાખે છે. સફળતા થી વિમુખ કરે છે અને હતાશા તરફ ધકેલે છે. આદત તો છેવટે આદત જ છે. નોકરી-સલામતી, એને કારણે મળતી સત્તા, ફાયદા --- આ બધાની સૌને ટેવ પડી જાય છે!
બાળક માતાના ગર્ભમાં સુરક્ષિત છે. પ્રસવ થયા બાદ તુરંત જ આપણે એને કપડામાં વીંટાળી દઈએ છીએ. જેથી એને કોઈ કવચ મળી રહે! પછી એ બાળક મોટું થાય છે ત્યારે પણ એ જ કપડું / ગાભું લઈને ફર્યા કરે છે. આપણે પણ આવી જ અસલામતીમાં જીવીએ છીએ. જે આ અસલામતીના ગાભાને પોતાના જીવનથી દૂર ઉતારીને ફેંકી શકે છે એ બચી જાય છે!
જીવનરસ હોય તો નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ મળી જ રહે છે. કશું ના કરવું એ પણ પ્રવૃત્તિ નથી એમ નહિ, પણ મનની નિષ્ક્રિયતા ન હોવી જોઈએ! કેટલું બધું જોવાનું છે, વાંચવાનું છે, સાંભળવાનું છે, હજુ તો કેટલાય માણસોને મળવાનું છે , અરે હજુ તો કેટલું બધું જાણવાનું અને જીવનને ઓળખવાનું બાકી છે! માણસ પગ છૂટો કરવા ચાલવા જાય છે, પણ મન છૂટું કરવા માટે મિત્રોને મળે નહિ અને પોતાના જ કોચલામાં ભરાઈ જાય તો એ પોતાના જ ઘરની દીવાલમાં ગૂંગળાઈ મરે છે!
મરણ ના આવે ત્યાં સુધી જીવવાનું તો છે જ ને! તો પછી આનંદભરી સમજણથી કે સમજણભર્યા આનંદથી છલોછલ રસથી કેમ ન જીવવું?
સંકલિત: "ડો. કાર્તિક શાહ"