Sunday, November 26, 2017

અભ્યાસક્રમ અને બાળકનું ભવિષ્ય

અભ્યાસક્રમ અને બાળકનું ભવિષ્ય
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

તુષારભાઈ શુકલ્ કહે છે કે, અમે ભણતા તે શાળામાં શનિવારે સવારની સ્કુલ હતી . સ્કુલ બસ લેવા આવે ત્યારે ઉઠ્યા ન હોઇએ. એમાં ય શિયાળામાં તો એટલું અંધારું હોય ! તે અમને અમારા પપ્પાએ શનિવારે શાળાએ જવાનો કદી આગ્રહ ન કર્યો.


શાળામાંથી અપાતા ગૃહકાર્ય વિષે પણ એમનો એ જ અભિગમ . નોટબૂકમાં ચિટ્ઠી લંખી રાખેલી "ચિ. તુષારે ગૃહકાર્ય કર્યું નથી." એ માનતા કે ઘરમાં હોય ત્યારે બાળકે શીખવા જેવું બીજું ઘણું છે.

મને યાદ છે મારી નાની બ્હેનને ૧લા ધોરણમાં મૂકવા ગયેલા ત્યારે એ બહુ રડી તો અમે એને ઘેર લઇ આવેલાને એ વરસે નિશાળે ન મૂકી ને સીધી બીજા ધોરણમાં મૂકેલી.

મારા પૂત્રે એની શાળાની વક્તૃત્વ સ્પર્ધામાં " ટીવી જોવાના ફાયદા " મૌલિક રીતે જ વર્ણવ્યા. પોતાને જે ગમતું હતું તે કહ્યું. પણ એના ગણિતના શિક્ષકને ન ગમ્યું. એમણે એના ભવિષ્ય વિષે ભાખ્યું કે  " કામ વગર ભૂખે મરશો ". તે હું જઇને એનું L C લઇ આવેલો.

એ જે પ્રાથમિક શાળામાં ભણેલો ત્યાંના શિક્ષકોનો અભિગમ અનેખો હતો પરિણામે બાળકો શાળાએ જવાની જીદ કરતા. ને આ શાળામાં પ્રથમ દીવસે ઘેર આવીને એણે મને પૂછેલું કે પપ્પા, શિસ્ત રાખો એટલે શું રાખવાનું ?
મને ત્યારે જ સમજાઇ ગયેલું કે આ શાળા સાથેના સંબંધનું ભાવિ બહુ ઉજળું નથી.
આપણે ત્યાં બાળક માટે શાળા પસંદગી, શાળા પ્રવેશ અને શિક્ષણ -પરીક્ષણની પદ્ધતિ એટલી તો horrible છે કે વાત ન પૂછો. અને વાલીઓએ પોતે પહેરેલી લાચારીનો લાભ શાળાઓ લે એ સ્વાભાવિક છે. આજે વાલીને બાળકના શાળા પ્રવેશ પૂરતો જ શાળા સાથે સંબંધ છે. ગરજવાનને અક્કલ નહીં એટલે જ ગરજે ... બાપ કહેવા ય તૈયાર !

આમાં શાળા સંચાલકો જ દયા ખાઇને
૧) નાના બાળકોને વહેલી સવારની શાળાના ત્રાસમાંથી બચાવી શકે.
૨) દફ્તરનો ભાર હળવો કરી શકે. અને 
૩) બાળક  અંગ્રેજી માધ્યમની શાળામાં ગુજરાતીમાં બોલે એને દંડ ન કરે.


વાલીએ તો હાથ જોડી પ્રવેશ લીધો છે એટલે એ તો નહીં જ બોલે.હમણાં જ એક વાલીએ મને કહ્યું કે જો બોલો તો તરત LC પકડાવી દે છે. એડમીશન માટે લાઇનમાં ઘણાં ઉભાં જ છે !

હે સંચાલકો, 
તમને તમારી દુકાન ચલાવવાનો પૂરો અધિકાર પણ ગ્રાહકની આટલી દયા તો તમે ખાઇ જ શકો.

અને છેલ્લે:

ભયજનક કે ચિંતાજનક દિશા તરફ પ્રવાસ શરૂ કરી ચૂકેલ આ અભ્યાસક્રમ ખરેખર કૈકેટલાય પ્રશ્નોનો જનક બની બેઠો છે. હવે આ પ્રશ્નો રૂપી સંતાનોને કયા, ક્યાં, ક્યારે, ને કોણ જવાબો આપશે એ સમયને જ આધીન છે. વાલી રૂપી વર્તુળ આ અભ્યાસક્રમના મધ્યબિંદુની ચોતરફ ફરી તો રહ્યું છે પણ એ બિંદુ સુધી પહોંચી શકતું નથી, અથવા તો સામર્થ્ય પ્રાપ્ત કરી શક્યું નથી! હજુ એક પેઢી આ પ્રશ્નો રહેશે એમ ચોક્કસ લાગે છે.

- કાર્તિક શાહ

Thursday, November 23, 2017

જીવન સંઘર્ષ


છેલ્લા ૫૦ વર્ષમાં સમગ્ર અમેરિકન પોલિટિશિયન્સના લેખનમાં સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી અને સફળ નીવડેલ આત્મકથા તરીકે 'ધ ગાર્ડિયન' નામક પ્રસિદ્ધ અમેરિકન મેગેઝિન દ્વારા નવાજાયેલ 'ડ્રીમ્સ ફ્રોમ માય ફાધર : અ સ્ટોરી ઓફ રેસ એન્ડ ઇન હેરિટન્સ' (૧૯૯૫) બરાક ઓબામાની પ્રેસિડન્ટ બન્યા પહેલાં લખાયેલ આત્મકથા છે, જે શ્વેત વિશ્વમાં વસતા અશ્વેત પ્રજાના સ્વપ્નોના એક અતિ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ સમી છે. આ પુસ્તકે તેમના રાજનેતા તરીકેના વ્યક્તિત્વનો પાયો નાખેલો. નેશનલ ડેમોક્રેટીક પાર્ટીએ ૨૦૦૪ના પોતાના ઇલેક્શન મેનીફેસ્ટો તરીકે આ પુસ્તકને જાહેર કરેલું. વિશ્વના ઇતિહાસમાં આત્મકથાને મેનીફેસ્ટો જાહેર કરવાનો આ પ્રથમ કિસ્સો હતો. આ પુસ્તક વિશે નોબેલ વિજેતા ટોની મોરીસન લખે છે 'મારા મતે ઓબામા લેખક તરીકે સન્માનને પાત્ર છે. તેમનું આ પુસ્તક અદ્‌ભુત છે... જીવનની આંટીઘુંટી તથા પ્રસંગોને વર્ણવવાની તેમની યોગ્યતા, તથા વેદનાપૂર્ણ અનુભૂતિઓમાંથી અર્થ તારવવાની તેમની આવડત બેજોડ છે. પ્રસંગોના તાદૃશ વર્ણન માટે સંવાદોને પોતાના નેરેટિવમાં વણવાની તેમની ટેકનિક આશ્ચર્ય પમાડે છે ! કેમ કે આ બધું તો કોક નવલકથાકારને શોભે...! આવા પ્રવાહી લેખનની અપેક્ષા કોક રાજનેતા પાસે તો ન જ હોય... નિર્વિવાદપણે તેમની આ આત્મકથા રસપ્રદ તથા સ્મરણીય છે. આ એક સમગ્ર જનસમૂહની યાતનાઓ અને સ્વપ્નોનો દસ્તાવેજ આ પુસ્તકમાં વણાયેલ સંસ્મરણો લેખકના પોતાના છે અને માટે જ તે અનુઠા છે.' 

ઓબામાની આત્મકથાના તેમના પોતાના સ્વરમાં રેકોર્ડ કરાયેલ ઓડિયો પુસ્તકને ૨૦૦૬માં 'ગ્રેમી એવોર્ડ ફ્રોમ બેસ્ટ સ્પોકન વર્ડ આલ્બમ'નો પુરસ્કાર પણ મળેલો. તેમના ઘુંટાયેલ સ્વરે કરાયેલ ભાવવાહી વાંચને આ પુસ્તકને ઘણું લોકપ્રિય બનાવી દીધેલું. 'ન્યૂયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલર' પુસ્તકોની યાદીમાં આ પુસ્તકનો સમાવેશ થયો હતો. પુસ્તકને મળેલ આવા આવકારથી ભાવવિભોર ઓબામાએ કહેલું 'આઈ ફેલ્ટ લાઈક ધ લકીએસ્ટ મેન અલાઈવ'

તેઓ લખે છે 'શિક્ષણના એ દિવસોમાં યુનિવર્સિટી કેમ્પસ ખાતે મને પ્રથમવાર બરાબર સમજાયું કે ઉચ્ચ શિક્ષણના શ્વેત જગતમાં અશ્વેત ત્વચા સાથે જીવવું કેટલું આકરું અને અપમાનભર્યું હતું... અશ્વેત મનુષ્ય એટલે કે જાણે કોઈક વિચિત્ર હાસ્યસ્પદ, ઘૃણાસ્પદ પ્રાણી. જેણે શ્વેત લોકો દ્વારા યુનિવર્સિટી કેમ્પસ પર થતી ઠેકડીઓ તથા અપમાનો હસતાં હસતાં સહેવાના હતા. અશ્વેતો પ્રત્યેની પોતાની આવી ક્રૂરતા વિશે શ્વેત સમાજને કોઈ જ સભાનતા ન હતી. કદાચ તેઓ એમ જ માનતા હતા કે અશ્વેતો ઘૃણા પામવા માટે જ જન્મ્યા હતા... આવા અપમાનો વચ્ચે પ્રારંભાયેલ મારું આત્મમંથન ગહન હતું. મારી જાતની મેં કરેલ પરિભાષા ભલે મારા અશ્વેતપણાથી પ્રારંભાતી હતી, પરંતુ મારે સાબિત કરવું હતું કે મારા એ અશ્વેતપણાથી પર પણ મારી આગવી ઓળખ હતી.' આવા હળહળતા અપમાન સહેનાર બરાક ઓબામા જ્યારે 'હાર્વર્ડ લૉ રિવ્યૂ'ના પ્રથમ અશ્વેત પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા ત્યારે તેને ખાતરી થઈ કે શ્વેત સમાજમાં પણ યોગ્યતાને જોરે અશ્વેત મનુષ્ય કોઈ સ્થાન પ્રાપ્ત કરી શકે તેમ હતો. 'હાર્વર્ડ લૉ રિવ્યૂ'ની પબ્લિસિટીના ભાગરૂપે કોઈક અમેરિકન પ્રકાશકે તેમને પોતાના અશ્વેત અનુભવો લખવા એડવાન્સ રકમ આપી અને તે રકમના અંતર્ગત આ પુસ્તક લખાયું. વળી ૨૦૦૪ના તે જ અરસા દરમિયાન અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટીએ તેમને ઇલિનોઈ સ્ટેટના સેનેટરના ઇલેકશન માટે પોતાના કેન્ડિડેટ તરીકે જાહેર કર્યા. તેઓ લખે છે કે, 'રાજનૈતિક દિગ્ગજોનું માનવું હતું કે અશ્વેત ત્વચા ધરાવતો પરંતુ શિક્ષિત તેમ જ વિચારશીલ તેવો હું લાંબી રેસનો ઘોડો હતો.' 




ઓબામા ૨૦૦૪નું તે ઇલેકશન જીતી ગયા. ઇલિનોઈના ૪૦ વર્ષના ઇતિહાસમાં આવું ઇલેકશન જીતનાર તેઓ ત્રીજા અશ્વેત પુરુષ હતા. 'મારા આ પુસ્તકનો ઉપયોગ અમારી પાર્ટીના પોલિટિકલ મેનિફેસ્ટો તરીકે થયો. જેથી આ પુસ્તક અત્યંત લોકપ્રિય બની ગયું છે અને તેનું પુનઃ પ્રકાશન થઈ રહ્યું છે. હવે જ્યારે આ પુસ્તક મૂલવું છું તો લાગે છે કે મારી વાર્તામાં સત્ય અને તથ્ય પણ છે. મારે એ પણ સ્વીકારવું પડે કે આ પુસ્તક મારું પોતાનું લખાણ નથી. મેં કહેલ મારા જીવનના ઓરલ નેરેટિવને આ પુસ્તકમાં લખાણરૂપે પ્રસ્તુત કરાયું છે.' 


૧૯૯૫માં પ્રકાશિત આ આત્મકથા બરાક ઓબામાના જન્મથી લઈને ૧૯૮૮ એટલે કે હાર્વર્ડ લૉ સ્કૂલના એડમિશન સુધીની વાત કરે છે. ઓબામાનો જન્મ (૧૯૬૧) હોનોલૂલૂ, હવાઈમાં અશ્વેત મુસ્લિમ મૂળ ધરાવતા પિતા બરાક ઓબામા સિનિયર અને શ્વેત માતા, એન ડનહામના, પરિવારમાં થયેલો. બરાકના માતા-પિતાની પ્રથમ મુલાકાત હવાઈ યુનિવર્સિટીમાં થયેલી અને બંને કુટુંબના વિરોધ વચ્ચે આ યુવા પ્રેમીઓ પરણી ગયેલા. લગ્નના એક વર્ષ બાદ જન્મેલ ઓબામાના જન્મ સાથે તેઓ છૂટા પડી ગયેલા. ૧૯૬૪માં ઓબામાના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયેલા. આ દુઃખદ ઘટના બાદ પિતા અર્થશાસ્ત્રમાં પીએચડી કરવા હાર્વર્ડ યુનિવર્સિટી જતા રહેલા. અને ત્યાંથી ભણતર પતાવીને પોતાના મૂળ દેશ કેન્યામાં પાછા ફરેલા. બાળક ઓબામા પોતાના પિતા વિશે મા પાસેથી જે કંઈ સાંભળ્યું તે જ જાણતો હતો. થોડા વર્ષો બાદ ઓબામાની માતા તેમને પોતાની મા પાસે હવાઈમાં મૂકીને પોતાના બીજા પતિ સાથે ઇન્ડોનેશિયામાં સ્થિર થયેલી. 

પોતાની આત્મકથામાં ઓબામા લખે છે કે, ૧૯૭૧માં તે પ્રથમવાર પોતાના પિતાને મળ્યા હતા. તે ગાળામાં તેમના પિતા એક મહિના માટે હવાઈ આવ્યા હતા અને પિતા-પુત્રનો આ એક મહિનાનો સંબંધ યાદગાર હતો. નાનપણને સ્મરતાં ઓબામા લખે છે કે, તેમની શ્વેત માતા બાળક ઓબામાને સારું અંગ્રેજી ભણાવવા એટલી આગ્રહી હતી કે વર્ષો સુધી સવારે ચાર વાગે તે બાળક ઓબામાને જગાડીને, તેને ચા-નાસ્તો કરાવીને કરાવીને, બે કલાક અંગ્રેજી ભણાવતી. અને ત્યારબાદ જ પોતે નોકરી કરવા જતી. વળી ઓબામા એ પણ સ્મરે છે કે, એ વખતના હવાઈ ખાતેની સ્કૂલનો ઓબામા પાંચમો અશ્વેત વિદ્યાર્થી હતો. વળી મુસ્લિમ ધાર્મિક શિક્ષણ માટે તે મદરેસામાં પણ ભણવા જતો. સ્કૂલનું ભણતર પતાવી ઓબામાએ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો. આ વર્ષો દરમિયાન તેમના વ્યક્તિગત જીવનમાં ઘણાં ઉતાર-ચઢાવ હતા. પોતાની ઓળખ અંગેનો પ્રશ્ન ઓબામાને આ સમય દરમિયાન સતત સતાવતો રહ્યો અને તે મૂંઝવણમાંથી રાહત મેળવવા જે મળ્યા તે મિત્રોની સંગતમાં ઓબામા થોડા વર્ષો ખાતર દારૂ અને ડ્રગ્સની લતે પણ ચઢી ગયા. મા-બાપ વિનાનું જીવન જીવતા અને નાનીના આશરે મોટા થયેલ ઓબામાના યુવા જીવનમાં અસુરક્ષાનો ભાવ રહેતો. 


૧૯૮૨માં અચાનક જ ઓબામાને તેમના પિતાના અકસ્માતમાં મૃત્યુના સમાચાર મળ્યા. એક અશ્વેત મુસ્લિમ પિતા અને શ્વેત અમેરિકન માતાના પુત્ર એવા ઓબામાની આત્મકથા પોતાના પિતાના અચાનક મૃત્યુ દ્વારા ટ્રીગર થયેલ સ્મરણયાત્રા છે. 

આ એ જ પિતા હતા કે જેમને શ્વેત વિશ્વના આધિપત્ય તથા સત્તાના રહસ્યની જાણ હતી. જેમણે હાર્વર્ડથી ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરેલી હતી. તેઓ દૃઢપણે માનતા હતા કે કોઈપણ સત્તાના મૂળ જ્ઞાનમાં હોય છે. અને તેથી જ પોતાના પુત્રને ઉત્તમ શિક્ષણ મળે તેવી તેમની અભિલાષા હતી. 


(બરાબર એ જ રીતે જેમ મારા પિતાજીના અચાનક મૃત્યુ એ મારા નાનપણના સંગ્રહિત લેખો લખવા અને આજે આ થોડા ઘણાં શબ્દો લખવા પાછળનું પ્રેરણાબળ પૂરું પાડ્યું છે !!! અને બરાબર આ જ દ્રઢ માન્યતા તેઓ પણ ધરાવતા કે "કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પાછળનાં મૂળ એ ક્ષેત્ર તથા આપણી આજુબાજુ અસર કરતા સમગ્ર વિશ્વના ઉંડા જ્ઞાનમાં જ રહેલાં છે...! ને એનો બીજો કોઈ જ વિકલ્પ નથી..." ― આ એકદમ યાદ આવ્યું એટલે અહીં લખું છું!)

પિતાના મૃત્યુ તરત બાદ ઓબામા પોતાના પૈતૃક પક્ષના પરિવારજનોને મળવા કેન્યા ગયેલા. ત્યાં જઈને તેમણે પોતાના પિતાના જીવનની પીડા, સંઘર્ષ અને વેદનાને સમગ્ર અશ્વેત પ્રજાની અનુભૂતિ સાથે જોડાયેલ જોયેલી. તેમને સમજાયું હતું કે તેમણે હર પળ અનુભવેલ ઉપેક્ષા અને અવહેલના જેટલા તેમના હતાં તેટલા જ તેમના પિતાના અને સમગ્ર અશ્વેત પ્રજાના પણ હતા. વાસ્તવમાં દરેકે દરેક અશ્વેત પુત્ર પોતાના પિતાના સ્વપ્નોની મહત્ત્વાકાંક્ષા અને ભાર લઈને જ જીવતો હતો. આ જ દરેક અશ્વેત મનુષ્યને વારસામાં મળેલ મૂડી હતી. તેમની આત્મકથાના શીર્ષકની સાર્થકતા તેમના આ વિચાર સાથે સતત જોડાયેલી રહે છે. 


૨૦૦૪માં આ પુસ્તકના પુનઃ પ્રકાશન પ્રસંગે લેખક બરાક ઓબામા એક નવી પ્રસ્તાવના ઉમેરે છે. તેઓ લખે છે 'આ પુસ્તક લખાયા બાદ કેટકેટલું બની ગયું ? ૯/૧૧ની ઘટનાએ અમેરિકાના આત્મસંમાન પર અસહ્ય ઘા કર્યો. એ ઘટનાને વર્ણવવાની શક્તિ અને હિંમત કે આવડત મારામાં નથી. આ બનાવે મારા મુસ્લિમ નામને કારણે મને વ્યક્તિગત સ્તરે પણ ઘણી અસર કરી. એક સાચા અમેરિકન તરીકે આ આઘાત સહેવો મારા માટે ઘણો આકરો હતો. 

અને છેલ્લે: તેઓ લખે છે કે, પ્રસ્તાવનાનું સમાપન વ્યક્તિગત નોંધ સાથે કરું છું. આ પુસ્તકની લગભગ બધી જ ઘટનાઓના પાત્રો મારા જીવનનો અંશ રહ્યા છે. તેમાંનું એક મુખ્ય પાત્ર એટલે મારી મા કે જે હવે હયાત નથી. પુસ્તકના પ્રથમ પ્રકાશનના થોડા માસ બાદ જ કેન્સરના રોગને કારણે તે મૃત્યુ પામી. મારા આ પુસ્તકના પ્રથમ સંસ્કરણનું પ્રૂફ તેણે વાંચેલું. જો હું જાણતો હોત કે તે (માતા) મને આમ છોડી જશે, તો મેં મારા આ પુસ્તકમાં પિતાની અનુપસ્થિતિનું વિશ્લેષણ કર્યા કરતા મેં માની ઉપસ્થિતિનો ઉત્સવ ઉજવ્યો હોત. મારા શબ્દો મારા જીવનમાં પડેલ માની આ મોટી ખોટને વર્ણવી શકે તેમ નથી. મારા વ્યક્તિત્વમાં જે કંઈ સારા તત્ત્વો છે તે બધા જ મારી માએ મને આપેલ ભેટ છે. એક એવી ભેટ કે જેના માટે પૂરતો આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી.' 



તા.ક. અશ્વેત પિતાના સ્વપ્નોનો ભાર લઈને જીવતા દરેકે દરેક અશ્વેત પુરુષના મનની વાત ઓછા-વત્તા અંશે આ આત્મકથા કરે છે. ઓબામાના જીવનમાં પિતાની અનુપસ્થિતિ, પરંતુ તેમના સ્વપ્નોની સતત હાજરી આ પુસ્તકનું મુખ્ય કથ્ય છે. એક રાજકીય પાર્ટીના મેનીફેસ્ટો બનનાર વિશ્વના આ એકમાત્ર પુસ્તકને સલામ. આ પુસ્તક મારા જેવા ઘણાં મિત્રોના જીવન સંઘર્ષનો એક અરીસો છે ને તેથીજ મનથી નજીક પણ છે.

- કાર્તિક દિલીપકુમાર શાહ


Wednesday, November 8, 2017

અરરૂણાચલમ મુરુગનાથન


તમિલનાડુના અરરૂણાચલમ મુરુગનાથનની ગણતરી આજે દેશના સફળ ઉદ્યોગપતિઓમાં થાય છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ એક મશીનના કારણે ભારતમાં એક એવી ક્રાંતિ આવી કે મહિલાઓને તેના દ્વારા ખૂબ જ ફાયદો થયો. મહિલાઓ માટે સસ્તા, પરંતુ ગુણવત્તાથી ભરપૂર સેનિટરી નેપકીન બનાવનારી મશીનની શોધ કરી અરૂણાચલમે દેશભરમાં ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી. આ મશીન તૈયાર કરવા માટે તેમણે એક કારખાનું પણ ખોલ્યું. અરૂણાચલમની કંપની જયશ્રી ઇન્ડસ્ટ્રીઝે દેશના 29 રાજ્યોમાંથી 23 રાજ્યોમાં પોતાનું મશીન વેચ્યું છે અને હવે વિદેશોમાં પણ તેમના મશીનની માંગ થઇ રહી છે. ક્રાંતિકારી શોધ અને સફળ ઉદ્યોગના કારણે 2014ના વર્ષમાં તેમને વિશ્વપ્રસિદ્ધ ‘ટાઇમ્સ મેગેઝિન’માં દુનિયાના સૌથી પ્રભાવશાળી 100 લોકોની યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા. આ યાદીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે. અરૂણાચલમને માત્ર એક કે બે નહીં પણ અનેક પુરસ્કારો મળ્યા છે.

પરંતુ સફળતા પાછળ તેમની પત્ની અને માતાનો બહિષ્કાર અને સમાજનો તિરસ્કાર પણ છે. માત્ર પરિવારના સભ્યોએ જ નહીં પરંતુ અન્ય સાથી મિત્રોએ પણ તેમની સાથે સંબંધો તોડી નાખ્યા. જ્યારે તેઓ નવી શોધ દરમિયાન કોઇ નવા પ્રયોગ કરે ત્યારે લોકો તેમને પાગલ કહેતા હતાં. તેમણે કેટલીયે વાર અપમાન સહન કરવા પડતા. પરંતુ કહેવાય છે ને કે વ્યક્તિ જ્યારે એક ધ્યેય સાથે કાર્ય કરે છે ત્યારે તેને મેળવવામાં દુનિયાની તમામ તાકાત લાગી જાય છે. આવી જ લગન અને ઇચ્છાના કારણે અરૂણાચલમ હાર માન્યા વગર પોતાનું કાર્ય કરતાં ગયા અને આજે તેઓ એક ગરીબ વ્યક્તિથી સફળ ઉદ્યોગપતિ બની ગયા છે.

અરૂણાચલમનો જન્મ તમિલનાડુના એક પછાત ગ્રામીણ વિસ્તારના ગરીબ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું એક દુર્ઘટનામાં મૃત્યુ થયા બાદ તેમની પરિસ્થિતિ વધારે ખરાબ થઇ ગઇ હતી. ઘર ખર્ચ માટે માતા ખેતરમાં કામ કરતી હતી પરંતુ સ્કૂલનો ખર્ચ ઉપાડી શકતી ના હતી અને તે કારણથી તેમણે અધવચ્ચે જ તેમનું ભણતર છોડી દેવું પડ્યું હતું. 14 વર્ષની ઉંમરે સ્કૂલ છોડ્યા બાદ અરૂણાચલમ રૂપિયા કમાવવા માટે અનેક જગ્યાએ નોકરી કરી.

સેનિટરી નેપકીન બનાવવાની ઇચ્છા લગ્ન પછી જાગૃત થઇ.

1998માં અરૂણાચલમના લગ્ન શાંતિ નામની એક મહિલા સાથે થયા. લગ્નના થોડા સમય બાદ અરૃણાચલમે જોયું કે તેમની પત્ની સમાચારપત્રો અને કપડાના જૂના ટુકડા ભેગા કરતી અને ક્યાંક છુપાડતી. પત્નીને આમ કરતા જોઇને તે અરૂણાચલમને તે અંગે જાણવાની ઇચ્છા જાગૃત થઇ. તેણે તેની પત્નીને આ અંગે પૂછ્યું ત્યારે તેમની પત્નીએ માસિકધર્મ વિશે જણાવ્યું. આશ્ચર્યની વાત તો એ હતી કે આ માસિકધર્મ વિશે અરૂણાચલમને પહેલી વખત જાણ થઇ હતી. તેની પત્નીએ જણાવ્યું કે જો હું બહારથી કાપડ નવા ખરીદીશ તો ઘરખર્ચ વધી જશે. એટલા માટે આ સમાચારપત્રો અને અને કપડાના ટુકડાનો ઉપયોગ કરું છું. આ અંગે અરૂણાચલમને વધારે જાણવાની ઇચ્છા થઇ. તેમણે આ અંગે વધુ માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું ત્યારે તેમને જાણ થઇ કે આ રીતે ગંદા કપડા કે કાગળનો ઉપયોગ કરવાથી કેન્સર જેવી બીમારી થઇ શકે છે અને તે સ્વાસ્થ્ય માટે સારૂ નથી.

આ માટે અરૂણાચલમે તેના અન્ય વિકલ્પ અંગે તપાસ કરી તો સેનિટરી નેપકીન વિશે જાણવા મળ્યું. એક દિવસ દુકાનમાં જઇને સેનિટરી નેપકીન લઇ આવ્યા અને તેની પત્નીને આપ્યા. આ એક નેપકીનની કિમત 40 રૂપિયા હતી. આ માટે તેની પત્નીએ તેને બીજા વાર આવા ખર્ચા કરવાની ના પાડી. અરૂણાચલમને આશ્ચર્ય એ થયું કે આ નાનકડા નેપકીનમાં માત્ર 10 ગ્રામ કપાસ જાય છે અને 10 ગ્રામ કપાસ 10 પૈસામાં મળે છે તો પછી આ નેપકીનની કિમત કીંમત 40 ગણી વધારે કેમ લેવામાં આવે છે. આ જાણી અરૂણાચલમનું દિમાગ ચકરાવવા લાગ્યું. તેણે હવે તેની પત્ની માટે જાતેજ સેનિટરી નેપકીન બનાવવાનો નિર્ણય લીધો અને તૈયાર કર્યું. તેણે તેની પત્નીને આ નેપકીન આપીને કહ્યું કે તે તેના ફીડબેક આપે. ત્યારે તેમની પત્નીએ તેમને એક મહિનો રાહ જોવાનું કહ્યું. પરંતુ તે એક મહિના સુધી રાહ જોઇ શકતા ના હતા. તેમણે ગામડાંની અન્ય મહિલાઓ અંગે વિચાર્યું જે લોકો પણ આ રીતે જ ગંદા કપડાં અને કાગળનો ઉપયોગ કરતા હતાં. જે સ્વાસ્થ્ય માટે ઘણાં હાનિકારક છે.

બસ ત્યારથી અરૂણાચલમે નક્કી કરી લીધું કે જ્યાં સુધી તે મહિલાઓ માટે સારું, સસ્તું અને સવાસ્થ્ય માટે યોગ્ય હોય તેવું સેનિટરી નેપકીન નહીં બનાવી લે ત્યાં સુધી તે ચેનથી બેસશે નહીં.

કેવી રીતે બનાવ્યું સેનિટરી નેપકીન?

અરૂણાચલમે હવે વધારે સેનિટરી નેપકીન્સ તૈયાર કર્યા અને તેની બહેનોને આપીને કહ્યું કે તેઓ આ અંગે તેમને ફીડબેક આપે, પરંતુ બહેનોએ તેને ઘમકાવી પાછો મોકલી દીધો. પરંતુ તેમણે હાર ના માની. તેમણે નક્કી કર્યું કે તેઓ કોલેજમાં જઇને ત્યાંની છોકરીઓ સાથે વાતચીત કરશે. અરૂણાચલમે કોલેજની 20 છોકરીઓને નેપકીન મફતમાં આપ્યા અને સાથે એક ફોર્મ પણ આપ્યું જેથી તેઓ તેના ફીડબેક તેમાં લખીને આપી શકે. થોડા સમય પછી તેઓ જ્યારે ફરી કોલેજ ગયા ત્યારે તેમણે જોયું કે બે–ત્રણ છોકરીઓ આમ જ પોતાની મરજીના ફીડબેક લખી રહી હતી. અરૂણાચલમને એ વાતનો અહેસાસ થયો કે આ રીતે ફીડબેક લેવા યોગ્ય નથી.

અરૂણાચલમને એક બીજો વિચાર આવ્યો જે થોડો અલગ અને લોકોને ચોંકાવનારો હતો. તેમણે નક્કી કર્યું કે તેઓ પોતે જ પોતાના બનાવેલા સેનિટરી નેપકીનનો ઉપયોગ કરીને જાણશે કે તેમાં વધારે શું કરવું જોઇએ. પોતે પુરુષ હોવાના કારણે માસિકધર્મ થઇ શકે નહીં. આ માટે તેમણે પોતાના શરીરમાંથી રક્તસ્ત્રાવ થાય તે માટે કૃત્રિમ ગર્ભાશય બનાવ્યું જેમાં એક નાનકડું કાણું પાડ્યું. હવે તેમાં અસલી બ્લડ મળી રહે તે માટે એક કસાઇ સાથે વાતચીત કરી લીધી અને બકરીના લોહીનો ઉપયોગ કરવા લાગ્યા. લોહીથી ભરેલા આ કાણાવાળા ફૂટબોલ બ્લેન્ડરથી બનેલા કૃત્રિમ ગર્ભાશય પર પોતાની બનાવેલું નેપકીન પહેરી પોતે જ્યાં ત્યાં ફરવા લાગ્યા, ક્યારેક સાઇકલ ચલાવે તો ક્યારેક દોડે. તે જાણવા માગતા હતા કે આ એક નેપકીન કેટલા સમય સુધી લોહીને બહાર આવતા રોકી શકે છે. તેમના માટે આ એક મિશન હતું, એક પ્રયોગ હતો. પરંતુ તેમની માતા અને પત્ની તેમની આ પ્રકારની હરકતોથી કંટાળી ગયા અને જુદા રહેવા ચાલ્યા ગયા. ગામમાં પણ લોકો અરૂણાચલમને ગાંડો કહેવા લાગ્યા હતાં. જ્યારે કેટલાંક લોકોને તો લાગતું હતું કે તેને કોઈ લૈંગિક રોગ થઇ ગયો છે. તે કેટલાંકને તો એવું લાગતું કે અરૂણાચલમને ભૂત વળગ્યું છે.

એક દિવસ તો ગામના બધા લોકોએ ભેગા થઇને અરૂણાચલમને એક વૃક્ષ સાથે બાંધી દીધો અને કોઇ તાંત્રિકની સલાહથી તેને માર મારવા લાગ્યા. ગમે તેમ કરીને તેઓ ત્યાંથી બચીને નીકળી તો ગયા પરંતુ તેમને પોતાનું ગામ છોડવું પડ્યું.

અનેક પ્રકારના પ્રયોગ કરવા છતાં પણ તેઓ જાણી ના શક્યા કે વિદેશી કંપનીઓ આ સેનિટરી નેપકીન કેવી રીતે બનાવે છે. તેમને લાગ્યું કે કપાસ ઉપરાંત અન્ય કોઇ વસ્તુ પણ છે જેનો ઉપયોગ તેમાં થાય છે.

અરૂણાચલમે તેમના જાણીતા કોઇ પ્રોફેસરની મદદ લઇને વિદેશી કંપનીઓને ચિઠ્ઠી લખી કે તેઓ આ સેનિટરી નેપકીનમાં કપાસ સિવાય બીજી કઈ વસ્તુનો ઉપયોગ કરે છે. પરંતુ તેમને કોઇ જવાબ મળ્યો નહીં. લગભગ બે વર્ષની મહેનત પછી તેમને ખ્યાલ આવ્યો કે સૈલુલોજ ફાઇબરનો ઉપયોગ સેનિટરી નેપકીન બનાવવામાં કરવામાં આવે છે. આ સૈલુલોજ ફાઇબર પાઇન બાર્ક વુડ પલ્પમાંથી નીકળે છે. આ જાણકારી પ્રાપ્ત થતા તેમના મનમાં એક નવો ઉત્સાહ જાગૃત થયો.

અરૃણાચલમે હવે નેપકીન બનાવવાના મશીનની શોધ કરવાની શરૂઆત કરી. તેમને આ દરમિયાન જે જાણકારી મળી તેનાથી તેઓ દંગ રહી ગયા. કારણ કે સૌથી સસ્તી મશીનની કિંમત રૂપિયા 3.5 કરોડ હતી. હવે તેમણે નક્કી કરી લીધું કે તેઓ સેનિટરી નેપકીન બનાવવાનું મશીન પણ તૈયાર કરશે. તેમની તનતોડ મહેનતના અંતે તેમણે સસ્તા અને સારી ગુણવત્તાવાળા સનિટરી નેપકીન તૈયાર થઇ શકે તેવું મશીન ઓછા ખર્ચમાં તૈયાર કરાવ્યું. જેની કિંમત માત્ર રૂ.65 હજાર હતી. બસ ત્યારથી અરૂણાચલમે ક્યારેય પાછળ ફરીને જોયું જ નહિં, તેઓ સતત પ્રગતિ કરતા જ ગયા.

જિંદગીમાં આવ્યો એક નવો બદલાવ…

અરૂણાચલમને તેમની આ સફળતા માટે આઇઆઇટી મદ્રાસ દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓ જાણવા માંગતા હતા કે અરૂણાચલમે સેનિટરી નેપકીન બનાવવાનું મશીન કેવી રીતે તૈયાર કર્યું. અરૂણાચલમની આખી જીવનકથની સાંભળ્યા બાદ આઇઆઇટીના વૈજ્ઞાનિકો અને અન્ય લોકો ખૂબ જ પ્રભાવિત થઇ ગયા હતાં. આજ લોકોએ અરૂણાચલમનું નામ ‘ઇનોવેશન્સ એવોર્ડ’ માટે મોકલ્યું. અરૂણાચલમે આ એવોર્ડ તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના હાથેથી મેળવ્યો.

આ એવોર્ડ બાદ અરૂણાચલમની ખૂબ જ પ્રગતિ થઇ. બધાથી ઉત્સાહિત થઇને તેમણે અજયશ્રી ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરી. જ્યાં સેનિટરી નેપકીન બનાવતી મશીનનું વેચાણ થાય છે. ઉદ્યોગ જગતમાં આજે તેઓ ઘણી ખ્યાતિ મેળવી ચૂક્યાં છે.

અરૂણાચલમના મશીનના કારણે દેશભરમાં સસ્તા અને સારી ક્વોલિટી ધરાવતાં સેનિટરી નેપકીન બનવા લાગ્યા અને ખૂબ વેચાવા પણ લાગ્યા. જેના દ્વારા મહિલાઓમાં પણ ઘણી જાગરૂકતા લાવી શકાઇ.
આ દરેક બાબતનો શ્રેય અરૂણાચલની મહેનત, કોશિશ અને સંઘર્ષને જાય છે કે જેના દ્વારા ભારતમાં એક નવી ક્રાંતિ આવી. અને તેના દ્વારા મહિલાઓ અને છોકરીઓને ઘણાં લાભ થયા.

અને છેલ્લે:
અરૂણાચલમની સફળતા બાદ તેમનો પરિવાર તેમની પાસે પાછો આવી ગયો. જે લોકો તેમને પાગલ કહેતા હતા તેઓ આજે તેમના વાક્યો પર ખૂબ જ પસ્તાવો કરી રહ્યાં છે. તેમની પત્ની અને પરિવારના અન્ય સભ્યો આજે તેમના પર ગર્વ અનુભવી રહ્યાં છે.
દેશ – દુનિયાની મોટી મોટી સંસ્થાઓ આજે અરૂણાચલમને તેમના વિચારો વ્યક્ત કરવા બોલાવી રહી છે.
આજે અરૂણાચલમ માત્ર શોધકાર જ નહીં, પરંતું એક સફળ ઉદ્યોગપતિ, સમાજસેવક, માર્ગ પ્રદર્શક, આદર્શ અને ક્રાંતિકારી વ્યક્તિ છે.

અમિતાભ-જયાના લગ્ન અને ખલિલ ધનતેજવી


અમિતાભ-જયાના લગ્ન અને ખલિલ ધનતેજવી

ફિલ્મ પત્રકારત્વનું કેન્દ્ર મુંબઈ છે અને મુંબઈમાં ઘણા ગુજરાતી પત્રકારોએ ફિલ્મ જર્નાલિઝમમાં કાઠું કાઢ્યું છે પણ ગુજરાતના કોઈ પત્રકારે ગુજરાતમાં રહીને ફિલ્મ જર્નાલિઝમમાં ડંકો વગાડ્યો હોય તો એ "ખલીલ ધનતેજવી" છે. અમિતાભ અને જયા વચ્ચે પ્રણય ચાલતો હતો તેની સૌને ખબર હતી પણ બંને અચાનક લગ્ન કરી લેશે તેવી કોઈને ધારણા સુદ્ધા નહોતી. 

ખલીલ ધનતેજવી એ દિવસોમાં ફિલ્મોને લગતી સ્ટોરીઝ માટે વડોદરાથી મુંબઈ આવનજાવન કાર્ય કરતા. ફિલ્મોના સેટ પર જવું અને કલાકારોને મળીને ઇન્ટરવ્યૂ કરવા, ગોસિપ મેળવવી વગેરે કામ કરતા. ફિલ્મ કલાકારો ના મેનેજરો, મેકઅપમૅન, સ્પોટ બોય વગેરે સાથે ઘરોબો કેળવીને તે એવા અંદરના સમાચાર ગોસિપ કાઢી લાવતા  કે સૌ દંગ રહી  જતા. અમિતાભ-જયાએ લગ્ન  અચાનક નિર્ણય લીધો હતો ને કોઈ પત્રકારને જાણ નહોતી કરી. કોઈને બંને લગ્ન કરવાના છે તેની ગંધ સુદ્ધાં નહોતી. ખલીલને પણ પોતાના કોન્ટેકટ્સના લીધે અચાનક જ આ વાત ની જાણ થઇ. 

ખલિલ એમ જ એક ફિલ્મના સેટ પર ગયેલા, જયા બચ્ચન નો મેકઅપ કરતી છોકરી ત્યાં હાજર હતી. પણ એ જબરજસ્ત ઉતાવળ અને હડબડાટી માં હતી. આ જોઈને ખલિલ ને થોડી નવાઈ  લાગી. અને પોતાની આગવી શૈલીમાં થોડી ચર્ચા ચાલુ કરી ધીમે રહીને પૂછી કાઢ્યું, "શું કામ આટલી બધી ઉતાવળ કરો છો? કૈક ભૂલી જશો તો "ગુડ્ડી"જી તમને જ ઠપકો આપશે!!" વાતવાતમાં આ રીતે એ છોકરી બોલી, " નહિ નહિ, આજ તો બહોત જલ્દી હૈ, ઓર યહાં (જગ્યાનું નામ આપતા) આજ મેડમ કી શાદી હૈ, મુજે ટાઈમપે પહોંચના હી પડેગા. બહોત હી જલ્દી હૈ..." 

બસ, પછી તો શું જોઈઍ!! ખલીલજી સતર્ક થઇ ગયા. અને તેમણે સ્વાભાવિક રીતે જ વાત કરતા કરતા ધીમે ધીમે તમામ વાત કઢાવી લીધી. સાંજે લગ્ન અને રિસેપશન હતા તેમાં એ વગર બોલાવ્યે હાજર થઇ પણ ગયા !! જયા બચ્ચને તેમને આવકાર્યા પણ અમિતાભજી ને એ "બીનબુલાયેં મહેમાન બન્યા" એ  ના ગમ્યું અને ઠંડો પ્રતિભાવ આપ્યો. અને ખલિલ કઇ રીતે અહીં પહોંચી ગયા એનું ભારોભાર આશ્ચર્ય અમિતાભના ચહેરા પર હતું.

અને છેલ્લે, ખલિલ ને એનાથી કોઈ ફર્ક નહોતો  પડતો. તેમણે આ લગ્નના ફોટા લીધા અને પછી પોતાના મેગેઝીનમાં છાપ્યાં. આ રીતે અમિતાભ-જયાનાં આ અત્યંત ખાનગી રખાયેલા લગ્નનો ફોટા સાથેનો અહેવાલ સૌ પ્રથમ છપવાનો શ્રેય એક ગુજરાતી પત્રકારને શિરે ગયો. અને આ સ્ટોરી તમારા  સુધી પહોંચાડવાનો શ્રેય પણ એક ગુજરાતી (કાર્તિકભાઈ) ને જ જાય છે...!

-  ડો.કાર્તિક દિલીપકુમાર શાહ 

Tuesday, November 7, 2017

સાચું સુખ એ સંબંધ અને ખરી મૂડી એ પણ સંબંધ


ઓશો કહેતા કે માણસ હંમેશા સુખની પાછળ ભાગે છે. ખુશીની પાછળ ભાગે છે. કોઈને પૈસામાં સુખ દેખાય છે તો કોઈને પ્રસિદ્ધિમાં સુખ દેખાય છે. કોઈને નવું મકાન, કારમાં સુખ દેખાય છે. કોઈને તપમાં, પોતાના કોઈ શોખમાં (પૅશન લખું? લોકોએ ઘસી નાખ્યો છે આ શબ્દ તો સુખ શોધવામાં!!), મહત્ત્વકાંક્ષામાં સુખ દેખાય છે. માણસ આખી જિંદગી સુખ પાછળ દોડતો રહે છે. સુખને પોતાને ગમતા રસ્તે પામી લેવા ભાગતો રહે છે. ઘણીવાર ભૂલી ય જાય છે કે એ જે સુખ અથવા જેના થકી સુખ પામવા માગતો હતો એ કરવા માટે જ એને પૈસા કમાવાના હતા; પૈસો કમાવો જ સુખ નહોતું. 

એક સર્વેમાં જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે તમારો મેજર લાઈફ ગૉલ શું છે? ત્યારે એમનો જવાબ હતો: પૈસા કમાવા! હેપ્પીનેસ પર થયેલા રિસર્ચ કહે છે કે પૈસા અને હેપ્પીનેસને એક લેવલ પછી વધુ સંબંધ હોતો નથી. એક લેવલ પછી મોંઘી સુવિધાઓ હેપ્પીનેસ લેવલમાં ઝાઝો વધારો કરતી નથી. એના મૂલ્યને સાપેક્ષે, જિંદગી અને સમયની ચૂકવાતી કિંમતને સાપેક્ષે એ બહુ નજીવો વધારો હોય છે. 

વળી, રિસર્ચ તો એવું પણ કહે છે કે વસ્તુઓ/ Things નહીં, અનુભવો/ Experiences થકી મેળવેલી હેપ્પીનેસની અસર વધુ રહે છે. સુખ જતું રહે અને દુઃખ આવી પડે ત્યારે ય સુખની આશા માણસને જીવતો રાખે છે, ચાલતો રાખે છે. આ બધી પીંજણ-પળોજણ વચ્ચે એક સીધું-સાદું-ક્લિયર સત્ય કયું છે ખબર છે? દુનિયામાં સૌથી મોટું સુખ કયું છે ખ્યાલ છે? પૈસો? શોખ? સફળતા? નવો ફોન? નવી કાર? નેઈમ? ફેઈમ?

ના.

આ બધાથી ય વધુ સુખી માણસ એ છે જે સંબંધો પામ્યો છે! હૂંફાળા સંબંધો આપણને ખુશ અને તંદુરસ્ત રાખે છે. અને આ માત્ર ઓપિનિયન નથી. "હાર્વર્ડ સ્ટડી ઑફ એડલ્ટ ડેવલપમેન્ટ" નામના છેલ્લાં 75 વર્ષથી ચાલતા રિસર્ચ પ્રોગ્રામનું આ તારણ છે (આખો વિડીયો TED પર અવેલેબલ છે). કુલ 724 માણસો પર હાથ ધરાયેલા આ પ્રોગ્રામમાં એ તમામ લોકોની લાઈફને ટ્રેક કરવામાં આવી, એમના ઈન્ટરવ્યુ લેવાયા, એમના પરિવાર સાથે એમના સંબંધોનું પણ એનાલિસિસ થયું, મેડિકલ રિપોર્ટ્સ, બ્રેઇન-સ્કેન જેવા સાયન્ટિફિક ટૂલ્સ પણ યુઝ થયાં. અને આ આખા રિસર્ચમાંથી જે લેસન્સ મળ્યા એ આ રહ્યા:

સંબંધો આપણા માટે ખૂબ ખૂબ મહત્વની ચીજ છે. એકલા માણસના દુઃખી થવાની, એની હેલ્થ ડિક્લાઈન થવાની શક્યતાઓ વધુ છે. સોશિયલી કનેક્ટેડ માણસ (રિયલ સોશિયલ નેટવર્ક, નોટ ફેઈસબુક ), એના ફેમિલી- ફ્રેન્ડસ્ સાથે જલ્સા કરતો માણસ વધુ ખુશ હોય છે, તંદુરસ્ત હોય છે. બીજુ, કેટલા સંબંધો નહીં, કેવા સંબંધો એ મહત્વનું છે. ક્વોન્ટિટી નહીં ક્વૉલિટી. (અહીં માત્ર એક જ સંબંધની વાત નથી પણ દા.ત.લગ્નની વાત કરીએ તો તમારા પાર્ટનર સાથે તમારા કેવા સંબંધ છે, કેવી કંપેટિબિલિટી છે, કેમેસ્ટ્રી છે એ વધુ મહત્વનું છે). એવું પણ નોંધવામાં આવ્યું છે કે સંબંધોમાં વધુ સમૃદ્ધ માણસ મોટી ઉંમરે પણ, વૃદ્ધાવસ્થામાં, વધુ હેલ્ધી-હેપ્પી રહી શકે છે.

એટલે, તમારી આસપાસ તમને "તું" કહેવાવાળા, તમને આજેય તમારા બચપણના નામે બોલવનારા, પ્રેમ કરનારા, કૅર કરનારા, તમારા માટે તમને ગાળ દેનારા, પીઠ થાબડનારા, તોફાનમાં હાથ ઝાલી રાખનારા, તમારા હાસ્ય પાછળનું દર્દ તરત સમજી જનારા લોકો હોય... કોઈ કહેતું હોય, "ચિંતા ન કર, હું બેઠો છું ને"; કોઈ કહેતું હોય, "તું છો તો દુનિયા જીતી જવાશે, જીવી જવાશે", તો માનજો કે તમે કદાચ દુનિયાના સૌથી સફળ, સૌથી ધનવાન વ્યક્તિ કરતા પણ વધુ ખુશ હોઈ શકો. (મારા ઉમદા લેખકમિત્ર સંકેત ઠાકરની કલમ માંથી ઝરેલાં શબ્દો)

અને છેલ્લે:- સંબંધોની મૂડી જ ખરી મૂડી. આ વાત સમજતા સમજતા લોકોની આખા આયખાની મૂડી ખર્ચાઈ જાય અને જે સમજી જાય એ જ સાચો અમીર ને ખમીરવંતી!!

Monday, November 6, 2017

જન્મદિવસ

 

નંદિતાને હવે બાંસઠ-ત્રેસઠ તો થયાં હશે પણ સદા પ્રફુલ્લિત ચહેરો, એકવડો બાંધો, ચીવટપૂર્વક સુઘડ રીતે પહેરાયેલી સાડી – આ બધાંને લીધે એના સંપર્કમાં આવનાર સૌ કોઈને એ પ્રિય થઈ પડતી. આ જુઓને, બે દિવસ સવારે એ લાફીંગ ક્લબમાં ન જઈ શકી ત્યાં તો આજે સવારે રેણુ, રંજના, મુકેશ સૌ ફરિયાદ કરવા લાગ્યાં, ‘કેમ નહોતાં આવતાં ? તમે આમ ગાપચી મારો એ ન ચાલે હં ! તમારા વિના સૂનું સૂનું લાગે છે.’ ‘સાચ્ચે જ, આંટી, તમારા હસવાનો રણકાર એટલો મીઠો છે કે, એ સાંભળીને દિવસ સુધરી જાય.’ રેણુએ વ્હાલથી કહ્યું. ‘મારો દીકરો અને વહુ એના નાનકાને લઈને ફરવા ગયા છે એટલે ઘરમાંથી નીકળી નહોતી શકી. આજે રાત સુધીમાં તો એ લોકો આવી જશે એટલે કાલથી પાછી હું નિયમિયપણે આવીશ, બસ ?’ નંદિતા ઘર તરફ જતાં વિચારી રહી, એ હતા ત્યારે એ પણ રેણુની જેમ જ કહેતાને ! ‘તું હસે ત્યારે એવું લાગે છે કે, મંદિરમાં એકસાથે ઘંટડીઓ રણકી ઊઠી. તારા હાસ્યને કદી વિલાવા ન દઈશ. બધા માટે ભલે તું નંદિતા હોય, મારે માટે તું સુહાસિની. દિલ ખુશ કરી દે એવું સુંદર હસનારી મારી સુહાસિની.’

ઘરે જઈને પહેલું કામ એણે મોબાઈલમાં મિસ્ડ કૉલ જોવાનું કર્યું એક્કે ફોન નહોતો. એનું મન ઉદાસ થઈ ગયું. એણે નક્કી કર્યું કે, જો ગૌરવનો ફોન નહીં આવે તો પોતે પણ સામેથી ફોન નહીં કરે. કોણ જાણે કેમ પણ રહી રહીને લાગતું હતું કે, એ હવે પહેલાંનો ગૌરવ નથી રહ્યો. એ ચાર-પાંચ દિવસ પહેલાંની વાત યાદ કરી રહી. સવારે નાસ્તો કરતાં ગૌરવે કહ્યું હતું, ‘મમ્મી, મારે એ તરફ ઑફિસિયલ વિઝિટ પણ છે તો વિચારું છું કે આલોકા અને બિટ્ટુને બે-ત્રણ દિવસ મહાબળેશ્વર ફેરવી આવું.’ ‘હા હા, ચોક્કસ. આનંદથી ફરી આવો બેટા, ને મારી ફિકર જરાય ન કરશો.’ નંદિતાએ ખુશીથી કહ્યું તો હતું પણ મનમાં જરાક ખટકો તો રહ્યો જ કે, ‘ઑફિસિયલ વિઝિટ’ શબ્દ વાપરવાને બદલે ગૌરવ સીધે સીધુ ન કહી શકત કે મારો જન્મદિવસ ઊજવવા જવું છે ? એ શું એમ માનતો હશે કે, 20મી ઑગસ્ટને રવિવારે એનો જન્મદિવસ આવે છે એ એની જન્મદાત્રી મા ભૂલી ગઈ હશે ?

એને યાદ આવ્યું કે, ગયે વર્ષે એના જન્મદિવસે ગૌરવ અને આલોકા નવું ટી.વી. લઈ આવેલાં. સરસ મજાનું રૂપકડું ટી.વી. જોઈને બિટ્ટુ ખુશ થઈ ગયેલો. તાળીઓ પાડતો જાય અને બોલતો જાય, ‘દાદીનું નવું ટી.વી., દાદીનું નવું ટી.વી. . . .’ ‘દાદીનું નવું ટી.વી. ? મારે માટે જુદું ટી.વી. લેવાની શી જરૂર હતી ? ઘરમાં એક ટી.વી. તો છે. આપણે બધા સાથે બેસીને જોઈએ જ છીએ ને ?’ ગૌરવ અને આલોકાની નજર એકમેક સાથે ટકરાઈ એનંદિતાના ધ્યાન બહાર ન રહ્યું. આલોકાએ જરા થોથવાતા કહ્યું, ‘એ ટી.વી. તો છે જ, પણ આ તો તમારી બર્થ-ડે ગીફ્ટ.’ ‘ને મમ્મી, તું રૂમમાં બેસીને તને ગમતા પ્રોગ્રામ જોયા કરે તો બીજી કોઈ માથાકૂટ નહીં ને અમને પણ જરા પ્રાયવસી. . .’ આલોકાએ ઈશારો કરીને એને બોલતો અટકાવી દીધેલો.બધી અણગમતી વાતોને ખંખેરી નાખવી હોય એમ એણે માથું ઝાટકી નાખ્યું.

પોતાની પર્સમાંથી 500, 500ની બે નોટ કાઢીને એણે બૂમ પાડી, ‘સવિતા, ઓ સવિતા, આ યાદીમાં લખેલી બધી વસ્તુ લઈ આવ. બે લીટર દૂધ, નાની નાની બટેટી એક કિલો, લીલીછમ જોઈને કોથમીરનો એક ઝૂડો લેજે ને. . . . ‘ સવિતા તો જોતી જ રહી. ‘બા, આજે કેમ આટલા બધાં ખુશ છો ? આટલું બધું હસતા તો મેં તમને કોઈ દિ’ નથી જોયાં !’ ‘ખુશ તો હોઉં જ ને ! આજે તારા નાના શેઠનો જન્મદિવસ છે. આજે બધી એને ભાવતી વાનગીઓ બનાવવી છે. ખીર, પૂરી, બટેટાનું ભરેલું શાક, ખાંડવી. . . . .’
‘બા આટલું બધું તમે બનાવશો ?’ ‘અરે, તને ખબર નથી ચાલીસ-પચાસ માણસની રસોઈ તો હું હાલતાં-ચાલતાં બનાવી કાઢતી. હવે એવું છે કે, આલોકા રસોડાના કોઈ કામને હાથ લગાડવા નથી દેતી એટલે ટેવ છૂટી ગઈ છે ને થાકી પણ જવાય છે.’ તો યે નંદિતાએ પાંચ વાગ્યા સુધીમાં બધી તૈયારી કરી લીધી. નવી ક્રોકરી, નવા ટેબલ મેટ્સ, નવા નેપકીન અને ટેબલની વચ્ચોવચ મોટી, કલાત્મક મીણબત્તીય ખરી. એને થયું, ગૌરવ વિચારતો જ હશે કે, ત્રણ દિવસથી મમ્મી એકલી છે તો રાત્રે આઠેક વાગ્યા સુધીમાં પહોંચી જઈએ. ઘડિયાળમાં સાતના ટકોરા થયા એટલે એ નાહી-ધોઈ, નવી સાડી પહેરીને તૈયાર થઈ. બસ, હવે થોડી વારમાં એ લોકો આવવા જ જોઈએ. આ સરપ્રાઈઝ જોઈને ગૌરવ આશ્ચર્યથી ઊછળી પડશે અને કેહેશે, ‘મોમ, યુ આર ગ્રેટ. મને ભાવતી રસોઈ બનાવવા તેં કેટલી મહેનત કરી ?’

નવ, દસ અને અગિયાર થયા ત્યારે નંદિતાને ઝોકાં આવવા લાગ્યાં. લેચ-કીથી દરવાજો ખોલી ગૌરવ ઊંઘતા બિટ્ટુને તેડીને અંદર આવ્યો. ‘આ શું મા ? તને કોણે કહ્યું’તું આ બધું બનાવવાનું ? બહાર નીકળ્યા હોઈએ તો જમીને જ આવીએ ને ?’ બેટા, તને ભાવતી ખીર. . . .’ ‘જે હોય એ બધું ફ્રીજમાં મૂકી દે મમ્મી. બહુ થાકી ગયો છું. કાલે મૂડ હશે તો ખાઈશ.’ બેમાંથી કોઈને નંદિતાને પૂછવાનું ન સૂઝ્યું કે એ જમી છે કે નહીં ? દીકરો પગે લાગશે એમ કરીને નંદિતાએ ગૌરવને આપવા કવર તૈયાર રાખ્યું હતું એ એણે ટેબલ ક્લોથ નીચે દબાવી દીધું. આલોકા નાઈટી પહેરીને ધમધમ કરતી આવીને ટેબલ પરથી બધું ઉપાડતાં બબડતી હતી, 'નકામી આટલી મહેનત કરીને ! ને બગાડ પણ કેટલો ?'

નંદિતાની આંખો ભરાઈ આવી પણ તરત જ એની નજર દીવાલ પર લટકતા ફોટા તરફ ગઈ. એને યાદ આવ્યું એણે રડવાનું નથી, હસવાનું છે.

અને છેલ્લે, એણે આલોકાને કહ્યું, ‘આલોકા ચિંતા ન કરીશ. સવિતાને બધું લાવવા મેં જ પૈસા આપ્યા હતા ને આમાંથી કશું બગડશે નહીં. કાલે અનાથાશ્રમમાં બાળકોને ખવડાવી આવીશ.’ રૂમમાં આવીને આંખો લૂંછતા એ લાફીંગ ક્લબમાં હસતી એમ જોરજોરથી હસવા લાગી હા. . .હા. . .હા.

અનન્યા દાસની અંગ્રેજી વાર્તાને આધારે, 'ભૂમિપુત્ર’ પાક્ષિકમાંથી સાભાર લીધેલો પ્રસંગ જરાય કાલ્પનિક નથી, ક્યાંક ને કયાંક રોજબરોજ એને કો'કને કો'ક તો રિયલ લાઈફમાં ભજવતું જ રહે છે, કેમ ખરું ને? મને અને તમને ખબર જ છે કે મારા જેવા જુવાનિયાઓ આ હકીકત નહિ સ્વીકારે અને "નંદિતાબેન" મનમાં ને મનમાં એ અસ્વીકારનો સામનો કરી પણ લેશે!!!

- કાર્તિક શાહ 

Saturday, November 4, 2017

આંસુ વિના અંતરથી રડે એ પિતા!


જાહેરમાં જે પ્રેમ કરે તે મા અને ખાનગીમાં જે પ્રેમ કરે તે પિતા. આંખથી રડે તે મા અને અંતરથી રડે તે પિતા. લાગણીઓથી નવડાવનાર મા તો માગણીઓ પૂરી કરનાર પિતા.
દિકરાને મા પ્રત્યે સવિશેષ લાગણી હોય છે અને માને પણ સંતાન પ્રત્યે સવિશેષ લાગણી હોય છે કારણ કે મા અને દિકરાનો સંબંધ માત્ર સંબંધ નથી હોતો ઋણાનુબંધ હોય છે. પિતાને દિકરા સાથેનો સંબંધ દિકરાના જન્મ પછી હોય છે. એટલે એનો અર્થ એવો નથી કે પિતાને પુત્ર પ્રત્યે પ્રેમ નથી હોતો !
ઇતિહાસમાં કેટલાય એવા પ્રસંગો ઘટ્યા છે કે મા વિનાના દિકરાને પિતાએ જ મોટો કર્યો છે. પિતા વિનાના દિકરા-દિકરી માટે મા જેમ પિતાનો રોલ કરી શકે છે એમ મા-વિનાના દિકરા-દિકરી માટે પિતા પણ માનો રોલ કરી શકે છે. એ ક્યારેય ન ભૂલશો…દિકરાનું બચપન માના હાથમાં હોય છે તો બચપનથી પચપન સુધી સાચવનાર પિતા હોય છે. કેટલીક વાર એવું બનતું હોય છે કે પિતા બોલી નથી શકતા મુંગા મુંગા એ બધુ જ કામ કરી લેતા હોય છે, બાપ બનનાર દરેકને આ અનુભવ હશે.
 જન્મ દાત્રી માતા છે તો જીવનદાતા પિતા છે. કલ્પના કરજો કે જે બાળકને પિતા જ ન હોય એની સ્થિતિ કેવી હોય ? યાદ કરો સાયકલ ચલાવતા કોણે શીખવ્યું ? મોટા થયા ત્યારે બાઇકની ઝંખના જાગી, એ ઇચ્છા કોણે પુરી કરી આપી ? અકસ્માત કે રફ ડ્રાઇવીંગ ના ભયથી પિતા દીકરાને બાઇક ન લાવી આપે એમાં પણ દીકરા માટે હિતબુદ્ધિ જ હોય છે. કેટલાક દીકરાની ફરીયાદ હોય છેઃ “બાપાએ અમને શું આપ્યું ? જ્ન્મ આપ્યો, જીવન આપ્યું અને જતન કર્યું એ કાંઇ કમ છે ?
સ્કૂલની ફીઝ ભરવાની હતી ત્યારે, સ્પોર્ટ ક્લબમાં જવું હોય ત્યારે, ગાડી શીખવી હોય ત્યારે,પપ્પાની પીઠ ઉપર ઘોડો બનીને બેસવું હોય ત્યારે આ દરેક પ્રસંગે પિતા પડખે રહ્યા છે. સંતાનનો જ્ન્મ થયો હોય ત્યારે એ પહેલાથી એના વિશેની ચિંતા બાપને હોય છે. દીકરાનું અવતરણ પણ હજુ આ પૃથ્વી ઉપર ન થયું હોય એ પહેલા મા-બાપે કેટકેટલા સપના જોયા હોય છે.
તમે નાના હતા અને દોઢ-બે-ત્રણ-ચાર-ચાર વરસ સુધી બોલવાનું ચાલુ નો’તું કર્યું ત્યારે સૌથી વધારે ચિંતા તમારા માટેની એ બાપ ના હ્રદયમાં હતી. આખુ જગત જાણે છે કે દીકરો પહેલી વાર મા બોલે છે કે મમ્મી બોલે છે ત્યારે એ મા રાજીની રેડ થઇ જાય છે. પણ દીકરો પહેલીવાર ‘પપ્પા’ બોલે છે ત્યારે એ બાપનું અંત:કરણ ઘેલુ ઘેલુ થઇ જાય છે એ વખતે એના રાજીપાની નોંધ કેટલાયે લીધી ?

દીકરો કે દીકરી જેમ જેમ મોટા થતા જાય તેમ-તેમ બાપની ચિંતા પણ મોટી થતી જાય છે. દીકરો ભણતો હોય ત્યારે કોઇને પણ ખ્યાલ ન આવે એ રીતે બાપ મંદીરમાં જઇને પ્રાર્થના કરે છેઃ ‘મારો દીકરો સારા માર્કસે પાસ થાય’ ડોક્ટર, એન્જીનિયર કે સી.એ.નું ભણ્યા પછી દીકરાની નોકરી માટે વારંવાર ધક્કા ખાનાર બાપ હોય છે. નોકરી માટે લાચાર થનાર બાપ હોય છે. દીકરા માટે ડીગ્રી, નોકરી, છોકરી, આ ત્રણેય માટે બાપે કેટલી વાર ઠોકર ખાધી હોય છે એની નોંધ ક્યાં લેવાય છે...!!?

પિતા ગુરુ જેવા હોય છે. આંખ લાલ કરે પણ અંતરથી લાડ કરે.....દીર્ઘદ્રષ્ટા હોય, ભવિષ્યની ચિંતા એમ્ને અત્યારથી હોય છે. મધ્યમ વર્ગના કેટલાય પિતાઓ પોતાને ત્યાં દીકરો જન્મ્યો હોય અને હજુ નામકરણ પણ થયું ન હોય એ પહેલા એના નામે અમુક રકમ મુકી દેતા હોય છે. ભવિષ્યમાં દીકરાનો પ્રસંગ આવે તો કોઇની પાસે લાંબો હાથ ન કરવો પડે.

૨૩ વર્ષ નો એક યુવાન, મધ્યમવર્ગીય પરિવારનો એક નો એક દીકરો વર્તમાન પત્ર કે કોમ્પ્યુટર કરતાં પણ વધુ માહિતી ધરાવે. એક મોડી રાત્રે કેટલીક ચર્ચા થઇ છેલ્લે જતાં જતાં એણે વાત કરી કે ‘મહારાજ સાહેબ! મારા લગ્નના ખર્ચાની મારા પિતાને કોઇ ચિંતા નથી’ મેં કહ્યુંઃ ‘ભલા માણસ! બાપની ગંભીરતા તું હજુ સમજી ન શકે એટલે આવું બોલે છે. ઘરનાં કોઇને ગંધ પણ ન આવે એ રીતે એ વ્યવસ્થા કરતાં જ હોય..નહીં તો દેવુ કરીને પણ કરશે’
યુવાન કહે ‘ના એવું નથી..આજે બપોરે મારા પપ્પા મોબાઇલ ઉપર એમના દોસ્ત સાથે વાત કરતા હતા કે, સારું ઘર મળે તો હવે દીકરીને પરણાવી દેવી છે. ફેનીલનો જન્મ થયો ત્યારે એ બંન્નેના ભેગા મળીને ૪૦૦૦૦ રૂપિયા ફિક્સમાં મુકી દીધા હતા. દીકરી ૨૪ની થઇ છે રકમ ઉપાડશું તો લગ્ન ખર્ચ નીકળી જશે. વરસ પછી ફેનીલનો વારો..! મોટે ભાગે દરેક બાપના હ્રદયમાં દીકરા-દીકરી માટેની ચિંતા હોય છે. કરૂણાથી છલકાતા હ્રદયવાળા બાપની કેટલાને ખબર છે? માતાના હાથની બનાવેલી રસોઇના આપણે વખાણ કરીએ છીએ પણ એ રસોઇ માટે સીધુ લાવી આપનાર પિતાને ભૂલી જઇએ છીએ. પિતા જો દિકરાના ઉછેરમાં કચાશ રાખે તો આજે દીકરો સમજ અને સમાજ બંન્નેની બહાર હોત. બાપ દીકરા માટેની એક પણ ફરજ ને ચૂકતો નથી. યથાશક્તિ એ દરેક ઇચ્છાને પૂરી કરે છે ત્યારે દીકરાની પણ ફરજ થાય છે કે મા-બાપ ઘડપણમાં પ્રવેશે ત્યારે એમની તકેદારી રાખવી. ઘરડા મા-બાપ્ને તમારી પાંસેથી પૈસાની અપેક્ષા નથી હોતી પણ પ્રેમની અપેક્ષા હોય છે. ૨૪ કલાક દીકરો સામે જ રહે એવી અપેક્ષા નથી હોતી પણ દીકરો સાથે રાખે તેવી અપેક્ષા હોય છે. દરેક દીકરા રામ જેવા, શ્રવણ જેવા, ભીષ્મ જેવા કે કૃનાલ જેવા હોય એ જરૂરી નથી. અને એવા જ દીકરાઓ આપણને મળે એવી બાપે અપેક્ષા ન રખાય પણ ઔરંગઝેબ જેવા, કોણિક જેવા, ધૃતરાષ્ટ્ર જેવા પુત્રો નથી પાક્યા તેનો ગર્વ લેવો જોઇએ. 

અને છેલ્લે એટલું જ સમજવું છે કે માતા કે પિતા બંન્નેમાંથી એકેયનું વાત્સલ્ય ઓછું નથી હોતું પણ માતા સ્ત્રી હોવાના કારણે એની કોમળતા આપણને સ્પર્શે છે. જ્યારે પિતા પુરૂષ હોવાના કારણે એનામાં આપણને રૂક્ષતા લાગે છે. સાચી વાત તો એ છે કે પિતા રૂક્ષ નથી વૃક્ષ છે એના છાયડામાં બેસીએ ત્યારે જ શીતળતા અનુભવાય....!

સંકલિત: કાર્તિક ડી. શાહ ("સાધુ તો ચલતા ભલા" પુસ્તક માંથી)

પિતા - પપ્પા - બાપુજી


મારા પિતા એ વખતે ગામડામાં દરબારી કામ કરતા હતા. હું હાઈસ્કૂલમાં ભણતો એ વખતની આ વાત છે. મારા પિતાનો આમ તો કશો સામાજિક હોદ્દો નહોતો, કારણ કે એમને દરબારી હવાલદારથી સહેજ જ ઊંચું કામ કરવાનું હતું અને દરબાર ઉપરાંત દરબારના કારભારીની આજ્ઞા પણ ઉઠાવવી પડતી. ખળા ભરવાનું, ખેડૂતોના લેણા વસુલ લેવાનું આંટી ઘૂંટીવાળુ અને આંકડાની ભૂલભૂલામણી જેવું દરબારી નામું લખવાનું, દરબારના નાના છોકરાથી માંડીને બૈરાઓ સુધીના સૌના મોઢે રહેવાનું, એમ અનેકવિધ કામ એમને કરવાં પડતાં. આ બધા પાછળ જો કે એમની ઈચ્છા મોડે મોડે પણ દરબારના કારભારી થવાની હતી. પરંતુ એ પદ ઉપર પહોંચતા પહેલાં એમને અનેક વાડ ઠેકવાની હતી. અને સાથો સાથ ઘરના ખર્ચને પહોંચી વળવા જેટલું રળવાનું હતું. આ પેટપૂરી રળવા માટે એમને ટાઢ તડકો જોયા વિના ગામડાઓમાં અથડાવાનું હતું.
અમારા ગામમાં હાઈસ્કૂલ નહોતી એટલે બાજુના શહેરમાં હું એક ઓરડી ભાડે રાખી ભણતો હતો. એ વખતે મારી ઉંમર સોળ-સત્તર વર્ષની હતી. આ ઉંમરનો છોકરો અનેક વિચિત્રતાઓનું મિશ્રણ હોય છે. ક્યારેક પીઢ, ક્યારેક ઉછાંછળો, ક્યારેક ચુસ્ત ધર્માત્મા તો ક્યારેક ભયંકર નાસ્તિક, રંગીલો તો ક્યારેક ત્યાગી, મિત્તભાષી તો ક્યારેક વળી બોલકણો. ટૂંકમાં એ વખતે એનો કોઈ ચોક્કસ આકાર હોતો નથી. એની સ્થિતિ માટીના પીંડા જેવી અને એથીયે વધુ સારી રીતે કહીએ તો પ્રવાહી જેવી હોય છે. જે વાસણમાં એને રેડવામાં આવે એવો આકાર તરત એ ધારણ કરી લે છે. મારી પણ આવી જ હાલત હતી.
હું થોડા દિવસ ઘેર આવ્યો હતો. વાત એમ હતી કે, મેં વધુ પડતા પૈસા વાપરી નાખ્યા હતા, એટલે પત્ર લખીને પૈસા મંગાવવા કરતાં હું જાતે જ જાઉં તો એ કામ સહેલાઈથી પતે એમ હતું. અને એમ જ બન્યું. હું થોડા દિવસ ઘેર રહ્યો અને એક મહિનાના ખર્ચના અને થોડાં પુસ્તકો ખરીદવાના પૈસા લઈને શહેર પાછો ફર્યો. પાછો ફર્યો ત્યારે પિતાજીએ એટલું જ કહ્યું : ‘પરીક્ષા નજીક આવે છે એટલે વાંચવામાં ધ્યાન રાખજે અને આ ચિઠ્ઠી મોતીભાઈને આપજે.’ (મોતીભાઈ એમના મિત્ર હતા અને શહેરની કોર્ટમાં કલાર્ક હતા.) 

મારા પિતાની ચિંતા સકારણ હતી. પરીક્ષા નજીક આવતી હતી, પરંતુ મારું ધ્યાન ભણવામાં નહોતું. આજે એ વાત યાદ કરતાં મને શરમ આવે છે, પણ એ વખતે સવારમાં હોટેલમાં ચા-ગાંઠીયા, રીસેસમાં પુરી, સાંજે સિનેમા, રાત્રે નાસ્તા અને મિત્રોની મહેફિલ એ રીતે જ મારા દિવસો વીતતાં હતા. મારી ઓરડી, સર્વ રીતે સ્વતંત્ર હોવાથી, મિત્રોના અડ્ડાનું એક માત્ર સ્થળ હતું. એને કદી તાળું રહેતું નહિ અને કોઈને કોઈ મિત્ર મેલા ગોદડાં ખૂંદતા ત્યાં આળોટતો જ રહેતો. હું શહેર આવવા પાછો ફર્યો ત્યારે આ બધું બંધ કરી વાંચવામાં જીવ પરોવવાનો નિશ્ચય મેં માર્ગમાં જ કરી લીધો હતો.
પરંતુ ઓરડીએ પહોંચ્યો ત્યારે મિત્રોની મહેફિલ જામેલી જ હતી. હમણાં થોડા દિવસથી એ લોકો પાનાની એક નવી રમત શીખ્યા હતા. અને રમતમાં પૈસા માંડી એમણે જુગાર રમવાનું શરૂ કર્યું હતું. એ રમતમાં નિષ્ણાંત એવા થોડા અજાણ્યા સાથીદારો પણ મહેફિલમાં ઉમેરાયા હતા. પહેલાં તો મને એ બધાને હાથ જોડી બહાર મોકલી દેવાનું મન થયું. પણ રમત એવી જામી હતી, એવી તો જામી હતી. થોડી વારે મને પણ રસ પડવા માંડ્યો, ને હું પણ બેસી પડ્યો. રમતમાં કોઈ હારે કે જીતે ત્યારે એક સાથે સૌ ચિચિયારી પાડી ઉઠતા ને રમત ઓર જામી પડતી. રમતની એ રંગતમાં સવાર થઈ, હું મારા બધા રૂપિયા હારી ગયો. એટલું જ નહિ, થોડા ઉછીના લીધા એ પણ હારી ગયો.
એટલા રૂપિયા હાર્યા પછી મારી આંખ ખૂલી. આખી રાતનો ઉજાગરો હતો, આંખો બળતી હતી, પરંતુ મનને ક્યાંય ચેન નહોતું. બધા ગયા એટલે ગોદડું ઓઢી ઓરડીમાં પડ્યો રહ્યો, શું કરવું એ સૂઝતું નહોતું, કેટલા રૂપિયા હું હારી ગયો હતો ? મારા કુટુંબની હાલત કેવી હતી ? મારા પિતા કઈ રીતે પૂરું કરતા હતા ? ગામડામાં એમની સ્થિતિ કેવી હતી ? ઓહ…. ભયંકર નિરાશા અને મૂંઝવણ મારા દિલને કોરવા લાગ્યાં. 

ઋતુ ઠંડી હતી છતાં મારું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. માથું ચકરાવા લાગ્યું ને વિચારોના એક સામટા બોજાને કારણે જાણે હમણાં મગજ ચીરાઈ જશે એમ મને લાગ્યું. ગોદડું ફેંકીને હું ઓરડી બહાર ભાગ્યો. અને જે મિત્ર ઉપર પહેલી નજર પડી એની પાસેથી પૈસા લઈ ઘેર જવાના રવાના થયો. ઘેર જઈ ભૂલ કબૂલ કરી ફરી પૈસા લાવ્યા સિવાય જીવવું મુશ્કેલ હતું. મારા પિતાના મિજાજની મને ખબર હતી, એમના કડક સ્વભાવને કારણે મારા ઉપર કેટલું વીતશે એનું પણ મને ભાન હતું. મારી બેનમૂન મૂર્ખાઈ અને બેદરકારીને કારણે મારે એ બધું સહેવાનું હતું. અને એ વિના બીજો રસ્તો નહોતો. માર્ગમાં મને નાસી જવાના અને આપઘાત કરવાના વિચારો આવ્યા, પરંતુ મારાથી એ ન થઈ શક્યું. ડરતો, કંપતો હું ઘેર પહોંચ્યો.
નસીબ જોગે પિતાશ્રી એ વખતે ઘેર નહોતા. બાજુના ગામડાંમાં એ દરબારી કામે ગયા હતા. મારી બાએ મારો ફિક્કો ચહેરો જોયો તો બિચારી ગભરાઈ ગઈ. એને થયું કે, છોકરો નક્કી બીમાર પડી ગયો ! મેં એને કહ્યું કે મારી તબિયત સાવ સારી હતી, ત્યારે જ એનો જીવ હેઠો બેઠો. રાતના સગડી પાસે બેસીને તાપતાં મેં મારી રામકહાણી એને કરી. એની આંખમાં એ વખતે જે વ્યથા મેં જોઈ એને હું કદી ભૂલી નહી શકું. એણે મને કહ્યું, ‘અરે રે, આ વાત હું એમને ક્યા મોઢે કહીશ ? એમની તબિયત કેટલી ખરાબ રહે છે ! ને હાય, તોય બિચારા રાત દિ’…. આવું નહોતું કરવું, બેટા, આવું નહોતું કરવું’….. મને બાથમાં લઈ એ રોઈ પડી. 

એની દુ:ખભરી આંખો મને કહેતી હતી, ‘તારા બાપની કમાણી સામે તો જો. હવે એ તને ક્યાંથી પૈસા આપશે ? શું કરશો ?’ રાતના મોડે સુધી મને ઊંઘ ન આવી. સવારના હું મોડો ઊઠ્યો. પિતાજી ઘરે આવી ગયા હતા. રાતના ગાડાની મુસાફરી કરી એ ઘેર પહોંચ્યા હતા, એથી ઘણા થાકેલા હતા. ઉધરસ ખાતાં સગડી પાસે બેસી તાપી રહ્યા હતા. મેં એકવાર એમની સામે જોયું. એમણે મોં આડો હાથ દઈને જોરથી ઉધરસ ખાધી અને એક છોડિયું ઉપાડી સગડીમાં નાખ્યું. એમની લાલ આંખોમાંથી ઠંડીને કારણે પાણી ટપકતું હતું.

હું મારી બા પાસે ગયો. બા રસોડામાં હતી.
મારા પિતાએ કહ્યું : ‘રાંધવામાં જરા ઉતાવળ રાખજે. મારે અગિયારના ખટારામાં નાગલપર જવું છે.’ મેં ડરતાં ડરતાં બાને પૂછ્યું : ‘મારા બાપુજીને વાત કરી ?’ એ રોટલો ટીપી રહી હતી. એક દીર્ઘ નિશ્વાસ સાથે એણે કહ્યું, ‘હા.’ ફરી એ રોટલાની કોર સરખી કરીને ટીપવા લાગી.

મેં ફરીથી પૂછ્યું : ‘એમણે શું કહ્યું ?’

કંઈ જ નહિ. એમણે તારી તબિયતનું પૂછ્યું કે તાવબાવ નથી આવ્યો ને ?’

હું અને પિતાજી સાથે જમવા બેઠા, પણ અમારા વચ્ચે ખાસ કશી વાતચીત ન થઈ. એમણે મને ફક્ત એટલું જ પૂછ્યું, ‘મારી ચીઠ્ઠી મોતીભાઈને આપી ?

મેં નીચું જોઈને જ કહ્યું : ‘ના.’

તે ઉતાવળે જમતા હતા. પોણા અગિયારે કોટ પહેરીને એ નાગલપર જવા ઉપડી ગયા. જતાં જતાં કહેતા ગયા. ‘કાલે સવારની બસમાં તારે જવાનું છે. કંઈ લઈ જવાનું હોય તો તૈયાર કરાવી રાખજે.’
રાત્રે મોડેથી એ ઘેર આવ્યા. બીજે દિવસે વહેલા ચાર વાગ્યે બાએ મને જગાડ્યો. પાંચ વાગ્યાની બસમાં મારે જવાનું હતું. રાતના ગોદડાં બહાર રહી ગયેલો મારો હાથ ઠરીને ઠીંગરાઈ ગયો હતો. જલદી જલદી મોં ધોઈ, ચા પી હું તૈયાર થઈ ગયો. પિતાજી દેખાતા નહોતા. મને થયું, એ મોડા આવ્યા હતા, એથી સૂતા હશે – ભલે સૂતા. મેં બાને પૂછ્યું, ‘મને આપવાના પૈસા…..’

હજી હું બોલી રહું એ પહેલાં એણે મને કહ્યું, ‘બહાર તારા બાપુજી રાહ જોવે છે, એમને અત્યારમાં પીપરડી જવાનું છે – દાનો ઘોડું લેવા ગયો છે ને એ બહાર ઊભા છે.’ હું જલદી જલદી બહાર નીકળ્યો. ઠંડા પવનનો એક કાતિલ સૂસવાટો મારી છાતી વીંઘતો આરપાર નીકળી ગયો. બહાર નીકળી મેં જોયું તો ઘરની ભીંત પાસે ઉધરસ ખાતા મારા પિતાજી ઊભા હતા. એમનો કાળો પરિચિત ધાબળો એમણે ઓઢેલો હતો. ઘોડું એમની પાસે જ ઊભું હતું. બીજું કોઈ નહોતું.

લે’ એમણે ધાબળામાંથી હાથ બહાર કાઢી મને પૈસા આપતાં કહ્યું..!!
વીજળીની ધાર જેવો તીખો અને ઠંડો પવન ફૂંકાતો હતો. હું ધ્રુજી ગયો ને હાથની અદબ બીડી લીધી. પિતાજીએ ઘોડા ઉપર ચડી ઘોડાનું મોઢું મારી તરફ ફેરવ્યું અને કહ્યું, ‘હવે સંભારીને મારી ચિઠ્ઠી મોતીભાઈને આપી દેજે. અને….’ પણ એ આગળ બોલે એ પહેલાં એમને ઉધરસ ચડી. આજુબાજુ બધું જ ઠરી ગયું હતું અને ઠરીને મરી રહેલી સૃષ્ટિને વધુ ઠીંગરાવી દેવા જ ફૂંકાતો હોય એવો સૂસવાટ કરતો પવન ઊગમણી તરફથી ધસી આવ્યો. આ વખતે હું જોરથી કંપી ઊઠ્યો ને સહેજ વાંકો વળી ગયો. મારા પિતા ઉધરસ ખાતા હતા. એમણે પોતાનો ધાબળો કાઢીને મારી ઉપર ફેંક્યો. હું કંઈ બોલું એ પહેલા જ એમણે કહ્યું : ‘જલદી જા, નહિ તો બસ ઊપડી જશે અને જો……’ એ સહેજ થોભ્યા, ‘તને આપ્યા એ પૈસા મરજી પડે એમ વાપરજે, પણ… આમ મારી સામે જો …….અને છેલ્લે શબ્દો વિના જ કહી દીધું : વાપરતા પહેલાં હું કેમ રળું છું એ યાદ રાખજે….!!’


ને હું જવાબ આપું કે ધાબળો પાછો આપું એ પહેલાં તો એમણે ઘોડું હાંકી મૂક્યું. ઠંડું મોત ઘૂરકતું હોય એમ પવન ગર્જતો હતો.
સંકલિત: કાર્તિક શાહ (આ એક સંપૂર્ણ સત્યઘટના છે એક પ્રસિદ્ધ અને મને ગમતાં ગુજરાતી લેખકની જેમનો ફોટો ઉપર મુક્યો છે, આપ કહી શકશો કોણ હતાં એ? )

Friday, November 3, 2017

આજકાલ સંતાનોને પપ્પા ગમતા નથી!

"પપ્પા તમે અમને ગમતા નથી!!"
આજકાલ સંતાનોને પપ્પા ગમતા નથી!

આ હૃદયસ્પર્શી લેખ લખવાનું આજે એકદમ જ કેમ મન થયું? એની તો મને ખબર નથી પણ હા એક વાત ચોક્કસ છે કે સંતાનોને મમ્મી કદાચ પપ્પા કરતા વધારે જ વ્હાલી હોય છે! અને કેમ ન હોય? મમ્મી, મા, બા એ તો વ્હાલનો દરિયો છે! મમતા અને હુંફનું આજીવન વહેતું અખૂટ ઝરણું છે!!

બા એટલે બાળકના જન્મદાતા, પોષક અને રક્ષક.
બા એટલે મનુષ્ય શરીરના દાતા અને પ્રણેતા...!
બા એટલે સંતાનના જીવનનો પાયો...!
બા વગર સંસાર,જીવન કે અસ્તિત્વ શક્ય નથી...!
બાપુજી એટલે બાની પુંજી...!
બાપુજી શબ્દનુ સન્માન બાના અસ્તિત્વથી જ મળે છે...!
બાપુજી જીવના અવતરણનું માધ્યમ છે...!
બાપુજી જ્યાં સુધી બાની પુંજી તરીકે અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી એ માનને પાત્ર છે...!
બાપા એટલે બા નો ચોથો ભાગ (પા ભાગ)...!
બાપા એ જ્યાં સુધી બાનું અસ્તિત્વ છે ત્યાં સુધી પચીસ ટકા જેટલો જ હક્ક ધરાવે છે....!
બાપાનું જ્યાં સુધી બા છે ત્યાં સુધી માન છે....!
અને અંતે બા વગર બાપાની કોઇ કિંમત નથી કે કોઇ માન નથી.
જગતના પ્રાણી માત્રમાં બા એ ત્રણ ભાગ છે જ્યારે "બા-પા" એ ચોથો ભાગ છે.

આ વાત પર એક વાંચેલો પ્રસંગ યાદ આવે છે:

"ટેબલની એક તરફ ગુજરાતી પત્રકારત્વના દંતકથારુપ તંત્રી સ્વ. હસમુખ ગાંધી બિરાજમાન છે. સામે ‘સમકાલીન’ દૈનિકમાં જોડાવા માટે અધીરાઈ અનુભવી રહેલો એક ઉત્સાહી નવયુવાન બેઠો છે.

 ગાંધીભાઈના આકરા ઈન્ટરવ્યુ અને લિખિત પરીક્ષામાંથી એ પસાર થઈ ચુક્યો છે. બસ, હવે અપોઈન્ટમેન્ટ ઓર્ડરની રાહ જોવાઈ રહી છે. અચાનક પર્સોનેલ ડિપાર્ટમેન્ટના ક્લર્કે ફોર્મમાં વિગત ભરવા માટે પૂછે છે: પિતાનો વ્યવસાય? 

યુવાન જવાબ આપે છે: ‘પિતાજી!’ 

ગાંધીભાઈ હસી પડે છે: અલ્યા, તારા બાપાનો વ્યવસાય પૂછે છે! 
ત્યારે એ યુવાન સ્થિરતાથી કહે છે: ‘ઔપચારિકતા ખાતર ‘અધ્યાપક’ લખી શકો, બાકી હી ઈઝ અ ફુલટાઈમ ફાધર...’ 

આ યુવાન એટલે અજય દલપતસિંહ ઉમટ, જે આજે છવીસ વર્ષ પછી ટોચના પત્રકાર તરીકે જાણીતા છે. એમને જર્નલિઝમમાં પા-પા પગલી માંડનાર એમના પિતાજી પ્રોફેસર ડી.એસ. ઉમટ જ! 


પાર્ટટાઈમ પિતૃત્વ જેવું કશુંય હોય છે? પ્રસિદ્ધ વાર્તાકાર ડો. જયંત ખત્રીએ કહ્યું છે એમ, બાળક ક્યારેય એકલું જન્મતું નથી, સંતાનની સાથે એક પિતાનો જન્મ પણ થતો હોય છે... અને પછી પિતૃત્વ જિંદગીના અંતિમ શ્ર્વાસ સુધી સતત પુરુષની સાથે રહે છે. માતૃત્વનો મહિમા ખૂબ થયો છે, હંમેશાં થતો રહ્યો છે. પિતૃત્વનો મહિમા કરવામાં કદાચ આપણે પાછળ રહી ગયા છીએ!!



એટલે જ કદાચ "લવ યુ પપ્પા" જેવું કદાચ એકાદ જ પુસ્તક, માતૃત્વ ગાથા ગાતા સેંકડો પુસ્તકો વચ્ચે સાહિત્યમાં અત્યારે ટટ્ટાર ઊભું છે!!



અન્ય એક પ્રસંગમાં, આઈએએસ અધિકારી અનિતા કરવલે પંદર વર્ષનાં હતાં ત્યારે એક નિબંધસ્પર્ધામાં ભાગ લીધો હતો. એમણે પપ્પાને કહ્યું કે, તમારું ઈંગ્લિશ ખૂબ જ સરસ છે. મને આ એક નિબંધ લખી દેશો, પ્લીઝ? પપ્પાએ એમને બહુ સરસ જવાબ આપ્યો: ‘બેટા, તું જિંદગીમાં એક જ વખત જીતવા માગે છે કે પછી હંંમેશાં જીતવા માગે છે? જો તારે સ્કૂલમાં આ વર્ષ પૂરતા જ શ્રેષ્ઠ નિબંધલેખક બનવું હશે તો હું જરુર નિબંધ લખી આપીશ, પણ જો તારે જીવનમાં એક ઉત્તમ લેખક બનવું હશે તો એની શરુઆત આજથી જ કરવી પડશે!’ 

એ વખતે કદાચ અનિતા કરવલેએ પપ્પાને કીધું પણ હશે, "પપ્પા તમે દર વખતે આમ જ કરો છો!! મમ્મી કેટલી વ્હાલી છે, મને કેટલું હેલ્પ કરે છે અને તમે મને જરા પણ હેલ્પ નથી કરતા! એટલે જ તમે મને નથી ગમતા, જાઓ!" આ હૃદયને ચીરી નાખે એવાં સંતાનના વેધક વાકબાણ લગભગ દરેક પપ્પાના હૃદયને રોજબરોજ ઘા પહોંચાડતા રહે છે. પણ કહે છે ને કે મર્દ કો દર્દ નહીં હોતા..!! ને પાછું આપણું સમૃદ્ધ સાહિત્ય જે પપ્પાને વ્યથા ઠાલવવા કે આક્રંદ-રુદન કે ઋજુ થઈ હૃદયનો ભાર હળવો કરવાની મંજૂરી ય નથી આપતું!! 

નાના-મોટા પ્રસંગે પિતાએ કહેલી આવી વાત કે એમના વર્તન-વ્યવહારમાંથી ઊપસતાં સત્યો પછી સંસ્કાર બનીને આજીવન આપણી સાથે રહેતાં હોય છે. અનિતા કરવલેએ આગળ જઈને પછી પોતાના આઈએએસ અધિકારી પતિની સાથે મળીને ‘થિન્ક એવરેસ્ટ’ નામનું સુંદર પુસ્તક લખ્યું

પુત્રી ભલે પરણીને બીજા ઘરે જતી રહે, પણ પિતા સાથેનો એનો સંંબંધ ક્યારેય ભીનાશ ગુમાવતો નથી. દીકરી ભડભાદર થઈ જાય તોય પપ્પાની ઢીંગલી જ રહે છે. એટલે જ સાહિત્યકાર રઘુવીર ચૌધરીનાં દીકરી દષ્ટિ પટેલે કહ્યું છે કે, પપ્પાની હાજરીમાં ઉંમરની દોરી સડસડાટ ફીરકીમાં પાછી લપેટાઈ જતી અનુભવાય! રેડિયો જોકી અદિતિએ તો પોતાના મોબાઈલની ફોનબુકમાં પપ્પાનું નામ જ ‘લવ યુ’ તરીકે સેવ કરેલું છે.

પણ દીકરાની દુનિયા જુદી છે. દીકરા સાથે પિતાનું સમીકરણ પણ જરા જુદું હોય છે. પત્રકાર કાના બાંટવા કહે છે કે હું નાનપણમાં બાપાની આંગળી પકડીને ફર્યો હોઉં એવું પણ મને યાદ નથી. જૂની પેઢીમાં પુરુષોમાં કદાચ સંતાનને ખૂલીને વહાલ કરવાનો રિવાજ નહીં હોય! પિતા-પુત્ર વચ્ચે લાગણીની અભિવ્યક્તિ બોલકી રીતે પ્રગટ થઈ શકતી નથી. 

જ્યારે અધ્યાપક-કોલમનિસ્ટ મુકેશ મોદી શબ્દો ચોર્યા વગર કહે છે કે નાનપણમાં એમણે વર્ષો સુધી પોતાના સીધાસાદા પિતાજી અંગે ક્ષોભ અનુભવ્યો છે. એમને થાય કે એ બીજાઓના પપ્પા જેવા મોડર્ન અને સરસ જોબ કરતા સધ્ધર આદમી કેમ નથી? એવો પ્રસંગ જ ઊભો ન થવા દે કે બાપુજીએ સ્કૂલે આવવું પડે. ધોતિયું અને ખમીસ પહરેલા બાપા શાળાએ આવે તો કેવું લાગે! અલબત્ત, સમયની સાથે સમજદારી આવતી ગઈ અને પિતાજીને નિહાળતી દષ્ટિ બદલાતી ગઈ. એ લખે છે: ‘બાપુજી માટે ‘લવ યુ ડેડી’ એવો ભાવ નીકળતો નથી. મમ્મી માટે ‘લવ યુ મમ્મી’ સ્વાભાવિક હશે. પપ્પા માટે મને લવ કરતાં હવે "સેલ્યુટ" શબ્દ વધુ નજીક અને યોગ્ય લાગે છે.’


એટલે જ કહે છેને કે માતા પગ ધરતી છે તો પિતા માથા પરનું આસમાન.  ‘મા લપાઈ જવા માટે હોય છે પણ લડાઈમાં પિતાથી મોટી પ્રેરણા કે શક્તિ બીજી કોઈ નથી.’



કદાચ આ કઠોર હૃદયી, મધ્યાહ્નના સૂરજના તાપ જેવો આકરો લાગતો, સંસારના બે છેડા ભેગા કરીને ઘર સુધી એની ગાંઠ પહોંચતી કરવા મથી રહેલો આ "પપ્પા" સંતાનને કદાચ એટલે જ ગમતો નથી હોતો...!! પણ પપ્પાને અંદર એ વાતની ખુશી તો હોય જ છે કે દીકરા મારા પ્રત્યેનો અણગમો જ તને જાણે અજાણે "મા" તરફ આકર્ષી રહ્યો છે ને એ ખૂબ જ જરૂરી છે!! આ ભાવ આપણા ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ ઓછું ચર્ચાયો છે!!



મોટે ભાગે સંતાનને ત્યારે "નહીં ગમતા પપ્પા" નું મૂલ્ય સમજાય છે જ્યારે એ પોતે પપ્પા બની ચુક્યો હોય છે. અને કઠોર હૃદયી લાગતા પપ્પા જીવનની અવિસ્મરણીય યાદો અને સલાહો આપતી તસ્વીર સ્વરૂપે દીવાલ પર ટીંગાઈ ગયા હોય છે!!


અને છેલ્લે:

"પપ્પા" ભલે દિવસના અંતે ગણતરીની પળો માટે સંતાનનું મુખ જોઈ શકતા હશે, પણ એ હરહંમેશ પોતાના હસતા ખેલતા પરિવારને જોઈને પોતાની કઠીનાઈઓ-સંઘર્ષ ભૂલી જઇ પ્રભાતે નવા જોમ-જુસ્સા પૂરવા માટેનું આત્મબળ મેળવતો રહે છે!! એટલે જ હું દરેક સંતાનને કહીશ, આ ઉપરથી કઠોર અને માંહેથી મીઠા, મધુરા, ઋજુ (નારિયેળ જેવા) પપ્પા ને પણ મમ્મી જેટલા જ ગમાડજો, વ્હાલ કરજો ! અને મમ્મી, બા જોડે એમને તોલીને એવું કદીય ના કહેશો કે "પપ્પા તમે ગમતા નથી!" પપ્પા કદાચ બોલી નહીં શકે એટલે તમે અત્યારે જ એમને આ બળ પૂરું પાડજો.  જો જો પાછળથી તસ્વીર સામે પછી ક્યાંક આપનેય...........

- ડો. કાર્તિક ડી. શાહ