Wednesday, June 13, 2018

થડ વિનાનું વડ


થડ વિનાનું વૃક્ષ/વડ (સત્યઘટના)
દુનિયાના તમામ 'થડ' માટેની અભિવ્યક્તિ 

આ શીર્ષક જોઈને ચોક્કસ નવાઈ તો લાગે જ કે થડ વગરનું તો કંઈ વડ/વૃક્ષ હોતું હશે? કલ્પના પણ કરવી અશક્ય છે. હા, આ થડ તો છે જે વૃક્ષ ને મજબૂતી બક્ષે છે. આ થડ જ છે જે વૃક્ષને એના જીવન દરમ્યાન આવતા તોફાનોને કઈ રીતે ખાળવા? એ શીખવે છે. એ જ તો એને લચીલું બનાવે છે. થડની મજબૂતાઈ પર જ તો વૃક્ષ ની જીવાદોરી ટકેલી હોય છે, કેમ ખરું ને?  પરંતુ મોટેભાગે આ પર્યાવરણમાં પણ થડને, એની ઉપયોગિતાને નજરઅંદાજ કરવામાં આવ્યું છે. વૃક્ષનો, પર્ણનો, પુષ્પોનો, લચકતી ડાળીઓનો, ફળોનો, એની ઘટાનો, તડકી-છાંયડીનો, પાનખરનો, વસંતનો વિગેરે તમામ પાસાઓનો મહિમા ગવાયો, પણ આ થડ તો સૌને ભુલાઈ જ ગયું....!!! આપણા ગુજરાતી સાહિત્યમાં પણ કૈક આવું જ જોવા મળ્યું છે, માતા અને કુટુંબનો મહિમા ખુબ ગવાયો, પુસ્તકો પણ ઘણાં ઉપલબ્ધ છે પણ એક પિતા જ નજરઅંદાજ થઇ ગયા. હવે, ધીમે ધીમે સાહિત્ય પણ સજાગ થયું છે. એકાદ-બે પુસ્તકો પણ ઉપલબ્ધ થયા છે. થડનો પણ મહિમા આલેખાય તો વૃક્ષના જીવનની એક અનન્ય પરિભાષા અનાવૃત્ત થાય.


હા આજે વાત અનાવૃત્ત કરવી છે એવા જ એક વૃક્ષની જેણે હજુ તો વિકસવાની ઉંમરે જ થડ ગુમાવી દીધું. એનું સર્વસ્વ કે જેના થકી એની હસ્તી હતી એજ આ દુનિયાને અલવિદા કહી ગયું. શું થયું આ વૃક્ષનું? એના પુષ્પ, પર્ણ, ફળ વિગેરે કઈ રીતે વિકસ્યા ? અને થડ વગરના આ વૃક્ષને દુનિયાની કેવી તો થાપટો વાગી? વાતાવરણની કેવી પ્રતિકૂળતા રહી? આ બધું જ મારે તમને કહેવું છે.

આ થડ છે એક પિતા!! અને વૃક્ષ એટલે એનું કુટુંબ! પિતા વગરનું કુટુંબ એક થડ વિનાનું વૃક્ષ હોય જાણે એમ જ મને લાગ્યા કરે. વધુ પ્રસ્તાવના ન કરતા આવો, જઈએ એક આવાંજ એક વૃક્ષની આપવીતી સાંભળવા જે આપણા સૌના જીવનમાં થડનો મહિમા ચોટદાર રીતે વર્ણવે છે:  

~~~~~~~~~~~~~~~~~~~
ઘણા વર્ષો પહેલાની વાત છે. જેમ આંખોમાં સપના લઈને પ્રત્યેક વ્યક્તિ પોતપોતાની મહેચ્છાઓ પુરી કરવા અત્યારે દોડી રહ્યો છે બસ એ જ રીતે એક યુવાન એ સમયે અમદાવાદમાં દોડી રહ્યો હતો. કુટુંબને અને સંતાનોને માનભેર ઘર અને સમાજ બંનેની છત મળી રહે એવું સુવ્યવસ્થિત આયોજન કર્યું હતું. વ્યવસાયે પ્રતિષ્ઠિત બેંકમાં કારકુનની નોકરી મળી હતી જે એ વખતના સમયમાં અદેખાઈ ભરી નોકરી ગણાતી અને એ સમયમાં દરેકને એવી જ નોકરી મેળવવાની ઝંખના રહેતી. 

એની મોજશોખ નામે એક જ આદત... વાંચનની !! દરરોજ ઘરથી લગભગ ચારેક કિલોમીટરના અંતરમાં આવેલી લાયબ્રેરીમાં ચાલીને જવાનું અને તમામ અખબારો, અર્થશાસ્ત્રના પુસ્તકો અને મેગેઝીનો વાંચીને જ પરત ફરવાનું. આ નિત્યક્રમ હતો. ઘરથી નોકરીનું સ્થળ એટલે કે બેન્ક પણ આશરે બે-અઢી કિલોમીટર ના અંતરે પણ ત્યાં પણ ચાલીને જ જવાનું. સ્વભાવ કરકસરિયો અને એટલોજ બોલકો પણ. સંતાનમાં બે દીકરા અને જોડિયા જેવા જ. એક વર્ષનો ફરક બંને ની ઉંમરમાં. અને બેઉ ભણવામાં હોશિયાર. નિશાળમાં બંને જણ પોતપોતાની કક્ષામાં પહેલા-બીજા નંબરે જ આવે. એમ કહી શકાય કે આ યુવાન અને  એના પત્નીએ પોતાના જીવનનો મોજશોખ કરવાનો ઉંમરનો એક મોટો ભાગ એમના સંતાનોને શિક્ષણ આપવા પાછળ અને ઘરના બેઉ છેડા ભેગા કરવામાં ઈન્વેસ્ટ કરી દીધો હતો. આ વાંચનની આદત જ સંતાનોને એ વારસામાં મળી.

ઘરમાં અર્થોપાર્જન કરનાર એક જ વ્યક્તિ એ યુવાન હતો. અત્યારના આ ફાસ્ટયુગ ની જેમ ઘરના પ્રત્યેક મેમ્બર એ સમયે નોકરી કરે જ એવું શક્ય નહોતું. પત્નીનું ભણતર મેટ્રિક પાસ પણ આવડત અને સૂઝબૂઝ કોઈ પણ અનુસ્નાતકને શરમાવે એવી !! આમ  જીવનના રસ્તા પર ગાડું એની મજલ કાપી રહ્યું હતું. 

પણ કહે છે ને માણસે ધાર્યું કંઈ હોય છે ને ઈશ્વરે વિચાર્યું કંઈ ઓર હોય છે. 44-45 વર્ષના જીવનના મધ્યાહ્ને આ યુવાન પહોંચ્યો હશે. અચાનક એક દિવસે સૂરજ એની દિવસની સફર ખેડવા ઉગ્યો તો ખરો પણ સંધ્યા સુધી પહોંચતા પહેલા જ ભર બપોરે અચાનક આથમી ગયો...!! હા, જગત આખું અવાચક થઇ ગયું. ને સાવ ન માનવામાં આવે એવી એક ઘટના એના અકલ્પનિય પરિણામો સહિત આ એક કુટુંબ પર આજીવન યાદ રહે એવો વજ્રાઘાત આપવા માટે તૈયાર ઉભી હતી.

બપોરનો સમય હતો. એ દિવસે જાહેર રજા હતી. સંતાનો રજા હોવાથી અને ફાયનલ પરીક્ષા આવતા અઠવાડિયે શરુ થવાની હોવાથી વારસામાં મળેલી આદત મુજબ જ લાયબ્રેરીમાં રીડિંગ હોલમાં વાંચવા બેઠા હતાં. ટિફિન જમીને તેઓ એમના મિત્રો સાથે એક વિષય ઉપર પરિચર્ચા કરી રહ્યા હતા ને ત્યાં જ એક પાડોશી બાળકોને અચાનક મળવા ત્યાં આવી ચડ્યો. બાળકોને એમને અહીં લાયબ્રેરીમાં આમ અચાનક જોઈને નવાઈ લાગી અને પૂછ્યું, તમે અહીં ક્યાંથી?? પાડોશીએ સ્વસ્થતા જાળવી કહ્યું, બાળકો આજે બસ આટલુંજ બાકીનું હવે ઘરે જઈને પછી વાંચજો. ઘરે પપ્પા તમને બોલાવી રહ્યા છે એમની તબિયત થોડી નાદુરસ્ત છે.

બંને બાળકો ઘરે પહોંચ્યા...બહાર 2-4 પાડોશીઓ ઉભા હતાં. અંદર એક પલંગ પર જ્યાં એમના પપ્પા આરામ ફરમાવતા ત્યાં જ સૂતા હતાં. પલંગ નીચે મમ્મી અને અન્ય કુટુંબીજનો આક્રંદ કરી રહ્યાં હતાં. બાળકોને હજુ તો કઈ ગતાગમ પડે એ પહેલાં તો ધ્રુજારી છૂટી ગઈ. હાથમાંથી શાળાના દફતર નીચે પડી ગયાં. અને એમના વ્હાલસોયા પપ્પાને બોલવા માટે વિનંતી અને પછી ચીસો પાડવા લાગ્યા. પણ થોડી જ વારમાં એમનું નિશ્ચેતન શરીર જોઈ બાળકો સઘળી વાત સમજી ગયા અને એમની મમ્મી ને ભેટીને ડૂસકાં ભરવા લાગ્યા. હા, એ યુવાન પપ્પાનું અચાનક હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. જેને નખમાંય રોગ નહોતો અને નિયમિત રીતે શારીરિક પરિશ્રમ કરતું શરીર હતું...અરે જે સતત એમના કાર્યક્ષેત્રે અને સમાજમાં બોલકો વ્યવહાર ધરાવતો ને હજુ સંતાનો સાથે માંડ થોડા વર્ષો ગાળી શક્યો હતો એ વ્યક્તિ, આમ સાવ આચનક યુવાન વયે આ દુન્યવી સફરને છોડી અણધારી વિદાય લેશે એ કોને ખબર હતી...!

પળવારમાં એક કુટુંબ પરથી માથેથી છત અને પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એનો અહેસાસ થઇ ગયો!! ખૂબ જ કઠિન છે આ પરિસ્થિતિ, જેના પર વીતી હશે એ ચોક્કસ સમજી શકશે આ વજ્રાઘાત સમી વેદના. પણ કહે છે ને મુશ્કેલી અને વિષમ પરિસ્થિતિ માણસને જીવતાં શીખવાડી દે છે. બાળકોના બાળમાનસ પર હવે આ દુનિયાના જીવંત કપરા અનુભવોની છાપ પડવાની શરૂઆત થઈ એક તુરંત ઘટેલા પ્રસંગથી.

તેઓના ઘરની જોડે જ એક નામાંકિત સર્જન તબીબ રહેતા. એમને બોલાવવા એક બાળક તાત્કાલિક દોડ્યો. શરૂમાં કહ્યું એમ જાહેર રજા હોવાથી ડોક્ટર ઘરે જ હતાં. બાળક રડતાં રડતા બોલ્યો, " સાહેબ, ચાલોને ઘરે જલ્દી! પપ્પાને કૈક થઈ ગયું છે, તેઓ બોલતા નથી, ચાલતા નથી. આપ જો ઝટ આવો ને કંઈક દવા તો કરી આપો...પ્લીઝ જલ્દી ચાલો સાહેબ!! " સાહેબને પહેલેથી વાતની ખબર પડી ગઈ હતી. તેમણે કહ્યું, " જુઓ હું અત્યારે આરામમાં છું અને આમેય એ કામ મારુ નથી! એમનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તમે કોઈ જનરલ પ્રેક્ટિશનર કે ફિઝિશિયનને જઈને મળો. એ તમને સર્ટિફિકેટ લખી આપશે. હું મરણના સર્ટિફિકેટ લખતો નથી અને મારી ફી તમને નહીં પોષાય!!", આટલું કહી દરવાજો ધડામ કરતો બંધ!! છોકરાની રહી સહી આશા પર પણ પાણી ફરી વળ્યું. પરિસ્થિતિનો સ્વીકાર કરી રડતાં રડતાં બાળક પાછો ઘરે પહોંચ્યો. ફૂલ સમાં બાળકો જેઓની હસવા, રમવાની અને મોજ મસ્તી કરવાની ઉંમર હતી એ બાળકોએ એમના ખભે પિતાની નનામીનો ભાર ઊંચક્યો, અને એમના પાર્થિવ દેહને સજળ નયને અગ્નિદાહ પણ આપ્યો. આ સાથે જ શરૂ થઈ એમની નવી જિંદગી, એક અલગ જ ભવિષ્ય સાથે જે એમણે જોયેલા સપનાઓથી સાવ વિપરીત દિશામાં લઈ જવાની છે એ હવે તેઓને જાણ થવાની હતી!!

બીજા દિવસે ઘરના વડીલો એ બેઠકમાં પોતપોતાની ચિંતા પ્રગટ કરી. એકે કહ્યું, "સદગતનું કારજ-પાણી કરવું ક્યાં..અને એનો ખર્ચ? બાળકોની હાજરીમાં એ ભાઈ બોલતા અટકી ગયા. એમના પત્ની અને બાળકોને તો કંઈ જ ખબર નથી. મૃતકના બેંકની ડિટેઇલ, વિમાનું, પેંશન, એમના વ્યવસાયિક વ્યવહારો કઈ કરતા કઈ જ નથી ખબર. એક કામ કરો. આ ઘરને તાળું મારી બધાને ગામડે લઇ જાઓ. ત્યાં બધું પતાવી દઈએ અને ખર્ચ પણ બહુ ના થાય!"

વાતનો કળ આવી જતાં ને આટલું સાંભળતા જ બાળકોએ નાની ઉંમરમાં પહેલી વાર વડીલ સમક્ષ જીભ ઉપાડી, " પપ્પાનું કારજ-પાણી અહીં એમના ઘરે જ થશે. અને ધામધૂમથી થશે. કોઈ કસર રાખવાની નથી. અને હા, આપ સૌ સલાહ અને માર્ગદર્શન આપજો એ મુજબ બધું જ થશે. ખર્ચની ચિંતા કરશો નહિ." અને બીજા દિવસથી શું, તેઓના પપ્પાના મૃત્યુના દિવસથી એકેએક પાઈનો હિસાબ એમણે રાખ્યો. નનામી, દોણીથી માંડી બ્રહ્મભોજન અને સજ્યા સુધીનો બારીક હિસાબ તેઓએ એ ઉંમરે પાર પાડી દીધો. (આ લખાય છે ત્યારે એટલે કે આજે પણ એ હિસાબ એ બાળકો―આજના યુવાન પાસે એમના કબાટમાં મોજુદ છે) 

પછી વાત આવી સૂતકની!! પહેલાના એ વખતના સમયે, પતિની પાછળ વિધવા પત્નીએ માથાના તમામ વાળ કઢાવીને મુંડન કરાવવું પડતું અને જ્યાં સુધી નવા વાળ ન આવે ત્યાં સુધી એમને મહિનાઓ સુધી ઘરે ચાર દીવાલની વચ્ચે જ રહેવું પડતું. સૌ વડીલ સ્ત્રીઓ અને કેટલીક આ સંજોગોમાંથી પસાર થયેલી બેનોએ આ કરાવવાની સલાહ આપી!! બાળકો એ ઉગ્ર વિરોધ કર્યો. તેઓએ કહ્યું, "આજનો સમય જુઓ, મમ્મીની ઉંમર તો જુઓ!! હજુ પપ્પા પાછળ કેટલાય વ્યવહારિક અને આર્થિક બાબતોને લગતાં કામોમાં મમ્મીને બેંકોમાં, ઓફિસોમાં, કોર્પોરેશનમાં વિગેરે જગ્યાઓએ જવું પડશે! અને આ બધી રૂઢિઓથી પપ્પા પાછા તો નથી આવી જવાના ઊલટું એમને જ વધારે દુઃખ થશે કે મારી પાછળ મારુ કુટુંબ હેરાન થાય છે!! એટલે, આ વિધિ નહીં થાય. હા, અમે છીએ ને અમે કરાવશું જે કરવું હોય એ અમને કહો!!" વડીલોને એ સમયે ના ગમ્યું. કદાચ બાળકો વધુ પડતું બોલે છે એમ પણ લાગ્યું હોય. પણ આ પરિસ્થિતિનો આ જ ઉપાય યોગ્ય હતો.

આવી પરિસ્થિતિ આપણે નાટકો, રંગમંચ કે સિનેમામાં ભજવાતી જોઈએ છીએ પણ શું હકીકતમાં જમીન પર આવી જિંદગી જીવવી સરળ હોય છે? ઘરના મોભી, વડા કે અર્થોપાર્જન કરતી મુખ્ય વ્યક્તિ જ જ્યારે આવી અણધારી વિદાય લે ત્યારે શું ઘટનાક્રમ ઉભો થાય? આ વિચાર માત્ર  જ કંપારી છૂટી જાય એવો છે. આ બાળકોએ ભણવાની સાથે નાની ઉંમરમાં રોજિંદા ઘરખર્ચ, બેન્કિંગ, વ્યવસાયિક કામો, લાઈફ ઇન્સ્યોરન્સના કામો, મરણ પ્રમાણપત્ર ને અન્ય દસ્તાવેજી કામો અને હવેથી સામાજિક જવાબદારીઓ પણ ઉપાડવાની શરૂ કરી. જેટલું સરળ અહીં લખી નાખ્યું છે એટલું સરળ તો નથી હોતું આ બધું વાસ્તવિક જીવનમાં કરવું અને ખરેખર નહીં જ!! કેટલાય ધક્કાઓ, અપશબ્દો, સ્વમાનને ઠેસ પહોંચાડતી લોકચર્ચાઓ, સ્વજનોનું ઇરાદાપૂર્વકનું દુર્લક્ષ વિગેરે એક પછી એક ઘૂંટડાઓ પીવાતા ગયાં ને અનુભવનું સિંચન જીવનને મળવા લાગ્યું. કહે છે ને, "ઈશ્વર અને સમય ધારે તે કરે; મનુષ્ય અમથો ગુમાનમાં ફરે!"

"અમદાવાદનું આ ઘર હવે કોણ ચલાવશે? ક્યાંથી ગુજરાન ચાલશે? ઘરખર્ચ ને બબ્બે બાળકોનો અભ્યાસ...કોણ પૂરું પાડશે આ બધું? એક કામ કરો, આ બે છોકરાવને અને એની માને ગામડે લઇ જાઓ. ત્યાં કોઈ સરકારી શાળામાં અભ્યાસ માટે મૂકી દો તો કૈક મેળ પડે!"― ઘરનાં જ એક વડીલ કુટુંબીએ સલાહ આપી. છોકરાઓ અને એની મા સંજોગોને કળી ગયાં.  તેઓએ એક થઈને કહ્યું, "અમારી ચિંતા ન કરશો વડીલ, અમે આપ સૌમાંથી કોઈને બોજરૂપ નહીં બનીએ. આપ સૌએ આ કપરા સમયમાં અમને જે સાથ-સહકાર આપ્યો છે એ બદલ આભાર."

આ બોલવું અને અમદાવાદમાં કરવું એમાં આસમાન-જમીન જેટલું અંતર છે. કોઈપણ જાતના અર્થોપાર્જન વગર તો ઘર ચાલે કઇ રીતે? અને ચાલે તો બેઉ છોકરાઓને ભણાવા, ગણાવા, કામે લગાડવા, પરણાવવા અને કોઈ આકસ્મિક બીમારી કે ખર્ચો આવી પડે તો...?!! વિચાર જ રઘવાટ ઊભો કરી દે એવો છે!!

"આવા સંજોગોમાં પપ્પાની જગ્યાએ મમ્મીને નોકરી મળી શકે!" થોડા દિવસો બાદ જ્યાં એ યુવાન કામ કરતો હતો એ બેન્કમાંથી કો'ક શુભચિંતકે આવીને બેંકના નિયમો અંગે સમાચાર આપ્યાં. વાત પહોંચી બેંકમાં પણ એ યુવાન જેટલું ભણતર એની પત્નીનું નહોતું. એ તો માત્ર મેટ્રિક પાસ. ભલે વ્યવહારિક અને વ્યવસાયિક સૂઝબૂઝ અવ્વલ નંબરની, પણ એમ થોડી એ અમલદારો માનવાના હતા!! એટલે નિર્ણય એવો આવ્યો કે યુવાનની જગ્યાએ/પદ ઉપર તો નોકરી મળે નહીં પણ વર્ગ-4માં સફાઈ કામદાર તરીકે ભરતી થઈ શકે! આમ, અપમાનનો બીજો એક ઘૂંટડો પીવાનો થયો..એ પણ ઈશ્વરની ઈચ્છા હશે એમ માનીને પીધો. પણ સદગત યુવાનના મિત્રો અને અન્ય કર્મચારીઓ કે જેઓ યુવાનની જોડે સાથે જ બેંકમાં કામ કરતા હતા તેઓએ બેનને આ નોકરી સ્વીકારવાની બે હાથ જોડી ચોખ્ખી ના પાડી..."ભાભી, અમે તમારા હાથના રોટલા ખાધા છે, તમને અમે અહીં આ નોકરી કરતા નહીં જોઈ શકીએ! દુઃખના આ દિવસો તો જતાં રહેશે પણ અમે ખુદને માફ નહિ કરી શકીએ. અમે તમને વિનંતી કરીયે છીએ આ નોકરી ના સ્વીકારતા!!"

કુટુંબની એક માત્ર આજીવિકા રળવાની આ તક પર વૈચારિક દ્વન્દ્વ યુદ્ધ શરૂ થયું! ખૂબ મનોમંથન બાદ એ નોકરી ન સ્વીકારવાનું નક્કી થયું. અને જૂજ ફેમિલી પેંશન મળે એવું ગોઠવાયું. એ સ્ત્રીએ પેટે પાટા બાંધીને એના સંતાનોને ભણાવ્યાં, મેડિકલ કોલેજમાં એડમિશન અપાવ્યા. મોંઘાદાટ પુસ્તકો અને ભણતરની ફી બધુંજ એકલા હાથે કરકસર પૂર્વકની જિંદગી જીવી પાર પાડયું.  બાળકો પણ ભણવામાં હોશિયાર એટલે તનતોડ મહેનત કરી દરેક વર્ષે સારા માર્કે પ્રથમ પ્રયત્નમાં જ ઉત્તીર્ણ થયાં.

અહીં બીજો એક પ્રસંગ ખાસ ટાંકવા જેવો છે. બાળકો ઉત્તમ પરિણામ સાથે ધોરણ 12 પાસ કરી આગળ કઈ દિશામાં વધવું એની વિમાસણમાં હતા. ત્યારે વડીલ તરીકે પેલા પાડોસી સર્જન તબીબની સલાહ લેવા માટે ગયા હતાં. એ સર્જન તબીબે એમની પરિસ્થિતિ જોઈ બાળકોનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ તૂટી જાય એ રીતે કહ્યું, "તમારી સાત પેઢીમાં કોઈ ડોક્ટર બન્યું છે? જો હોય તો જ મેડિકલ લાઈન લેજો. નહિ તો તમારું કામ નથી. એમ કઈ મેડિકલમાં ભણી લેવાથી ડોક્ટર નથી બનાતું!!" આ બાજુ અન્ય એક પાડોસી એ ત્યાં સુધી સુર પુરાવ્યો, " હા બરાબર જ કહે છે એ ડોક્ટર, વળી પાછા તમે ગુજરાતી મીડીયમ વાળા!! મેડિકલમાં બધું અંગ્રેજી મીડીયમમાં જ ભણાવાનું આવે. તમે આ બધું નહિ કરી શકો. એટલે જોઈ વિચારીને સમજીને મેડીકલમાં જજો. પછી પસ્તાવાનું ન આવે !!"

પણ ઘરના બધા સભ્યોએ સાથે મળીને મેડિકલ લાઈનમાં આગળ વધવાનું જોખમ લેવાનું નક્કી કર્યું !!

બાળકોએ પણ મોજશોખને બાજુ પર મૂકી એમની તરુણાવસ્થા સમયાનુસાર અભાવમાંજ પસાર કરી. અને મેડિકલના દરેક વર્ષમાં પ્રથમ પ્રયત્ને ઉત્તમ માર્ક સાથે પાસ થયા.  મેડીકલમાં સાડા ચાર વર્ષ ભણ્યાં પછી સરકારી દવાખાનામાં ઇન્ટરનશીપ આવે. જેમાં તેઓને એ સર્વિસ બદલ સરકાર તરફથી થોડું મહેનતાણું મળે. એ સમયે 1500 રૂપિયા મહેનતાણું મળતું. આ બધું જ તેઓ ઘરે એમની માને સોંપી દેતા જેથી ઘરખર્ચમાં થોડો ટેકો રહે.

આમ કરતા હવે વધુ અભ્યાસ અર્થે આગળ ભણવાનું નક્કી થયું. કોઈકે કહ્યું MBBS થઈ ગયા બાળકો એટલે બસ, નોકરીએ મૂકી દ્યો. ક્યાં સુધી આમ ચાલશે? પણ ઊંચા વિચારો અને લાંબી નજર ધરાવતી એ બાળકોની માએ કહ્યું, "ના, હજુ ભણવું પડે. પોસ્ટગ્રેજ્યુએટ ડીગ્રી તો લેવી જ પડે. મને થોડી તકલીફ પડશે. પણ હવે થોડાક જ વર્ષો ભણવાનું છે ને. થઈ પડશે બધું. પહોંચી વળાશે!

એક બાળકે એનેસ્થેશિયા (ઇરાદાપૂર્વક એ  બાળકે સિલેક્ટ કરી કેમકે ઓછું ખર્ચ થાય પાછળથી પ્રેક્ટિસ કરવામાં અને ઇન્વેસ્ટમેન્ટ પણ ઓછું કરવું પડે, જયારે કે એને સર્જરીમાં એડમિશન મળતું હતું તોય ના લીધું!!!) અને પછી બીજા વર્ષે બીજા બાળકે સર્જરીમાં એડમિશન લીધું. એ કોઠો પણ સુખરૂપ પાર પડ્યો. આ બધું એમના પિતાજીના આશીર્વાદ અને "મા"ની  મહેનતનું જ પરિણામ હતું. બંને જણાએ હજુ વધુ આગળ ભણવાની તક હોવા છતાં ઘર અને કુટુંબ માટે હવે અર્થોપાર્જન કરવાની જવાબદારી માથે લીધી. એક બાળકે આગળ ગેસ્ટરોએન્ટરોલોજી (પેટ અને આંતરડા)ના વિષયમાં ઊંડો રસ લઈને એમાં આગળ ફેલોશીપ અને અનુભવ લઈને સર્જરીની પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે એની પાસે હતાં બેન્ક એકાઉન્ટમાં 2600 રૂપિયા―બેેેલેન્સની મહામૂલી મૂડી રૂપે અને બીજા બાળકે એનેસ્થેસિયામાં આગળ વધી હૃદયના ઓપરેશનોમાં અપાતા એનેસ્થેસિયામાં અનુભવ લઈ કાર્ડિયાક એનેસ્થેસિયા જેવી જટિલ બ્રાન્ચમાં કર્મભૂમિ બનાવી. ઈશ્વરની કૃપાથી અને સજ્જનો સાથેની મુલાકાત અને માર્ગદર્શનથી તેઓ માબાપના આશીર્વાદ લઇ આગળ ચાલ્યા. આજે બંને બાળકો સમાજમાં થોડુંઘણું નામ કાઢી પોતાની સ્વતંત્ર પ્રક્ટિસ કરી રહ્યા છે.  

વિધિની વિચિત્રતા જુઓ કે જે પાડોસી સર્જન વડીલે મરણ પ્રમાણપત્ર લખવા માટે ઘસીને ના પાડી દરવાજો બંધ કરી દીધો હતો એજ તબીબનું મરણ પ્રમાણપત્ર આમાંથી એક બાળકે લખ્યું!! જે પડોસીએ મેડિકલ લાઈનમાં પસ્તાવાનું ન આવે એમ કહ્યું એ જ પાડોશીનું પેટનું જટિલ ઓપરેશન આ બાળકે કરવાનું આવ્યું!! એક વાત આટલા અનુભવે આ બાળકોને સમજાઈ ગઈ કે ઉપરવાળાના દરબારમાં હા ક્યારેક દેર થાય છે પણ અંધેર ચોક્કસ નથી!!

આમાંથી એક બાળક અત્યારે તમે જે લેખને વાર્તા સમજી વાંચી રહ્યા છો, એ લેખ લખી રહ્યો છે. અને બીજો બાળક હાલ એક હોસ્પિટલમાં કાર્ડિયાક એનેસ્થેટિસ્ટ તરીકે  હૃદયના બાયપાસ ઓપરેશન કરાવી રહ્યો છે. અહીં આ વાત કોઈની સિમ્પથી/લાગણીઓ ભેગી કરવા માટે કે દિલસોજી વ્યકત કરવા માટે લખવામાં નથી આવી. પણ એક સ્ત્રી/પત્ની/મા/થડ વિનાના વડ જેવાં કુટુંબની વ્યથા, કપરા સંજોગોમાં ટકેલું મનોબળ, મહેનત પેઢી દરપેઢી યાદ રહે અને આવા અસંખ્ય કુટુંબોને પ્રેરણાબળ મળી રહે તે માટે લખવામાં આવી છે. 

મોટે ભાગે સંતાનને ત્યારે "પપ્પા" નું મૂલ્ય સમજાય છે જ્યારે એ પોતે પપ્પા બની ચુક્યો હોય છે. અને કઠોર હૃદયી લાગતા પપ્પા જીવનની અવિસ્મરણીય યાદો અને સલાહો આપતી તસ્વીર સ્વરૂપે દીવાલ પર ટીંગાઈ ગયા હોય છે!!


"પપ્પા" ભલે દિવસના અંતે ગણતરીની પળો માટે સંતાનનું મુખ જોઈ શકતા હશે, પણ એ હરહંમેશ પોતાના હસતા ખેલતા પરિવારને જોઈને પોતાની કઠીનાઈઓ-સંઘર્ષ ભૂલી જઇ પ્રભાતે નવા જોમ-જુસ્સા પૂરવા માટેનું આત્મબળ મેળવતો રહે છે!!

પપ્પા એ એક વડ રૂપી વૃક્ષનાં થડ સમો આધારસ્તંભ છે. આ થડ જિંદગી આખી વૃક્ષને ટેકો આપશે અને ક્યારેય હરફસુદ્ધાં નહિ ઉચ્ચારે! એના થકી જ વૃક્ષ આકાશને આંબવાની ઈચ્છા સેવે છે, એના થકી જ વૃક્ષને છેવટની ડાળ સુધી સિંચન મળે છે, એના થકી જ એ ડાળ, પર્ણ, પુષ્પ અને ફળો ખુશીથી ઝૂમે છે!! આ થડ વિનાનાં વૃક્ષ/વડની કોઈ કિંમત / દરકાર લેતું નથી અને વૃક્ષ પોતે પણ પરાવલંબી થઈ જાય છે!! એટલે આ થડની કિંમત સમજજો, અત્યારે એની હયાતીમાં જ એને વ્હાલ પણ કરજો!!

એટલે જ હું દરેક સંતાનને કહીશ, આ ઉપરથી કઠોર અને માંહેથી મીઠા, મધુરા, ઋજુ (નારિયેળ જેવા) પપ્પા ને પણ મમ્મી જેટલા જ ગમાડજો, વ્હાલ કરજો ! અને મમ્મી, બા જોડે એમને તોલવાની કદીય ભૂલ ન કરશો. પપ્પા કદાચ બોલી નહીં શકે એટલે તમે અત્યારે જ એમની હયાતીમાં એમને આ બળ પૂરું પાડજો. 

અહીં એ લખવું પણ અનિવાર્ય છે કે આ સંજોગોમાં કેટલાક સ્વજનોએ કરેલી મદદ અને સમયદાન માટે તથા મુશ્કેલ ઘડીમાં સાથે ઉભા રહી અને કઠિન નિર્ણયોમાં પણ સાથ આપી જોડે ઉભા રહેલા કુટુંબીજનો પર અમને અતૂટ શ્રદ્ધા અને માન છે અને રહેશે. એ બદલ અમે એમનો હૃદયપૂર્વક જેટલો આભાર માનીએ તેટલો પણ ઓછો પડશે...!!! કેટલાક આપ્તજનો અત્યારે આ વાંચી શકશે પરંતુ એમાંના કેટલાક આ વીતેલાં સમયમાં સ્વર્ગસ્થ નહિ પણ હૃદયસ્થ થઇ ગયા છે એમના પરિવારજનોને પણ યાદ રહે કે અમે એમને ભૂલી નથી ગયા અને આજીવન એમનું અમારા સૌ પર ઋણ રહેશે. 

આ સાથે આજે ૧૫.૦૬.૨૦૨૩➖ ૨૩મી પુણ્યતિથિએ એ હસમુખા, ઉદ્યમશીલ યુવાન પિતાને યાદ કરી એમના આશીર્વાદ અને દિશાસૂચન સદૈવ અમારી સાથે રહે અને એ દિવ્ય આત્મા જ્યાં પણ રહે ત્યાં નિશ્ચિન્ત બની પરમ શાંતિનો અનુભવ કરે એ જ શુભ પ્રાર્થના!!


(જન્મ: ૨૭.૦૧.૧૯૫૪  પુણ્યતિથિ: ૧૫.૦૬.૨૦૦૦)

અને છેલ્લે, એમની જ યાદમાં લખેલાં શબ્દો ટાંકી આ વાતને વિરામ આપું છું:

ચોધાર આંસુએ મારો આતમ ભેરુ રોયો છે,
એક સૂરજને બપોરે આથમતો મેં જોયો છે!

માન્યું છે જીવન હારજીત સમો એક ખેલ,
હતો પર્વત અડગ, ધૂળ થતો મેં જોયો છે!

ઠંડી છાયા અર્પે કવચ સરીખો પ્રભાવ ઘણો
ફરતો માથે હાથ સાવ ઓચિંતો મેં ખોયો છે!

પ્રભુને પ્રિય ઘણાં પણ, તું જ વ્હાલસોયો છે,
ઊંચકી જનાજો ખભે, ભાર તારો મેં જોયો છે!

હતી શરમ તારી બે આંખોની, જે ઢળી ત્યારે
નિજ સ્વજનને નજરો ફેરવતો મેં જોયો છે!

પડી ફાટ છે અંતરે, એક ભરોસો તારો છે,
ભરશે થિંગડું 'નિજ' લૈ આપ્યો તે જે સોયો છે!

🌷ડો. કાર્તિક શાહ🌷
〰️〰️〰️〰️〰️〰️
(સત્યઘટના પર આધારિત લેખ સંપૂર્ણ)

Monday, June 11, 2018

અવિનાશ વ્યાસ


બન્યું એવું કે...ઘણાં સમય પહેલાની વાત છે. એક છોકરો એની વિધવા માતાને મદદ કરવા માટે એક બાગમહેલમાં કામ કરતો. એના શેઠને નાની મોટી મદદ કરતો...વહીવટી કામોમાં પણ મદદ કરતો.

એના શેઠની પાસે ઘણાં લોકો બિલ અને ટેન્ડર પર સહીઓ કરાવા માટે મથતાં. પણ કોઈ શિફારીશ ન કરાવી શકતું. એવામાં એક ભાઈએ એ છોકરાને પકડ્યો. અને કહ્યું, "તું ઘણાં સમયથી શેઠને ત્યાં કામ કરે છે, વિશ્વાસુ છે. તારે ફક્ત મારા બિલો-ટેન્ડર શેઠ સહી કરવા આવે એ પહેલાં સૌથી ઉપર મૂકી દેવાના!! એટલે ઝટ સહી થઈ જાય અને મારું કામ થઈ જાય. આ માટે હું તને દસ રૂપિયા આપીશ." 

છોકરાએ કહ્યું, " ના મારે કઈ રૂપિયા નથી જોઈતા...." ભાઈએ કહ્યું, " અરે આ તો હું તને ભેટ સ્વરૂપે આપું છું. રાખજે. તારે ક્યાં કાંઈ કરવાનું છે !!"

આમ ને આમ ચાલ્યું. થોડા મહિનાઓ પેલા ભાઈને સહીઓ ફટાફટ થવા લાગી. અને છોકરાને નિયમિતપણે દસ રૂપિયા મળવા લાગ્યા. પણ એક વાર એવું બન્યું કે શેઠે ઉપર આવેલા બિલ પર સહી ના કરી!! પેલો ભાઈ અકળાયો. છોકરાને ધમકાવ્યો પણ ખરો કે આવું કેમ બન્યું?

છોકરાએ તરત કીધું, " મેં તો મારું કામ કર્યું જ હતું, પણ શેઠે સહી ના કરી તો હું શું કરું?"

પેલા ભાઈએ પણ ગુસ્સામાં એને ધમકી આપી, " હું તારી પોલ ઉઘાડી પાડી દઈશ. શેઠને જઈને હમણાં જ કહું છું કે આ છોકરો મારી પાસે કામ કઢાવા લાંચ માંગે છે!! "

છોકરો રડવા લાગ્યો. કહ્યું કે "ભાઈ આવું ન કરો. મેં તો તમે કીધું એમ જ તો કર્યું છે. મારી આજીવિકા છીનવાઈ જશે!!"

પણ પેલો ભાઈ ન માન્યો. જઈને શેઠને કહી દીધું. શેઠે છોકરાને બોલાવ્યો. અને કડક અવાજે સત્ય હકીકત પૂછી. છોકરાએ સાચેસાચ કહી દીધું. કે હા, મેં દસ રૂપિયા લીધા હતા. શેઠે પેલા ભાઈની સામે જ સાંભળ્યું ન સાંભળ્યું કરી ફરી પૂછ્યું, "શું કીધું તે છોકરા?" છોકરાને કંઇજ ખબર ન પડી. શેઠે ફરી કીધું " શું કીધું તે છોકરા?" શેઠ એની પરિસ્થિતિથી વાકેફ હતાં.

શેઠે ટહુકો કર્યો, " તે લાંચ નથી લીધી!! શું સમજ્યો. અને કોઈ જ ગુનો નથી કર્યો. જા હવે, કામે લાગી જા!!" પેલો ભાઈ જોઈ જ રહ્યો અને છોભીલો પડી ત્યાંથી ચૂપચાપ સરકી ગયો!!

ત્યાર બાદ એ છોકરાએ ક્યારેય અનીતિ કે અધર્મના પૈસાને હાથ નથી લગાડ્યો. અને પ્રામાણિકતાથી એને મનગમતા કામની સાધના કરીને સર્વોચ્ચ સ્થાને પહોંચ્યો. જેની તુલના આજદિન સુધી ગુજરાતમાં કોઈ સાથે થઈ શકે એમ નથી!!

એ શેઠ હતાં...શેઠ મથુરાદાસ અને પેલો છોકરો જે અવિસ્મરણીય હસ્તી બન્યો એ અવિનાશ વ્યાસ!!

--  ડો.કાર્તિક શાહ 

અવિનાશ વ્યાસ

ચાલો આજે એક આડવાત: રોચક પ્રસંગ
▪ડો. કાર્તિક શાહ▪
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

લગભગ 1950 ના દશકની આસપાસની વાત છે. ગુરુશિષ્યની પરંપરા અનુસાર એક શિષ્ય પરમ ગુરુભક્ત હતો. તેઓ હમેંશા સાથે સંગીતની સાધના કરતા. શિષ્ય ગુરુજીના દિશા નિર્દેશ મુજબ ગાયન ગાતો અને એની સ્વર-સંગીત પર અદ્ભૂત પકડથી ગુરુજીની છાતી પણ ગજ ગજ ફૂલી જતી.

આમ આ કોમ્બિનેશન ઘણાં ઉચ્ચ સ્તરે પહોંચ્યું. ધીમે ધીમે કામ વધવા માંડ્યું. ફિલ્મી-બિનફિલ્મી ગીતો બનાવતા ગયા અને એકસાથે અઢળક ગીતોનો આવિષ્કાર થવા લાગ્યો. ગુરુને પણ આ શિષ્ય વગર ફાવતું નહીં.

એવામાં એક રેકોર્ડિંગ વખતે થયું એવું કે અચાનક એ શિષ્યને ગામથી માઠા સમાચાર મળ્યા. એના દાદાજીનું દુઃખદ અવસાન થયું હતું  અને એને તાત્કાલિક ત્યાં પહોંચવું એવું ઘરવાળાઓએ ફરમાન કર્યું. અહીં રેકોર્ડિંગ પડતું મૂકી શિષ્યે ગુરુને વિનંતી કરી કે મારે જવું પડશે. સાંજની પહેલી બસ છે. હું નીકળી જઈશ.

ગુરુજી થોડા ચિંતાગ્રસ્ત થયાં. કામ ખુબ જ હતું. ઘણાં ગીતો અને સ્વરાંકનો માટે આ શિષ્યની જરૂર હતી. પણ ઘરના આ મુશ્કેલ સમય માટે એણે ત્યાં જવું પડે એમ હતું એ સમજી ગયા.

એ વખતે શિષ્યની આર્થિક પરિસ્થિતિ થોડી ખરાબ હતી. અને પૈસાની જરૂર સ્વાભાવિક રીતે પડે જ એવો એ પ્રસંગ હતો. એટલે ગુરુજી પાસે એણે દરખાસ્ત મૂકી: ▪" મારે સાંજે નીકળવાનું તો છે પણ મારે 100 રૂપિયા જેવી રકમ પણ જોઇશે. કુટુંબને મદદ થઈ રહે એ માટે, જો આપ આપી શકો તો...."▪૧૦૦ રૂપિયા એ જમાનામાં શું મોટી વાત હતી. માતબર રકમ કહેવાતી. આટલી મોટી રકમ ગુરુજી પાસે એ શિષ્ય જ માંગી શકે.

ગુરુજી શાંત ચિત્તે બોલ્યા, " ▪જતી વખતે મને મળીને જજે અને લઇ જજે▪!!"

સાંજ પડી. પેલો શિષ્ય એના પોટલાં તૈયાર કરી ગુરુજી ને મળવા આવી ગયો. ગુરુજીએ તરત હાથમાં ૨૦૦ રૂપિયા મુક્યા અને કીધું, ▪લે રાખ બેટા, અને આ જ સમય છે કુટુંબને પડખે ઉભા રહેવાનો. જરાય પાછીપાની ન કરતો. અને પૈસાની ચિંતા ના કરીશ. બીજા જોઈએ તો પણ માંગી લે જે!! પણ કામ પતે એટલે ઝટ પાછો આવી જજે. તારા વગર અહીંનું કામ એક ડગલુંય આગળ નહીં હાલે!! તું આવીશ પછી જ આપણે રેકોર્ડિંગ ચાલુ કરીશું...▪

શિષ્ય તો આશ્ચર્યચકિત થઈ ગયો. 100 રૂપિયા જેટલી મોટી રકમ માંગતા કચવાટ થતો હતો ત્યાં ગુરુજી એ 200 રૂપિયા હાથમાં મૂકી દીધા...!

પેલો શિષ્ય નીકળ્યો. અને બહાર જ એને સ્ટુડિયોનો એક કર્મચારી મળ્યો. પોટલાં લઈને જતા જોઈ સ્વાભાવિક જ એણે પૂછ્યું અને વિગત જાણી. એ કર્મચારીએ કહ્યું, "▪ઓહો તો આપે ગુરુજી પાસે પૈસા મંગાવ્યા હતા? પણ સાચી વાત એ છે કે ગુરુજી પાસે પણ પૈસા નહોતા. તમને મદદ કરવા એમણે એમના બાયનોકયુલર અને કેમેરા આજે મને વેચવા આપ્યા હતા. મને નવાઈ લાગી કે એમની પ્રિય એવી આ ચીજો કેમ વેચે છે. પણ મને કંઈ કીધું નહીં. આ વેચી એમને 200 રૂપિયા ઉપજ્યા હતા.▪"

પેલો શિષ્ય ત્યાંજ રડી પડ્યો. અને એના પગ સ્થિર થઈ ગયા. શું ગુરુજીનો પ્રેમ?  નખશિખ વંદનીય વ્યક્તિત્વ!

 આજની તારીખમાં પણ આ શિષ્ય આ પ્રસંગ યાદ કરતા જ રડી પડે છે...એ મેં સ્વયંમ મારી આંખે જોયું છે!! 

આ શિષ્ય એ આપણાં પુરુષોત્તમ ઉપાધ્યાય અને પેલાં વંદનીય ગુરુજી એ બીજું કોઈ નહીં પણ શ્રી અવિનાશ વ્યાસ!!

― ડો. કાર્તિક શાહ

Saturday, June 9, 2018

અક્ષરો, ભાષા, લિપિ નો જન્મ - વણઉક્લ્યુ રહસ્ય


પ્રાચીન કાળમાં, ઇજિપ્તની હાઇરોગ્લીફ્સ, મેસેપોટેમિયાની ચુનીફોર્મ, ચીનની લોગોગ્રામ કે વેલીની માટીની ટીકડીઓ પર લખેલી લિપિ વાપરીને, મનુષ્ય એક બીજાના સંપર્કમાં રહેતો હતો. પણ આ બધા પ્રકાર સામાન્ય જનસમુદાયને ઉપલબ્ધ ન હતા. પણ લગભગ ૪૦૦૦ વર્ષ પહેલાં, જયારે અક્ષરને ચિન્હને બદલે નાદ (ધ્વનિ, અક્ષરનાદ) અવાજ આપવામાં આવ્યો, ત્યારથી અક્ષરોએ એમનો ચમત્કાર બતાવવાનું શરૂ કર્યું.
અક્ષરો એ ભાષાનાં વસ્ત્રો છે, આભૂષણો છે. ભાષાએ વસ્ત્રો પહેરવાનું ક્યારે શરૂ કર્યું? એની તપાસ કરીએ. ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આપણે અહીં મૂળાક્ષરો અને લિપિ વિષેના સંશોધનની ચર્ચા કરીએ છીએ. બોલીની ભાષા દરેક દેશમાં ઘણી પ્રાચીન છે. વેદ અને ઉપનિષદો તો હજારો વર્ષોથી બોલતા હતા, પણ એ લખવાની ક્રિયા ઘણી મોડી ચાલુ થઈ.
ચક્ર અને અગ્નિની શોધ જેટલી જ મહત્ત્વની શોધ મૂળાક્ષરોની છેઅક્ષરોને સહેલાઈથી તદ્દન જુદી ભાષામાં અપનાવી શકાય છે કારણ કે મૂળાક્ષરોનો મૂળ અવાજ બદલ્યા વગર, એ જ અવાજ અને અક્ષરને, નવી ભાષામાં થોડા ફેરફાર કરી અપનાવવાં સહેલાં છે. આઝરબેજાન, તર્કીમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન − આ ત્રણ દેશો, સેંકડો વર્ષથી અરબી લિપિ વાપરતા હતા, પણ ૧૯૪૦ પછી, સોવિયેટ યુનિયનના નિયંત્રણ હેઠળ સિરાલીક લિપિ વાપરવાનો કાયદો આવ્યો, અને હવે, સ્વાતંત્ર મળ્યા બાદ, રોમન લિપિના અક્ષરોમાં એ જ ભાષા હવે લખાય છે ! ત્રણે ય દેશો ભાષાને બદલ્યા વગર, ફક્ત લિપિ બદલી શક્યા, એ મૂળાક્ષારોની કમાલ છે.
ચીન દેશની લિપિને લોગોગ્રામ કહેવાય છે, જેમાં એક ચિન્હ એક અક્ષર નહીં, પણ એક શબ્દ છે. એટલે એક ચિન્હ ફક્ત એ શબ્દ માટે જ વાપરી શકાય. ચીની ભાષામાં સાદા દૈનંદિન વ્યવહાર માટે, ૬,૦૦૦ ચિન્હો કંઠસ્થ કરવા પડે છે. અને પ્રભુત્વ મેળવી વિદ્વાન બનવા માટે, ૩૦ થી ૪૦,૦૦૦ ચિન્હોને આત્મસાત્ કરવા પડે છે!!
જો ગુજરાતી ભાષાને ચીની લિપિમાં લખવી હોય, તો કેટલું અઘરું કામ થાય, એનો વિચાર કરીએ. આપણે ગુજરાતીમાં કમળનો “ક” બોલીને શીખીએ છીએ, પણ એને બદલે જો આપણે કલમના ચિત્રને જ “ક” કહીએ, તો એ "ક" લખવા માટે ચીની ભાષામાં કમળનું ચિત્ર દોરવું પડશે; અને એ ચિત્રથી ફક્ત "ક" જ લખી શકાશે. 

જયારે અક્ષરોમાંથી શબ્દો અને નવા અર્થો ઘણી સહેલાઈથી અને સરળતાથી બની શકે છે. બહુ થોડા અક્ષરો વાપરીને, અનેક શબ્દો, ઘણી સરળતાથી બનાવી શકાય છે.
અંગ્રેજી અક્ષરોથી સહેલાઈથી ગુજરાતી લખી શકાય - અક્ષરોના અવાજ-ધ્વનિ નો ઉપયોગ કરીને – gujarati lipi n avadati hoy to pan gujaratima lakhi shakay -
તો ચાલો, આપણે એ તપાસીએ કે ક્યારે, કઈ જગ્યાએ, કેવી રીતે અક્ષરોનો જન્મ થયો અને બોલવાનું શરૂ કર્યું ??

18મી અને 19મી સદીના પાશ્ચાત્ય સંશોધકોએ એવી ભ્રમપૂર્ણ ધારણા ફેલાવવાના પ્રયત્ન કર્યા કે ભારતના પ્રાચીન ઋષિઓ લિપિ એટલે કે લેખન કળાથી અજ્ઞાત હતા અને ઈસુ પહેલાના 300-400 વર્ષ પહેલાથી ભારતમાં વિકસિત થયેલી બ્રાહ્મી લિપિ અને અન્ય લિપીઓનું મૂળ ભારતની બહાર હતું. 

આ સંદર્ભમાં ડો. ઓરફરીડ અને મ્યુલરે પ્રતિપાદિત કર્યું કે ભારતને લેખન વિદ્યા ગ્રીક લોકો પાસેથી મળી હતી. સર વિલિયમ જોન્સે કહ્યું, ભારતીય બ્રાહ્મી લિપિ સેમેટિક લિપિમાંથી ઉત્પન્ન થઇ. પ્રો. બેંફરે તથા પ્રો. બેવરે એવું તથ્ય સ્થાપિત કરવા પ્રયત્ન કર્યા કે બ્રાહ્મી લિપિનું મૂળ ફોનેશિયન લિપિ છે. ડો. ડેવિડ ડીરીન્જરે અનુમાન લગાવ્યું કે અમેરિકન લિપિમાંથી બ્રાહ્મી લિપિ ઉત્પન્ન થઇ. મેક્સમુલરે સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ લખતી વખતે લિપિના વિકાસ અંગે પોતાનો એવો માટે દર્શાવ્યો કે લખવાની કળા ભારતમાં ઈસુથી 400 વર્ષ પૂર્વથી અસ્તિત્વમાં આવી. દુર્ભાગ્યે પાછળના સમયમાં ભારતીય વિદ્વાનોએ પણ પાશ્ચાત્ય સંશોધકોના સ્વરમાં સ્વર મેળવીને એ જ નિષ્કર્ષો પ્રતિપાદિત કર્યા. આ પુરી પ્રક્રિયામાં આપણા દેશની પરંપરા અને ગ્રંથોમાં લિપિના વિકાસની સાચી વાત જ જાણવાનો કોઈ પ્રયાસ ના થયો.

પ્રસિદ્ધ પુરાતત્વવેત્તા અને લિપિ વિશેષજ્ઞ એ. બી. વાલવલકર તથા લીપિકાર વાકણકરે પોતાના સંશોધનોથી એ સાબિત કર્યું કે ભારતીય લિપિનો ઉદગમ ભારતમાંથી જ થયો છે. આ તથ્યની પૂર્તિ અનેક પુરાતત્વીય સાક્ષીઓ અને અવશેષો પરથી પણ થાય છે. 

એક આદર્શ ધ્વન્યાત્મક લેખનની મર્યાદાઓનું વર્ણન એરિક ગિલ પોતાના ટાઇપોગ્રાફી વિષય પર લખેલ નિબંધમાં જણાવે છે કે કોઈ એક સમયે કોઈ અક્ષર કોઈ ધ્વનિનો પર્યાય રહ્યો હશે. પરંતુ રોમન લિપિના અધ્યયનથી અમુક અક્ષર હંમેશા અને દરેક જગ્યાએ અમુક ધ્વનિનો પર્યાય છે. આ તથ્ય ધ્યાનમાં આવ્યુ જ નહિ!! જેમકે દા.ત. Ough : આ ચાર અક્ષર સાત જુદી જુદી રીતે જુદા જુદા ધ્વનિથી ઉચ્ચારિત થાય છે.  ઓડ, અફ, ઑફ, આઉ, ઔ, ઉ, ઓ. આમ લખ્યા પછી તે પોતાના નિષ્કર્ષના સ્વરૂપમાં કહે છે કે  અભિપ્રાય છે કે " આપનો રોમન અક્ષર ધ્વનિના (ભાષાના) લેખન-મુદ્રણ બરાબર કરે છે એ એવું કહેવું મૂર્ખતાપૂર્ણ જ છે. "


બીજીબાજુ ભારતમાં ધ્વન્યાત્મક લેખન પરંપરા યુગોથી રહી છે તેના અનેક પ્રમાણો આપણા પ્રાચીન વેદો, શાસ્ત્રો અને પુરાતત્વ પુરાવાઓમાં મોજુદ છે. 

યજુ તૈત્તરીય સંહિતામાં એક કથા આવે છે કે દેવતાઓની સામે એક સમસ્યા હતી કે વાણી બોલાઈ ગયા પછી અદ્રશ્ય થઇ જાય છે. એથી આ નિરાકાર વાણીને સાકાર કેવી રીતે કરવી? એથી તેઓ ઇન્દ્ર પાસે ગયા અને કહ્યું, "વાંચવ્યા: કુર્વીત" અર્થાત વાણીને આકાર આપો!! ત્યારે ઇન્દ્રે કહ્યું કે મારે વાયુનો સહયોગ લેવો પડશે. દેવતાઓએ વાત માન્ય રાખી અને પછી ઇન્દ્રે વાણીને આકાર આપ્યો. આ આકાર એજ લેખન/લિપિ વિદ્યા કે કળા."ઇન્દ્ર વાયવ્યવ્યાકરણ" નામથી પ્રસિદ્ધ છે અને તેનું પ્રચલન દક્ષિણ ભારતમાં વધુ છે!

અર્થવવેદમાં પણ ગણક ઋષિ કરત દુક્તં " ગણપતિ અર્થવશીર્ષ " માં લેખનવિદ્યાનો ઉલ્લેખ છે. 

ધ્વનિસૂત્રો આપનારા દેવ ભગવાન શિવ હતા. ભિન્ન ભિન્ન વેદોની શાખાઓ, બોલનાર ના મૃત્યુના કારણે લુપ્ત થવા  લાગી.એથી તેને બચાવવા માટૅથી પ્રાર્થના સાંભળી ભગવાન શિવે પોતાના સ્વર્ગીક નૃત્યના અંતરાલમાં પોતાના ડમરુંને નવ અને પાંચ અર્થાત ચૌદ વાર વગાડ્યું જેનથી 14 ધ્વનિસૂત્ર ઉત્પન્ન થયા જે માહેશ્વર સૂત્ર તરીકે જાણીતા થયા.   

મહાભારતકાર વ્યાસ મુનિએ જયારે મહાભારત લખવાનો વિચાર કરી રહ્યા હતા ત્યારે તેમની સામે સમસ્યા હતી કે તેને એકધારું લખશે કોણ? ત્યારે તેમણે તેના સમાધાન માટે ગણેશજીનું સ્મરણ કર્યું અને ગણેશજી આવ્યા તો વ્યાસ મુનિએ કહ્યું, " આપ ભારત ગ્રંથના લેખક બનો." આનો અર્થ એ  જ કે ગણેશજી એ સમયના મૂર્ઘન્ય લીપિકાર હતા. 

પાણિનિએ  ઋગ્વેદ શિક્ષામાં વિવેચન કર્યું છે કે વાણી પોતાના ચાર ચરણોમાંથી ચોથા ચરણ વૈખરીમાં આવે છે. મનુષ્ય શરીરના પાંચ અંગોને સહારે ધ્વનિ ઉત્પન્ન કરે છે. 1. કંઠ્ય  2. તાલવ્ય 3. મૂર્ઘન્ય 4. દન્ત્ય 5. ઓષ્ઠવ 

આ ધ્વનિશાસ્ત્રના આધાર પર લિપિ વિકસિત થઇ. અને કાળના પ્રવાહમાં  લિપીઓ બદલાતી રહી. પણ એનો આધાર ધ્વનિ શાસ્ત્રનો મૂળભૂત સિદ્ધાંત રહ્યો. પુરાતત્વવિદ વાલવલકરે પ્રાચીન મુદ્રાઓમાં પ્રાપ્ત લિપિઓનો સઘન અભ્યાસ કરી પ્રમાણિત કર્યું કે મૂળ રૂપમાં માહેશ્વરી લિપિ હતી જે વૈદિક લિપિ રહી.  બ્રાહ્મી અને નાગરી  વિગેરે લિપીઓ વિકાસ પામી. "લિપિ વિધાતા ગણેશ' નામના એક આર્ટિકલ માં લેખક સાબિત કરે છે કે પ્રાચીનકાળથી જ લિપિ ભારતમાં અસ્તિત્વમાં હતી અને પૂર્ણતયા ધ્વનિશાસ્ત્ર પર જ નિર્ભર હતી. આ વાત વિશ્વની કોઈ પણ લિપિમાં દેખાતી નથી. 

આવો હવે અંગ્રજોનું વર્ઝન વાંચીયે: 
એક અગ્રેજી પુરાતત્વ નિષ્ણાત ઇજિપ્ત દેશના સાઈનાઈ રણમાં પ્રાચીન અવશેષોનો અભ્યાસ કરતા હતા, ત્યારે એમને એક પત્થરની શિલા નજરમાં આવી, જેના પર લીસોટા મારેલા હતા. ભાષાતજ્જ્ઞ ન હોવાને લીધે, એમણે શિલાના ફોટા લીધા અને એ વિભાગનું વર્ણન લખી, બધા દસ્તાવેજ સાથે, પથ્થરની શિલા લંડન મ્યુિઝયમને આપ્યા. શિલાનું કાર્બન ડેટિંગ કરવાથી ખબર પડી કે આ શિલા લગભગ ૪000 વર્ષ જૂની હતી.
ઘણાં વરસો બાદ, જ્યારે અમેરિકાની યેલ યુનિવર્સિટીના બે ભાષાતજ્જ્ઞ સંશોધકો લંડન મ્યુિઝયમ ગયા હતા, ત્યારે તેમણે આ બધા દસ્તાવેજો અને શિલા જોયાં. બાદ અમેરિકા આવીને ફોટા અને દસ્તાવેજોનો અભ્યાસ શરૂ કર્યો. વધુ સંશોધન કરતાં એમના ધ્યાનમાં આવ્યું કે જે લીસોટા જેવું દેખાય છે, તે દુનિયાના પહેલા ચાર મૂળાક્ષરો છે. એમણે યેલ યુનિવર્સીટી પાસેથી બે વર્ષની રજા લઈને ઇજિપ્ત દેશના સાઈનાઈ રણમાં જવાનું નક્કી કર્યું.
ઇજિપ્ત દેશના સાઈનાઈ રણમાં, ઇજિપ્તમાં ૪૫૦૦ વર્ષો પહેલાં સમ્રાટ ફેરોનું સામ્રાજ્ય હતું. અને બધા દસ્તાવેજોનું લખાણ હાઇરોગ્લીફ લિપિમાં થતું. આ લિપિને શીખવાનો અને લખવાનો અધિકાર ફક્ત પંડિતો અને ઉચ્ચ વર્ગના લોકોને જ હતો. દરેક અક્ષરને ચિત્ર દ્વારા ચિન્હ આપવામાં આવતું. અનેક ચિન્હો ભેગા કરવાથી શબ્દ અને વાક્યો બનતા. તે લખવાનું કામ બહુ અઘરું હતું. સામાન્ય પ્રજાને હાઈરોગ્લીફ લિપિ શીખવાની મનાઈ હતી. એટલે એક બીજા સાથે વહેવાર ફક્ત બોલીને જ થઈ શકતો.
આ સમસ્યાને લીધે, સામાન્ય નાગરિકોએ (સિમેટીક લોકો) મૂળાક્ષરોની શોધ કરી. અા દુનિયાની પહેલી બારાખડી હતી. જુદા જુદા પથ્થરોના લીસોટાઓનો અભ્યાસ કરતાં સંશોધકોને કુલ ૨૬ અક્ષરો મળ્યા. આ સંશોધનથી એ પણ સમજાયું કે આ ફક્ત લીસોટા ન હતા, પણ સંદેશ હતા. ઇજિપ્તનું લશ્કર આ રસ્તાનો ઉપયોગ કરતું, ત્યારે એક બીજાને સંદેશા આ રીતે લખવામાં આવતા.
આવી રીતે, ફક્ત આ ૨૬ અક્ષરોનો જ ઉપયોગ કરી, અક્ષરોની માત્ર જગ્યા બદલીને, નવા શબ્દો બનાવવાની કલ્પના અદ્દભુત જ ગણાય. દુનિયાના દરેક ખૂણામાં (ચીન, જાપાન અને કોરિયા સિવાય) આનો સ્વીકાર થવાનું કારણ એટલું જ કે આ અક્ષરોને કોઈ ચિન્હ નથી. વિશ્વના જુદા જુદા ભાગના લોકોએ, પોતાની ભાષાના અવાજ આપીને, આ લિપિને પોતાની ભાષા લખવા માટે શરૂઆત કરી.
આ શોધ કોઈ વિદ્વાન માણસે નહિ પણ, ઇ. પૂર્વ ૧૮૦૦માં, ઇજિપ્તના લશ્કરમાં કામ કરતા સૈનિકો અને અન્ય સામાન્ય પ્રજાજનોએ કરેલો છે. દુનિયાની આ પ્રથમ લેખિત બારાખડી હતી.
ઇતિહાસ જણાવે છે કે ઘણી વખત, સંશોધન અને શોધ, નિષ્ણાત વિદ્વાન નહિ પણ શોખ ખાતર અભ્યાસ કરનારા સામાન્ય નાગરિકો કરતા આવ્યા છે.
જરાક અાડ વાતે જોઈ, સંસ્કૃત ભાષાનો દાખલો લઈએ. ૧૮મી સદીમાં જજ તરીકે કલકત્તા આવેલા ડો. જોન્સે સંસ્કૃતનો અભ્યાસ કરી, વેદોનું ભાષાંતર અંગ્રેજીમાં કરી, આખી દુનિયાને ભારતનો પ્રાચીન ઇતિહાસ અને એની ભવ્યતા બતાવી આપી. અંગ્રેજો ભારતીયોને જંગલી, અભણ અને અસભ્ય ગણાતા હતા, પણ ભારતના પ્રાચીન ધર્મગ્રંથોનું વાચન કરીને એમને ખબર પડી કે પશ્ચિમના ઇતિહાસ જેટલો જ પ્રભાવશાળી ભારતનો પ્રાચીન ઇતિહાસ પણ છે. ગ્રીક, લેટિન, ઈરાની વગેરે ભાષાનો પણ એમને શોખ હતો. તેના પરથી એમના ધ્યાનમાં આવ્યું કે આ બધી ભાષાઓમાં ઘણા શબ્દોના અર્થમાં સામ્ય છે. એમણે જ ઇન્ડો-યુરોપિયન ભાષાનો સિદ્ધાંત સાબિત કર્યો. બીજું ઉદાહરણ એટલે ૧૮૩૭માં, ભારતમાં પુરાતત્વના નિષ્ણાત તરીકે ઇસ્ટ ઇન્ડિયા કંપની તરફથી પ્રીન્સેપ આવેલા. એમણે બ્રાહ્મી લિપિનો અભ્યાસ કરી, અક્ષરોને અર્થ આપ્યો.
વારુ, બારાખડી રૂપે અક્ષરોને ઉપયોગમાં લઈ, શબ્દ બનાવવાની શરૂઆત પણ આ જ સમયમાં થઈ. અક્ષરોને જુદી જુદી જગ્યાએ મુકીને, નવા શબ્દો બનાવી, શબ્દોને અર્થ આપવાની એક અદ્દભુત કલ્પના હતી. તે વખતના સોનેરી ત્રિકોણમાં (અત્યારનું ઇઝરાઈલ, સીરિયા, લેબેનાન, જોર્ડન વગેરે ભાગ - આ ભાગને સોનેરી ત્રિકોણ કહેવાનું કારણ કે આજના રણ પ્રદેશથી તદ્દન જુદો ઘટ્ટ જંગલવાળો આ પ્રદેશ એ વખતમાં હતો.) સિમેટીક લોકો પછી - ફોનીશિયન લોકો - જે બહુ સમૃદ્ધ વેપારી હતા, એમણે આ લિપિને પોતાની ભાષામાં અપનાવી. ત્યાર પછી, બીજા દેશના લોકોએ પણ, જે લોકો સમૃદ્ધ છે, એ જે લિપિ વાપરે છે, એ લિપિ ખરેખર ઘણી સારી હશે, એમ માની દરેક દેશે પોતપોતાની ભાષામાં આ લિપિ અપનાવી. હજારો વર્ષોમાં મૂળાક્ષરોના આકાર બદલાતા ગયા. કોઈ કોઈ દેશોએ પોતાની ભાષાના ઉચ્ચારો પ્રમાણે થોડા નવા અક્ષરો બારાખડીમાં ઉમેર્યા.
ફોનેશિયન લોકોના વંશજો આજે પણ લેબેનાનમાં રહે છે એ ડી.એન.એ. પરથી સિદ્ધ થયું છે.
આમાંથી જ જ્યુઈશ (યહૂદી) લોકોએ હિબ્રુ, ગ્રીક લોકોએ ગ્રીક, રોમન લોકોએ રોમન બારાખડી, અને અનેક સદીઓ પછી, આમાંથી જ આજની અગ્રેજી બારાખડી અને લિપિ બની. ભારત ખંડમાં બ્રાહ્મી લિપિ તૈયાર થઈ, જેમાંથી પાલી, દેવનાગરી, ગુજરાતી, વગેરે લિપિઓનો જન્મ થયો. આપણી ગુજરાતી લિપિ અને અંગ્રેજી લિપિ બંનેનું પિયર એક જ ગામમાં ઇજિપ્તમાં હશે, એવું કોઈના સ્વપ્ને પણ આવવું અશક્ય લાગે છે.
ભારતનું દુર્ભાગ્ય એ છે કે પ્રાચીન વેદકાલીન સંસ્કૃતિનું લેખિત સાહિત્યનું મૂળ લખાણ ઉપલબ્ધ નથી. આવું થવાના ઘણાં કારણો છે. વેદોને શ્રુતિ અને સ્મૃિત કહેવામાં આવે છે. વેદો લખાયા નથી, સંભળાયા છે. એને કંઠસ્થ કરવામાં આવ્યા અને એનું વારંવાર રટણ કરી, તેને કંઠસ્થ અને આત્મસાત કરવામાં આવ્યા. આનું કારણ કદાચ લખવા માટે લિપિનો અભાવ પણ હોઈ શકે.
બીજું કારણ એટલે બહુ જ થોડા ચિન્હો, જે કદાચ લિપિ હોઈ શકે, એવા મોહન-જો-દડો અને હડપ્પાના અવશેષોમાંથી મળ્યા છે. ઘણા વિદ્વાનોએ આ લિપિનો અનુવાદ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે અસફળ રહ્યો છે. આ સંસ્કૃતિ એક મોટું રહસ્ય છે. સમ્રાટ અશોકના શિલાલેખ પ્રાકૃત ભાષામાં, બ્રાહ્મી લિપિમાં જ લખાયા છે. સમ્રાટ અશોકે બુદ્ધ ધર્મ સ્વીકાર્યા પહેલાનું વેદિક કે હિંદુ ધર્મનું કોઈ પણ લખાણ ઉપલબ્ધ નથી, એ પણ એક મોટું રહસ્ય છે. ઈંદસ વેલીની લિપિમાંથી બ્રાહ્મી લિપિ બની હોય, એ શક્ય લાગતું નથી. કારણ કે એ લિપિમાં અને સમ્રાટ અશોકના શિલાલેખોની બ્રાહ્મી લિપિ વચ્ચે ૧૫૦૦ વર્ષનો સમય વીતેલો છે. મૂળાક્ષરો વિષે અત્યાર સુધી જે સંશોધન થયું છે એના પરથી એવું લાગે છે કે કદાચ ભારત ખંડમાં મૂળાક્ષરોથી લખવાની શરૂઆત લગભગ ઈ પૂર્વ ૪૦૦થી પ્રાકૃત ભાષામાં શરૂ થઈ.
સંસ્કૃત ભાષાનો વિરોધાભાસ એ છે કે સંસ્કૃત ભાષામાંથી બનેલી પ્રાકૃત ભાષાના લિખિત દસ્તાવેજો સંસ્કૃત ભાષામાં લખેલા દસ્તાવેજો કરતાં પહેલાં લખાયાં. આનું કારણ એ છે કે બ્રાહ્મી મૂળાક્ષરો જયારે ભારત સુધી પહોચ્યા, ત્યારે સંસ્કૃતનું સ્થાન પ્રાકૃત ભાષાએ લીધું હતું. બ્રાહ્મી લિપિ આવી તે પહેલાં ઇસ્વીસન પૂર્વે ૧૫૦૦થી વેદિક સંસ્કૃત ભાષા બોલાતી હતી, પણ લિપિના અભાવે કંઠસ્થ કરી બોલવાની પ્રણાલિકા ચાલુ થઈ.
વિચાર કરો, મિત્રો, કે જો ઈંડસ વેલીની લિપિ, જે ઇસ્વીસન પૂર્વ 3૦૦૦ વર્ષ જૂની છે, તેનો નાશ થયો ન હોત, અથવા ભારતમાં પણ લિપિની શરૂઆત જ્યુઈશ લોકોની હિબ્રુની જેમ ઇસ્વીસન પૂર્વ ૧૦૦૦થી થઈ હોત, તો ભારતનું કેટલું સુભાગ્ય હોત કે સંસ્કૃત ભાષાના બધા મહાગ્રંથો આજે આપણને સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ હોત. ધર્મના નામે કેટલા યુદ્ધો થયા છે, અને થતા રહે છે; પણ વિચાર કરો તો ખબર પડશે કે જ્યુઈશ લોકોની લિપિ હિબ્રુ, મુસ્લિમ લોકોના કુરાનની લિપિ અરબી કે ઉર્દૂ, ખ્રિસ્ટી લોકોના બાઈબલની લિપિ અરમૈક કે ભારતના ગ્રંથોની લિપિ બ્રાહ્મી, આ બધાનું મૂળ એક જ સેમેટિક મૂળાક્ષરો છે.
આ લેખ લખવામાં ડેવિડ સાક્સના પુસ્તક ‘Letter Perfect’નો, કેટલાક પ્રાચીન ગ્રંથો, વેબ જગત અને સુરેશ સોનીના 'ભારતમાં વિજ્ઞાનની ઉજ્જવળ પરંપરા' આધાર લીધેલો છે, અને ઉપરાંત, મેં મારું સ્વતંત્ર સંશોધન પણ કરેલું છે. 

--- ડો. કાર્તિક શાહ 

Friday, June 1, 2018

કોણ હતું આ ધૂન વગાડનાર એ માસ્ટરમાઇન્ડ...?



૧૯૫૮માં સલિલ ચૌધરી એક અત્યંત પ્રભાવશાળી સંગીતપ્રતિભાને તેમની સાથે કોલકાતાથી મુંબઈ લઈ આવ્યા. ત્યાં તેમણે બિમલ રોયની ફિલ્મ ‘મધુમતિ’ના બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં પોતાનાં વાધ્ય વગાડ્યાં. ત્યાર પછી વારો આવ્યો ‘સટ્ટા બાજાર’ ફિલ્મના ગીત ‘તુમ્હેં યાદ હોગા કભી હમ મિલે થે’નો. આનું રિહર્સલ કરતી વખતે એ વ્યક્તિએ સૂચન કર્યું કે આ ગીતમાં હેમંત કુમારના અવાજ સાથે સેક્સોફોન કમાલ કરી બતાવશે. તેમના આ સૂચનને લક્ષ્મીકાંતે તરત જ સ્વીકારી લીધું હતું. પરિણામ તમારી સામે જ છે.


આ યુવાન એ એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે અનિલ વિશ્વાસના આસિસ્ટન્ટ અને સેક્સોફોનવાદક રામ સિંહજીથી તેઓ ઘણા પ્રભાવિત હતા. જે રીતે તેઓ ગાયકના અવાજ પાછળ ધીમા સૂરે અલ્ટો સેક્સોફોન વગાડતા, એ ખરેખર રસપ્રદ હતું. તેમણે રામ સિંહજીની એ પરંપરાને આગળ વધારી.

તમને જણાવી દઉં કે સેક્સોફોન ત્રણ પ્રકારનાં હોય છે- અલ્ટો, સોપ્રાનો અને ટેનોર. અને આ પ્રતિભાશાળી વ્યક્તિ આ ત્રણે પ્રકારનાં સેક્સોફોન વગાડવામાં કુશળ હતા. ફિલ્મ ‘શોલે’ના શીર્ષક ધૂનમાં તેમણે વગાડેલા સોપ્રાનો સેક્સોફોનની કમાલ આજેય યાદ છે. તેઓએ સલિલ ચૌધરી, કલ્યાણજી આનંદજી, ઓપી નૈયર, શંકર જયકશિન, લક્ષ્મીકાંત પ્યારેલાલ, સચિન દેવ બર્મન અને રાહુલ દેવ બર્મન જેવા સંગીતકાર સાથે કામ કર્યું. જોકે, તેમની ઉમદા જોડી રાહુલ દેવ બર્મન સાથે બની. અગાઉ આપણે આ બેલડીની સુંદર ધૂનની વાત પણ કરી, પણ થોડું યાદ કરો તો ‘હમ કિસી સે કમ નહીં’નું પેલું ગીત ‘બચના એ હસીનો’નું શરૂઆતનું મ્યુઝિક કે પ્રીલ્યૂડ કેવું અદ્ભુત હતું! આખા ગીતમાં આ વ્યક્તિની જ ફૂંકવાદ્ય (વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ) વગાડવાની કમાલ હતી !! 

આ રીતે ફિલ્મ ‘કસમે વાદે’નું ગીત ‘ગુમસુમ કયોં હે સનમ’ પણ યાદ આવે છે. આ ગીતની શરૂઆત આશા ભોંસલેના આલાપથી જ જાય છે અને આ વ્યક્તિએ વગાડેલું સેક્સોફોન ક્યા સમયે એમાં ભળી જાય છે એ ખબર પણ પડતી નથી. ફિલ્મ ‘પ્રોફેસર’માં શંકર જયકશિન માટે ‘આવાજ દેકે હમેં તુમ બુલાઓ’ ગીતમાં સેક્સોફોનના તરંગો રૂંવાડાં ઊભાં કરી દે છે. શંકર જયકશિન માટે જ ફિલ્મ ‘આરજુ’નું ગીત ‘બેદર્દી બાલમા તુમકો’ના અંતરામાં એમણે એવું સેક્સોફોન વગાડ્યું કે એ મિસાલ બની ગઈ. સેક્સોફોનની આ તરંગો આ ગીતોને જાણે એક અવિસ્મરણીય દુનિયામાં લઈ જાય છે.


તેમણે વગાડેલું સેક્સોફોન વાદ્ય ક્યા સમયે ગીતમાં ભળી જતું તેની ખબર પણ ન પડતી... ગીતોની ધૂન એ હિન્દી ફિલ્મસંગીતની વિશિષ્ટતા છે. આપણે લોકો માત્ર ગીતોના શબ્દો જ નથી ગણગણતા, પણ શબ્દોની સાથે જે વાદ્યોની ધૂન હોય છે તેનું પણ ગીત સાથે રટણ કરતા હોઈએ છીએ. જોકે, અફસોસની વાત છે કે સામાન્ય લોકો જાણતા પણ નથી કે કેટલાંક જાણીતાં ગીતોમાં વગાડાતાં વાદ્યો આખરે કોણે વગાડ્યાં હશે? એ કલાકાર આજે ક્યાં છે? કઈ હાલતમાં જીવી રહ્યા છે? 

દેવ આનંદની ખૂબ જ યાદગાર ફિલ્મ ‘ગાઈડ’ની જ વાત કરીએ તો આ ફિલ્મનું ‘ગાતા રહે મેરા દિલ’ના અંતરામાં જે સેક્સોફોન વગાડવામાં આવ્યું છે તે યાદ છે! કે પછી ‘સટ્ટા બાજાર’નું ગીત ‘તુમ્હેં યાદ હોગા કભી હમ મિલે થે’ના અંતરામાં વગાડેલા સેક્સોફોનને યાદ કરો. જો આ પણ યાદ ન આવે તો ફિલ્મ ‘માયા’નું ‘જા ઉડ જા રે પંછી’ ગીતની શરૂઆતમાં જે વાંસળી વગાડવામાં આવે છે તેનો મીઠો અવાજ આજેય હૃદયને હચમચાવી મૂકે છે. આ ગીતના અંતરામાં વગાડેલું સેક્સોફોન તમે કેવી રીતે ભૂલી શકો? લતાજીના અવાજ સાથે ધીરે રહીને ગુંજતું સેક્સોફોન તમને એક સુંદર દુનિયામાં લઈ જાય છે. આ બધી જ ધૂનનું શ્રેય માત્ર એક જ કલાકારને ફાળે જાય છે.

એ કલાકાર એટલે ખૂબ જ જાણીતા સેક્સોફોન અને ઈંગ્લિશ ફ્લૂટ વાદક તેમજ એરેન્જર મનોહારી સિંહ. મનોહારી સિંહ હિન્દી ફિલ્મજગતમાં સેક્સોફોનના બેતાજ બાદશાહ ગણાતા.

મનોહારી દાદા રાહુલ દેવ બર્મનના મુખ્ય સહાયકમાંના એક હતા. બાસુ-મનોહારીની જોડી પંચમદાના મ્યુઝિક ગ્રૂપનો આધાર હતી. મનોહારી દાદા પંચમ માટે સેક્સોફોન અને ફ્લૂટ વગાડતા. ફિલ્મ ‘શોલે’નું ટાઈટલ મ્યુઝિક યાદ છે, જેમાં સેક્સોફોન છવાઈ જાય છે. એટલું જ નહીં, લગભગ મૃત્યુના એક અઠવાડિયા પહેલા મુંબઈમાં બોરીવલીમાં એક સંગીતસંધ્યામાં તેમણે આ વાધ્ય વગાડીને સૌને દીવાના કરી દીધા હતા.  શરૂઆતમાં તેઓ મેન્ડોલિન અને ‘કી-ફ્લૂટ’ જ વગાડતા હતા, પણ પછી તેમણે સેક્સોફોન વગાડવાનું શરૂ કર્યું.  મનોહારી દાદા  ૧૩ જુલાઈ, ૨૦૧૦ના રોજ આ દુનિયાને અલવિદા કરી ગયા..એમને યાદ કરીને શત શત નમન...!!

સંકલન: કાર્તિક શાહ