Friday, March 29, 2019

દ્રુપદ શૈલીનાં મહાન ગુજરાતી ગાયક......


ગયા શુક્રવારે આપણે જોયું કે આપણા જ ગુજરાત રાજ્યમાંથી જ......
એ કોણ હતું કે જેઓ પોતાનાં રાજ્યના રાજાના ડરથી નદીમાં કૂદીને ભાગી ગયેલા?
એ કોણ હતું કે જેઓ ફરી બીજી વાર રાજાના ડરથી કિલ્લો કૂદીને ભાગી ગયેલા?
એ કોણ હતું કે જેઓને ભાવનગરના રાજાએ રાજગાયકની પદવી આપી હતી?
દિલ્લી જતી અને અજમેર રોકવામાં આવેલી ટ્રેનને કેમ ખાસ એમના માટે દિલ્લી રવાના કરવામાં આવી?
તો આવો આજે જાણીએ આ મહાન પણ અલ્પ-પ્રસિદ્ધ દ્રુપદ શૈલીનાં મહાન ગુજરાતી ગાયકને અને વાંચીયે વધુ આગળ....!!


બીજી વાર કિલ્લો કૂદીને ભાગી જઈ તેઓ જૂનાગઢથી વીરપુરમાં શ્રી જલારામ બાપાના દર્શન કરી એ જ જગ્યામાં રોકાઈ અને મુંબઈ આવી 1889માં શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં છેવટે જોડાઈ ગયા. મનુષ્યને મનગમતી વસ્તુઓ મળે એટલે એનું હૃદય કેવું પુલકિત બને છે!!  કવિકુલગુરુ કાલિદાસનું સર્વશ્રેષ્ઠ અને દુનિયાભરમાં ખ્યાતિ પામેલું નાટક "શાકુંતલ" અને મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ એના ગીતોનું સંગીત આપવા આ ભાઈને નિયુક્ત કર્યા એટલું જ નહિ પરંતુ નાટકમાં દુષ્યન્તની મુખ્ય ભૂમિકા પણ એમને સોંપાઈ!! ઓગષ્ટ 1889માં આ નાટક મુંબઈમાં રજુ થયું!

આવા તો ઘણાં નાટકોમાં તેઓ પછી સક્રિય રહ્યા. અને મુખ્ય ભૂમિકામાં જ મૉટે ભાગે રહ્યા, જેના પરથી એ સાબિત થાય છે કે સંગીતની સાથે સાથે અભિનયમાં પણ તેઓ એટલા જ કુશળ હતા એટલું જ નહિ પરંતુ મુળજીભાઈ એ એમને દિગદર્શક પણ બનાવ્યા ત્યારે નાટ્યના સર્વ અંગો, નૃત્ય, સજાવટ અને વ્યવસ્થા પણ તેઓ સંભાળતા! 1897માં ભર્તૃહરિનો ખેલ કરી કંપની અમદાવાદ અને ભાવનગર થઇ જૂનાગઢ ગઈ ત્યારે તેઓ છુટા થયા અને રંગભૂમિમાંથી નિવૃત્ત થયા પરંતુ સંગીત સાધના તો ચાલુ જ રાખી! 

ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ એમને સાંભળ્યા હતા અને જિંદગીના અંત સુધી તેઓ અહીં રાજગાયકની પદવીએ રહ્યા! 


હવે એક ખાસ પ્રસંગ:

1911માં બ્રિટનના રાજા પંચમ જ્યોર્જના રાજ્યાભિષેક પ્રસંગે એમને દિલ્હી જવાનું આમંત્રણ મળ્યું. એ વખતે ભારતના અન્ય રાજ્યોની સ્પેશિયલ ટ્રેનો પણ દિલ્હી તરફ રવાના થઇ એ ધસારાને લીધે એમની ટ્રેનને અજમેર ખાતે રોકી રાખવામાં આવી. સમય પસાર કરવા ભજન મંડળીમાં એમણે ગાયુ, એ ગાયકી પર મુગ્ધ થઇ રેલવેના અધિકારીઓએ જયારે જાણ્યું કે આ ભાઈ ખાસ આ પ્રસંગ માટે દિલ્હી જઈ રહ્યા છે, તો એમની ટ્રેનને લીલી ઝંડી બતાવી તાત્કાલિક પસાર કરવામાં આવી. 

1919માં બનારસમાં અખિલ ભારત સંગીત પરિષદ યોજાઈ તેમાં પણ ભાવનગર રાજ્યના પ્રતિનિધિ તરીકે આ ભાઈ એ રૌપ્ય-ચંદ્રક પ્રાપ્ત કર્યો! એમની દ્રુપદની ગાયકી અજોડ હતી. અમદાવાદમાં પણ કોંગ્રેસનું અધિવેશન ભરાયું ત્યારે મહાત્મા ગાંધીજી અને પંડિત વિષ્ણુ દિગંબરજીની પ્રેરણાથી રાષ્ટ્રીય સંગીત કોન્ફરન્સની યોજના થઇ. તેમાં ભારતના અન્ય પ્રસિદ્ધ દ્રુપદ ગાયકોમાં અલ્લાબંદેખાં સાહેબ પણ હતા, જેઓ આ ભાઈને તુરંત બોલી ઉઠ્યા, "ઇસકે મુકાબલે કોઈ નહિ હે યહાં!"

1922-23માં વિશ્વ કવિ રવીન્દ્રનાથ ટાગોર ગુજરાત સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા. લીંબડીના ઠાકોર સાહેબ શ્રી દોલતસિંહજીના ત્યાં મહેમાન બન્યા ત્યારે સહજ પૃચ્છા કરી કે સારા ગાયક કોણ છે? એટલે ભાવનગરથી આ રાજગાયકને તેડું આવ્યું! અને એમનું સંગીત સાંભળી કવિવરે એમને એમના શાંતિ નિકેતનમાં આચાર્યની પદવી ઓફર કરી. પણ આ ભાઈ માતૃભૂમિ પરસ્ત રહ્યા અને ગુજરાતની ભૂમિને પ્યારી ગણી.

એ સમયમાં સેનિયા ઘરાનામાં અલ્લાબંદેખાં, સુરસેન, લાલસેન, નિહાલસેન, જાકીરઉદ્દીન વગેરે ધુરંધર દ્રુપદ ગાયકો ગરજતાં હતા. તે જમાનામાં પોતાની વિદ્યાના બળે પોતાનું નામ બુલંદ કરનાર અને એમની હરોળમાં બેસનાર આ ગુજરાતી કેવી ઉચ્ચ કોટિનો સંગીતકાર હશે એનું અનુમાન થઇ શકે છે. 

અન્ય એક પ્રસંગ:

થયું એવું કે, સાઇમન કમિશન સાથે મશહૂર આંગ્લ ગાયિકા મેડમ ક્લેરા બટ્ટ પણ ભારતમાં આવી. એણે  ભારતીય ગાયકોને સાંભળી એવો અભિપ્રાય ઉછર્યો કે તેઓ નાકમાંથી ગાય છે. અને ભારતમાં "વોઇસ ક્લચર" જેવું કંઈ જ નથી! ત્યારે પોરબંદરના મહારાજ નટવરસિંહજીએ મેડમ ક્લેરાને પોરબંદર આવવાનું આમંત્રણ આપ્યું! સાથે વડોદરાથી ગાયિકા ઈદમજાન, નિસારહુસેન અને ભાવનાગરથી આ રાજગાયકને અને એમાં પુત્રને પણ નિમંત્ર્યા! આ રાજગાયકનું ગાન સાંભળી મેડમ ક્લેરા મંત્રમુગ્ધ બની ગયા અને કહ્યું, 

"શું અદભુત અવાજ છે! મેં સમસ્ત જગતમાં આવું સુંદર સંગીત સાંભળ્યું નથી! જાણે સિંહ સંપૂર્ણ સંગીતમાં ગરજે છે! વાહ..."

મનુષ્યને નરશાર્દૂલ, નરસિંહની ઉપમા અપાય છે અહીં મેડમ કલેરાએ સંગીત કેસરીની ઉપમા આ ભાઈને આપી અને પોતે ઉચ્ચારેલા અભિપ્રાય માટે ક્ષમા યાચી! આ સમયે ભાવનગરના આ રાજગાયકે એમને સમજાવ્યું કે, ભારતીય સંગીતમાં "નોમતોમ"નો પ્રકાર છે. તેમાં સાંભળનારને એવું લાગે કે ગાયક નાકમાંથી ગાય છે અને તેમણે  નોમતોમ  ગાઈ એ દ્રષ્ટાંત પણ આપ્યું!

સમય જતા તેઓ વૃદ્ધ થયા. છતાં એમની નામના એટલી બધી હતી કે ભારતભરમાંથી નામી ગાયકો, નૃત્યકારો, વાદ્યકારો તેમની સાથે સંગીત, નૃત્ય પર ચર્ચા કરવા આવતા! ત્યારે પણ તેઓ તથા તેમના પુત્રો વાસુદેવ અને ગજાનન ગાઈ બજાવીને પણ સૌનું સમાધાન કરતા. એવું જાણવા મળ્યું છે કે, આ મહાન સંગીતાચાર્યની ગાયકી જીવંત રહે એ માટે ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ તે સમયમાં ફોનોગ્રાફ મશીન પર રેકોર્ડિંગ ઉતરાવ્યું હતું!! આ અનમોલ ખજાનાની વાત જો સાચી હોય તો ગુજરાત સરકાર તે મેળવીને તે પ્રજા સમક્ષ મૂકે તો આ મહાન ગાયકને સાચી ભાવાંજલિ  આપી કહેવાશે અને સંગીતની દુનિયામાં એમનો અવાજ, ગાયકી શૈલી કેમ અમર હતી તેનો પણ ભાવકોને ખ્યાલ આવશે! 

દ્રુપદના આ મહાન ગાયકે 81 વર્ષની વયે તા. 15.10.1945ના રોજ દેહ છોડ્યો! આ સમગ્ર લેખ એ વાતનો પરિચય આપે છે કે સાહિત્ય, સંગીત, કલા અને રંગમંચ ક્ષેત્રે ગુજરાત પ્રાચીન સમયથી કેટલું સમૃદ્ધ રહ્યું છે!  આ લોકવારસો જાળવવાની ફરજ પ્રત્યે અર્વાચીન સમયમાં કેટલી સભાનતા છે એ આ લેખ પરથી પ્રતીત થશે જ કેમ કે બહુ ઓછા લોકોને આ રાજગાયકના નામ વિષે જાણ હશે !! તેઓ છે દ્રુપદ શૈલીના મહાન ગાયક  સ્વ. દલસુખરામજી ઠાકોર!
(આ અધિકૃત માહિતી એમના પુત્રો શ્રી વાસુદેવ તથા શ્રી ગજાનને શ્રી શેખરને આપી અને તે ગુજરાતી નાટ્યમાં પ્રકટ થઇ ઉપરાંત પંડિત શ્રી ઓમકારનાથજી ઠાકોરના લેખમાંથી અને પ્રાગજીભાઈ ડોસાના રંગભૂમિના ઇતિહાસ અંગેના પુસ્તકમાંથી લીધી છે. )

ડો. કાર્તિક શાહ 

4 comments:

  1. Gujrat naa e samay naa jaanitaa ne dhurandhar shaashtriya gaayak vishe ajaani maahitiio vaanchi man pulkit thayu. Aapne aapnaa aavaa avismarniy kalakaro ni kadar kyaare kartaa shikhshu bengaalio ne maraathio teo naa vaarsaa ne saachvi bethaa chhe.

    ReplyDelete
    Replies
    1. THANKS A LOT FOR THE APPRECIATION, KEEP READING AND PROVIDE US YOUR VALUABLE FEEDBACK.

      Delete
  2. વાહ ....અદ્ભૂત....

    આવી સરસ માહિતી માટે આભાર

    ReplyDelete

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...