Saturday, January 8, 2022

દેશ-પરદેશ!!




પૂર્વ આફ્રિકાની ધરતી ઉપર બુકોબા નામનું એક નાનકડું શહેર. ‘ટાઉન’ જ કહો ને ! આપણાં ભારતીયો અને એશિયનોની વસ્તી પણ ત્યાં ઠીક ઠીક. રમા અને ચન્દ્રકાન્ત પણ ત્યાં આવી વસેલાં. ચન્દ્રકાન્ત શાહ વ્યવસાયે વકીલ અને અંગ્રેજો સાથે પેઢીમાં ભાગીદાર (એટોર્નિઝ એટ લૉ.) ધીકતી પ્રેકટિસ, સુખી જીવન !

એમાં વધુ સુખનો પ્રસંગ આવ્યો. રમાને પહેલી પ્રસૂતિ આવવાની હતી. ગામમાં ડૉકટરો ખરા, પણ સરકારી હૉસ્પિટલ અને પ્રસૂતિગૃહ એક માઈલ દૂર. વળી ઘરમાં બીજું ત્રીજું કોઈ માણસ નહિ. રમાએ સૂચન કર્યું : ‘ઈન્ડિયાથી મારા બાને બોલાવી લઈએ તો ?’
‘ભલે, જેવી તારી ઈચ્છા !’ ચન્દ્રકાન્તે સંમતિ દર્શાવી.
અને જેમણે પોતાના શહેર બહાર યાત્રા નિમિત્તે પણ કદી પગ મૂક્યો નહોતો એવા કમળાબા વિમાનમાં ઊડીને સીધાં આફ્રિકાની ધરતી પર ઊતરી આવ્યાં. રમા રાજી થઈ. ચન્દ્રકાન્તને નિરાંત થઈ. કમળાબાને આનંદ થયો, દીકરી જમાઈની સુખી સમૃદ્ધ જીંદગી જોઈને.

દિવસો પસાર થવા લાગ્યા. કમળાબા એ ક્ષણની રાહ જોતાં હતાં, જે માટે એ જન્મભૂમિ છોડીને આ પરદેશીઓ વચ્ચે, કાળા લોકો વચ્ચે આવ્યાં હતાં. પહેલાં પહેલાં તો એમને જરાયે ગમ્યું નહોતું. ભાષા અજાણી, કાળા કદરૂપા આફ્રિકન લોકો અને વાત કરનારું સમવયસ્ક કોઈ નહિ. પણ પછી ધીમે ધીમે મન સ્વસ્થ થવા લાગ્યું. અને એ ક્ષણો પણ આવી. રમાને પહેલી પ્રસુતિની પીડા ઊપડી. ચન્દ્રકાન્તની ઑફિસે ફોન કર્યો. મારતી કારે એ આવ્યા. રમાને અને કમળાબાને કારમાં લઈ એમણે કારને સરકારી હૉસ્પિટલ તરફ મારી મૂકી.

હૉસ્પિટલના મુખ્ય ડૉકટર અંગ્રેજ ગૃહસ્થ હતા. તેમણે હસીને સ્વાગત કર્યું. રમાને ‘લેબર-રૂમ’ માં લઈ લીધી. ઘટતા ઉપચાર શરૂ કર્યા. સાસુ અને જમાઈ ચિંતાતુર ચહેરે, લેબરરૂમથી થોડે દૂર પેસેજ વટાવીને આવતા ચોક જેવી જગ્યામાં, નાનકડા સોફા પર બેઠાં. કોઈ વાત કરવાના મૂડમાં નહોતાં. હતા માત્ર પ્રતીક્ષામાં. પસાર થઈ રહેલી પળોની ગણત્રીમાં અને કોઈ અજ્ઞાત ભયની ચિંતામાં.

સમય પસાર થતો ગયો. બે કલાક થઈ ગયા.
લેબરરૂમમાં આવ-જા થતી દેખાતી. અવાજો સંભળાતા હતા પણ રમાનો છુટકારો થતો નહોતો. કુદરતી રીતે પ્રસવ થતો નહોતો. પહેલી પ્રસૂતી હતી. ચિંતાજનક સ્થિતિ હતી. ચન્દ્રકાન્ત ઊભા થઈને આંટા મારવા લાગતા, ને વળી કંઈ કારણ વગર બેસી જતા. મૂંગા મૂંગા બેસી રહેતા, ને ફરી ઊભા થઈ જતા. કમળાબા મનમાં ઈષ્ટદેવ શ્રીનાથજીનું સ્મરણ કરી રહ્યાં હતાં, ‘બધું સમું-સૂતરું પાર ઉતારજો, શ્રીજી બાવા!’

થોડીવારમાં વાતાવરણ એકદમ શાંત થઈ ગયું. જાણે ઘેરી ગંભીરતા ચોપાસ છવાઈ ગઈ ! કમળાબાના મનમાં પ્રશ્ન થયો, કશું ચિંતાજનક ? એમના મનમાં ધ્રાસકો પડ્યો. એમણે જમાઈને ઈશારો કર્યો.
‘આ બધું આમ કેમ શાંત થઈ ગયું ? જાણે સૌ ચૂપચાપ થઈ ગયાં ! રમાને કંઈ…..’ કહેતાં માનો કંઠ ભરાઈ આવ્યો.
‘હું જોઉં….’ કહેતા ચન્દ્રકાન્ત ઊભા થયા અને એ લેબર રૂમ ભણી ચાલ્યા. લેબર રૂમનું બારણું બંધ હતું. શું કરવું ? ત્યાં તો કમળાબા પણ તેમની પાછળ આવી ઊભાં. બંનેના ચહેરા પર મૂંઝવણ અને ચિંતા ઘેરા રંગોમાં ચીતરાયેલાં હતાં. હૈયા જોર જોરથી ધબકતાં હતાં. રમાના યોગક્ષેમની ચિંતામાં કાળજું કંપતું હતું.

ત્યાં કશોક અવાજ સંભળાવા લાગ્યો, સમૂહનો અવાજ, એક સાથે સૌ કશુંક ગણગણતા હોય તેવો. ચન્દ્રકાન્તે હિંમત કરી લેબર રૂમને બારણે હાથ મુક્યો. બારણું અંદરથી બંધ નહોતું. થોડું ઊઘડી ગયું. સાસુ અને જમાઈ અંદરનું દશ્ય આશ્ચર્યમુગ્ધ બની, આભાં બની જોઈ રહ્યાં.

અંદર અંગ્રેજ ડૉકટર અને કાળા આફ્રિકન પરિચારકો શેત્રંજી પર ઘૂંટણિયે પડી, મા મેરીની મૂર્તિ સમક્ષ પ્રાર્થના કરી રહ્યાં હતાં. પ્રાર્થના પૂરી થઈ. સૌ ઊભાં થયાં. ઓપરેશન થિયેટરમાં રમાને લઈ જવામાં આવી.
એક નિગ્રો નર્સે બહાર આવી પૂછ્યું : ‘કેમ ? અહીં કેમ ઊભાં છો તમે ?’
‘તમે શું કરતાં હતાં ?’ કમળાબેને સામું પૂછ્યું.
‘પ્રાર્થના ! મા મેરીને પ્રાર્થના કરતાં હતાં !’
‘શી ?’
‘એ કે, મા મેરી, તું આ મા અને નવા આવનાર તેના બાળકને બચાવજે!’ ઑપરેશન પહેલાં અમે હંમેશા પેશન્ટ માટે આમ પ્રાર્થના કરીએ છીએ !’ નિગ્રો નર્સે કહ્યું.
કમળાબાને થયું, ‘અરે વાહ ! આ ધરતી પરદેશી હતી ? કે સવાયી સ્વદેશી ?’

ખરો જ્ઞાની કોણ?




યૂનાનનાં પ્રાચીન ડોલ્ફીના દેવીનાં મંદિરમાં દેવી તરીકે એક સ્ત્રી બીરાજમાન રહેતી. તત્વચિંતક જેવું જ્ઞાન અને ક્ષમતા ધરાવતી આ સ્ત્રી અમુક વિશેષ પ્રસંગોએ કેટલીક ઘોષણાઓ કરતી તો ક્યારેક મંદિરમાં એકઠા થયેલા સમાજનાં લોકો એમને ભવિષ્યની વાતો પૂછતાં. એકવખત ટોળામાંથી એક વ્યક્તિએ દેવીને પૂછ્યું કે, “યૂનાનમાં અત્યારે સૌથી બુદ્ધિમાન અને જ્ઞાની પુરૂષ કોણ છે?” .

દેવીએ જવાબ આપ્યો, “સુકરાત”. .

આ સાંભળીને લોકો સુકરાત પાસે ગયા અને તેને જણાવ્યું કે દેવીએ આવું કહ્યું છે. .

સુકરાતે કહ્યુ, “તદન ખોટી વાત. હું તો અજ્ઞાની છું. હા, જ્ઞાન મેળવવા માટેની મારી જિજ્ઞાસા થોડી વધારે જરૂર છે.” .

આ વાત લોકોએ ફરી વખત જ્યારે દેવી પાસે એકઠા થયા ત્યારે દેવીને જણાવી કે, “તમોએ સૌથી જ્ઞાની સુકરાતને કહ્યો પણ સુકરાત તો કહે છે કે હું તો અજ્ઞાની છું.” .

દેવીએ કહ્યું, “બસ આ જ તો વાત છે. જેને જ્ઞાની હોવા છતાં પોતાનાં જ્ઞાનનું અભિમાન નથી એ જ સૌથી મોટો જ્ઞાની છે.” .

જ્ઞાનનો અહમ


ઓસ્પેન્સકી (૧૮૭૮-૧૯૪૭)


એકવખત ઓસ્પેન્સકી (ચિંતક – જન્મ ૧૮૭૮) ગુર્જિએફ પાસે ગયો. પોતે ઘણું જાણે છે તેવા ગર્વ સાથે તે ગુર્જિએફ પાસે આવ્યો હતો.

ગુર્જિએફ આ વાત જાણી ગયાં હતાં. તેમણે ઓસ્પેન્સકીને કહ્યું કે એ જે જાણે છે તે કાગળ ઊપર લખી આપે. આપણે બંને એ બધુ છોડીને એ સિવાયની ચર્ચા કરીશું.

માણસ જ્યારે કાંઇ લખવા બેસે છે ત્યારે તેને સાચી ખબર પડે છે કે પોતે કેટલામાં છે. ઓસ્પેન્સકીનું પણ એવું જ થયું. તેને તેની મર્યાદાઓ સમજાય. એ પછી તે ગુર્જિએફનો શિષ્ય બની ગયો.

સ્વમાની હેન્સ એન્ડરસન


હેન્સ એન્ડરસન (૧૮૦૫-૧૮૭૫)


પરીકથાઓનાં લેખક હેન્સ એન્ડરસનનાં જીવનનાં શરૂઆતનાં દિવસોની આ વાત છે. મુશ્કેલ પરીસ્થિતીમાં એકવખત તે ત્યાંનાં રાજાની પાસે મદદ માંગવા ગયેલ. રાજાએ તેને મદદ તો ન કરેલ અને ‘મોચીનો દિકરો તો જીવે ત્યાં સુધી સીવે’ એમ કહીને તેને ઉતારી પાડેલ.

એ પછી એન્ડરસન તેની પરીકથાઓને કારણે ખૂબ જ મશહૂર થયો. એ વખતે આ જ રાજાએ તેને મદદ આપવા માટે આમંત્રણ આપેલ. એ વખતે આમંત્રણનો અસ્વીકાર કરતાં એન્ડરસને કહેલ, ‘હવે હું શું માંગુ? મારે જે જોઇતુ હતું એ તો મેં મારી મેળે મેળવી લીધું છે.’

મનની કડવાશ

આ સમગ્ર લેખ શ્રી ભુપત વડોદરિયા દ્વારા આલેખાયેલો છે જે આ બ્લોગના વાચકો માટે અહીં રજૂ કરું છું.


અન્ય વ્યકિતઓ સાથેના વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક આપણા દિલમાં પેદા થયેલી કડવાશને દૂર કરવાની આપણે ખાસ જરૂર જોતા નથી. આ કડવાશ દૂર કરવાની જરૂર બીજા કોઈને માટે નહીં પણ આપણી પોતાની માનસિક તંદુરસ્તી માટે પણ હોય છે. 


સ્વ. વિજિયાલક્ષ્મી પંડિતે વર્ષો પહેલા એક લેખ લખ્યો હતો. ધી રીડર્સ ડાઈજેસ્ટ નામના અંગ્રેજી માસિકમાં પ્રગટ થયેલા એ લેખનું મથાળું આવું હતું : ધી બેસ્ટ એડવાઈસ આઈ એવર હેડ. ગુજરાતી ભાષામાં તેનો ભાવાર્થ કરીએ તો મને જિંદગીમાં મળેલી સર્વોતમ સલાહ એવો થાય. વિજયાલક્ષ્મીએ એમાં પોતાની જિંદગીને એક ગંભીર ઘટના વિશે લખ્યું છે. વિજયાલક્ષ્મીના પતિ રણજિત પંડિતનું અવસાન થયું હતું. વિજયાલક્ષ્મીના શ્વસુર રાજકોટના શ્રીમંત રહીશ હતા. સારી જાગીર ધરાવતા હતા. વિજયાલક્ષ્મીને પુત્ર ન હતો. પુત્રીઓ હતી. વિજયાલક્ષ્મી તો સુશિક્ષિત, ખૂબ આગળ વધેલાં અને નવા વિચારનાં. એમને તો કલ્પના પણ ક્યાંથી આવે કે મારા સસરા મારી બાળકીઓ માટે મારા પતિની મિલકતમાંથી ભાગ આપવાની ના પાડશે !

રણજિત પંડિતના પિતા હતા સજ્જન પણ જૂના જમાનાના માણસ એટલે તેમણે તો હિન્દુ કુટુંબનો કાયદો આગળ કર્યો અને કહ્યું, દિકરો હોય તો ભાગ પડે. દીકરીને ભાગ ના મળે. ભરણપોષણની જવાબદારી કુટુંબની ખરી પણ એ માટે તેમને જિવાઈ મળે. અંહી રાજકોટ આવીને રહેશો તો તમને પાળીશું.

વિજયાલક્ષ્મી કહે છે મારું મન કડવાશથી ભરાઈ ગયું. મારું મન અંહીથી ઊઠી ગયું. મેં નક્કી કરી નાખ્યું કે મારી બાળકીઓને લઈને મારે અમેરિકા ચાલ્યા જવું અને ત્યાં જ આપમેળે સ્થિર થઈ જવાની કોશિશ કરવી. હું ગાંધીજીને મળવા ગઈ. અમેરિકા જતાં પહેલાં બાપુના આશીર્વાદ લેવા હતા. બાપુએ પૂછ્યું કે રાજકોટ પંડિત સાહેબના આશીર્વાદ લઈ આવ્યા કે નહીં ? જાણે દુખતા ભાગમાં ઠેસ લગાવી. મેં મારી સાથે તમણે કરેલા વહેવારની વાત કરી. મારું દિલ બરાબર ઘવાયું હતું. એમના જુનવાણી ખ્યાલોના પડદા પાછળ મને સ્વાર્થી લુચ્ચાઈ અને લોભ દેખાયાં હતાં.


પણ ગાંધીજી તો આવા બધા ખરાબ વિચારોથી મનને કલુષિત કરવામાં માનતા જ નહીં. રાજકોટ જઈને સસરા પાસે આશીર્વાદ લેવા જવાની વાત વિજયાલક્ષ્મીને આકરી લાગી પણ ગાંધીજી એ સમજાવ્યું કે તમારે ક્યાં ભાગ લેવા જવાનું છે ? તમારે તો આશીર્વાદ જ માગવા જવાનું છે અને તેમ કરવું તે તમારું કર્તવ્ય છે. તમારા પોતાના કલ્યાણની જ આ વાત છે. સામી વ્યકિતનું દષ્ટિબિંદુ સમજવાની કોશિશ કરવી. સામી વ્યકિતના વર્તનમાં ખરાબમાં ખરાબ આશયોનું એકદમ આરોપણ કરીના દેવું. આપણે ધારી લઈએ છીએ એટલા માણસો ખરાબ નથી હોતા. વળી તમે જ્યારે પરદેશ નવું જીવન શરૂ કરવા જાઓ છો ત્યારે હળવા હૈયે શું કામ નથી જતાં ? હૈયામાં આવી કળવાશ ભરીને શું કામ જાઓ છો ? યાદ રાખજો, આવી કડવાશ સૌથી તો તેને સંઘરનાર માણસને પોતાને જ વધારે ને વધારે નુકશાન કરે છે. વિજયાલક્ષ્મી પંડિતે નોંધ્યું છે કે , કચવાતા મને પણ હું રાજકોટ મારા શ્વસુરને મળવા ગઈ. મારી બાળકીઓને સાથે લઈને ગઈ. સસરા ગળગળા થઈ ગયા. હું અમેરિકાં પહોંચી ગઈ. મારા મન પર હવે ભાર નહતો. થોડા વખત પછી સસરાનો પત્ર આવ્યો. તેમાં લખ્યું હતું કે હિંદુ સંસારનાં રૂઢિ, રિવાજ જે હોય તે, હું મારી દીકરીઓને વારસાથી વંચિત નહીં રાખું. તમારે જે ઘર-જમીન જોઈએ એ તમારાં. 


વિજયાલક્ષ્મી પંડિતને મહાત્મા ગાંધીની એ સલાહ આખી જિંદગી સંભારવા જેવી લાગી. મનમાં કળવાશ ભરવી નહીં. કડવાશ સંઘરવાથી સૌથી વધુ નુકશાન આપણી પોતાની જાતને જ થતું હોય છે. આપણને ખબર નથી હોતી પણ આપણે જેને આપણા હિતશત્રુઓ માનતા હોઈએ છીએ એ હિતસાઘકો પુરવાર થતા હોય છે.


ગાંધીજી તો મહામાનવ હતા પણ બીજા ઘણા માનવીઓનો આ જાતઅનુભવ છે કે આપણે જેને આપણું અહિત કરનારા માની ને વેરવૃત્તિ કેળવવા માંડીએ છીએ તે આપણું અહિત કરતા હોતા નથી. જેઓ આપણને ખૂબ અન્યાય કરી રહ્યા છે તેવું આપણે માનીએ છીએ તેઓ આવો સાચો કે માની લીધેલો અન્યાય જાણીબૂઝીને ન પણ કરતા હોય તેવો પૂરો સંભવ છે. 


આપણે ધૂંધવાઈ ઊઠીએ છીએ કેમ કે આપણી પોતાની દષ્ટિની મર્યાદામાં જ બધો વિચાર કરીએ છીએ. એકવાર મનમાં કડવાશ તમે કાઢી નાખશો તો પછી તમને ચારે તરફ તમારા સમાજમાં, તમારી ઓફીસમાં, તમારા વર્તુળમાં અદીઠ દુશ્મનોનું દળ દેખાશે નહીં. હરેક ચહેરા પાછળ સંતાયેલો શત્રુ નહીં દેખાય. કડવું બોલનારામાં પણ મિત્ર કે હિતચિંતક દેખાશે. બીજું તો ઠીક, મનમાં કડવાશ નહીં હોય તો જ તમે જિંદગીની ઘણીબધી મધુરતાને કલુષિત બનતી બચાવી શકશો. આપણું પોતાનું જીવન આપણને ઝેર જેવું લાગે છે. તેમાં સૌથી મોટો ફાળો આપણા પોતાના જ અંતરની કડવાશનો હોય છે.  

Sunday, October 4, 2020

જીવનઉપયોગી સાત શબ્દો કયા? - વાંચો શબ્દસંપુટ!

 

જો તમને કોઈ જીવનોપયોગી કોઈ પણ છ કે સાત શબ્દો કહેવાનું કહે તો..? આજે આપણે શબ્દસંપુટમાં એવાં જ થોડા શબ્દો વિષે વાત કરવા જઈ રહ્યાં છીએ. ચાલો તો સંપુટમાંથી થોડા ખુબ જ ઉપયોગી એવા શબ્દો બહાર કાઢીએ!

મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને એક માણસે એક વાર પત્ર લખ્યો હતો કે, આપ જગતના મહાન વિજ્ઞાની છો એ જ રીતે મહાન વિચારક પણ છો, તો આપના વિચારના  નિચોડરૂપ મને છ શબ્દો ન લખીને મોકલી શકો? 

એના જવાબમાં આઇન્સ્ટાઇને લખ્યું: 'ઈશ્વર, દેશ, પત્ની, ગણિત, મનુષ્ય, શાંતિ!'

કોઈ પણ માણસ આ છ શબ્દો ઉપર વિચાર કરશે તો તેમાં તેને આઈન્સ્ટાઈનના મહાન વિચારોનું રહસ્ય અને જીવન વિશેની તેમની ઊંડી સમજણ ચોક્કસ પ્રતીત થશે. શબ્દોને આજકાલ આપણે સાવ છીછરા અને અર્થહીન બનાવી મુક્યા છે! ત્યારે એક શબ્દ કેટલું બધું કહી શકે છે એનો ઉપરથી આપણને ખ્યાલ આવે છે. આજે તો બધું ગરમાગરમ જ વેચાય છે, મોટા મોટા શબ્દો અને ખોટી ખોટી વાતો! ક્યારેક તો જેનો કશો જ અર્થ ન હોય એવા ભારે અને નિરર્થક શબ્દોના ઢગલા જ વાચકો સામે ખડકાયેલા હોયછે. લખનારને જયારે કશું જ કહેવાનું નથી હોતું ત્યારે તે મોટા શબ્દોમાં ખોટી વાતો કહેવાનું શરુ કરે છે. અને હમણાં તો એનો જાણે અતિરેક થઇ રહ્યો છે. કોવીડ-19 ના આવા તોફાની અને દુર્ગમ સમયમાં ફરી એક વાર, આખાયે વિશ્વમાં જેનું વરદાન માત્ર માણસને મળ્યું છે એ શબ્દની શક્તિનો અને એના રહસ્યનો આપણે ગંભીરતાપૂર્વક વિચાર કરીએ તે જરુરી લાગે છે.


જોશુઆ લિબમેન (1907-1948)

જોશુઆ લિબમેનએ લખ્યું છે કે, હું જયારે યુવાન હતો ત્યારે મારા ભાવિ જીવનની પસંદગી માટે મેં છ શબ્દો પસંદ કર્યા છે અને તેને મારા ઓફિસના ટેબલ ઉપર મારી સામે રાખતો હતો. એ શબ્દો હતા -- તંદુરસ્તી, પ્રેમ, નિપુણતા, સત્તા, ધન, કીર્તિ!

એક અમેરિકન માટે એના જીવનનો આખો નકશો દોરી શકે એવા આ છ શબ્દોને ચોક્કસ ગણી શકાય (પાછળથી એણે એમાં એક ફેરફાર કર્યો હતો, એની વાત પછી ક્યારેક!) આમ, શબ્દ એક એવી શક્તિ છે જે આખાય પ્રાણીજગતમાં મનુષ્ય સિવાય કોઈને મળી નથી! જોન ગાર્ડનરની વાત કરીએ તો એમને એક આર્ટિકલમાં એવો પ્રશ્ન કર્યો છે કે એકવીસમી સદીમાં જીવનાર કોઈ પણ વ્યક્તિ માટે સાચી શિખામણનો માત્ર એક જ શબ્દ તમારે આપવાનો હોય તો તમે કયો શબ્દ એને આપો?


આ વાત એણે  અનેક માણસોને, અનેક સંમેલનોમાં અને મિત્રોને જુદી જુદી મહેફિલોમાં પૂછેલું અને ઘણાબધા માણસો પાસેથી જુદા જુદા શબ્દો જાણ્યા પછી તેમાંથી સૌથી અગત્યનો એક શબ્દ તેણે પસંદ કર્યો છે: "live!"-- "જીવનને બરાબર જીવી જાણો!"


જ્હોન ગાર્ડનર (1933-1982)

આમ તો આ શબ્દ ખુબ જ સામાન્ય જણાય છે. પરંતુ એકવીસમી સદીના આ ઐતિહાસિક કાળખંડમાં આપણે જે ઉતાવળિયું, અધકચરું, ભયયુક્ત અને મૂર્ખાઈભર્યું જીવન જીવી રહ્યા છીએ એ જોતા એમ લાગે છે કે એકવીસમી સદીના કોઈપણ માણસ માટે "Live" શબ્દ કદાચ સૌથી ઉપયોગી નીવડશે! જીવન જીવવું એટલે માત્ર આ પૃથ્વી-ધરા પર હોવું, ખાવું-પીવું અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું એટલું જ નથી, એનો અર્થ ઘણો વિશાળ છે!

થોન્ટર્ન વાઇલ્ડર (1897-1975)

થોન્ટર્ન વાઇલ્ડરના એક નાટક 'અવર ટાઉન'માં એક યુવાન સ્ત્રી એકાએક મૃત્યુ પામે છે. પરંતુ તેને તેના જીવનનો માત્ર એક દિવસ જીવવાની એક તક ફરીથી આપવામાં આવે છે. આ દિવસ તેણે  કયો પસંદ કરવો એ તેની મુનસફી ઉપર હોય છે. એ યુવાન સ્ત્રી પોતાની વીસમી વર્ષગાંઠનો દિવસ પસંદ કરે છે, એ દિવસ તેને પુરેપુરી તીવ્રતાથી જીવી લેવાની, જાણી લેવાની ઈચ્છા હોય છે. બધું જ જોઈ લેવાની, જાણી લેવાની અને માણી લેવાની ઈચ્છા હોય છે.

પરંતુ અફસોસ સાથે તેને ખ્યાલ આવે છે કે જે ઉત્કટતાથી એ પોતે સમજતી હતી એવી કોઈ ઉત્કટતા કે સમજણ તેના કુટુંબીજનોમાં નહોતી! તેના સગાવ્હાલા અને કુટુંબીઓ પોતાની જિંદગીના દિવસને જાણે બેફિકરાઈથી વેડફી રહ્યા હતા. તેની માતાનો હાથ પકડીને તે ઉત્તેજનાથી કહે છે, "બા, તું એક વાર મારી સામે તો જો!"

અને આખરે વિશાળ ધરતી સામે જોઈને અફસોસથી બોલી ઉઠે છે, "ઓ સુંદર ધરા, ઓ ધરતી! તું કેટલી અદભુત છે! કેટલી  ભરપૂર છે! પરંતુ તારા ઉપર જીવનાર કયો મનુષ્ય તારા સૌંદર્યને જોઈ શકે છે! ઓહ, જીવન જીવવું તે કેટલું રહસ્યમય અને ભર્યું ભર્યું છે, પરંતુ માણસને તેની ખબર જ નથી અને આ ભરપૂર જિંદગીમાંથી આખરે તૅ  ખાલી હાથે જ વિદાય લે છે!"

આ જ નાટકમાં લેખકે એક સરસ વાત કહી છે, જે અહીં એમના જ શબ્દોમાં મુકું છું (ખુબ જ ધ્યાનથી સમજજો!): "It seems to me that once in your life before you die you ought to see a country where they don't talk in English and don't even want to!"

આ નાટકમાં લેખક જે કહી રહ્યા છે એનાથી આપણને લાગે છે કે લાખો કરોડો માણસો પોતાનું જીવન માત્ર વેડફી રહ્યા છે. એટલે કે આ એકવીસમી સદીમાં મનુષ્ય માટે કોઈ ઉત્તમ શબ્દ હોય તો તે છે: "LIVE" - જીવનને બરાબર જીવવું, માણવુ, અનુભવવું, તેના પ્રત્યે સજાગ રહેવું અને જીવનનો જે સ્વાભાવિક ક્રમ છે તે પ્રમાણે હર પળે હર ક્ષણે વિકાસ પામવો!

કેટલાક માણસોએ live ને બદલે love શબ્દ પસંદ કર્યો છે. અહીં પ્રેમ એટલે પતિપત્નીનો, ભાઈબહેનનો કે જીવમાત્ર ઉપરનો પ્રેમ, એટલું જ નહિ, પરંતુ પ્રેમનો ખરો અર્થ છે: "કોઈ પણ  વ્યક્તિ સાથે કશીયે લેતીદેતીની ઈચ્છા વિનાનો વ્યવહાર!" એવો પ્રેમ જ શુદ્ધ અને નિર્દોષ હોઈ શકે છે. 

કેટલાક લોકોએ ઉપરના બંને શબ્દોને બદલે "LEARN"- શીખવું એવો શબ્દ પસંદ કર્યો છે. આ શબ્દ પણ જીવનમાં બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. અઢાર, ઓગણીસ, વીસમી સદીમાં તે અગત્યનો હતો અને એકવીસમી સદીમાં તો ખાસ અગત્યનો છે તથા બાવીસમી સદીમાં પણ એટલો જ અગત્યનો રહેશે! અહીં ખાસ સમજજો કે  શીખવું એ માત્ર અને માત્ર શિક્ષણ નથી! આપણે આ બે શબ્દોને સાથે જોડીને શીખવું શબ્દને નિરાશ અને કંટાળાજનક બનાવી દીધો છે. જ્યાં સુધી કોઈ પણ વસ્તુને તમે પ્રેમથી અને રસપૂર્વક શીખતાં નથી ત્યાં સુધી તમે ખરેખર કશું જ શીખી શકતા નથી! કેટલાક માણસો કહે છે કે, ખરેખર તો માણસે પોતાની જાત સાથે સંવાદ સાધીને જીવતા શીખવાની જરૂર છે અને એનો જ અર્થ શીખવું અથવા તો સાચા અર્થમાં શિક્ષણ છે. આ પણ વિચારવા જેવી એક બાબત છે!

આમ ત્રણ બહુ જ અગત્યના શબ્દો "જીવન જીવવું, પ્રેમ કરવો અને શીખવું" એ આપણે જોયા, પરંતુ તમે જુદા જુદા ક્ષેત્રના માણસોને એક જ શબ્દ પસંદ કરવાનું કહેશો ત્યારે તેઓ સ્વાભાવિક રીતે જ અલગ અલગ શબ્દો પસંદ કરશે! કોઈ ધાર્મિક માણસ એક જ શબ્દ પસંદ કરશે: "શ્રદ્ધા", વૈજ્ઞાનિક કહેશે: "શોધ" અને ઉદ્યોગપતિ કહેશે: "ઉત્પાદન"!

કેટલાક તત્વજ્ઞાનીઓને એક શબ્દ પસંદ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમની પસંદગી હતી: "THINK" આ થિન્ક એટલેકે વિચારવાની પ્રક્રિયામાં UNDERSTAND અને KNOW  એટલેકે સમજવાની અને જાણવાની વાત પણ આપોઆપ જ આવી જાય છે. બીજા કેટલાકે જુદા જુદા શબ્દો પણ પસંદ કર્યા છે!

જોન ગાર્ડનરને જયારે તેની પોતાની પસંદગી વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેણે  અનેક ક્ષેત્રોના અનેક અનુભવી માણસના પસંદ કરેલા શબ્દોમાંથી સાત શબ્દો પસંદ કર્યા છે. એટલે કે, એકવીસમી સદીમાં જાણનાર કોઈ પણ વ્યક્તિ માટે તેની પાસે એક નહિ પરંતુ સાત શબ્દો છે. એ શબ્દો છે: "જીવન જીવો, પ્રેમ કરો, શીખતાં રહો, વિચારો, આપો, હસો, પ્રયત્ન કરો"! (LIVE, LOVE, LEARN, THINK, GIVE, LAUGH, TRY)


ઉપરના સાત શબ્દોમાં તમે કશું ઉમેરી શકો એમ છો?


મને પોતાને એમ લાગે છે, કે ઉપરના સાત શબ્દોમાં લગભગ બધું જ આવી જાય છે. છતાં એકવીસમી સદીમાં અને ખાસ તો હાલના અત્યારના વિકટ સમયમાં જેની બહુ જ જરુર પડતી હોય કે આગળ પડવાની હોય તેવો એક શબ્દ જો મારે સૂચવવાનો હોય તો એ શબ્દ હું સૂચવું -- "RELAX"!

 મને લાગે છે કે જોન ગાર્ડનરે સૂચવેલા સાત શબ્દો પ્રમાણે જીવનાર માણસને આ શબ્દની અચૂક જરૂર પડવાની અને તો જ તે ઉપરના સાતેય શબ્દોને ખરા અર્થમાં જીવી શકશે અને જીવનનું સાચું સુખ પામી શકશે, તમે શું માનો છો?


રજુઆત: કાર્તિક શાહ (પંખ મેગેઝીન, અંક ૪૫, ઓક્ટોબર, ૨૦૨૦)

Wednesday, August 26, 2020

જીવન જીવવાની કળા !

વાત વિચારવા જેવી છે. જીવનનો નકાર એટલે ઈશ્વરનો ઇન્કાર. કેટલાક લોકો જિંદગી શું છે એ જાણવામાં જ સમય વેડફે છે અને તમે... જાણીને પણ કેટલું જાણો ? માણવું  એજ જાણવું! નદીમાં હોવું એ જ નદીનું જ્ઞાન! જીવનમાં હોવું એટલું જ પૂરતું છે. ખુલ્લા મનથી જીવનનો સ્વીકાર કરવો જોઈએ. આપણી પ્રિય વ્યક્તિને જોઈને એને મળવા કે ભેટવા આપણા હાથ અને મન ખુલ્લા થાય તો જ એ આપણી ભીતર અંકાય છે તેમ જ ખુલ્લા મને અને ખુલ્લા હાથે જીવનને ઝીલવું જોઈએ - ચાહવું જોઈએ!

ચાહવું એટલે પ્રત્યેક પળમાં રસ! ઉદાસીની પળને પણ ચાહવી જોઈએ -- એને પાળ્યા કે પંપાળ્યા વિના! જીવનરસથી મધુર (કઠિન સમયમાં પણ!) બીજો કોઈ રસ જ નથી! 


ઉદાસ થઇએ તો એમ કહીએ: "રામ રાખે તેમ રહીએ!" જે કંઈ કરવું હોય તે પૂર્ણ મનથી કરવું જોઈએ, કોઈ પણ જાતના દ્વિધા કે મનોમંથન વિના સંકલ્પના શિખર ઉપર પલાંઠી વાળીને અને ધૂણી  ધખાવીને!! જે કાર્ય કરીએ એમાં  એવા ઓતપ્રોત થઇ જઈએ કે જાણે કાલે મોત ના આવવાનું હોય! એક વાત હંમેશા યાદ રાખો કે પૂર્ણ રીતે સજ્જ અને સંપુક્ત (ઇન્વોલ્વ) થયા વિના કંઈ જ થતું નથી!


જ્ઞાન ગુરુ પાસેથી જ મળે એવું નથી. હું તો ત્યાં સુધી કહું છું કે જેની પાસેથી આપણને નવું  જ્ઞાન મળે એ આપણા ગુરુ!

પણ ઘણીવાર મેં જોયું છે કે જીવનનું સત્ય સમજાવતા અને જીવનની કઠિન પરીક્ષાઓમાં પાસ થવાનું શીખવાડતાં ઘણાં માણસો કે માર્ગદર્શકોને આપણે પોતે જ ગુરુ તરીકે સન્માન નથી આપતાં જે ખરેખર યોગ્ય નથી. આજે હું એ તમામ પથદર્શકોને ગુરુતુલ્ય માની આપ સૌની સાક્ષીમાં જાહેરમાં નમન કરું છું! 


ઘણીવાર, હું લિફ્ટમેનને જોઉં છું ત્યારે એમ થાય છે એની જિંદગીમાં રૂટિન-રોંજીદાપણું કેટલી હદે છે એની વચ્ચે પણ શંકર નામનો લિફ્ટમેન લખલૂટ આનંદ લૂંટતો જાય છે જતા-આવતા દરેક માણસો સાથે આનંદથી વાતો કરી કરી ને! કામને કેવી મોજથી કરે છે અને જરા પણ ભાર નહિ કામનો મન ઉપર!  મારુ માનવું છે કે લિફ્ટમેનને જીવનનો જેટલો ખ્યાલ આવતો હશે એટલો બહુ ઓછાને આવતો હશે! સતત ચડતી-પડતીનો ચકરાવો! એને બરાબર ખબર છે કે આજે હમણાં જ તો હું ઉપર આવ્યો છું કે તરત નીચે પડવાનો છું, અરે કદાચ એમ જ કહું કે બહુ જલ્દીથી કોઈ મને નીચે ખેંચવાનું છે! ઉપર-નીચે તો ક્યારેક મધ્યમાં બરાબર અટવાયેલા રહેવું અને પાછા પ્રફુલ્લિત રહેવું એનાથી વધુ બીજી સ્થિતપ્રજ્ઞતા બીજી કઈ!?


એ જ રીતે ટેક્સી કે રીક્ષા ચાલક પણ ઘણું શીખવાડી જાય છે. એક રીક્ષાચાલક કહે કે આપણા રાજકારણીઓ એટલી હદે પૈસા બનાવે છે કે એમને પાંચસો પાંચસોની નોટોથી બાળીએ તો, એમનો આખો દેહ રાખ થઇ જાય એ પછી પણ કરોડોની નોટો શેષ રહેશે! વાતવાતમાં એણે  મને પૂછી નાખ્યું, "સાહેબ, આમાં કોઈ સુખી હશે ખરું?"


મેં કહ્યું, "દુઃખ હશે તો ય સહન કરી શકાય એવું હશે. આ બધા જીવે છે તે કંઈક ને કૈંક આશામાં જ જીવતા હશે, આશા રાખવી અને ભ્રમણામાં ના રહેવું એવો મારો મંત્ર!" ઘણાને એવુંય કહેતા સાંભળ્યા છે કે જીવન શબ્દની અંદર જ "વન" છે એટલે એક વાર ભગવાન શ્રી રામ જેવું વનવાસ તો ભોગવવું જ પડે! પણ જીવન ને જીવન નહિ પણ સંજીવન ગણવું! જે પોતાનામાં રસ લેતો નથી એ બીજામાં રસ લઇ શકતો નથી. રસ લેવા માટે કશું જ નાનું કે મોટું નથી. 

વાતવાતમાં નિર્વેદ, કંટાળો કે થાક -- આ બધા વિચારો માણસને મારી નાખે છે. સફળતા થી વિમુખ કરે છે અને હતાશા તરફ ધકેલે છે. આદત તો છેવટે આદત જ છે. નોકરી-સલામતી, એને કારણે મળતી સત્તા, ફાયદા --- આ બધાની સૌને ટેવ પડી જાય છે!  

બાળક માતાના ગર્ભમાં સુરક્ષિત છે. પ્રસવ થયા બાદ તુરંત જ આપણે એને કપડામાં વીંટાળી દઈએ છીએ. જેથી એને કોઈ કવચ મળી રહે! પછી એ બાળક મોટું થાય છે  ત્યારે પણ એ જ કપડું / ગાભું લઈને ફર્યા કરે છે. આપણે પણ આવી જ અસલામતીમાં જીવીએ છીએ. જે આ અસલામતીના ગાભાને પોતાના જીવનથી દૂર ઉતારીને ફેંકી શકે છે એ બચી જાય છે!


જીવનરસ હોય તો નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ મળી જ રહે છે. કશું ના કરવું એ પણ પ્રવૃત્તિ નથી એમ નહિ, પણ મનની નિષ્ક્રિયતા ન હોવી જોઈએ! કેટલું બધું જોવાનું છે, વાંચવાનું છે, સાંભળવાનું છે, હજુ તો કેટલાય માણસોને મળવાનું છે , અરે હજુ તો કેટલું બધું જાણવાનું અને જીવનને ઓળખવાનું બાકી છે! માણસ પગ છૂટો કરવા ચાલવા જાય છે, પણ મન છૂટું કરવા માટે મિત્રોને મળે નહિ અને પોતાના જ કોચલામાં ભરાઈ જાય તો એ પોતાના જ ઘરની દીવાલમાં ગૂંગળાઈ મરે છે! 

મરણ ના આવે ત્યાં સુધી જીવવાનું તો છે જ ને! તો પછી આનંદભરી સમજણથી કે સમજણભર્યા આનંદથી છલોછલ રસથી કેમ ન જીવવું?


સંકલિત: "ડો. કાર્તિક શાહ"