Wednesday, August 12, 2020

માણસો કામ કેમ ટાળે છે?

 


જીવનમાં નિષ્ફળ જતી વ્યક્તિઓની અનેક કુટેવોમાંથી એક કુટેવ કામને મુલતવી રાખવાની એટલેકે ટાળવાની હોય છે. 

અને પાછા એ લોકો એ કામ ટાળવાની કેમ ખાસ જરૂર હતી અને કેવા અસાધારણ અને અદ્વિતીય સંજોગોના કારણે એ કામ ટાળ્યું છે એ બહુ જ ભારપૂર્વક તમને સમજાવી પણ શકે છે !! એમના એ  કારણો સાચા લાગે એવા હોય તેમ છતાં એ લોકો એ સમયે એ  ભૂલી જતા હોય છે કે એમના જીવનમાં જ કેમ એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે?!

જે વિદ્યાર્થીએ પરીક્ષાની પુરી તૈયારી નથી કરી, એ નક્કી કરે છે કે જો આ વખતે પાસ થઇ જવાય, તો આવતા વર્ષે પહેલા જ દિવસથી વાંચવા બેસી જવું છે. માણસ બીમારીમાંથી સાજો થાય  પોતે ખાન-પાન, વ્યાયામમાં કેવો નિયમિત રહેશે એનો નિર્ણય કરે છે. અમુક કામ નહિ કરવા બદલ નુકસાન થાય ત્યારે એ કામ પોતે ક્યારેય ટાળશે નહિ એવું તે પ્રણ પણ લે છે!

અને છતાં, પાસ થઇ ગયા પછી, બીજે વર્ષે પણ વિદ્યાર્થી અભ્યાસ શરૂ કરવાનું મુલતવી  રાખે છે.આવતીકાલથી વહેલો જાગીશ (આજે નહિ) એમ વિચારીને સવારે ચાલવા જવા કે વ્યાયામ કરવાનું માણસ પાછું ઠેલ્યા કરે છે. અગત્યના મેઈલ ચેક કરીને એના રીપ્લાય નહિ કરવાથી હજારો કે કોઈ વાર લાખોનું નુકસાન થાય તેમ હોય છતાં તે કરવાનું માણસ ટાળે  છે. ફોનબિલ, પાણીનું બિલ, ઈલેક્ટ્રીસીટી બિલ, ક્રેડિટ કાર્ડ બિલ, ઈન્ક્મટેક્સ વિગેરેની તારીખો આવીને  વીતી જાય ત્યાં સુધી એને ભરવાનું ટાળે છે. પૈસા હોય છે, સમય હોય છે, સગવડ પણ હોય છે છતાં આજે કરવાના કામો બીજા દિવસ ઉપર મુલતવી રાખે છે. 


આવું કેમ બને છે? શું લાગે છે આપને ?


કામ ટાળવાની ટેવમાં માણસનું અજાગ્રત મન (સબકોન્શિયસ માઈન્ડ) બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. કેટલાક મનોવિજ્ઞાનીઓ માને છે કે આ ટેવને માણસની ભૂલી જવાની ટેવ સાથે સીધો સંબંધ છે. જે બાબત પોતાને અણગમતી હોય જેમાં પોતાને કોઈક શંકા હોય કે કોઈક છાનો ડર  હોય, અથવા જેની સફળતામાં શંકા હોય એ જ વસ્તુ માણસ ભૂલી જાય છે  અથવા ભૂલી જવા મથે છે! કેટલાક કામો માણસને બોજારૂપ લાગતા  હોય છે છતાં એ કરવાની ના પાડી શકે તેમ હોતો નથી ત્યારે તે કાં તો ભૂલી જાય છે, કાં તો પાછા ઠેલ્યા કરે છે. ઘણી વાર અમુક કામ કરવાથી પોતાની પાસેથી માણસને કંઈક ખુંચવાઇ જતું હોય લાગે છે એ કામ કરવાનું પણ મન પસંદ કરતુ નથી. 


ભૂલી જવાની અને ટાળવાની ક્રિયા ઘણી વાર એક "સાંત્વન" હોય છે. "અરે, એ તો હું ભૂલી જ ગયો!" કે " એ કામ કરવાનું તો રહી જ ગયું!" એમ કહેનાર માણસ ગુનાની ભાવનાથી કે કોઈક પ્રકારના ઠપકાથી બચવા ઈચ્છતો હોય છે. 


એમાં સારી વાત એ છે કે ભૂલી જવાની આદત જેટલું મુશ્કેલ છે એટલું મુશ્કેલમુલતવી રાખવાની આદત સુધારવાનું નથી. કારણકે ભૂલી જવાની ક્રિયા સંપૂર્ણ માનસિક છે જયારે મુલતવી રાખવાની ક્રિયા સંપૂર્ણપણે માનસિક તો નથી જ! વળી તો આપણે મુલતવી રાખવાની ક્રિયાને ગંભીર ના લેતા હોઈએ તો ચેતી જવાની જરુર છે. "ઘી ન્યુયોર્ક ટાઈમ્સ"માં કેટલાક મનોવિજ્ઞાનીઓએ આ  વિષયમાં પોતાના મંતવ્યો રજુ કર્યા છે, જે મુજબ આ કુટેવ એ ઘણી જ ગંભીર છે. અને માણસે એમાંથી જલ્દીથી મુક્ત થઇ જવું જોઈએ! 


કામ મુલતવી રાખનાર ને એ ખ્યાલ નથી આવતો કે આજે મુલતવી રાખેલું કામ કાલે નદીના પટ જેમ વધુ પહોળું થવાનું છે. આજે જે નદી તરવાનું એ મુલ્તવી રાખે છે તે જ તરવાનું કાલે વધારે અઘરું કે  કદાચ, અશક્ય પણ બની જવાનું છે!


આપણી જિંદગી એવી છે કે દરેક વ્યક્તિને એનો કડવો અને મીઠો બંને હિસ્સો ચાખવો જ પડે છે. જે કામ આપણે કરવાના હોય છે એ બધા કંઈ આપણને ગમે એવા નથી હોતા. છતાં, તે કર્યા વિના ચાલે તેવું નથી હોતું. જે વ્યક્તિ આજનું અણગમતું કામ કાલ ઉપર ટાળે  છે એને સમજી લેવું જોઈએ કે કાલે પણ એ જ કામ અણગમતું જ રહેવાનું છે!  એટલું જ નહિ પણ મુલ્તવી રાખેલા કામોનો એટલો મોટો ઢગલો એની સામે ખડો થઇ જવાનો છે કે એની સામે જોતા જ દૂર ભાગી જવાની ઈચ્છા થઈ જવાની છે. પણ, જિંદગીથી કોણ ભાગી શકે છે? જે કોઈ જીવે છે એને કામ કર્યા વિના છૂટકો જ નથી. એટલે, કામથી ભાગવાના બદલે સમયસર કરી લેવાથી જ જિંદગીનો બોજો આસાનીથી ઉપાડી શકાય છે. 


જોકે, એક પણ કામ મુલતવી ન રાખતી હોય એવી વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે છે, છતાં સામાન્ય રીતે આપણે એમ જરૂર કરી શકીએ કે જે વ્યક્તિ પોતાના કામ ઓછામાં ઓછા મુલ્તવી રાખે, જેને ઓછામાં ઓછા બહાનાંઓનો આશરો લેવો પડે તે વધુમાં વધુ સફળતા પ્રાપ્ત કરી શકે છે!

કામ ના ટાળવાની  અને પોતાના મનને આવી જ રીતે કેળવવાની કેટલીક યુક્તિઓ નિષ્ણાતોએ સૂચવી છે જેના વિષે આપણે આવતા અંકમાં જોઈશું!!



3 comments:

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...