સરદાર વલ્લભભાઈ પટેલનું બાળપણ ઘણું ગરીબીમાં વીત્યું હતું. થોડો વખત મોસાળમાં નડિયાદ ભણ્યા. વચ્ચે કરમસદ જવાનું થાય ત્યારે પગપાળા જ જાય. ગાડીભાડાના પૈસા નહીં એટલે રેલવેનો ઉપયોગ ન કરતા. પછી પેટલાદ ભણતા, ત્યારે ત્યાં એક નાનું ઘર ભાડે રાખી સાતેક વિદ્યાર્થીઓ કલબ જેવું કરીને રહેતા. દરેક જણ પોતાને ઘેરથી અઠવાડિયાનું સીધું દર રવિવારે લઈ આવે અને વારાફરતી હાથે રસોઈ કરી બધા જમે.
બૅરિસ્ટર થવા ઈંગ્લૅન્ડ ગયા ત્યારે પણ બધી ચોપડીઓ ખરીદવા જેટલા પૈસા નહીં. એટલે લાઈબ્રેરીમાં જઈને વાંચી આવે. પોતે જ્યાં રહેતા, ત્યાંથી લાઈબ્રેરી અગિયાર-બાર માઈલ દૂર હતી. રોજ એટલું ચાલીને સવારે નવ વાગે ત્યાં પહોંચતા અને છેક છ વાગે લાઈબ્રેરી બંધ થાય, બધા ચાલ્યાં જાય અને પટાવાળો આવીને કહે કે, ‘સાહેબ, હવે બધાં ગયાં.’, ત્યારે સરદાર ત્યાંથી ઊઠતા. સાંજે પાછા ચાલતા જ ઘેર જતા. આમ રોજનું બાવીસ-ચોવીસ માઈલ ચાલવાનું થતું. આવી કઠણ જિંદગીમાં એમનું કાઠું ઘડાયું અને એક ખડતલ-ધીંગું વ્યક્તિત્વ પાંગર્યું. આ વસ્તુએ જ પાછળથી આ દેશનું ધીંગું કાઠું ઘડવામાં ઘણો ભાગ ભજવ્યો.
No comments:
Post a Comment
આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...