Thursday, March 7, 2019

આ હતા સાબરકાંઠાના કર્તવ્ય નિષ્ઠ કવિ....

મારે તે ગામડે  એક   વાર  આવજો
હે આવો ત્યારે મને સંદેશો કહાવજો

આપણે ગયા શુક્રવારે જોયું કે ગુજરાતનાં જ સાબરકાંઠાના એક ગામમાં જન્મેલા આ કવિ બહુમુખી પ્રતિભા હોવા છતાં, આપ નહીં માની શકો કે નિરાભિમાની અને પ્રસિદ્ધિથી સદાયે દૂર રહ્યા! પછીથી ૨૭ જેટલા નાટકો લખ્યા, ૨૧ ચલચિત્રો અને લગભગ અધધધ ૩૦૦૦ જેટલા ગીતો પણ લખ્યા છે!! અને એમાંથી ઘણાં બધાં ગીતો તો ગ્રામોફોન રેકર્ડ રુપે પણ બહાર પડ્યા છે.

તેઓ મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં 35 રૂપિયા પગારે રહ્યા અને આ જ કંપનીમાં પંડિત વાડીલાલ પાસે તેઓએ સંગીતનું જ્ઞાન મેળવ્યું. અને જયશંકરભાઈ પાસેથી એમને શબ્દ, સૂર, અને ભાવની જાણકારી મળી. એ પછી તેઓ જયારે જયારે ગીતો લખતા ત્યારે પ્રસંગ અને ગીતમાં રહેલા કાવ્યત્વને અનુરૂપ કયા રાગો અથવા હાળ લેવા તેનું સૂચન પણ સંગીત નિયોજકને કરી શકતા જે શક્તિ ઘણાં કવિઓમાં હોતી નથી!

એમનો સાહિત્ય પ્રેમ એક આ પ્રસંગ પરથી નીરખીએ:

પ્રાગજીભાઈ ડોસા એ સમયે "ગુજરાતી નાટ્ય માસિક"ના તંત્રી હતા. એકવાર આ કવિશ્રી એમના કાર્યાલયમાં આવ્યા. ભારત નાટ્ય સમાજે એમનું એક નાટક "આવતીકાલ" પસંદ કર્યું હતું. અને તે ભાંગવાડી પ્રિન્સેસ થિયેટરમાં રજુ થવાનું હતું તેનું આમંત્રણ આપવા કવિશ્રી પધારેલા! વાતે વળગ્યા  બાદ પ્રાગજીભાઈએ "ગુજરાતી નાટ્ય" માટે ગીતો લખી આપવા વિનંતી કરી અને આગળથી પુરસ્કાર પણ આપ્યો! 

અને સહજ જ પૂછ્યું, "કવિ, તમારા ગૃહસંસાર વિષે જાણવું છે."

કવિએ ટૂંકમાં પરિચય આપ્યો, "પ્રાગજીભાઈ, સરસ્વતી મારી માતા, રંગભૂમિના કસબીઓ એ મારા ભાઈ-બહેન અને કલ્પના એ મારી વહુ, એને તો હું જોડે લઈને જ ફરું છું!"

આવો જ એક અન્ય પ્રસંગ પણ તમને કહી દઉં! 
એક દિવસ સંગીત મહામહોદય પંડિત શ્રી ઓમકારનાથ ઠાકુરના હાથમાં નાટ્યકાર નંદલાલ નકુભાઇ શાહ કૃત નાટક "માયા અને મમતા"ની ઓપેરાબુક આવી. તેમણે એક ગીત વાંચ્યું:

"વિષ પણ અમૃત બની શકે છે
શ્યામ હૃદયમાં હોય તો..."

આખું ગીત તેઓ વાંચી ગયા અને પછી આવી છેલ્લી પંક્તિ:

"મન મારુતિ લંકા બાળે,
રામ હૃદયમાં હોય તો..."

વાંચતા જ પંડિતજીના મુખમાંથી "વાહ કવિ વાહ"ના ઉદ્ગાર સરી પડ્યા. આ ઉપરાંત પંડિતજી એટલે નાયક નાયિકા ભેદના પ્રખર જ્ઞાતા, એમણે  બીજી પણ પંક્તિઓ વાંચી.

અભિસાર અભિનવ અંગ ધરી રસિકા રસપંથ જવા નિસરી,
ગતિ ચંચળ છે, મન વિહ્વળ છે, રસધ્યાનમાં ભાન ગઈ વિસરી.

અને પંડિતજીએ કહ્યું, "આ કોણ કવિ છે? મારે મળવું છે. તેઓ ભારતનાટ્યશાસ્ત્રના અને કાવ્ય તત્વના પ્રખર જ્ઞાતા લાગે છે. કલ્પના અને શબ્દ લાલિત્ય એમને સહજ સાધ્ય છે!"

આ વાતની જ્યારે કવિને જાણ થઇ ત્યારે એમનું હૃદય પુલકિત થઇ ઉઠ્યું! કવિની ષષ્ટિપૂર્તિ તા. 05.01.1966ના રોજ મુંબઈમાં બિરલા માતુશ્રી સભાગૃહમાં ઉજવાઈ રહી હતી. સમારંભમાં ગુજરાતી સાહિત્યના તત્કાલીન દિગ્ગજો સ્ટેજ ઉપર અને સભાખંડમાં બિરાજમાન હતા. ત્યાં જ ગુજરાતી ફિલ્મ જગતના નામાંકિત નિર્માત-દિગ્દર્શક શ્રી જે.બી.એચ.વાડિયા હાજર હતા. જેઓએ પોતે આ કવિના નાટક "ચૂંદડી"માં અભિનય કર્યો હતો. એ નાટક પણ આ સમારંભમાં ભજવાયુ! અને વક્તાઓમાંથી શ્રી સૂર્યકાન્ત સાંઘાણીએ એક વાત કહી,
"કવિશ્રીના ગીતો એ ગુજરાતનો અમૂલ્ય વારસો છે. અને આ ગીતો ગ્રંથસ્થ થવા જોઈએ, એમના ગીતો એ લોક-ગીતો બની ગામડે ગામડે પણ ગવાય છે!!" 
ઉપર જણાવ્યું એમ નાટક, ગીતો, કવિતા, ચલચિત્રોમાં દ્રશ્યો લખવા ઉપરાંત અનેક નાટકોમાં કથાવસ્તુની બાંધણી અને એની રજુઆતમાં કિંમતી સલાહ-સૂચનો પણ તેઓ આપતા! નાટ્ય જગતમાં બધા જ જાણે છે કે  નાટ્યકાર ચીમનલાલ ત્રિવેદીએ "મંગળફેરા" નાટક લખ્યું તેના પ્રહસન વિભાગમાં આ કવિનું પાત્ર સર્જ્યું અને જે પાત્ર હિન્દી ફિલ્મના  મિમિક્રી આર્ટિસ્ટ દિનેશ હિંગુએ એમની આબાદ નકલ કરીને નિભાવ્યું! (શરાબીનું પાત્ર હતું!)

તા. 03.07.1969ના રોજ અહમદનગરમાં એકદરા ગામે એમને દેહ છોડ્યો. મૃત્યુનો એમને કયારેય ભય રહ્યો નહોતો! એમના જ શબ્દોમાં, 

સામે  પૂરે  તરનારાંને  ડૂબવાનો  ડર હોય નહિ,
મરીમરીને જીવનારાંને મરવાનો ડર  હોય નહિ!

અને  છેલ્લે,

ગુજરાતી રંગભૂમિ માટે તેઓ લખી ગયા છે કે, 
"મારા 48 વર્ષના ગુજરાતી રંગભૂમિના સંપર્કમાં મેં જે કંઈ જોયું અને જાણ્યું તે એ છે કે ભૂતકાળની ભવ્યતાઓને ભૂલી, આજની અનેક અગવડતાઓને વહાવી રંગભૂમિની આવતીકાલને ઉજ્જવળ બનાવવા કઠિન સાધના, કર્તવ્ય નિષ્ઠા અને સંગઠનની જરૂર પડશે!"

એમના રચિત ગીતો ગુજરાતી ચલચિત્રોમાં પ્રખ્યાત રહ્યા હતા, રાણકદેવી (1946), ભક્ત કે ભગવાન (1947 હિન્દી ), બહારવટિયો (1947), ભાઈ-બહેન (1948), સાવકી મા (1948), ગુણિયલ ગુજરાતણ (1949), ચૂડીચાંદલો (1950), જવાબદારી (1950) વિગેરે વિગેરે.

વર્ષો અગાઉ કહેલી આ વાત આજે પણ એટલી જ સૂચક છે. આ કર્તવ્ય નિષ્ઠ કવિ હતા, "કવિ શ્રી મનસ્વી પ્રાંતીજવાળા"!

-- ડો. કાર્તિક શાહ 


3 comments:

  1. કવિ શ્રી મનસ્વી પ્રાંતિજવાળા વિશે પ્રથમવાર જ જાણ્યું કાર્તિક ભાઈ, દ્રઢ ઈચ્છાથી એક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન કેટકેટલું કરી શકે એ કવિશ્રીની જીવન ઝરમરથી ખબર પડે છે. ૩૦૦૦ ગીતો.... અધધ કહી શકાય. ટાંચા સાધનો સાથે રંગભૂમિ ઉપરાંત બીજા ક્ષેત્રોમાં પણ કામ કર્યું. સલામ કવિશ્રીને 🙏💐🙏

    ReplyDelete
  2. ખૂબ સરસ, તદ્દન નવી જાણકારી એક અનોખી પ્રતિભા ધરાવતા કવિ શ્રી મનસ્વી પ્રાંતિજવાળા વિશે 👍

    ReplyDelete

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...