Thursday, March 14, 2019

આવો જાણીયે ગુજરાતના આ મહાન ગાયકને...

એ સમયના જૂનાગઢના નવાબ મહાબતખાનજી
(1838-1882)

ચાલો, આજે આંખમાં એક નાટકનું દ્રશ્ય સજીવન કરીએ, સભામાં ઘંટનાદ થયો, નેપથ્યમાં પોટાશનો ધડાકો થયો. મંચ આગળના ઓર્કેસ્ટ્રા વિભાગમાં બેઠેલા હાર્મોનિયમ વગાડનાર વસંતરાયે સ્તુતિની પ્રથમ પંક્તિસૂરો વગાડ્યા. અંધ પખવાજી બલદેવ દાસે તાલ ઠેકો આપ્યો, અને પડદો ઉઘડ્યો.

મંચ પરથી લાલ પીતામ્બરી, ડગલો, ખભે જરીનો ખેસ, માથે લાલ પેશવાઈ ચાકરી પાઘડી, પગમાં પુનાશાઈ પગરખાં અને હાથમાં તાનપુરો લઇ સુત્રધારે "રાણકદેવી રાખેંગાર" નાટકની સ્તુતિ શરુ કરી. આ બધી વાતો આપણે એટલે કરી રહ્યા છીએ, કે આજનો આ અંક સંગીતને લગતો છે. અને એમાંય ખાસ કરીને દ્રુપદ ગાયકીના એક મહાન ગુજરાતી ગાયકને હું અહીં શબ્દ-નિરૂપણ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ સ્તુતિ એ દ્રુપદ અંગમાં રાગદારી બંદિશ હતી. સ્થાયી, અંતરો, સંચારી અને અભોગ ચારે ચરણ પુરા કરી લયકારીનો પ્રકાર શરુ કર્યો. નાભિમાંથી નીકળતો મધઘૂંટયો સ્વર અને બહુ જ સરળતાથી તાર-સપ્તક પર રમતો કંઠ સાંભળી પહેલી હરોળમાં બેઠેલા વડોદરા રાજ્યના રાજગવૈયા ઉસ્તાદ મૌલાબક્ષ તથા તેમના શિષ્યો બેઠા હતા, તેમાંથી ખાં સાહેબ એટલા તો ખુશ થઇ ગયા કે પોતાની બેઠક ઉપરથી ઊભા થઇ ગયા અને બોલી ઉઠ્યા,

"વાહ...વાહ માશાલ્લાહ....સુભાન અલ્લાહ, ક્યા આવાઝ પાઇ હૈ, ક્યાં રાગદારીકી રોનક!!"

આ વાત છે ઈ.સ. 1891માં શ્રી મોરબી આર્યસુબોધ નાટક મંડળીએ આ નાટક મહારાજા સયાજીરાવ થિયેટરમાં ભજવ્યું અને સુત્રધારના વેશમાં હતા સંગીતાચાર્ય શ્રી......? ચાલો, આજે પરિચય કરીયે આવી જ એક દુર્લભ માહિતી દ્વારા ગુજરાતના આ દ્રુપદ શૈલીના મહાન ગાયકનો!!

વસ્તારામ ભોજકના ત્યાં મહેસાણા પ્રાંતના વિજાપુર તાલુકાના નાનકડા ગામ સોખડામાં વિક્રમ સંવત 1920 કાર્તિક સુદી અગિયારસના દેવદિવાળીના શુભ દિવસે એક પુત્રનો જન્મ થયો. એમના મોટાભાઈનું નામ ચેલારામ, દીકરો પાંચ વર્ષનો થયો એટલે ચેલારામ એમને એમની સાથે જૂનાગઢ લઇ ગયા. ચેલારામ રાજ્યમાં નોકરીએ હતા અને આ છોકરાએ જૂનાગઢમાં પાંચ ચોપડી સુધીનો અભ્યાસ કર્યો. એ સમયે, તો બધા રજવાડા હતા.  એ સાથે મૌલવી સાહેબ પાસે ઉર્દુ અને હિન્દી પણ શીખ્યા.

ચેલારામ સંગીતજ્ઞ પણ હતા એટલે નાના ભાઈને પણ એ વિદ્યા શીખવી, કુદરતે આ છોકરાને મીઠો, મધુર કંઠ અને શીઘ્ર બુદ્ધિ પણ બક્ષી હતી એટલે ભગવતી સરસ્વતીની ઉપાસના કરી સંગીતવિદ્યામાં પણ તેઓ પારંગત થયા. આ ઉપરાંત, શ્રી આદિત્યરામજી ઘરાનાનું પખવાજ વાદન,  ગુંસાઈજીના મંદિરમાંથી દ્રુપદ અંગેના કીર્તનો અને ઉસ્તાદ ત્રિભોવનદાસ પાસેથી રાગદારીની ખાસ બંદિશની ચીજો શીખ્યા. મહાન સંગીતકારો હદુખાં અને બહરામખાં પાસેથી ગાયકીનો પણ અભ્યાસ કર્યો.

આ પ્રતિભા જૂનાગઢના નવાબસાહેબ મહોબતખાનજીથી છાની ન રહી કારણ ચેલારામ જ જૂનાગઢ રાજ્યમાં જ નોકરીએ હતા એટલે નવાબ સાહેબની મીઠી નજર એમના નાના ભાઈ પર ઉતરી અને એમને પોતાની સાથે જ  રાખ્યા. ત્યાં સુધી કે  પોતાની સાથે લઇ જતા એટલું જ નહીં પરંતુ તલવારબાજી અને બંદૂકની વિદ્યા પણ શીખવી. 

પણ આ ભાઈને હિંસા કરવી એ નહોતું. નવાબસાહેબને ના કહેવી પણ કઈ રીતે? એક વખત નવાબ સાહેબ એમને શિકારે લઇ ગયા. સામે હરણોનું ટોળું દેખાયું, નવાબસાહેબ શિકાર કરે એ પૂર્વે આ ભાઈએ હવામાં જ બંદૂકનો ધડાકો કર્યો! અને હરણાંને ભગાડી દીધા! નવાબસાહેબ રોષે ભરાયા એટલે શિક્ષામાંથી બચવા ભાઈએ નદીમાં પડતું મૂક્યું અને નદી પાર કરી જંગલમાં અદ્રશ્ય થઇ ગયા. 

એમના ચાલી જવાથી નવાબસાહેબને દુ;ખ  થયું, એમની ગાયકીના એ સૂરો એમના કાનમાં ગુંજવા લાગ્યા. અને એમાં એક પ્રસંગ એવો બન્યો કે દરબારમાં કેટલાંક બહારના નામી સંગીતકારો આવ્યા ત્યારે નવાબસાહેબને એ ભાઈની ખોટ સવિશેષ લાગી. 

"અત્યારે જો એ અહીં હાજર હોત, તો આ સંગીતકારોનો મુકાબલો કરી શકત." એમણે  અભયવચન આપીને એની શોધખોળ શરુ કરાવી તો ગિરનારની ગુફાઓમાં વસ્તી એક સાધુમંડલીમાંથી એ મળી આવ્યા. નવાબસાહેબે એમને પ્રેમથી આવકાર્યા અને પછી પેલા સંગીતકારો સમક્ષ ભાઈએ રાગદારીની એવી રંગત બે કલાક સુધી જમાવી કે બધા દંગ રહી ગયા!! 

ફરી આ ભાઈ ભાગી ના જાય એટલે નવાબસાહેબે મહેલની બરાબર બાજુમાં જ એમને રહેવાની વ્યવસ્થા કરી આપી. પરંતુ સાચો કલાકાર કદીયે પોતાની કલાને કોઈને આશ્રયે બાંધી રાખે જ નહિ. આ ભાઈને પણ પોતાની કલા ગુજરાત, સૌરાષ્ટ્રમાં ખ્યાતિ પામે એ ઈચ્છા હતી, એમની ગાયકીના સમાચાર શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળીના દિગ્દર્શક દયાશંકર વસંતજીને કાને પહોંચ્યા અને તેમણે  આ ભાઈને પોતાની સાથે કંપનીમાં જોડાવાનું નિમંત્રણ મોકલ્યું. આ મોકો ઝડપવા જેવો લાગ્યો અને નાટક એટલે દુનિયાનું દર્પણ તથા ગામે ગામ ફરવાનું, સેંકડો અને હજારોની સંખ્યામાં લોકો નાટક જુએ એટલે સહેજે સાચો કલાકાર પોતાની કલા મોટા ફલક પર દર્શાવી શકે. (હજુ એ સમયમાં ચિત્રપટનું ફલક બહુ વિકસ્યું નહોતું, એટલે આ જ એક માધ્યમ હતું પોતાની કલાના બહોળા વિસ્તાર માટે!)

પણ એક વાર તો ભાગી ગયા હતા અને હવે એમને ચોક્કસ ખાતરી હતી કે જો આ વાત તેઓ નવાબસાહેબ ને કરશે તો એ ચોક્કસ ના જ પાડશે! વળી એમનું નિવાસસ્થાન તો ગઢની ઉપર જ હતું! એટલે, એક રાત્રે અંધારપછેડાનો લાભ લઇ ગઢની રંગ ઉપરથી તેઓ કૂદીને નાસી ગયા!! કારણ કે ગઢને મુખ્ય દરવાજે તો સંત્રીઓ પહેરો ભારે છે અનેકોણ આવે છે, જાય છે એની સઘન પૂછપરછ થાય!

તો આવી રોચક માહિતીઓથી ભરેલો છે આ કલાકારનો જીવન પ્રવાસ!! કોણ હતું આ? અને કઈ રીતે તેઓ ગુજરાતમાં એ સમયમાં  રંગભૂમિમાં સંગીતની દુનિયામાં અને ખાસ કરીને દ્રુપદ શૈલીના મહાન ગાયક તરીકે પ્રસિદ્ધ થઇ ગયા? એ બધું લઈને હું આપ સૌને મળીશ  આવતા શુક્રવારે, ત્યાં સુધી અલ્પવિરામ!

-- ડો. કાર્તિક શાહ


2 comments:

  1. સુક્ષ્મ બાબતો.. સાંકળી.. રજુ થયેલ.. કાળ .ની આગોશ મા..ધરબાઇ ગયેલ . સરસ માહિતી.. આભાર...

    ReplyDelete

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...