Thursday, June 11, 2020

દીકરી ને ગાય, દોરે ત્યાં જાય - કહેવત, લોકોક્તિ, લોકગીત કે રચના?

દીકરી ને ગાય, દોરે ત્યાં જાય!
લોકોક્તિ, કહેવત, લોકગીત કે રચના? 
―  એક સંશોધન (ડો. કાર્તિક શાહ)
અવિનાશ વ્યાસજી

આજે આપણે વાત કરવી છે ગુજરાતી સાહિત્યની તદ્દન અજાણી એવી એક હકીકત વિશે….ચાલો, તો શરૂઆત કરીએ ફ્લેશ બેકમાં વિહરવાની!!

ગુજરાતી ભાષાનાં આ અમર અવિનાશી ગીતથી ભાગ્યે જ કોઈ અજાણ હશે! એમાંય "દીકરી ને ગાય, દોરે ત્યાં જાય!"  પંક્તિઓ તો જાણે લોક-કહેવત, લોકગીત કે લોકોક્તિ તરીકે સદાય ગુજરાતી ભાષા જોડે રહેશે, એમ કહું તો જરાય ખોટું નથી! 

અનિલ આચાર્યે એક વાર લખ્યું છે કે, દીકરી પોતાની છે છતાંય પારકી છે એથી તે વધુ નજીક હોય છે. ‘દીકરી’ શબ્દનાં ‘દી’ અને ‘રી’ દિર્ધમાં છે. તે શબ્દનાં ઉચ્ચારને પણ નહીં છોડવાની આટલી જીદ હોય તો દીકરીને છોડવા મન ક્યાંથી તૈયાર થાય?

દીકરી, એક શમણું, આપણું છતાં પરાયું.  દીકરી શું નથી? દીકરી આપણી હથેળીની સૌથી લાડકી ટચલી આંગળી છે. દીકરી જિંદગીની શુષ્કપળોમાં ભીનાશ જન્માવતી ભીની ભીની લાગણી છે. દીકરી માબાપનાં વૃદ્ધત્વનાં એકલતાનાં કિનારાને ભર્યાભર્યા રાખતી, સતત લાગણી છલકાવતી છાલક છે. દીકરી એ માબાપનાં જીવનમાં પરીકલ્પનાનું સુખ આપતી જીવનવાર્તાની ‘પરી’ છે. દીકરી તમારા સ્તબ્ધ, વિષાદી, આઘાતભર્યા મનમાં થીજી ગયેલા આંસુને વહેતા કરી તમને હળવા રાખે છે. દીકરી તમારા સ્મિત પાછળનાં રૂદનને વાંચી શકે છે. દીકરી તમારા વિષાદી મનનો સંગાથ છે. દીકરી પ્રભાતનાં ફૂલ પરનું ઝાકળબિંદુ છે. તેના મુલાયમ સ્પર્શમાં તમને તમારા અસ્તિત્વની સાર્થકતા અનુભવાય છે. દીકરી એટલે કદી ‘ડિલિટ’ નહીં થતી અને સદા ‘રિફ્રેશ’ રહેતી લાગણી. દીકરી તમારા દિલનાં સ્ક્રીન પરનું છે મનોહર ‘સ્ક્રીન-સેવર’ ! દીકરી એટલે તમારા રંજને પરાજિત રાખતો ઉમંગનો આફતાબ. તમારી જીવવાની ઝંખનાને પ્રજ્જ્વલિત રાખતી જ્યોત એટલે દીકરી. દીકરી શું નથી ?

આવી જ ઘણી બધી અવ્યક્ત લાગણીઓને વાચા આપતું, વર્ષ ૧૯૭૯માં આવેલી ગુજરાતી ફિલ્મ "પારકી થાપણ"નું આ ગીત, સ્વ. અવિનાશ વ્યાસજીએ રચેલું અને પુત્ર શ્રી ગૌરાંગભાઈનું એટલું જ અદ્ભૂત સ્વરાંકન છે. આ ગીતનું સર્જન પણ એટલું જ રોચક છે. જેની વિસ્તૃત ચર્ચા આપણે આ અગાઉ કરી ચુક્યા છીએ કે કઈ રીતે આ અદભુત સ્વરાંકનને એટલો જ અદભુત સ્વર પ્રાપ્ત થયો, લતા મંગેશકરજી નો!! જી હા, આ ગીતમાં સ્વરની પ્રથમ પસંદગી અલકાજીની હતી, અને એક અહેવાલ મુજબ, બાદમાં લતાજી ખૈયામજીનું રેકોર્ડિંગ ટાળીને આ ગીતનું રેકોર્ડિંગ કરવા સાંજે પધારેલા! એવું કહેવાતું હતું, કે લતાજી સાંજે ગીત ગાતા નથી, છતાંય આ ગીત માટે તેઓએ પોતાની પ્રથા તોડી હતી!

આ ગીત, એ સમયે બનતી વખતે બીજા પણ રસપ્રદ અનુભવોમાંથી પસાર થયું છે. ‘પારકી થાપણ’ ફિલ્મનું ટાઇટલ સોંગ કરવાનું અને વળી લોકોને ગમે એવું કરવાનું અને વળી લખાય અને રેકોર્ડિંગ થાય પછી શૂટિંગ કરવાનું. ‘પારકી થાપણ’ – આ શબ્દો છેલ્લે રાખીએ તો એના પ્રાસમાં શબ્દો ગાઈ શકાય. એ યાદગાર રહી જાય એવા ના પણ બને! પણ, અવિનાશ વ્યાસની સર્જકતાએ અને એમની સ્વર સજ્જતાએ કવિતામાં પ્રાણ પૂર્યો અને “દીકરી તો પારકી થાપણ કહેવાય” એવી પંક્તિઓ લખી. ‘કહેવાય’-ના પ્રાસમાં-કાફિયામાં ગીતને આગળ વધાર્યું અવિનાશ વ્યાસે. નિર્માતા અરુણ ભટ્ટની સામે જ પ્રથમ સીટિંગમાં જ ગીતનું મુખડું અને એક અંતરો લખાઈ ગયા!

સાથે સાથે અવિનાશ વ્યાસ ‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’-ની કહેવાતી લોકોક્તિ/કહેવત પણ ગીતમાં સાચવે છે. આનાથી મોટી બીજી કઈ વાત હોય! 

આટલી પૂર્વભૂમિકા બાંધ્યા પછી, આપણા આજના આ લેખનાં મૂળ ઉદ્દેશ્ય પર આવી જઈએ! નહીં તો, આ ગીત, સંગીત, મહાનુભાવો વિશે લખતાં શબ્દો ખૂટી પડે પણ વાતો નહિ!!

"દીકરી ને ગાય, દોરે ત્યાં જાય!" ― કેટલા ટૂંકા શબ્દોમાં માર્મિક રજુઆત થઈ ગઈ છે! તો, શું આ લોકોક્તિ જ માત્ર છે? કે કહેવત કે લોકગીત? શું છે ખરેખર આ? અને ગુજરાતી સાહિત્યમાં આ અગાઉ ક્યાંય કોઈ જગ્યાએ એ રજુ થઈ છે કે કેમ? અને જો જવાબ હા હોય તો, કોણ છે રચયતા એના? 

આના જવાબમાં, આજે એક રોચક ઇતિહાસનું થોડું કરેલું સંશોધન રજૂ કરવા જઈ રહ્યો છું. આશા છે આપને કંઈક નવીનતમ માહિતી મળી રહેશે! જી હા, જો હું એમ કહું કે આ પંક્તિ એના આ જ મૂળ સ્વરૂપમાં આજથી બરાબર 110 વર્ષ પહેલાં રજૂ થઈ હતી, તો?

ખરેખર, એવું જ બન્યું હતું. ઇ.સ. 1909માં માત્ર આ પંક્તિ જ નહીં પણ એને સમાવતું એક આખું ગીત, અરે આખું એક નાટક રજૂ થયેલું છે!! અને ત્યારે સ્વ. અવિનાશ વ્યાસજીનો જન્મ પણ નહોતો થયો. તેમનો જન્મ થયો હતો ઇ.સ. 1912માં. જ્યારે આ પંક્તિને સમાવતા નાટ્યગીતના નિર્માતાનો જન્મ થયો હતો 18 માર્ચ,  ઇ.સ. 1862માં એટલે કે, સંવત 1918ની ફાગણ વદ ત્રીજના દિવસે! એટલે કે, આ રચના વખતે એ 47 વર્ષના હતા. એટલે કે અવિનાશજી થી 50 વર્ષ મોટાં!! અને હજુ એક ડગલું આગળ, આજથી 110 વર્ષ પહેલા જે નાટકમાં એ ગીત રજુ થયેલું, એ સંપૂર્ણ કાર્યક્રમ એ નિર્માતાએ ઇ.સ. 1867ના 25માં એક્ટ મુજબ કોપીરાઈટ પણ કરાવેલો!! અને સર્વ હક્ક સ્વાધીન રાખ્યા હતા!  અને એમાંથી આ ગીત ખૂબ જ પ્રચલિત થયું અને લોકમુખે ચઢી ગયું!! 

આ નિર્માતા એ ઉત્તમ કવિ હતા. અને ગુજરાતી ઉપરાંત તેઓ સંસ્કૃત, ઉર્દુ અને હિન્દી ભાષાના પણ પ્રખર નિષ્ણાત હતા. બાલ્યવયથી જ એમની નોખી બુધ્ધિપ્રતિભાની પ્રતીતિ થતી હતી. કચ્છ-ભુજમાં પોશાળ (કવિની પાઠશાળા)માં અભ્યાસ કર્યો અને સંવત 1937માં વધુ અભ્યાસ અર્થે કાશીતીર્થમાં સંસ્કૃત, કાવ્ય  અને અલંકારશાસ્ત્રનો અભ્યાસ કર્યો.  તદુપરાંત પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ વિદ્વદવર્ય વૈદ્યરાજ લક્ષ્મીશંકર નરોત્તમ ભટ્ટ પાસે વૈદિક ધર્મ અને સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કરી એમને ગુરુપદે  સ્થાપ્યા.

કવિની વિદ્વત્તાના વાવડ શ્રી હરિસિંહજીને મળ્યા અને એમણે પોતાના રાજકવિ તરીકે એમને નીમ્યા. ત્યારબાદ ભાવનગરનરેશ શ્રી તખ્તસિંહજીએ એમને પોતાના રાજકવિ તરીકે નીમ્યા. રાજકવિએ હિન્દી તથા વ્રજભાષામાં પણ પ્રભુત્વ મેળવ્યું હતું, તેથી રાજપ્રશસ્તિના હિન્દી કાવ્યોના ગ્રંથો પણ લખ્યા જેમ કે, તખ્તયશત્રિવેણિકા, ભાવ સુયશવાટિકા, ભાવ આશીર્વચન, અમર કાવ્યાલપ, અને કરુણરસપ્રધાન ગ્રંથો ઝંડુવિરહ, ભાવવિરહ અને ત્રિભુવનવિરહ પણ લખ્યા!

છત્રીસ વર્ષની ઉંમરે એમને સંસ્કૃત ગ્રંથ "ભરતનાટ્યશાસ્ત્ર"નો ગુજરાતી અનુવાદ કરવાની ઈચ્છા થઇ જે એમણે  ગુરુવર્ય લક્ષ્મીશંકર ભટ્ટને જણાવી અને એમના માર્ગદર્શન હેઠળ એ કાર્ય  એમણે સંપન્ન પણ કર્યું. ઘણા કાળ સુધી એ ગ્રંથ એમ ને એમ પડ્યો રહ્યો કારણકે એ ભાષાંતર સમજણપૂર્વક સુધારી અને નવેસરથી લખવાના કાર્ય માટે યોગ્ય વ્યક્તિની શોધમાં હતા જે પછી વર્ષ 1902માં જામનગરના રાજકવિ શ્યામજી જયસિંહના પુત્ર કેશવલાલને સોંપાયું અને ભાવનગરમાં જ આનંદ પ્રિન્ટિંગ પ્રેસમાં એની પ્રથમ આવૃત્તિ છપાઈ!

તેઓએ ઘણા નાટકો પણ લખ્યા જેમાં પૌરાણિક, ઐતિહાસિક અને સામાજિક નાટકોનો સમાવેશ થાય છે. જેમાંના એકની નોંધ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે એમના પુસ્ત્તક "સ્મરણમંજરી"માં આલેખી છે. એમના નાટકોની એ જ ખૂબી હતી કે એમના ગીતો ઘર ઘર ગુંજતા અને અત્યંત લોકપ્રિય થઇ જતા.  "દાસ પર દયા લાવો રે, હું ભજન કરીશ હરિનું", " બોલું ક્યા મેરે પ્યારકી બતિયાં, સર પર ગાગર ધર કર" -- આ બધી પંક્તિઓ રસિક પ્રેક્ષકોને હજુય યાદ રહેશે. ગુર્જર જનતા આ મહાકવિની ઋણી છે, પણ એમને અનુરૂપ સન્માન એમનું થયું નહિ!

એક દિવસ કવિશ્રીએ રસકવિને ભોજનનું આમંત્રણ આપેલું, જમવામાં ઉત્તમ જાતના માદક પીણાં અને ઘી નીતરતી મસાલેદાર ખીચડી હતી. આ મહાપ્રસાદ આરોગવાની રસકવિમાં શક્તિ ન હતી. એમના માન ખાતર એક કોળિયો ભરી રસકવિ ઉઠી ગયા એટલે કવિશ્રી બોલ્યા, 

"હટ ભૂંડા, ગુજરાતી ખરો ને! ખાવાપીવામાં શું સમજે?"

ત્યાર બાદ સુરદાસ અને નાગરભક્ત નામે નાટકો ઈ.સ. 1909માં રજુ થયા. જેના સુંદર અને ભાવવહી ગીતો લોકજીભે રમી રહ્યા. 

તા. 25.11.1909ના રોજ લેખક ગોપાલજી કલ્યાણજી દેલવાડાકર કૃત નાટક "નીલમ માણેક" રજુ થયું. એ વાંકાનેર કંપનીની પ્રસ્તુતિ હતી. જેના સ્થાપક ત્ર્યંમ્બકલાલનું મૃત્યુ થતા કંપની મુશ્કેલીમાં આવી પડી. સંસ્થાનું ગુડવીલ સારું હોવાથી આ રાજકવિએ એમની સાથેના નાટ્યધુરંધરોની સાથે મળીને એક સમિતિ રચી. અને  "નીલમ માણેક" નાટકને કોપીરાઈટના 1867ના 25માં એક્ટ મુજબ રજીસ્ટર કરાવ્યું અને સર્વ હક્ક સ્વાધીન રાખ્યા! જેમા એમનું  એક ગીત અતિ લોકપ્રિય થયું હતું અને લોકમુખે ચડી ગયું હતું એ કૈક આ મુજબ હતું, 

"દીકરી ને ગાય દોરે ત્યાં જાય 
રંક બિચારીનો નહિ ઉપાય 
એક આધાર તારો છે કિરતાર-"

આ કૃતિ "નીલમ માણેક". આમ તો સાત ભાગમાં સચિત્ર નવલકથા તરીકે પ્રસિદ્ધ થઇ હતી. 

આ રાજકવિનું  નામ હતું નથુરામ સુંદરજી શંકર! નામ જાણીને નવાઈ લાગી ને...? કદાચ કોઈએ સાંભળ્યું પણ નહિ હોય...પણ આ રાજકવિશ્રીએ ગુજરાતી ભાષામાં જ નહિ પણ, હિન્દી, સંસ્કૃત અને વ્રજભાષામાં પણ ઉત્તમ ગ્રંથો લખ્યા છે અને નાટ્ય, ગદ્ય અને પદ્ય સાહિત્યમાં એમનું બહુ મોટું યોગદાન છે. 

એટલે છેલ્લે હા, એ ચોક્કસ કહી શકાય કે અવિનાશજીએ પોતાની સ્વતંત્ર રચના લખી છે અને એમાં માત્ર આ પંક્તિનો ઉપયોગ કર્યો છે જે લોકોક્તિમાં એ સમયે ખપી ગઈ હતી...એટલે કે એની રજુઆતના આશરે 70 વર્ષ પછી!! આ લેખનો મૂળ ઉદ્દેશ વાચકમિત્રોને એના મૂળ શબ્દ-સર્જક સાથે પરિચય થાય અને ગુજરાતી ભાષા-સાહિત્યના ઇતિહાસ પરથી ક્યાંક પડદો ઊંચકાય એ શુભ-આશય જ માત્ર છે. આ ઉપરાંત આવી અનેક અમર પંક્તિઓ રસિક વાચકોને યાદ રહે તથા ગુર્જર પ્રજા આ રચયતાઓને યાદ કરી ઋણ ચૂકવે તો એમને અનુરૂપ સન્માન પણ મળે!

ડો. કાર્તિક શાહ (પંખ E-મેગેઝીન, અંક 41, જૂન, 2020)