Wednesday, September 4, 2019

સ્પર્ધામુક્ત શિક્ષણ


સ્પર્ધા જેટલી વધુ રાખશો એટલી વધુ અતૃપ્તિ થશે... સંતોષ જેટલો વધુ રાખશો એટલી વધુ તૃપ્તિ થશે!


પરમપૂજ્ય મોરારીબાપુએ કહ્યું છે કે, "હું અવારનવાર કહું છું કે દેવતાઓએ અને દાનવોએ સમુદ્રમંથન કર્યું પરંતુ દ્વેષ અને ઇર્ષ્યાથી કર્યું એટલે ચૌદ રત્નો નીકળ્યાં. જો સ્પર્ધામુક્ત અને દ્વેષમુક્ત સમુદ્રમંથન થયું હોત તો સમુદ્રમાંથી અનંત રત્નો નીકળ્યા હોત. બધાં શાસ્ત્રોને આદર આપીને ‘માનસ’નું મંથન કરીએ છીએ તો એમાંથી અગણિત રત્નો નીકળે છે. મારે સિદ્ધાંત રજૂ નથી કરવો. મારે વિચાર જરૂર રજૂ કરવો છે."

આવો, સરળ દૃષ્ટાંતથી સમજીએ:

દિગ્વિજયી થવા સૈન્ય સાથે સંચરતા એક સમ્રાટને નગરદ્વાર પાસે જ મહાન સંત મળી ગયા. સમ્રાટે એમને નમન કરી સફળતાના- વિજયી થવાના આશીર્વાદ યાચ્યા. દયાર્દ્ર અને વિચક્ષણ સંતે વિચાર્યું કે આ તો મોતની મહેફિલ અને લોહીની નદીઓ વહાવવાના આશીર્વાદ આપવાની વાત. એ ક્યાંથી અપાય ? એમણે સમ્રાટને નવી જ વાત કરી કે, ''જો તને વિના યુદ્ધે દિગ્વિજયી થવાનો કિમીયો મળી જાય તો ચાલે ?'' 

ખુશ ખુશ થઈ જતાં સમ્રાટે કહ્યું : ''તો તો બહુ સારું. યુદ્ધમાં તો માથાં સાટે માથા દેવા ય પડે. તમે એ કિમીયો મને આપો.''

સંતે દિગ્વિજયયાત્રા થંભાવી સમ્રાટને પોતાની સાથે રાજમહેલમાં પરત આવવા કહ્યું. ત્યાં સંતે એમની ઝોળીમાંથી એક પાત્ર કાઢી સમ્રાટને આપતા કહ્યું : ''બસ, આ પાત્ર તું મારી નજર સમક્ષ સુવર્ણમુદ્રાથી છલકાવી દે એટલે દિગ્વિજયના તારા તમામ મનોરથો પૂરા થઈ જશે.'' સમ્રાટને આ કાર્ય તો એકદમ આસાન લાગ્યું. 

એમણે રાજકોશમાંથી થાળ ભરીને સુવર્ણમુદ્રાઓ મંગાવી પાત્ર ભરાવવા માંડયું. પણ આશ્ચર્ય ! એકાદ મુઠ્ઠીમાં ભરાઈ જાય એવું એ પાત્ર થાળ ખાલી કરી દેવા છતાં ભરાયું નહિ. મરણિયા થયેલા સમ્રાટે ગુણી ભરીને સોનામહોરો લાવી પાત્રમાં ખાલીકરવા માંડી. કિંતુ પાત્ર ભરાયું જ નહિ!!

હવે થાકી ગયેલા સમ્રાટે સંત તરફ પ્રશ્નસૂચક નજર કરી.

 સંતે મધુર મુસકાન સાથે સ્પષ્ટતા કરી : ''ભલા સમ્રાટ ! નાનું શું આ પાત્ર ગુણી જેટલી સુવર્ણમુદ્રાઓ ભર્યા પછી ય છલકાતું નથી તેનું કારણ એ છે કે, આ પાત્ર માનવીની ખોપરીમાંથી બન્યું છે. માનવીનું દિમાગ એવું છેે કે એને ચાહે તેટલું ઉપલબ્ધ થશે તો ય એ કાયમી તૃપ્તિ નહિ પામી શકે. તારી જ વાત વિચાર, તો આટલી સમૃદ્ધિ- સત્તા પછી ય તારું દિલ-દિમાગ તૃપ્ત નથી. માટે જ તું દિગ્વિજય યાત્રાએ સંચરતો હોઈશ, ખરું ને ?''

સમ્રાટને હવે સમજાયું કે ચમત્કારિક કિમીયાનાં નામે સંત કયો નિર્દેશ કરવા ઇચ્છે છે. એણે પોતાની વૃત્તિ ગલત હોવાનું સ્વીકારીને દિગ્વિજયયાત્રા વિસર્જિત કરી દીધી...

ઇન્દ્રિયવિષયો- પદાર્થોના સંદર્ભમાં સામાન્ય માનવીનાં મનને ત્રણ ઉપમા આપી શકાય:

#પ્રથમ ઉપમા એ કે તે સાગર જેવું છે. સાગરમાં અનેક નદીઓનું લાખો ગેલન જલ આવ્યા કરે તો ય સાગર કદી તૃપ્ત થતો નથી. ભલે એ જલથી એની સપાટી કામચલાઉ ઊંચે જાય પરંતુ એ તૃપ્ત થઈને એવી પ્રતિક્રિયા નથી આપતો કે બસ,  મારે હવે તમારા જલની કદી જરૂર નથી...

#બીજી ઉપમા એ છે કે તે સ્મશાન સમું છે. નગરોના- શહેરોનાં સ્મશાનોમાં આજ સુધી લાખો મૃતદેહો આવી ગયા અને સ્મશાનની આગે એ સર્વને 'સ્વાહા' કરી દીધા. તો ય સ્મશાને તૃપ્ત થઈને શબનો ઇન્કાર નથી કર્યો. ભલે એક સાથે દશ- બાર મૃતદેહો આવી પડે ત્યારે એ ભરાયેલ લાગે, પરંતુ કાયમી કોઈ તૃપ્તિ સ્મશાને નથી હોતી...

#ત્રીજી ઉપમા છે પેટની. એને ભલે ભરપૂર ભોજ્ય પદાર્થો અપાય અને એ તત્કાલ ભલે તૃપ્ત પણ લાગે. કિંતુ એ તૃપ્તિ કામચલાઉ જ છે. છ- સાતકલાક થાય એટલે પેટ નવું નવું માંગે જ. પેટની એ ગર્તા કદી કાયમી ભરાય નહિ- તૃપ્ત ન થાય. ઇન્દ્રિય વિષયો- પદાર્થોના સંદર્ભમાં માનવીય મન પણ એવું જ હોવાથી જ્ઞાાનીજનો એનાથી તૃપ્તિ પ્રાપ્ત કરવાનો અભિલાષ પણ  રાખતા નથી. તેઓ તો આત્મગુણોમાં રમણતા દ્વારા શાશ્વતી- અવિનશ્વર- કાયમી તૃપ્તિ ઉપલબ્ધ કરવાનો સમ્યક્ પુરુષાર્થ કરતા હોવાનું જ્ઞાાનસાર ગ્રન્થકાર કહે છે.

તૃપ્તિ ભલે અલગ અલગ સ્તરની હોય. પરંતુ સામાન્યપણે ખાન-પાનની ભોજનની તૃપ્તિ તરત જ નજરે તરી આવે છે. ભલે ને એ તૃપ્તિ કામચલાઉ હોય, તો ય બને છે આવું જ કે ભરપૂર ભોજન કરો એટલે તૃપ્તિનો ઓડકાર આવે જ.

ભાવાર્થ કે  અનુકૂળ વિષયો મળવાથી લાલસાઓ ક્ષીણ થતી નથી, બલ્કે એનાથી એ લાલસાઓ વધુ બલવત્તર બને છે : જેમ કે કાષ્ઠ હોમતા રહેવાથી અગ્નિ વધુ ભડકે એમ. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો આ જર્મનીની ઘટના :

ત્યાં યુવા વયે સત્તાનશીન થયેલ વ્હીટેલીયસ નામે રાજાને સ્વાદની લાલસા એવી ખતરનાક તીવ્ર હતી કે એણે રસોઈયાઓ પાસે વિશ્વની તમામ વેરાયટીઓ બનાવવાની યોજના કરી. નિત્ય એકથી એક ચડિયાતી વાનગીઓ બને, સ્વાદનો ગુલામ એ રાજા તે વાનગીઓ પેટ ભરીને આરોગે. પરંતુ એની ખતરનાક સ્વાદલાલસા એવો વિચાર કરાવે કે, 'પેટ ખૂબ નાનું હોવાથી જલ્દી ભરાઈ જાય છે. 

જ્યારે ખાદ્ય પદાર્થો તો હજુ ઘણાં પ્રમાણમાં આરોગવાના રહી જાય છે.'' આ લાલસાવશ એણે વૈદ્યો પાસે પેટ ભરાય જ નહિ અને ઇચ્છા મુજબનાં પ્રમાણમાં એ વેરાયટી આરોગી શકાય એવા ઔષધો માંગ્યા. એ શક્ય ન બન્યું ત્યારે એણે વમનનાં ઔષધ શરૂ કર્યા. પહેલા પેટ ભરીને સ્વાદિષ્ટ વાનગી આરોગે, પછી વમન કરી પેટ ખાલી કરે, વળી વાનગીઓ આરોગે વળી વમન કરે. સ્વાદ લાલસા એનામાં આ પાગલપનની હદે વકરી ગઈ.

આ પાગલપનનું પરિણામ એ આવ્યું કે ભરયુવાનીમાં અનેક રોગોનો શિકાર બની વ્હીટેલીયસ મૃત્યુ શૈયા પર પોઢયો ત્યારે પણ એના શબ્દો એ હતા કે ''કાશ ! આયુષ્ય દીર્ઘ મળ્યું હોત તો ? હજુ તો મારે ઘણી વાનગીઓ આરોગવાની બાકી છે.''

એક નવી વાત. તૃપ્તિનું આ સ્તર કદાચ અત્યારે પ્રાપ્ત કરવાની ગુંજાયેશ ગૃહસ્થ વ્યક્તિની ભલે ન હોય.કિંતુ આખર એ અવસ્થા સર થાય એની ભૂમિકારૂપે વર્તમાન જીવનમાં નીચેના ત્રણ સ્તર જરૂર સર કરી શકાય.
(૧) #સ્પર્ધામુક્ત રહીએ: અતૃપ્તિ અને અશાંતિ સર્જનાર ઘણાં પરિબળોમાં એક મહત્ત્વનું પરિબળ છે સ્પર્ધા. 'દેશમાંથી બન્ને ખાલી હાથે અને સાથે આવ્યા હતા. છતાં એ દશ કરોડ રૂા.નો આસામી બની ગયો અને હું માત્ર પચાસ લાખ રૂા. જ કમાઈ શક્યો.' બસ, આ જ કે આવી આવી સરખામણી આગળ વધી જવાની સ્પર્ધા કરાવે. 

એમાંથી માનસિક તાણ લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી તીવ્ર અતૃપ્તિ- હતાશા વગેરેનો જન્મ થાય. અરે ? ઘણીવાર તો આગળ વધવાની દોટ મૂકવાની જરાય જરૂરિયાત ન હોવા છતાં સ્પર્ધા નિરર્થક દોટ મુકાવે. ખબર છે પેલી કાલ્પનિક રમૂજ કથા ?

દોડવીર મિલ્ખાસિંઘના ઘરે ચોરી કરીને ચોર દોડતો ભાગ્યે. મિલ્ખાસિંઘે પણ એની પાછળ બરાબર દોટ મૂકી. ચોરીની ઘટના સાંભળીને મિલ્ખાસિંઘને ત્યાં એકત્ર થયેલ ભીડને ખાતરી હતી કે થોડીવારમાં જ મિલ્ખાસિંઘ ચોરને ઝડપીને લઈ આવશે. પરંતુ કલાક પછી અને એકલા આવેલા મિલ્ખાસિંઘને જોઈને કો'કે પૂછયું : ''કેમ ? ચોર વધારે તેજ ગતિએ ભાગી ગયો કે શું ?'' સરદારજીએ ઉત્તર આપ્યો : ''ના રે ના, એને દોડમાં પછાડી દેવા તો હું બહુ ઝડપથી એને 'ઓવરટેક' કરી આગળ નીકળી ગયો. પાંચ કિ.મી. આગળ દોડી ગયા પછી મને યાદ આવ્યુંકે મારે તો ચોરને પકડવાનો હતો !! ખરેખર મારી દોડ નિરર્થક હતી !!'

સ્પર્ધામાં રાચીએ ત્યારે આપણી દોડ પણ ઘણી વાર આવી નિરર્થક  થતી હોય છે.

(૨) #સીમાયુક્ત રહીએ: સીમા એટલે મર્યાદા. ત્યાગી નહિ, સંસારી જીવન છે એટલે સામગ્રી- સંપત્તિની જરૂર રહેવાની. પરંતુ એ જરૂરિયાત અમર્યાદ બને નહીં એની કાળજી રાખવી. ભોજનમાં- કાર્ય કરવામાં- નિદ્રામાં આપણે જેમ મર્યાદા રાખીએ છીએ, તેમ સામગ્રી- સંપત્તિ માટે ય મર્યાદા- સીમા રાખીએ.

(૩) #સંતોષયુક્ત રહીએ: મને પુણ્ય-પુરુષાર્થ પાત્રતાનુસાર જે મળ્યું છે એમાં હું સુખી છું. અન્યોની સામગ્રી આદિ નિહાળીને કાલ્પનિક અભાવથી મારે દુ:ખી નથી થાવું.' આવી વિચારણા છે સંતોષ...

છેલ્લે એક વાત: સ્પર્ધા જેટલી વધુ રાખશો એટલી વધુ  અતૃપ્તિ સર્જાશે...સંતોષ જેટલો વધુ રાખશો એટલી વધુ તૃપ્તિ સર્જાશે.

Thursday, June 20, 2019

દીકરી ને ગાય, દોરે ત્યાં જાય! લોકોક્તિ, કહેવત, લોકગીત કે રચના?

દીકરી ને ગાય, દોરે ત્યાં જાય!
લોકોક્તિ, કહેવત, લોકગીત કે રચના? 
―  એક સંશોધન (ડો. કાર્તિક શાહ)
બેના રે..
સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરીતો પારકી થાપણ કહેવાય...


આજે આપણે વાત કરવી છે ગુજરાતી સાહિત્યની તદ્દન અજાણી એવી એક હકીકત વિશે….ચાલો, તો શરૂઆત કરીએ ફ્લેશ બેકમાં વિહરવાની!!

ગુજરાતી ભાષાનાં આ અમર અવિનાશી ગીતથી ભાગ્યે જ કોઈ અજાણ હશે! એમાંય "દીકરી ને ગાય, દોરે ત્યાં જાય!"  પંક્તિઓ તો જાણે લોક-કહેવત, લોકગીત કે લોકોક્તિ તરીકે સદાય ગુજરાતી ભાષા જોડે રહેશે, એમ કહું તો જરાય ખોટું નથી! 

અનિલ આચાર્યે એક વાર લખ્યું છે કે, દીકરી પોતાની છે છતાંય પારકી છે એથી તે વધુ નજીક હોય છે. ‘દીકરી’ શબ્દનાં ‘દી’ અને ‘રી’ દિર્ધમાં છે. તે શબ્દનાં ઉચ્ચારને પણ નહીં છોડવાની આટલી જીદ હોય તો દીકરીને છોડવા મન ક્યાંથી તૈયાર થાય?

દીકરી, એક શમણું, આપણું છતાં પરાયું.  દીકરી શું નથી ? દીકરી આપણી હથેળીની સૌથી લાડકી ટચલી આંગળી છે. દીકરી જિંદગીની શુષ્કપળોમાં ભીનાશ જન્માવતી ભીની ભીની લાગણી છે. દીકરી માબાપનાં વૃદ્ધત્વનાં એકલતાનાં કિનારાને ભર્યાભર્યા રાખતી, સતત લાગણી છલકાવતી છાલક છે. દીકરી એ માબાપનાં જીવનમાં પરીકલ્પનાનું સુખ આપતી જીવનવાર્તાની ‘પરી’ છે. દીકરી તમારા સ્તબ્ધ, વિષાદી, આઘાતભર્યા મનમાં થીજી ગયેલા આંસુને વહેતા કરી તમને હળવા રાખે છે. દીકરી તમારા સ્મિત પાછળનાં રૂદનને વાંચી શકે છે. દીકરી તમારા વિષાદી મનનો સંગાથ છે. દીકરી પ્રભાતનાં ફૂલ પરનું ઝાકળબિંદુ છે. તેના મુલાયમ સ્પર્શમાં તમને તમારા અસ્તિત્વની સાર્થકતા અનુભવાય છે. દીકરી એટલે કદી ‘ડિલિટ’ નહીં થતી અને સદા ‘રિફ્રેશ’ રહેતી લાગણી. દીકરી તમારા દિલનાં સ્ક્રીન પરનું છે મનોહર ‘સ્ક્રીન-સેવર’ ! દીકરી એટલે તમારા રંજને પરાજિત રાખતો ઉમંગનો આફતાબ. તમારી જીવવાની ઝંખનાને પ્રજ્જ્વલિત રાખતી જ્યોત એટલે દીકરી. દીકરી શું નથી ?

આવી જ ઘણી બધી અવ્યક્ત લાગણીઓને વાચા આપતું, વર્ષ ૧૯૭૯માં આવેલી ગુજરાતી ફિલ્મ "પારકી થાપણ"નું આ ગીત, સ્વ. અવિનાશ વ્યાસજીએ રચેલું અને પુત્ર શ્રી ગૌરાંગભાઈનું એટલું જ અદ્ભૂત સ્વરાંકન છે. આ ગીતનું સર્જન પણ એટલું જ રોચક છે. જેની વિસ્તૃત ચર્ચા આપણે આ અગાઉ કરી ચુક્યા છીએ કે કઈ રીતે આ અદભુત સ્વરાંકનને એટલો જ અદભુત સ્વર પ્રાપ્ત થયો, લતા મંગેશકરજી નો!! જી હા, આ ગીતમાં સ્વરની પ્રથમ પસંદગી અલકાજીની હતી, અને એક અહેવાલ મુજબ, બાદમાં લતાજી ખૈયામજીનું રેકોર્ડિંગ ટાળીને આ ગીતનું રેકોર્ડિંગ કરવા સાંજે પધારેલા! એવું કહેવાતું હતું, કે લતાજી સાંજે ગીત ગાતા નથી, છતાંય આ ગીત માટે તેઓએ પોતાની પ્રથા તોડી હતી!

આ ગીત, એ સમયે બનતી વખતે બીજા પણ રસપ્રદ અનુભવોમાંથી પસાર થયું છે. ‘પારકી થાપણ’ ફિલ્મનું ટાઇટલ સોંગ કરવાનું અને વળી લોકોને ગમે એવું કરવાનું અને વળી લખાય અને રેકોર્ડિંગ થાય પછી શૂટિંગ કરવાનું. ‘પારકી થાપણ’ – આ શબ્દો છેલ્લે રાખીએ તો એના પ્રાસમાં શબ્દો ગાઈ શકાય. એ યાદગાર રહી જાય એવા ના પણ બને! પણ, અવિનાશ વ્યાસની સર્જકતાએ અને એમની સ્વર સજ્જતાએ કવિતામાં પ્રાણ પૂર્યો અને “દીકરી તો પારકી થાપણ કહેવાય” એવી પંક્તિઓ લખી. ‘કહેવાય’-ના પ્રાસમાં-કાફિયામાં ગીતને આગળ વધાર્યું અવિનાશ વ્યાસે. નિર્માતા અરુણ ભટ્ટની સામે જ પ્રથમ સીટિંગમાં જ ગીતનું મુખડું અને એક અંતરો લખાઈ ગયા!

સાથે સાથે અવિનાશ વ્યાસ ‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’-ની કહેવાતી લોકોક્તિ/કહેવત પણ ગીતમાં સાચવે છે. આનાથી મોટી બીજી કઈ વાત હોય! 

આટલી પૂર્વભૂમિકા બાંધ્યા પછી, આપણા આજના આ લેખનાં મૂળ ઉદ્દેશ્ય પર આવી જઈએ! નહીં તો, આ ગીત, સંગીત, મહાનુભાવો વિશે લખતાં શબ્દો ખૂટી પડે પણ વાતો નહિ!!

"દીકરી ને ગાય, દોરે ત્યાં જાય!" ― કેટલા ટૂંકા શબ્દોમાં માર્મિક રજુઆત થઈ ગઈ છે! તો, શું આ લોકોક્તિ જ માત્ર છે? કે કહેવત કે લોકગીત? શું છે ખરેખર આ? અને ગુજરાતી સાહિત્યમાં આ અગાઉ ક્યાંય કોઈ જગ્યાએ એ રજુ થઈ છે કે કેમ? અને જો જવાબ હા હોય તો, કોણ છે રચયતા એના? 

આના જવાબમાં, આજે એક રોચક ઇતિહાસનું થોડું કરેલું સંશોધન રજૂ કરવા જઈ રહ્યો છું. આશા છે આપને કંઈક નવીનતમ માહિતી મળી રહેશે! જી હા, જો હું એમ કહું કે આ પંક્તિ એના આ જ મૂળ સ્વરૂપમાં આજથી બરાબર 110 વર્ષ પહેલાં રજૂ થઈ હતી, તો?

ખરેખર, એવું જ બન્યું હતું. ઇ.સ. 1909માં માત્ર આ પંક્તિ જ નહીં પણ એને સમાવતું એક આખું ગીત રજૂ થયેલું છે. અને ત્યારે સ્વ. અવિનાશ વ્યાસજીનો જન્મ પણ નહોતો થયો. તેમનો જન્મ થયો હતો ઇ.સ. 1912માં. જ્યારે આ પંક્તિને સમાવતી રચનાના રચયતાનો જન્મ થયો હતો 18 માર્ચ,  ઇ.સ. 1862માં એટલે કે, સંવત 1918ની ફાગણ વદ ત્રીજના દિવસે! એટલે કે, આ રચના વખતે એના રચયતા 47 વર્ષના હતા. એટલે કે અવિનાશજી થી 50 વર્ષ મોટાં!! અને હજુ એક ડગલું આગળ, આજથી 110 વર્ષ પહેલા જે કાર્યક્રમમાં એ ગીત રજુ થયેલું, એ સંપૂર્ણ કાર્યક્રમ એના નિર્માતાએ ઇ.સ. 1867ના 25માં એક્ટ મુજબ કોપીરાઈટ પણ કરાવેલો!! અને સર્વ હક્ક સ્વાધીન રાખ્યા હતા!  અને એમાંથી આ ગીત ખૂબ જ પ્રચલિત થયું અને લોકમુખે ચઢી ગયું!! 

હા, અવિનાશજીએ પોતાની સ્વતંત્ર રચના લખી છે અને એમાં માત્ર આ પંક્તિનો ઉપયોગ કર્યો છે જે લોકોક્તિમાં એ સમયે ખપી ગઈ હતી...એટલે કે એની રજુઆતના આશરે 70 વર્ષ પછી!! આ લેખનો મૂળ ઉદ્દેશ વાચકમિત્રોને એના મૂળ શબ્દ-સર્જક સાથે પરિચય થાય અને ગુજરાતી ભાષા-સાહિત્યના ઇતિહાસ પરથી ક્યાંક પડદો ઊંચકાય એ શુભ-આશય જ માત્ર છે. આ ઉપરાંત આવી અનેક અમર પંક્તિઓ રસિક વાચકોને યાદ રહે તથા ગુર્જર પ્રજા આ રચયતાઓને યાદ કરી ઋણ ચૂકવે તો એમને અનુરૂપ સન્માન પણ મળે!

આ કવિશ્રી એ સમયે ગુજરાતમાં જ એક રજવાડાંના રાજકવિ હતા! અને ગુજરાતી ઉપરાંત તેઓ સંસ્કૃત, ઉર્દુ અને હિન્દી ભાષાના પણ પ્રખર નિષ્ણાત હતા. 

  • કોણ હતાં તેઓ? 
  • અને ગુજરાતમાં કયા રજવાડામાં રાજકવિ હતા?
  • આપણા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ જોડે કેવો પ્રસંગ બન્યો હતો?
  • ક્યારે આ રચના રજૂ થઈ? 
  • એ સમયે, આ રચના જે કૃતિમાં સમવાયેલી એ કૃતિ મૂળ તો સાત ભાગમાં પ્રસિદ્ધ થયેલી એક નવલકથા હતી, કઈ હતી એ નવલકથા?
  • સર્જકના અન્ય સર્જનો કયા હતા? 


આ સઘળી રોચક હકીકતો લઈને હું મળીશ, શબ્દસંપુટનાં આગામી અંકમાં, રાહ જોશોને?

સંશોધન: ડો. કાર્તિક શાહ

Wednesday, May 15, 2019

પિતાની રચના


ભગવાને જયારે પિતાની રચના કરવાનું શરુ કર્યું ત્યારે સૌથી પ્રથમ એણે ઊંચું અને પડછંદ માળખું બનાવ્યું. બાજુમાં ઉભેલા દેવદૂતને નવાઈ લાગી. એનાથી બોલ્યા વિના ન રહેવાયું, ખુબ જ નમ્રતાપૂર્વક એણે કહ્યું, "ભગવાન, ક્ષમા કરજો! પણ તમે આ કેવી વિચિત્ર રચના કરી છે? જો બાળકો સૌ નાના જ હોય અને જમીનથી એટલા નજદીક રહેવાના હોય તો પિતાની આટલી બધી ઊંચાઈ શું કામની? એ બાળકો સાથે ન તો લખોટીઓ રમી શકશે કે ન તો એ બાળકો સાથે કુદકા કે કુંડાળા રમી શકશે! એ બાળકોને પથારીમાં બરાબર રીતે સુવડાવી પણ નહિ શકે અને સાવ નીચે નમશે ત્યારે માંડ આ નાના બાળકોને બચી ભરીને વ્હાલ કરી શકશે! જો એવું જ હોય તો આટલી બધી ઊંચાઈ આ માળખામાં બનાવવાનું મહત્વ શું?

ભગવાન હસી પડ્યા અને બોલ્યા, "હા, એ બધી વાત બરાબર છે. પણ જો હું એને બાળકો જેવડો જ બનાવત તો પોતે પણ મોટા થઈને ઊંચા થવાનું છે એવો ખ્યાલ બાળકોને ક્યાંથી આવત? પોતાના પિતાની ઊંચાઈ એમના માટે પથદર્શક બની રહેશે!"

આ "ઊંચાઈ" શબ્દ પેલા દેવદૂતને બરાબર સમજાયો નહિ!

એ પછી ભગવાને પિતાના હાથની રચના કરી. ખુબ મોટા અને ના તો જરાય સુંવાળા કે ના તો સહેજેય કુણા! આંગળીઓ પણ જાડી અને બરછટ! દેવદૂતથી આ જોઈને બોલાઈ ગયું, "ભગવાન ! આ વખતે તો મારે કહેવું જ પડશે કે આ હાથ બનાવવામાં તમે માર ખાઈ ગયા છો. તમને એ ખ્યાલ હોય જ કે મોટા હાથ અતિ ચપળ નથી હોતા. એ કેમ કરીને બાળકના વસ્ત્રના બટન ખોલશે, બંધ કરશે? પિન ખોસતાં તો એને જરા પણ નહિ ફાવે! દીકરીઓના વાળની ચોટલીમાં દોરી નાખતા એને નાકે દમ આવી જશે. લાકડાના રમકડાંથી રમતા જો બાળકને ફાંસ વાગશે તો આ બરછટ અને જાડા હાથ એ નહિ જ કાઢી શકે. એટલે મને તો લાગે છે કે હજુ સંપૂર્ણ રચના નથી થઇ ત્યારે એ પહેલા એમાં કંઈ સુધારો કરી નાખો તો સારું!!"

આ વખતે પણ ભગવાન હસીને બોલ્યા, "તું સાવ સાચું કહે છે, તારી વાત સાથે હું જરા પણ અસમંત નથી. પણ તને ખ્યાલ છે કે આ મજબૂત હાથ જ ખેતર ખેડી શકશે! એ બરછટ હાથ લાકડા પણ કાપી શકશે, અરે! કુટુંબનું પેટ ભરવા માટે એ પહાડ પણ ખોદી શકશે. એજ મોટા હાથ નદીનો પ્રવાહ બદલી શકશે, દરિયો ખૂંદી શકશે અને પોતાના નાના બાળકનું અને અન્યનું રક્ષણ કરવા શસ્ત્રો પણ સજી શકશે. નાનું બાળક સાંજે બહારથી રમીને આવશે પછી પોતાનું ખિસ્સું ખાલી કરીને પથ્થરો, શંખલા, ખીલીઓ, બાકસના ખાલી ખોખા વગેરે એ હાથમાં મુકશે અને એમની એક પણ વસ્તુ પડ્યા વિના આ મોટા હાથનો વિશાળ ખોબો એ બધું જ ઝીલી શકશે. મોટા, રુક્ષ અને બરછટ હાથ હોવા છતાં પણ બાળકનો સુંદર ચહેરો એની હથેળીમાં આસાનીથી આવી શકશે!"

નવાઈ સાથે દેવદૂત સાંભળી રહ્યો, આવો વિચાર તો એણે  કર્યો જ નહોતો. ભગવાન હવે પિતાના લાંબા અને મજબૂત પગની રચના કરી રહ્યા હતા. એણે પગની સાથે ખુબ વિશાળ ખભાની રચના પણ પુરી કરી. પછી દેવદૂત સામે જોયું. દેવદૂત જાણે ભગવાનના પોતાની સામે જોવાની જ રાહ જોઈ રહ્યો હોય તેમ બોલી ઉઠ્યો, "ભગવાન! એટલા પહોળા અને લાંબા પગ હશે તો બાળક એના ખોળામાં ઊંઘી કેવી રીતે શકશે? નાનકું બાળક પોતાના પિતાને વ્હાલ કરતા કરતા બે પગ વચ્ચે પડી નહિ જાય? અને એના એટલા બધા પહોળા ખભા શું કામ બનાવ્યા છે?" 

ખડખડાટ હસતાં હસતાં ભગવાન બોલ્યા, "અરે ભાઈ! માતાનો ખોળો તો મેં બનાવ્યો જ છે. અને એ બાળક માટે પર્યાપ્ત જ છે. આ મજબૂત પગ તો બાળક જયારે સાયકલ ચલાવતા શીખશે ત્યારે એની પાછળ દોડવા માટે છે. હળની પાછળ મજબૂત રીતે ચાલવા માટે છે. પેટિયુ રળવા માટે થાક્યા વિના રઝળપાટ કરવા માટે છે. બાળક માટે લીમડા પરથી લીંબોળીઓ પાડવા તેમજ આંબલી પરથી કાતરા ઉતારવા ઝાડ પર ચડવા માટે છે. અને આ વિશાળ ખભા ઉજાણીએથી પાછા આવતા કે સર્કસમાંથી મોડી રાત્રે છૂટ્યા પછી પાછા ફરતા બાળક માથું મૂકીને નિરાંતે ઊંઘી જઈ શકે તે માટે બનાવ્યા છે. ઘરે પહોંચતા સુધી એ પહોળા ખભા બાળકનો આધાર બની રહેશે!"

ભગવાને પિતાનાં લાંબા પગની નીચે મોટા મોટા ફાફડા જેવા પંજા બનાવ્યા ત્યારે પ્રશ્ન પૂછવાને બદલે દેવદૂતે ખડખડાટ હસવા જ માંડ્યું. માંડ માંડ થોડું હસવું દબાવીને એણે કહ્યું, "સાચું કહું પ્રભુ! હવે તો ખરેખર હદ થાય છે. આવડા મોટા ફાફડા જેવા પગના પંજા બાળકોને બીવડાવશે! નાનકડા ઘરમાં એના રમકડાં કે ઘરઘર રમતા ગોઠવેલા એના રાચ-રચીલાને કચરી નાખશે! બધું ઠેબે ચડાવશે. નદીના કાંઠે રેતીમાં બનાવેલું બાળકનું ઘર એ ખ્યાલ વગર જ ઉડાડી દેશે! એટલે કહું છું કે તમે ફરી એક વાર વિચારી જુઓ. નહિ તો મને આવા ફાફડા જેવા પગની રચના પાછળનો ભેદ સમજાવો!"

મુક્ત હાસ્ય સાથે ભગવાન બોલ્યા, "અરે નાદાન ફરિશ્તા! કારણ અને વજૂદ વગર હું કંઈ પણ બનાવું ખરો? તને જે પગ ફાફડા જેવા લાગે છે, એ પગ પર પગ મૂકીને નાનકડું બાળક "પાવલો પા....મામાને ઘેર જા..." તેમજ " ઢીચકા ઢમણ..." જેવી રમતો રમી શકશે. એ પગ પર પગ મૂકીને જ એ ચાલશે!  એ પગના મોટા બૂટમાં રેતી, પથ્થર અને કંઈ કેટલીયે વસ્તુઓ ભરવાની રમતો એ રમી શકશે! અને એ સિવાય પણ મક્કમ રીતે જમીન પર મુકાતાં એ પગલાં એનામાં આત્મવિશ્વાસ પ્રેરશે!"

દેવદૂત વિચારમાં પડી ગયો. ધીમે ધીમે એને બધું સમજાતું જતું હોય એવું લાગતું હતું!

રાત થઇ ગઈ હતી. ભગવાન હવે પિતાનો  ચહેરો બનાવી રહ્યા હતા. પિતાની રચનાનો એ અંતિમ તબક્કો હતો. જેવો ભગવાને પિતાનો દ્રઢ અને કડક ભાવવાળો ચહેરો કંડારી લીધો  કે તરત જ દેવદૂત બોલી ઉઠ્યો, "ભગવાન, તમે પિતાની રચના તો બરાબર કરી પરંતુ માતાના ચહેરાની તોલે તો આ ચહેરો ન જ આવે! ક્યાં એક માનો ચહેરો અને ક્યાં પિતાનો??!!"

આ વખતે ભગવાન જરાય હસ્યા નહિ, અને ખુબ જ ગંભીર થઇ ગયા. પિતાના તૈયાર શિલ્પની આંખોમાં આંખો પરોવી અને ત્યાં એમણે એક એક નાનું આંસુ મૂક્યું! એ સાથે જ એ દ્રઢ અને કડક દેખાતો ચહેરો ભાવવાહી બની ગયો! એ કડક લાગતી આંખોમાં કરુણા છલકાઈ આવી. પછી ભગવાને દેવદૂત સામે જોઈને કહ્યું, "હવે જો! પિતા પણ માતાની જેટલો જ પ્રેમ પોતાના બાળકોને કરશે. મા જેવી જ કરુણા હું એના હૃદયમાં પણ મુકું છું. એ પણ પોતાના બાળક માટે જીવ સુધ્ધાં આપી દેવા માટે તૈયાર રહેશે! બાળકનો ગોઠણ છોલાશે ત્યારે એના હૃદયમાં પણ સબાકો આવશે. બાળક દુઃખથી પીડાતું હશે ત્યારે લાગણીનો ડૂમો એના શબ્દોને પણ રોકી લેશે. પોતાનું બાળક સુખી થતું હશે તો એ ગમે તેવા દુઃખો દ્રઢતા અને મક્કમતાથી સહન કરવા તૈયાર થઇ જશે. એના ખભે માથું મૂકીને કોઈ પણ ઉંમરનું સંતાન શાતા અને સાંત્વન પામશે. એનું મન ભલે એ માતાની માફક ગમે ત્યારે ખોલશે નહિ, પણ સ્નેહનું સરોવર એમાં હંમેશા છલકાતું રહેશે. અને આ આંસુ એ માટેની ખાતરીની મહોર છે."

દેવદૂત પાસે હવે એક પણ સવાલ કે મૂંઝવણ બાકી ના રહી. એ ચૂપ થઇ ભગવાનને નતમસ્તક ઝૂકી વંદન કરતો ઉભો રહી ગયો!

સંકલન: ડો. કાર્તિક શાહ (અંતરનો ઉજાસ, મોતીચારો ભાગ 3, ડો. આઈ કે વીજળીવાળા -- માંથી સાભાર)

Friday, March 29, 2019

દ્રુપદ શૈલીનાં મહાન ગુજરાતી ગાયક......


ગયા શુક્રવારે આપણે જોયું કે આપણા જ ગુજરાત રાજ્યમાંથી જ......
એ કોણ હતું કે જેઓ પોતાનાં રાજ્યના રાજાના ડરથી નદીમાં કૂદીને ભાગી ગયેલા?
એ કોણ હતું કે જેઓ ફરી બીજી વાર રાજાના ડરથી કિલ્લો કૂદીને ભાગી ગયેલા?
એ કોણ હતું કે જેઓને ભાવનગરના રાજાએ રાજગાયકની પદવી આપી હતી?
દિલ્લી જતી અને અજમેર રોકવામાં આવેલી ટ્રેનને કેમ ખાસ એમના માટે દિલ્લી રવાના કરવામાં આવી?
તો આવો આજે જાણીએ આ મહાન પણ અલ્પ-પ્રસિદ્ધ દ્રુપદ શૈલીનાં મહાન ગુજરાતી ગાયકને અને વાંચીયે વધુ આગળ....!!


બીજી વાર કિલ્લો કૂદીને ભાગી જઈ તેઓ જૂનાગઢથી વીરપુરમાં શ્રી જલારામ બાપાના દર્શન કરી એ જ જગ્યામાં રોકાઈ અને મુંબઈ આવી 1889માં શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં છેવટે જોડાઈ ગયા. મનુષ્યને મનગમતી વસ્તુઓ મળે એટલે એનું હૃદય કેવું પુલકિત બને છે!!  કવિકુલગુરુ કાલિદાસનું સર્વશ્રેષ્ઠ અને દુનિયાભરમાં ખ્યાતિ પામેલું નાટક "શાકુંતલ" અને મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ એના ગીતોનું સંગીત આપવા આ ભાઈને નિયુક્ત કર્યા એટલું જ નહિ પરંતુ નાટકમાં દુષ્યન્તની મુખ્ય ભૂમિકા પણ એમને સોંપાઈ!! ઓગષ્ટ 1889માં આ નાટક મુંબઈમાં રજુ થયું!

આવા તો ઘણાં નાટકોમાં તેઓ પછી સક્રિય રહ્યા. અને મુખ્ય ભૂમિકામાં જ મૉટે ભાગે રહ્યા, જેના પરથી એ સાબિત થાય છે કે સંગીતની સાથે સાથે અભિનયમાં પણ તેઓ એટલા જ કુશળ હતા એટલું જ નહિ પરંતુ મુળજીભાઈ એ એમને દિગદર્શક પણ બનાવ્યા ત્યારે નાટ્યના સર્વ અંગો, નૃત્ય, સજાવટ અને વ્યવસ્થા પણ તેઓ સંભાળતા! 1897માં ભર્તૃહરિનો ખેલ કરી કંપની અમદાવાદ અને ભાવનગર થઇ જૂનાગઢ ગઈ ત્યારે તેઓ છુટા થયા અને રંગભૂમિમાંથી નિવૃત્ત થયા પરંતુ સંગીત સાધના તો ચાલુ જ રાખી! 

ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ એમને સાંભળ્યા હતા અને જિંદગીના અંત સુધી તેઓ અહીં રાજગાયકની પદવીએ રહ્યા! 


હવે એક ખાસ પ્રસંગ:

1911માં બ્રિટનના રાજા પંચમ જ્યોર્જના રાજ્યાભિષેક પ્રસંગે એમને દિલ્હી જવાનું આમંત્રણ મળ્યું. એ વખતે ભારતના અન્ય રાજ્યોની સ્પેશિયલ ટ્રેનો પણ દિલ્હી તરફ રવાના થઇ એ ધસારાને લીધે એમની ટ્રેનને અજમેર ખાતે રોકી રાખવામાં આવી. સમય પસાર કરવા ભજન મંડળીમાં એમણે ગાયુ, એ ગાયકી પર મુગ્ધ થઇ રેલવેના અધિકારીઓએ જયારે જાણ્યું કે આ ભાઈ ખાસ આ પ્રસંગ માટે દિલ્હી જઈ રહ્યા છે, તો એમની ટ્રેનને લીલી ઝંડી બતાવી તાત્કાલિક પસાર કરવામાં આવી. 

1919માં બનારસમાં અખિલ ભારત સંગીત પરિષદ યોજાઈ તેમાં પણ ભાવનગર રાજ્યના પ્રતિનિધિ તરીકે આ ભાઈ એ રૌપ્ય-ચંદ્રક પ્રાપ્ત કર્યો! એમની દ્રુપદની ગાયકી અજોડ હતી. અમદાવાદમાં પણ કોંગ્રેસનું અધિવેશન ભરાયું ત્યારે મહાત્મા ગાંધીજી અને પંડિત વિષ્ણુ દિગંબરજીની પ્રેરણાથી રાષ્ટ્રીય સંગીત કોન્ફરન્સની યોજના થઇ. તેમાં ભારતના અન્ય પ્રસિદ્ધ દ્રુપદ ગાયકોમાં અલ્લાબંદેખાં સાહેબ પણ હતા, જેઓ આ ભાઈને તુરંત બોલી ઉઠ્યા, "ઇસકે મુકાબલે કોઈ નહિ હે યહાં!"

1922-23માં વિશ્વ કવિ રવીન્દ્રનાથ ટાગોર ગુજરાત સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા. લીંબડીના ઠાકોર સાહેબ શ્રી દોલતસિંહજીના ત્યાં મહેમાન બન્યા ત્યારે સહજ પૃચ્છા કરી કે સારા ગાયક કોણ છે? એટલે ભાવનગરથી આ રાજગાયકને તેડું આવ્યું! અને એમનું સંગીત સાંભળી કવિવરે એમને એમના શાંતિ નિકેતનમાં આચાર્યની પદવી ઓફર કરી. પણ આ ભાઈ માતૃભૂમિ પરસ્ત રહ્યા અને ગુજરાતની ભૂમિને પ્યારી ગણી.

એ સમયમાં સેનિયા ઘરાનામાં અલ્લાબંદેખાં, સુરસેન, લાલસેન, નિહાલસેન, જાકીરઉદ્દીન વગેરે ધુરંધર દ્રુપદ ગાયકો ગરજતાં હતા. તે જમાનામાં પોતાની વિદ્યાના બળે પોતાનું નામ બુલંદ કરનાર અને એમની હરોળમાં બેસનાર આ ગુજરાતી કેવી ઉચ્ચ કોટિનો સંગીતકાર હશે એનું અનુમાન થઇ શકે છે. 

અન્ય એક પ્રસંગ:

થયું એવું કે, સાઇમન કમિશન સાથે મશહૂર આંગ્લ ગાયિકા મેડમ ક્લેરા બટ્ટ પણ ભારતમાં આવી. એણે  ભારતીય ગાયકોને સાંભળી એવો અભિપ્રાય ઉછર્યો કે તેઓ નાકમાંથી ગાય છે. અને ભારતમાં "વોઇસ ક્લચર" જેવું કંઈ જ નથી! ત્યારે પોરબંદરના મહારાજ નટવરસિંહજીએ મેડમ ક્લેરાને પોરબંદર આવવાનું આમંત્રણ આપ્યું! સાથે વડોદરાથી ગાયિકા ઈદમજાન, નિસારહુસેન અને ભાવનાગરથી આ રાજગાયકને અને એમાં પુત્રને પણ નિમંત્ર્યા! આ રાજગાયકનું ગાન સાંભળી મેડમ ક્લેરા મંત્રમુગ્ધ બની ગયા અને કહ્યું, 

"શું અદભુત અવાજ છે! મેં સમસ્ત જગતમાં આવું સુંદર સંગીત સાંભળ્યું નથી! જાણે સિંહ સંપૂર્ણ સંગીતમાં ગરજે છે! વાહ..."

મનુષ્યને નરશાર્દૂલ, નરસિંહની ઉપમા અપાય છે અહીં મેડમ કલેરાએ સંગીત કેસરીની ઉપમા આ ભાઈને આપી અને પોતે ઉચ્ચારેલા અભિપ્રાય માટે ક્ષમા યાચી! આ સમયે ભાવનગરના આ રાજગાયકે એમને સમજાવ્યું કે, ભારતીય સંગીતમાં "નોમતોમ"નો પ્રકાર છે. તેમાં સાંભળનારને એવું લાગે કે ગાયક નાકમાંથી ગાય છે અને તેમણે  નોમતોમ  ગાઈ એ દ્રષ્ટાંત પણ આપ્યું!

સમય જતા તેઓ વૃદ્ધ થયા. છતાં એમની નામના એટલી બધી હતી કે ભારતભરમાંથી નામી ગાયકો, નૃત્યકારો, વાદ્યકારો તેમની સાથે સંગીત, નૃત્ય પર ચર્ચા કરવા આવતા! ત્યારે પણ તેઓ તથા તેમના પુત્રો વાસુદેવ અને ગજાનન ગાઈ બજાવીને પણ સૌનું સમાધાન કરતા. એવું જાણવા મળ્યું છે કે, આ મહાન સંગીતાચાર્યની ગાયકી જીવંત રહે એ માટે ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ તે સમયમાં ફોનોગ્રાફ મશીન પર રેકોર્ડિંગ ઉતરાવ્યું હતું!! આ અનમોલ ખજાનાની વાત જો સાચી હોય તો ગુજરાત સરકાર તે મેળવીને તે પ્રજા સમક્ષ મૂકે તો આ મહાન ગાયકને સાચી ભાવાંજલિ  આપી કહેવાશે અને સંગીતની દુનિયામાં એમનો અવાજ, ગાયકી શૈલી કેમ અમર હતી તેનો પણ ભાવકોને ખ્યાલ આવશે! 

દ્રુપદના આ મહાન ગાયકે 81 વર્ષની વયે તા. 15.10.1945ના રોજ દેહ છોડ્યો! આ સમગ્ર લેખ એ વાતનો પરિચય આપે છે કે સાહિત્ય, સંગીત, કલા અને રંગમંચ ક્ષેત્રે ગુજરાત પ્રાચીન સમયથી કેટલું સમૃદ્ધ રહ્યું છે!  આ લોકવારસો જાળવવાની ફરજ પ્રત્યે અર્વાચીન સમયમાં કેટલી સભાનતા છે એ આ લેખ પરથી પ્રતીત થશે જ કેમ કે બહુ ઓછા લોકોને આ રાજગાયકના નામ વિષે જાણ હશે !! તેઓ છે દ્રુપદ શૈલીના મહાન ગાયક  સ્વ. દલસુખરામજી ઠાકોર!
(આ અધિકૃત માહિતી એમના પુત્રો શ્રી વાસુદેવ તથા શ્રી ગજાનને શ્રી શેખરને આપી અને તે ગુજરાતી નાટ્યમાં પ્રકટ થઇ ઉપરાંત પંડિત શ્રી ઓમકારનાથજી ઠાકોરના લેખમાંથી અને પ્રાગજીભાઈ ડોસાના રંગભૂમિના ઇતિહાસ અંગેના પુસ્તકમાંથી લીધી છે. )

ડો. કાર્તિક શાહ 

Thursday, March 14, 2019

આવો જાણીયે ગુજરાતના આ મહાન ગાયકને...

એ સમયના જૂનાગઢના નવાબ મહાબતખાનજી
(1838-1882)

ચાલો, આજે આંખમાં એક નાટકનું દ્રશ્ય સજીવન કરીએ, સભામાં ઘંટનાદ થયો, નેપથ્યમાં પોટાશનો ધડાકો થયો. મંચ આગળના ઓર્કેસ્ટ્રા વિભાગમાં બેઠેલા હાર્મોનિયમ વગાડનાર વસંતરાયે સ્તુતિની પ્રથમ પંક્તિસૂરો વગાડ્યા. અંધ પખવાજી બલદેવ દાસે તાલ ઠેકો આપ્યો, અને પડદો ઉઘડ્યો.

મંચ પરથી લાલ પીતામ્બરી, ડગલો, ખભે જરીનો ખેસ, માથે લાલ પેશવાઈ ચાકરી પાઘડી, પગમાં પુનાશાઈ પગરખાં અને હાથમાં તાનપુરો લઇ સુત્રધારે "રાણકદેવી રાખેંગાર" નાટકની સ્તુતિ શરુ કરી. આ બધી વાતો આપણે એટલે કરી રહ્યા છીએ, કે આજનો આ અંક સંગીતને લગતો છે. અને એમાંય ખાસ કરીને દ્રુપદ ગાયકીના એક મહાન ગુજરાતી ગાયકને હું અહીં શબ્દ-નિરૂપણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ સ્તુતિ એ દ્રુપદ અંગમાં રાગદારી બંદિશ હતી. સ્થાયી, અંતરો, સંચારી અને અભોગ ચારે ચરણ પુરા કરી લયકારીનો પ્રકાર શરુ કર્યો. નાભિમાંથી નીકળતો મધઘૂંટયો સ્વર અને બહુ જ સરળતાથી તાર-સપ્તક પર રમતો કંઠ સાંભળી પહેલી હરોળમાં બેઠેલા વડોદરા રાજ્યના રાજગવૈયા ઉસ્તાદ મૌલાબક્ષ તથા તેમના શિષ્યો બેઠા હતા, તેમાંથી ખાં સાહેબ એટલા તો ખુશ થઇ ગયા કે પોતાની બેઠક ઉપરથી ઊભા થઇ ગયા અને બોલી ઉઠ્યા,

"વાહ...વાહ માશાલ્લાહ....સુભાન અલ્લાહ, ક્યા આવાઝ પાઇ હૈ, ક્યાં રાગદારીકી રોનક!!"

આ વાત છે ઈ.સ. 1891માં શ્રી મોરબી આર્યસુબોધ નાટક મંડળીએ આ નાટક મહારાજા સયાજીરાવ થિયેટરમાં ભજવ્યું અને સુત્રધારના વેશમાં હતા સંગીતાચાર્ય શ્રી......? ચાલો, આજે પરિચય કરીયે આવી જ એક દુર્લભ માહિતી દ્વારા ગુજરાતના આ દ્રુપદ શૈલીના મહાન ગાયકનો!!

વસ્તારામ ભોજકના ત્યાં મહેસાણા પ્રાંતના વિજાપુર તાલુકાના નાનકડા ગામ સોખડામાં વિક્રમ સંવત 1920 કાર્તિક સુદી અગિયારસના દેવદિવાળીના શુભ દિવસે એક પુત્રનો જન્મ થયો. એમના મોટાભાઈનું નામ ચેલારામ, દીકરો પાંચ વર્ષનો થયો એટલે ચેલારામ એમને એમની સાથે જૂનાગઢ લઇ ગયા. ચેલારામ રાજ્યમાં નોકરીએ હતા અને આ છોકરાએ જૂનાગઢમાં પાંચ ચોપડી સુધીનો અભ્યાસ કર્યો. એ સમયે, તો બધા રજવાડા હતા.  એ સાથે મૌલવી સાહેબ પાસે ઉર્દુ અને હિન્દી પણ શીખ્યા.

ચેલારામ સંગીતજ્ઞ પણ હતા એટલે નાના ભાઈને પણ એ વિદ્યા શીખવી, કુદરતે આ છોકરાને મીઠો, મધુર કંઠ અને શીઘ્ર બુદ્ધિ પણ બક્ષી હતી એટલે ભગવતી સરસ્વતીની ઉપાસના કરી સંગીતવિદ્યામાં પણ તેઓ પારંગત થયા. આ ઉપરાંત, શ્રી આદિત્યરામજી ઘરાનાનું પખવાજ વાદન,  ગુંસાઈજીના મંદિરમાંથી દ્રુપદ અંગેના કીર્તનો અને ઉસ્તાદ ત્રિભોવનદાસ પાસેથી રાગદારીની ખાસ બંદિશની ચીજો શીખ્યા. મહાન સંગીતકારો હદુખાં અને બહરામખાં પાસેથી ગાયકીનો પણ અભ્યાસ કર્યો.

આ પ્રતિભા જૂનાગઢના નવાબસાહેબ મહોબતખાનજીથી છાની ન રહી કારણ ચેલારામ જ જૂનાગઢ રાજ્યમાં જ નોકરીએ હતા એટલે નવાબ સાહેબની મીઠી નજર એમના નાના ભાઈ પર ઉતરી અને એમને પોતાની સાથે જ  રાખ્યા. ત્યાં સુધી કે  પોતાની સાથે લઇ જતા એટલું જ નહીં પરંતુ તલવારબાજી અને બંદૂકની વિદ્યા પણ શીખવી. 

પણ આ ભાઈને હિંસા કરવી એ નહોતું. નવાબસાહેબને ના કહેવી પણ કઈ રીતે? એક વખત નવાબ સાહેબ એમને શિકારે લઇ ગયા. સામે હરણોનું ટોળું દેખાયું, નવાબસાહેબ શિકાર કરે એ પૂર્વે આ ભાઈએ હવામાં જ બંદૂકનો ધડાકો કર્યો! અને હરણાંને ભગાડી દીધા! નવાબસાહેબ રોષે ભરાયા એટલે શિક્ષામાંથી બચવા ભાઈએ નદીમાં પડતું મૂક્યું અને નદી પાર કરી જંગલમાં અદ્રશ્ય થઇ ગયા. 

એમના ચાલી જવાથી નવાબસાહેબને દુ;ખ  થયું, એમની ગાયકીના એ સૂરો એમના કાનમાં ગુંજવા લાગ્યા. અને એમાં એક પ્રસંગ એવો બન્યો કે દરબારમાં કેટલાંક બહારના નામી સંગીતકારો આવ્યા ત્યારે નવાબસાહેબને એ ભાઈની ખોટ સવિશેષ લાગી. 

"અત્યારે જો એ અહીં હાજર હોત, તો આ સંગીતકારોનો મુકાબલો કરી શકત." એમણે  અભયવચન આપીને એની શોધખોળ શરુ કરાવી તો ગિરનારની ગુફાઓમાં વસ્તી એક સાધુમંડલીમાંથી એ મળી આવ્યા. નવાબસાહેબે એમને પ્રેમથી આવકાર્યા અને પછી પેલા સંગીતકારો સમક્ષ ભાઈએ રાગદારીની એવી રંગત બે કલાક સુધી જમાવી કે બધા દંગ રહી ગયા!! 

ફરી આ ભાઈ ભાગી ના જાય એટલે નવાબસાહેબે મહેલની બરાબર બાજુમાં જ એમને રહેવાની વ્યવસ્થા કરી આપી. પરંતુ સાચો કલાકાર કદીયે પોતાની કલાને કોઈને આશ્રયે બાંધી રાખે જ નહિ. આ ભાઈને પણ પોતાની કલા ગુજરાત, સૌરાષ્ટ્રમાં ખ્યાતિ પામે એ ઈચ્છા હતી, એમની ગાયકીના સમાચાર શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળીના દિગ્દર્શક દયાશંકર વસંતજીને કાને પહોંચ્યા અને તેમણે  આ ભાઈને પોતાની સાથે કંપનીમાં જોડાવાનું નિમંત્રણ મોકલ્યું. આ મોકો ઝડપવા જેવો લાગ્યો અને નાટક એટલે દુનિયાનું દર્પણ તથા ગામે ગામ ફરવાનું, સેંકડો અને હજારોની સંખ્યામાં લોકો નાટક જુએ એટલે સહેજે સાચો કલાકાર પોતાની કલા મોટા ફલક પર દર્શાવી શકે. (હજુ એ સમયમાં ચિત્રપટનું ફલક બહુ વિકસ્યું નહોતું, એટલે આ જ એક માધ્યમ હતું પોતાની કલાના બહોળા વિસ્તાર માટે!)

પણ એક વાર તો ભાગી ગયા હતા અને હવે એમને ચોક્કસ ખાતરી હતી કે જો આ વાત તેઓ નવાબસાહેબ ને કરશે તો એ ચોક્કસ ના જ પાડશે! વળી એમનું નિવાસસ્થાન તો ગઢની ઉપર જ હતું! એટલે, એક રાત્રે અંધારપછેડાનો લાભ લઇ ગઢની રંગ ઉપરથી તેઓ કૂદીને નાસી ગયા!! કારણ કે ગઢને મુખ્ય દરવાજે તો સંત્રીઓ પહેરો ભારે છે અનેકોણ આવે છે, જાય છે એની સઘન પૂછપરછ થાય!

તો આવી રોચક માહિતીઓથી ભરેલો છે આ કલાકારનો જીવન પ્રવાસ!! કોણ હતું આ? અને કઈ રીતે તેઓ ગુજરાતમાં એ સમયમાં  રંગભૂમિમાં સંગીતની દુનિયામાં અને ખાસ કરીને દ્રુપદ શૈલીના મહાન ગાયક તરીકે પ્રસિદ્ધ થઇ ગયા? એ બધું લઈને હું આપ સૌને મળીશ  આવતા શુક્રવારે, ત્યાં સુધી અલ્પવિરામ!

-- ડો. કાર્તિક શાહ


Thursday, March 7, 2019

આ હતા સાબરકાંઠાના કર્તવ્ય નિષ્ઠ કવિ....

મારે તે ગામડે  એક   વાર  આવજો
હે આવો ત્યારે મને સંદેશો કહાવજો

આપણે ગયા શુક્રવારે જોયું કે ગુજરાતનાં જ સાબરકાંઠાના એક ગામમાં જન્મેલા આ કવિ બહુમુખી પ્રતિભા હોવા છતાં, આપ નહીં માની શકો કે નિરાભિમાની અને પ્રસિદ્ધિથી સદાયે દૂર રહ્યા! પછીથી ૨૭ જેટલા નાટકો લખ્યા, ૨૧ ચલચિત્રો અને લગભગ અધધધ ૩૦૦૦ જેટલા ગીતો પણ લખ્યા છે!! અને એમાંથી ઘણાં બધાં ગીતો તો ગ્રામોફોન રેકર્ડ રુપે પણ બહાર પડ્યા છે.

તેઓ મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં 35 રૂપિયા પગારે રહ્યા અને આ જ કંપનીમાં પંડિત વાડીલાલ પાસે તેઓએ સંગીતનું જ્ઞાન મેળવ્યું. અને જયશંકરભાઈ પાસેથી એમને શબ્દ, સૂર, અને ભાવની જાણકારી મળી. એ પછી તેઓ જયારે જયારે ગીતો લખતા ત્યારે પ્રસંગ અને ગીતમાં રહેલા કાવ્યત્વને અનુરૂપ કયા રાગો અથવા હાળ લેવા તેનું સૂચન પણ સંગીત નિયોજકને કરી શકતા જે શક્તિ ઘણાં કવિઓમાં હોતી નથી!

એમનો સાહિત્ય પ્રેમ એક આ પ્રસંગ પરથી નીરખીએ:

પ્રાગજીભાઈ ડોસા એ સમયે "ગુજરાતી નાટ્ય માસિક"ના તંત્રી હતા. એકવાર આ કવિશ્રી એમના કાર્યાલયમાં આવ્યા. ભારત નાટ્ય સમાજે એમનું એક નાટક "આવતીકાલ" પસંદ કર્યું હતું. અને તે ભાંગવાડી પ્રિન્સેસ થિયેટરમાં રજુ થવાનું હતું તેનું આમંત્રણ આપવા કવિશ્રી પધારેલા! વાતે વળગ્યા  બાદ પ્રાગજીભાઈએ "ગુજરાતી નાટ્ય" માટે ગીતો લખી આપવા વિનંતી કરી અને આગળથી પુરસ્કાર પણ આપ્યો! 

અને સહજ જ પૂછ્યું, "કવિ, તમારા ગૃહસંસાર વિષે જાણવું છે."

કવિએ ટૂંકમાં પરિચય આપ્યો, "પ્રાગજીભાઈ, સરસ્વતી મારી માતા, રંગભૂમિના કસબીઓ એ મારા ભાઈ-બહેન અને કલ્પના એ મારી વહુ, એને તો હું જોડે લઈને જ ફરું છું!"

આવો જ એક અન્ય પ્રસંગ પણ તમને કહી દઉં! 
એક દિવસ સંગીત મહામહોદય પંડિત શ્રી ઓમકારનાથ ઠાકુરના હાથમાં નાટ્યકાર નંદલાલ નકુભાઇ શાહ કૃત નાટક "માયા અને મમતા"ની ઓપેરાબુક આવી. તેમણે એક ગીત વાંચ્યું:

"વિષ પણ અમૃત બની શકે છે
શ્યામ હૃદયમાં હોય તો..."

આખું ગીત તેઓ વાંચી ગયા અને પછી આવી છેલ્લી પંક્તિ:

"મન મારુતિ લંકા બાળે,
રામ હૃદયમાં હોય તો..."

વાંચતા જ પંડિતજીના મુખમાંથી "વાહ કવિ વાહ"ના ઉદ્ગાર સરી પડ્યા. આ ઉપરાંત પંડિતજી એટલે નાયક નાયિકા ભેદના પ્રખર જ્ઞાતા, એમણે  બીજી પણ પંક્તિઓ વાંચી.

અભિસાર અભિનવ અંગ ધરી રસિકા રસપંથ જવા નિસરી,
ગતિ ચંચળ છે, મન વિહ્વળ છે, રસધ્યાનમાં ભાન ગઈ વિસરી.

અને પંડિતજીએ કહ્યું, "આ કોણ કવિ છે? મારે મળવું છે. તેઓ ભારતનાટ્યશાસ્ત્રના અને કાવ્ય તત્વના પ્રખર જ્ઞાતા લાગે છે. કલ્પના અને શબ્દ લાલિત્ય એમને સહજ સાધ્ય છે!"

આ વાતની જ્યારે કવિને જાણ થઇ ત્યારે એમનું હૃદય પુલકિત થઇ ઉઠ્યું! કવિની ષષ્ટિપૂર્તિ તા. 05.01.1966ના રોજ મુંબઈમાં બિરલા માતુશ્રી સભાગૃહમાં ઉજવાઈ રહી હતી. સમારંભમાં ગુજરાતી સાહિત્યના તત્કાલીન દિગ્ગજો સ્ટેજ ઉપર અને સભાખંડમાં બિરાજમાન હતા. ત્યાં જ ગુજરાતી ફિલ્મ જગતના નામાંકિત નિર્માત-દિગ્દર્શક શ્રી જે.બી.એચ.વાડિયા હાજર હતા. જેઓએ પોતે આ કવિના નાટક "ચૂંદડી"માં અભિનય કર્યો હતો. એ નાટક પણ આ સમારંભમાં ભજવાયુ! અને વક્તાઓમાંથી શ્રી સૂર્યકાન્ત સાંઘાણીએ એક વાત કહી,
"કવિશ્રીના ગીતો એ ગુજરાતનો અમૂલ્ય વારસો છે. અને આ ગીતો ગ્રંથસ્થ થવા જોઈએ, એમના ગીતો એ લોક-ગીતો બની ગામડે ગામડે પણ ગવાય છે!!" 
ઉપર જણાવ્યું એમ નાટક, ગીતો, કવિતા, ચલચિત્રોમાં દ્રશ્યો લખવા ઉપરાંત અનેક નાટકોમાં કથાવસ્તુની બાંધણી અને એની રજુઆતમાં કિંમતી સલાહ-સૂચનો પણ તેઓ આપતા! નાટ્ય જગતમાં બધા જ જાણે છે કે  નાટ્યકાર ચીમનલાલ ત્રિવેદીએ "મંગળફેરા" નાટક લખ્યું તેના પ્રહસન વિભાગમાં આ કવિનું પાત્ર સર્જ્યું અને જે પાત્ર હિન્દી ફિલ્મના  મિમિક્રી આર્ટિસ્ટ દિનેશ હિંગુએ એમની આબાદ નકલ કરીને નિભાવ્યું! (શરાબીનું પાત્ર હતું!)

તા. 03.07.1969ના રોજ અહમદનગરમાં એકદરા ગામે એમને દેહ છોડ્યો. મૃત્યુનો એમને કયારેય ભય રહ્યો નહોતો! એમના જ શબ્દોમાં, 

સામે  પૂરે  તરનારાંને  ડૂબવાનો  ડર હોય નહિ,
મરીમરીને જીવનારાંને મરવાનો ડર  હોય નહિ!

અને  છેલ્લે,

ગુજરાતી રંગભૂમિ માટે તેઓ લખી ગયા છે કે, 
"મારા 48 વર્ષના ગુજરાતી રંગભૂમિના સંપર્કમાં મેં જે કંઈ જોયું અને જાણ્યું તે એ છે કે ભૂતકાળની ભવ્યતાઓને ભૂલી, આજની અનેક અગવડતાઓને વહાવી રંગભૂમિની આવતીકાલને ઉજ્જવળ બનાવવા કઠિન સાધના, કર્તવ્ય નિષ્ઠા અને સંગઠનની જરૂર પડશે!"

એમના રચિત ગીતો ગુજરાતી ચલચિત્રોમાં પ્રખ્યાત રહ્યા હતા, રાણકદેવી (1946), ભક્ત કે ભગવાન (1947 હિન્દી ), બહારવટિયો (1947), ભાઈ-બહેન (1948), સાવકી મા (1948), ગુણિયલ ગુજરાતણ (1949), ચૂડીચાંદલો (1950), જવાબદારી (1950) વિગેરે વિગેરે.

વર્ષો અગાઉ કહેલી આ વાત આજે પણ એટલી જ સૂચક છે. આ કર્તવ્ય નિષ્ઠ કવિ હતા, "કવિ શ્રી મનસ્વી પ્રાંતીજવાળા"!

-- ડો. કાર્તિક શાહ 


Thursday, February 28, 2019

કોણ હતા ગુજરાતી ભાષાના આ લબ્ધપ્રતિષ્ઠ કવિ?


અમદાવાદ પાસે સાબરકાંઠામાં એક ગામ આવેલું હતું જે અત્યારે તો તાલુકો છે,  આ ગામે ભીખાભાઇ જોશીને ઘરે ૧૯૦૪માં એક બાળકનો જન્મ થયો. માતાજીનું નામ હતું પ્રસન્નબેન. બાળકનું નામ હતું ચીમન. મોટા થયા એટલે ચીમનલાલ થયાં!!

પણ બાળપણથી જ ધુની સ્વભાવ. નિશાળે જાય તો બીજા બધા પાઠો કરતાં કવિતાઓમાં જ વધુ રસ પડે. આમ એક દિવસ એક કવિતા પાઠ કરવા માટે આપવામાં આવી:

"માને દેખી બહુ હરખાઉં, દોડી દોડી સામે જાઉં!"

આ કવિતા પાઠ કરતી વખતે તેઓ હર્ષઘેલા થઈ ગયા. સીધા સરળ શબ્દોમાં પણ કવિએ માતૃત્વનું કેવું ઉત્કૃષ્ટ દર્શન કરાવ્યું છે અને માતૃભક્તિ એ બાળકના હૃદયમાં સ્થાન પામી. જ્યારે જ્યારે પણ માતાની સેવા કરવાના પ્રસંગો આવ્યા ત્યારે મુંબઈથી પણ તેઓ પોતાના વતન પહોંચી જતા અને માતા વૃદ્ધ થતાં બીમાર થયા ત્યારે ખડે પગે અને અખંડ રાતોના રાત ઉજાગરા કરી માતૃસેવામાં લાગી ગયાં!

પરંતુ ખાસ વાત એ હતી કે આ કવિતાનો પાઠ કરતા કરતા એમના બાલમાનસમાં એક બીજ રોપાયું અને પછી આગળ જતાં અંકુર પણ ફૂટ્યો કે, "લાવ, હું પણ કવિતા કરું!"

તેઓ જ્યારે જ્યારે મંદિરમાં જતા ત્યારે ભજન કીર્તનમાં કલાકોના કલાક સુધી બેસી રહે. ડાયરાઓમાં પણ એમની અચૂક હાજરી રહેતી. પાછળથી તેઓ જ્યારે મુંબઇ આવ્યા ત્યારે ૧૯૨૮માં કોરોનેશન થિયેટરમાં મુંબઇ ગુજરાતી નાટક મંડળી કાર્યરત હતી. અને નાટકોના પ્રયોગો થતાં રહેતા. એ સમયે એક નાટક પ્રચલિત થયું હતું, નામ અત્યારે કહેતો નથી. પણ, એમાં અમુક અમુક હાસ્ય પ્રસંગો આવતા હતા જેમાં નવા ગીતો મુકવાની જરૂર મંડળીના બાપુલાલ નાયકને લાગી. આ બાપુલાલ નાયક પણ એક અલગારી મુઠ્ઠી ઉંચેરા કલાકાર હતા, પણ એમના વિષે હું આપ સૌને ફરી ક્યારેક કહીશ!! 

રાતના નવ વાગ્યા હતા. એ સમયે બાપુલાલ અને એ નાટકના સંગીત નિયોજક પંડિત વાડીલાલ નાયક ચર્ચા કરી રહ્યા હતા. અને શબ્દો મઢી રહ્યા હતા ત્યાં જ એમને કાને કંઈક આવા શબ્દો પડ્યા:

"છે  કુમુદ  સરવર જળે  ને  ચંદ્ર  છે  આકાશમાં
છે લાખ જોજન દૂર પણ બંધાય પ્રીતિ પાશમાં!"


એવું નહોતું કે કોઈ એમને કહી રહ્યું હતું અથવા તો એમની ચર્ચા સાંભળી એમને સલાહ આપવા કે ધ્યાન દોરવા ગણગણી રહ્યું હતું. તો શું હતું આ?

બાપુલાલે એક નજર નાખી. જોયું કે, એક યુવાન મસ્ત રીતે આકાશમાં ચંદ્રને નિરખતો આ પંક્તિઓ બોલી રહ્યો હતો. બાપુલાલને એના શબ્દોમાં રસ પડ્યો. અને એને બોલાવ્યો.

પરંતુ એ તો પોતાની મસ્તીમાં જ મસ્ત હતો, નિજાનંદમાં હતો. 
અને બાપુલાલ પોતે બબડયા આવું તે કંઈ હૉતું હશે, કોઈ પાગલ, મોજીલો અને મનસ્વી વિચારસરણીનો માણસ લાગે છે આ તો! આપણે બોલાવીએ અને ધ્યાન પણ ના આપે? આ કેવું? અને ખરેખર, એવું જ હતું...એ યુવાનનું કોઈ જ ધ્યાન આ બાપુલાલ પર નહોતું!!


પછીથી આ યુવાનને મનાવી આ મુંબઇ ગુજરાતી નાટક મંડળીમાં માસિક ૩૫ રૂપિયાના પગારે નિયુક્ત કર્યા. અને આપણે ઉપર જે નાટકની વાત કરી એ જ નાટકમાં નવા ગીતો લખી આપ્યા અને હાસ્ય પ્રસંગોમાં થોડાં ફેરફાર કરવાના સૂચનો પણ આપ્યાં!! એ નાટક હતું "કાશ્મીરનું પ્રભાત"! ત્યાર બાદ એક બીજું નાટક આવ્યું "અપ-ટુ-ડેટ મવાલી", જેમાં દ્રશ્યો લખ્યા અને ગીતો પણ લખ્યા. આ જ નાટક ફરીથી "કિમીયાગર"ના નામે આવ્યું અને ખૂબ જ સફળ રહ્યું જેના માટે એમને વધારાનો પુરસ્કાર પણ મળ્યો!

આપ નહીં માની શકો કે નિરાભિમાની અને પ્રસિદ્ધિથી સદાયે દૂર રહેનારા આ યુવાને પછીથી ૨૭ જેટલા નાટકો લખ્યા, ૨૧ ચલચિત્રો અને લગભગ અધધધ ૩૦૦૦ જેટલા ગીતો પણ લખ્યા છે!! અને એમાંથી ઘણાં બધાં ગીતો તો ગ્રામોફોન રેકર્ડ રુપે પણ બહાર પડ્યા...આપને વિશ્વાસ તો હશે જ કે એ મારી પાસે મળી રહેશે!!

કોણ હતા ગુજરાતી ભાષાના આ મહાન અને લબ્ધપ્રતિષ્ઠ કવિ? વાચકમિત્રોને વિનંતી કે સચોટ અનુમાન કરે...વધુ આવતા અંકે! અહીં જ મળશું શબ્દ-સંપુટમાં!

― ડો. કાર્તિક શાહ

Wednesday, February 20, 2019

વિદ્યા વિનયેન શોભતે


આ ત્યારની વાત છે જયારે આપણા દેશમાં અંગ્રેજી હુકુમતના ડંકા વાગતા હતા. અને પાછું આ એ શહેરની વાત છે જે વસ્તીની દ્રષ્ટિએ ભારત દેશમાં પ્રથમ સ્થાન ભોગવે છે. અને બીજી એક રીતે કહું તો આ એ વ્યકતિની વાત છે જે આ શહેરની ત્યારની હાઇકોર્ટના વડા ન્યાયાધીશ હતા અને સાથે સાથે ત્યાંના વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ પણ હતા.

નોંધી રાખવા જેવી એક વાત છે કે, એ જમાનામાં એવો હોદ્દો અંગ્રેજ સિવાય બીજા કોઈને જવલ્લે જ મળતો. અને એવા ગણ્યાગાંઠ્યા ભાગ્યશાળી જીવોમાંના આ ભાઈ એક હતા. એ પણ ભૂલવા જેવી વાત નથી, કે આજના જેવી લાગવગશાહીને ત્યાં જરાય સ્થાન નહોતું. કેવળ લાયકાતને જ લક્ષમાં લેવાતી હતી.

સવારના અગિયાર વાગ્યાનો સુમાર હતો. કલકત્તાની હાઇકોર્ટનો એક ભવ્ય ખંડ હતો. વાદી, પ્રતિવાદી, વકીલો તથા પ્રેક્ષકોથી આખોય હોલ ચિક્કાર ભરાઈ ગયો હતો. અગત્યનો કેસ આજે ચાલવાનો હતો. આપણે જે ઉપર વાત  કરી એ ન્યાયાધીશ પણ સમયસર આવીને આસનપર બિરાજ્યા હતા.

વકીલ મહાશય ટેબલ પર હાથ ઠોકીઠોકીને પોતાની વાત ન્યાયાધીશના મગજમાં ઠસાવવા જોરદાર પ્રયાસ કરી રહ્યા હતા. પોતાના પેટનું પાણીય ન હાલતું હોય એવી અદાથી સૌ ઠંડે કલેજે, ન્યાયાધીશ મહાશય મુદ્દાઓની નોંધ લઇ રહ્યા હતા. 

ત્યાં જ એક નવાઈની વાત બની. 

ટાંકણી પડે તો પણ અવાજ થાય એવી નીરવ શાંતિનો અચાનક ભંગ થયો. વધુ તપાસ કરતા માલુમ થયું કે, ખંડના પ્રવેષદ્વાર આગળ કો'ક ડોસી આવી ચડી હતી. તેનો પહેરવેશ અને દેખાવ નવાઈ પમાડે તેવો હતો. વાત એમ હતી કે આ ડોસીમાં ગંગાજીમાં સ્નાન કરીને સીધા અહીં આવ્યા હતા. કપડાં પણ ભીના જ હતા!!

બોલવાચાળવાની રીતભાત પણ સૌ ગાંડીઘેલી હતી. આવીને તેમણે દ્વારપાલને કહ્યું, "મારે સાહેબને મળવું છે!" દ્વારપાલને થયું કે આ ડોસીની ડાગળી ચસ્કી ગઈ લાગે છે. એટલે તેણે પ્રથમ તો એને કોઈ જ દાદ ન આપી. પરંતુ ડોસીમાં એમ કંઈ પાછા જાય એવા નહોતા!

એમણે આજે અને અત્યારે જ સાહેબને મળવાની હાથ પકડી! એમાં ને એમાં, બંનેની રક્ઝક ધાર્યા કરતા વધુ ઉગ્ર અને લાંબી ચાલી.ડોસી અંદર જવા માથે અને પેલો બહાર ધકેલે.
પરિણામ એ આવ્યું કે બધાનું ધ્યાન પણ ત્યાં દોરાયું. આથી સ્વાભાવિક રીતે જ, ન્યાયાધીશનુ ધ્યાન પણ ત્યાં ખેંચાયું।

ન્યાયાધીશે તપાસ કરાવી ત્યારે વાતનો ખરો મુદ્દો જાણવા મળ્યો. તેઓ હોંશિયાર હતા અને સાથે સાથે એટલા જ સરળ પણ! તેમણે અનુમાન કર્યું કે વાતમાં કંઈક તો રહસ્ય લાગે છે. એટલે, ખુરશી પરથી ઉભા થઈને તેઓ જાતે બહાર આવ્યા.

"સાહેબ"ને જોતા જ અન્ય કર્મચારીઓ, દરવાન અને દ્વારપાલે સલામ ભરી રસ્તો કરી આપ્યો. પણ ત્યાં જ સુણ આશ્ચર્યની અવધિ આવી પહોંચી!! 

ન્યાયાધીશ જેવા ન્યાયાધીશ તદ્દન અભણ અને અવિવેકી ડોસીના પગમાં પડી ગયા. ન્યાયાધીશને પગ પાસેથી ઉઠાડી, છાતી સરસો ચાંપી, માથે મીઠો હાથ મૂકી, ડોશીમાએ ઓવારણાં લીધા અને કહ્યું, "સો વરસનો થાજે, દીકરા!" હર્ષાવેશમાં બીજું કંશુ તેઓ બોલી શક્યા નહીં. જે કંઈ કહેવા જેવું હતું તે બધું જે એમના સજળ નયનો અને અશ્રુધારાઓ બોલી રહી હતી. જીભને બદલે હૃદય બોલી રહ્યું હતું.

સૌના કુતૂહલનો પાર  ન રહ્યો. સૌનાં  મનમાં પ્રશ્ન થયો કે, ખુદ સરકારને પણ નમતું ન જોખનાર આ "સાહેબ" આ ગાંડીઘેલી ડોસીના પગમાં કેમ પડ્યા?



નિકટના બે-ત્રણ મિત્રોએ તો સાહેબને સીધો જ આ પ્રશ્ન પૂછી જ નાખ્યો!

સાહેબે ગદગદ કંઠે ખુબખુબ કૃતજ્ઞભાવે કહ્યું, "ભાઈઓ, આ માજી અમારે ત્યાં આયા તરીકે કામ કરતા હતા. પરંતુ તેમની મારા પ્રત્યેની એટલી મમતા હતી કે અમે તેમને કુટુંબના વડીલ સભ્ય તરીકે જ ગણતા! તેમના વિના મને અને મારા વિના એમને ચેન પડતું નહિ. દૂધ પાઈને એમણે જ મને નાનાથી મોટો કર્યો છે. એમાં ખોળામાં હું મન મૂકીને ખેલ્યો છું. ઘણા વર્ષોથી તે વતનમાં ગયા હતા. આજે તેમના દર્શન કરીને કૃતાર્થ થયો. આજે હું આ સ્થાન શોભાવી રહ્યો છું એ પણ તેમના સંસ્કારનો જ પ્રતાપ છે. એમાં જેટલા ગુણ ગાઉ તેટલા ઓછા છે!"

એટલું કહીને તેમણે કેસ મુલ્તવી રાખ્યો અને ડોસીમાને ઘેર તેડી ગયા. એક સામાન્ય આયામ પણ માતૃભાવના કરી બહુમાન કારના આ વ્યક્તિ, પોતાની સગી માતાનું કેટલું સન્માન કરતા હશે એની કલ્પના આ પ્રસંગ પરથી આવી શકે છે. 

"વિદ્યા વિનયેન શોભતે" એ આનું જ નામ!

આ મહાપુરુષનું નામ હતું "સર  ગુરુદાસ બંદોપાધ્યાય"  અને કલકત્તા નગરીની આ ગાથા છે.

-- ડો. કાર્તિક શાહ

Tuesday, February 19, 2019

વાતચીત "એક કળા"


29.01.1860 - 15.07.1904

રશિયાના વિખ્યાત નવલિકા અને લઘુવાર્તા લેખક એન્ટન ચેખોવને મળવા માટે ત્રણ સ્ત્રીઓ આવી આ સ્ત્રીઓએ વિચાર્યું હતું કે આવા મહાન સર્જકને મળીએ છીએ તો એમની સાથે વાતો પણ કંઈ સામાન્ય ન જ થાય. આથી ત્રણેયે કોઈ ગંભીર પ્રશ્ન વિષે એમની સાથે વાર્તાલાપ કરવાનું નક્કી કર્યું. એ સમયે ગ્રીસ અને તુર્કસ્તાન વચ્ચે યુદ્ધ ચાલતું હતું.

એક મહિલાએ આ ગંભીર પ્રશ્નને પ્રસ્તુત કરતા કહ્યું, "ગ્રીસ અને તુર્કસ્તાનના યુદ્ધની બાબતમાં આપણું શું મંતવ્ય છે?"
એન્ટન ચેખોવે કહ્યું, "મારી ધારણા મુજબ આ યુદ્ધનો અંત શાંતિમાં આવશે!"

બીજી મહિલાએ પ્રશ્ન કર્યો, "આ યુદ્ધમાં કોની જીત થાય એમ તમને લાગે છે? ગ્રીસની કે તુર્કસ્તાનની?"

એન્ટન ચેખોવે કહ્યું, "મારી ધારણા પ્રમાણે તો જે વધુ શક્તિશાળી હશે, તે વિજયી બનશે!"

ત્રીજી મહિલાએ પૂછ્યું, "તમારી દ્રષ્ટિએ કોણ વધુ શક્તિશાળી છે?"

ચેખોવે કહ્યું, "એ જ સહુથી શક્તિશાળી છે, જે પુરુષાર્થયુક્ત અને શિક્ષિત છે!'

આવા જવાબોથી હતપ્રભ થઈને હવે શું પૂછવું અને શું વાત કરવી એની દ્વિધા સાથે ત્રણે મહિલાઓએ એકસાથે સીધેસીધું એમ જ પૂછ્યું, "એટલે કે, ગ્રીસ અને તુર્કસ્તાનમાં તમને કોણ વધુ પસંદ છે?"

એન્ટન ચેખોવે હવે સ્મિત આપ્યું અને કહ્યું, "મને તો અમુક પ્રકારનો ખીરો વધુ ભાવે છે. તમને કઈ ચટણી વધુ પસંદ છે?"

અને આખીય ચર્ચા યુદ્ધના બદલે ખીરા-ચટણી પર આવીને અટકી ગઈ. એ પછીના વાર્તાલાપમાં એ મહિલાઓએ ઘણી હળવાશનો અનુભવ કર્યો!

એ સ્ત્રીઓ ગઈ ત્યારે એન્ટન ચેખોવે મનોમન કહ્યું, "આપણે જે રીતે વાત કરવા ટેવાયેલા હોઈએ એ જ પોતીકી ભાષા અને શૈલીમાં વાત કરવી જોઈએ ! ખોટો દંભ અને વાણીચાતુર્યનો દેખાડો કરવાનો કોઈ સાર હોતો નથી!"

-- ડો. કાર્તિક શાહ 

Thursday, February 7, 2019

જાતમહેનતથી આગળ આવેલા મહામાનવો


ગતાંકથી શરૂ...

લક્ષ્મણરાવ કિર્લોસ્કર, શાંતનુ કિર્લોસ્કર અને તેમનું સાહિત્ય ક્ષેત્રે અને ટેકનોલોજી ક્ષેત્રે કેવું અજોડ પ્રદાન રહ્યું એ આપણે ગયા અંકમાં જોયું. ભારતમાં વિજ્ઞાન ક્ષેત્રે એવી કેટલીય ચીજ છે જે પહેલવહેલી કિર્લોસ્કર લઈને આવ્યું! હવે આગળ.......

આ રીતે ઈ.સ. 1930 સુધી કિર્લોસ્કર ઉદ્યોગો વિકસતા રહ્યા. પછીથી વિશ્વવ્યાપી મંદીના એંધાણ વર્તાઈ રહ્યા હતા. પ્રત્યેક ઉદ્યોગો માટે નાણાભીડ અને નવા કામની અછત શરુ થવા લાગી. કિર્લોસ્કરને કદાચ થોડી વધારે કારણકે, એનો મુખ્ય ગ્રાહક ગ્રામ્ય હતો. અને બીજા ઉદ્યોગોના ધંધાઓ શહેરને અનુલક્ષીને વિસ્તર્યા હતા. એટલે પૈસાની અછત સૌ પ્રથમ ગ્રામ્ય વિસ્તારના ધંધાની ડિમાન્ડને ભરખી ગઈ. 

સૌ પ્રથમ હળ બનાવવાનું બંધ કરવું પડ્યું, શેરડી પીલવાના યંત્રો પણ બંધ કર્યા. ઓર્ડર વિના કારખાના પણ બંધ રહ્યા, આ સિચ્યુએશનનો રસ્તો કાઢવો પડે એમ જ હતો. નવા ઉકેલોની શોધ કર્યા વિના છૂટકો નહોતો. એટલે કિર્લોસ્કરએ નવા ઉત્પાદનોનું સંશોધન કર્યું અને બજારમાં મુકવાના ચાલુ કર્યા!

હવે તેમણે ડ્રિલિંગ મશીનો બનાવવા માંડ્યા! સાથે સાથે લેથ મશીન અને ગેસ પ્લાન્ટનું પણ ઉત્પાદન શરુ કર્યું. ભારતમાં બનેલું સૌ પ્રથમ લેથ મશીન બજારમાં મૂક્યું! આ બધું હવે તેઓએ શહેરી ધંધાને લક્ષમાં રાખી કર્યું. બીજી બાજુ લોખંડમાંથી ટેબલ, ખુરશી, ખાટલા વગેરે ફર્નિચર બજારમાં મુક્યા. આ પ્રકારના સ્ટીલના ફર્નિચર ભારતમાં સૌ પહેલી વાર તેઓએ બનાવીને બજારમાં મુક્યા હતા!!

અલબત્ત, આ અગાઉ પોતાના હળ અને શેરડી પીલવાના મશીન વેચવા માટે પોતાનાથી થઇ શકે એટલા મરણિયા પ્રયત્નો કર્યા હતા. મંદીની સામે સરળતાથી એમણે હાર સ્વીકારી નહોતી! પોતાનો માલ વેચવા શાંતનુ કિર્લોસ્કર (લક્ષ્મણરાવનો દીકરો) અને મેનેજર છેવાડાના ગામ સુધી જાતે ખેડૂતોની વચ્ચે જતા. ત્યાં પોતાના માલ અંગેની રજૂઆત કરે, ત્યાં જ એમની જોડે રહે, ખાય-પીએ અને એમની જોડે એકરસ થઇ જાય. કોઈ પણ પ્રકારનો છોછ ન અનુભવે. વળી એ જમાનામાં આવી ગામડાગામની મુસાફરી કરવી એ અત્યારના સમય જેવી સુલભ નહોતી, ખુબ જ ત્રાસદાયક હતી. પાછું, મંદીને લીધે એકએક  પૈસો જોખી-જોખીને વાપરવો પડે એમ હતો. 

એ વરસો દરમ્યાન કિરલોસ્કરે ગ્રાહકોમાં વધુ વિશ્વાસ પેદા કરવા ભાતભાતની રીતરસમનો પ્રયોગ કરેલો! એમાંથી એક તો ભારતમાં સફળ રીતે કેટલીય કંપનીઓ દ્વારા સ્વીકારાઈ અને હાલ પણ ચાલુ છે!! જેના પ્રણેતા તરીકે એમને જ મૂકી શકાય! શું હતું એ ? ચાલો જાણીએ...

એ હતી "વેચાણ પછી સેવા"ની નવી જ રીત એટલે કે - "AFTER SALES SERVICE !" કિર્લોસ્કરએ જ માલ વેચવા સારું "વેચાણ પછી પણ સેવા"ની સ્કીમ બજારમાં મુકેલી!! શાંતનુનું માનવું હતું કે, માલ વેચ્યા બાદ વેચનાર-ખરીદનારનો નાતો તૂટી જતો નથી પણ કાયમ બની રહે છે. માલ વેચાય પછી ગ્રાહકને પોતાના ઉત્પાદન માટે ફરિયાદ કરવાનું કારણ ન રહે એ માટે અમુક સમય સુધી જવાબદારી કિર્લોસ્કરે ઉપાડી લીધી! એક ખાસ પ્રસંગમાં રાજ્યસરકાર તરફથી તેમને 2000 ક્રશરનો ઓર્ડર મળે એમ હતો, પણ તે સાથે તેના અધિકારીએ એક બહુ જ કડક અને વિચિત્ર શરત મૂકી: "કે, જો કોઈ પણ ક્રશર બગડે તો તેની મફત મરામત કરી આપવાની! અને તે પણ માત્ર છ મહિના નહિ, પણ પુરા છ વર્ષ સુધી!"  એ જમાનામાં તો શું આવી શરત આ જમાનામાં પણ કોઈ સ્વીકારતું નથી. કોઈ જવાબદાર ઉત્પાદક આ શરત સ્વીકારે નહિ. પણ શાંતનુએ આ શરત સ્વીકારી કેમ કે તેને પોતાના માલ પર પૂરો ભરોસો હતો. અને આ ઓર્ડર હેમખેમ પાર પણ પાડ્યો!!

વૈશ્વિક મંદી બેસી એ પહેલાં બેંગ્લોરમાં એક ઔદ્યોગિક પ્રદર્શનમાં કિર્લોસ્કરને પોતાની પ્રોડક્ટની રજૂઆત માટે ઇનામો મળ્યા હતા. આ તકનો લાભ લઇ એ સમયે કિર્લોસ્કરે કંપનીના વિઝન, ઇતિહાસ, ભવિષ્યની યોજનાઓ અને ઉત્પાદનોને લગતી એક શોર્ટ ફિલ્મ સૌને બતાવી હતી. આ પ્રદર્શનમાં મૈસોરના દીવાન પણ હાજર હતા. ફિલ્મથી પ્રભાવિત થઈ તેઓએ કિર્લોસ્કરને મૈસોર આવી ઉદ્યોગ સ્થાપવાનું આમંત્રણ આપ્યું. 

આ સગવડનો લાભ લેવા એક નવી કંપની સ્થપાઈ, "કિર્લોસ્કર મૈસોર લિમિટેડ"! કંપની ભલે બની ગઈ, પણ મંદી વિશ્વને ઘેરી વળી હતી, મૂડીનો પણ અભાવ હતો, એટલે નવી કંપની માટે સાનુકૂળ સંજોગો નહોતા! અને આ મંદીનો કાળ પણ દીર્ઘ હતો. 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. આ લડાઈના સંજોગોને લીધે લગભગ તમામ ચીજવસ્તુઓની માંગ વધવા માંડી. હોસ્પિટલ ફર્નિચર તેમ જ પમ્પના ઓર્ડર પર ઓર્ડર નીકળવા લાગ્યા. કિર્લોસ્કરવાડી પણ નાની પડવા લાગી. અને હવે નવા કોઈ એકમને અમલમાં મુકવાનો સમય આવી ગયો હતો. એટલે, 1941માં કિર્લોસ્કર મૈસોર લિમિટેડ સક્રિય બની. મૈસોર રાજ્યના હરિહર ગામે કારખાનું નાખવામાં આવ્યું જ્યાં મશીન ટૂલ્સનું ઉત્પાદન શરૂ થયું. એ સિવાય પણ અન્ય ત્રણ ચાર લાઈનો ઉમેરવામાં આવી. 

1945માં વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાં સુધીમાં કિર્લોસ્કર કંપનીઓ આર્થિક રીતે સદ્ધર થઈ ચૂકી હતી. હવે, આગળ ધંધાના વિકાસ માટે જ વિચાર અને સંશોધન કરવાના હતા. આ માટે જે દિશામાં વધુ માંગ નીકળવાની સંભાવના હોય એ દિશામાં આગળ વધવું હિતાવહ હતું. આ વિચારથી નવા બે સાહસો તેઓએ શરૂ કર્યા: "૧. કિર્લોસ્કર ઇલેક્ટ્રિક કંપની અને ૨. કિર્લોસ્કર ઓઇલ એન્જીન્સ."

અત્યાર સુધી જે મશીનો વપરાતા એમાં મુખ્યત્વે કોલસો વપરાતો. પણ હવે વીજળીનો ઉપયોગ બહોળો થવાનો છે એ અંદાજ કિર્લોસ્કરને આવી ગયો હતો અને એથી જ એ વપરાશને અનુરૂપ ટ્રાન્સફોર્મર, ઇલેક્ટ્રિક મોટર, જનરેટર વગેરેનું ઉત્પાદન જોરશોરથી શરૂ કર્યું. જોડે જોડે રેલવે વર્કશોપ, કાપડની મિલો, નહેરકામ વગેરેમાં ઉપયોગી થાય તેવી ચીજોનું ઉત્પાદન શરૂ કર્યું. અહીં તેઓએ બ્રિટનની  "બુશ ઇલેક્ટ્રિક કંપની"નો ટેક્નિકલ સહયોગ લીધો હતો. પછી તો તેઓએ આજદિન સુધી પાછું વળીને જોયું નથી! એક ક્ષુદ્ર પાયાથી શરૂ થયેલી આ ઉદ્યોગ યાત્રા એક મસમોટું સામ્રાજ્ય અને ટીમ બનાવી ચુકી છે. 

એક વિચાર:

કોઈ માણસ સફળ થશે કે નહીં એ કઈ રીતે ખબર પડે? એટલે કે એની આગાહી કઈ રીતે થઈ શકે? એ માટે, એક ચિંતકે સરસ વાત કહી છે, "એ વ્યક્તિ પોતાનો ફુરસદનો સમય કઇ રીતે પસાર કરે છે એનું નિરીક્ષણ કરો! એ ઉપરથી તાગ મળી જ જશે!"

લક્ષ્મણરાવ વી.જે.ટી.આઈ.માં નોકરી કરતા હતા ત્યારે નોકરી સિવાયનો સમય સંસ્થાની વર્કશોપમાં ગાળતા. યંત્રોમાં પહેલેથી જ દિલચસ્પી એટલે પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ થતી રહે એ માટે પરદેશના સામયિકોના લવાજમ ભરી દીધેલા. ટૂંકી આવક હોવા છતાં એ ટેક્નિકલ મેગેઝીનો અને પુસ્તકો ખરીદતા અને પોતાનો શોખ અને ફાજલ સમય, જ્ઞાનવૃધ્ધિ થાય એવા વાંચનમાં પસાર કરતા. 

તેઓ ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા, વિદ્યાર્થીકાળમાં ભલે શહેરમાં રહ્યા હતા પણ તેમના મૂળભૂત સંસ્કાર ટકી રહેલા. એથીજ એમને શહેર વિસ્તાર માટે કંઈક બનાવાનું સુઝે એ પહેલાં ગ્રામ્ય વિસ્તાર તરફ આકર્ષણ થયું. જ્યાં કોઈ જ બજારની સંભાવના નહોતી એ ખેડૂત સમાજને ઉપયોગી સાધનો બનાવવા માંડ્યા! પોતાના ઉત્પાદનની ક્વોલિટીમાં ક્યારેય બાંધછોડ ન કરી. તેઓ પ્રતિકૂળ સંજોગો અને આપત્તિઓથી ક્યારેય ડર્યા નહીં.

આમ, લક્ષ્મણરાવ કિર્લોસ્કરના જીવન ઘડતર પ્રસંગોમાંથી એટલું સ્પષ્ટ થાય છે કે તેમની સફળતાનાં ત્રણ મુખ્ય રહસ્યો રહ્યા: ૧. ગ્રામ્ય-પશ્ચાદ્દભૂમિકા ૨. ટેક્નિકલ વિષયમાં ઉત્કટ રસ  ૩. અને સ્વતંત્રપણે કંઈક કરવાની વૃત્તિ.

ઝડપભેર માલેતુજાર થવાની એમની ક્યારેય ખેવના નહોતી. ગ્રાહકને ઉપયોગી નીવડી, વ્યાજબી નફા પ્રત્યે વલણ રાખી, ગ્રાહકને જ કેન્દ્રમાં રાખી તેમણે ઉત્તરોત્તર વિકાસ કર્યો. લક્ષ્મણરાવે ૧૯૪૫ સુધી કંપનીઓનું નેતૃત્વ કર્યું. ત્યાર બાદ તેઓ નિવૃત થયા. જેણે જીવનભર પુરુષાર્થ કર્યો હોય એ એમ કંઈ નિવૃત તો ન જ થાય!! પૂનામાં કિર્લોસ્કર એન્જીનની આસપાસ ખુલ્લી જમીન હતી ત્યાં રહી પોતાની ખેતીવાડી શરૂ કરી અને અગિયાર વર્ષ બાદ ૨૬ સપ્ટેમ્બર, ૧૯૫૬ના રોજ તેમનું નિધન થયું!

તો આ હતી એક ઉત્કૃષ્ટ વ્યક્તિત્વની જીવનગાથા! આ જીવનમાંથી ભારત દેશ અને નાગરિકોને અનેક નવા સંશોધનો, યંત્રો, ટેકનોલોજી, સાહિત્ય પ્રદાન ("કિસ્ત્રીમ"), "આફ્ટર સેલ્સ સર્વિસ" જેવી સ્કીમ, ખેતી-સિંચાઈ-વીજળી ક્ષેત્રે નવી પદ્ધતિઓ વિગેરે ક્રાંતિકારી વિકાસ પ્રાપ્ત થયો છે. 

આવા મુઠ્ઠી ઉંચેરા રત્નોને પ્રણામ!!

સંશોધન, સંપાદન, રજૂઆત: ડો. કાર્તિક શાહ

(સંપૂર્ણ પરિચય માટે અને રોચક હકીકતો માટે આ સમાપન લેખ વાંચતા પહેલાં આ જ કિર્લોસ્કર લેખનમાળાનો ભાગ ૧, ૨ અને ૩ અવસરના ફેસબુક પેજ ઉપર અથવા શબ્દસંપુટમાં ચોક્કસ વાંચવો)

➖➖કિર્લોસ્કર લેખનમાળા સંપૂર્ણ➖➖