Saturday, September 30, 2017

અહમ, અહંકાર, અમિતાભ, અભિમાન અને અમિયા!!


સામાન્ય માનવીની જેમ જ અહમની અથડામણ બે કલાકારો (પતિ-પત્ની)ની વચ્ચે પણ થતી રહેતી હશે જ ને? સમજુ વાંચકો સમજી ગયા હશે કે મારી કલમ ફિલ્મ 'અભિમાન'ની દિશામાં જઈ રહી છે.

હકીકતમાં જ્યારે 'ઝંઝીર' બની રહી હતી, ત્યારે જ ઋષિકેશ મુખરજી પણ બે ફિલ્મો નિર્માણાધિન હતી, નમકહારમ અને અભિમાન. એક દિવસ જયા ભાદુડી સામે ચાલીને ઋષિકેશ મુખર્જી પાસે ગયાં અને રજુઆત કરી, "ઋષિદા! અમિત આજકાલ ડીપ્રેસનમાં રહે છે. ઝંઝીર પછી એની પાસે બીજી એક પણ ફિલ્મ નથી. એ ખૂલીને હસતો નથી કે બરાબર વાત પણ કરતો નથી. મને એની ચિંતા રહ્યાં કરે છે. તમે એના માટે કંઈક કરો ને!"

"તું જ બોલ ને કે હું શું કરું?"ઋષિદા હસ્યા.

"તો એ ફિલ્મના નિર્માણ માટેના પૈસા અમે આપીશું.", જયાએ દરખાસ્ત મૂકી. ઋષિદા સમજતા હતા કે આ વાક્યમાં રહેલો શબ્દ 'અમે' એટલે 'એકલી જયા' એવો થતો હતો. કારણ કે 'ઝંઝીર' હજુ રીલિઝ થઈ ન હતી, માટે અમિતની આર્થિક સ્થિતિ દુષ્કાળગ્રસ્ત રાજ્યની સરકારના જેવી હતી.

ઋષિકેશ મુખર્જીએ કહ્યું, "જોઊ છું. કંઈક વિચારીને તને જણાવું છું." વાસ્તવમાં ઋષિદાના દિમાગમાં એક ફિલ્મ માટેની કથા ઘણા સમયથી ઘૂમરાઈ રહી હતી.

એ કથા જરા 'હટકે' પ્રકારની હતી. આપણાંમાંથી મોટા ભાગના લોકો એવું માને છે કે અભિમાનની વાર્તા ખુદ જયા-અમિતાભની રીઅલ લાઈફ ઉપર આધારિત હતી પણ જ્યારે આ ફિલ્મ બનાવવાનો વિચાર પ્રથમવાર ઋષિદાના મનમાં જન્મ્યો હતો. ત્યારે તો હજુ જયા અને અમિતાભના લગ્ન પણ થયા ન હતાં.
તો પછી આ વાર્તા ઋષિદાને કોનાં જીવન પરથી સૂઝી હશે!

હિંદી ફિલ્મોના સુપ્રસિદ્ધ ગાયક કિશોરકુમારે ચારવાર લગ્ન કર્યાં હતા એ વાત સુવિદિત છે. બીજી પત્ની મધુબાલા, ત્રીજી પત્ની યોગિતા બાલી અને ચોથી પત્ની લીના ચંદાવરકર, આ ત્રણ નામો જગજાહેર છે. પણ એમની પ્રથમ પત્નીનું નામ સિનેરસિકોને બાદ કરતાં એટલું બધું જાણીતું એટલા માટે નથી કે એ વખતે ખુદ કિશોરકુમાર હજુ 'લાઈમ લાઈટ'માં આવ્યાં નહતાં.

કિશોરકુમારની પ્રથમ પત્ની રૂમા દેવી હતાં. રૂમાં બંગાળી હતાં અને એક પ્રતિભાવાન અભિનેત્રી તેમજ ગાયિકા હતાં. એ વખતે કિશોરકુમાર એક બંગાળી ફિલ્મ બનાવી રહ્યાં હતાં. એનું નામ હતું: ચુકોચરી. આ ફિલ્મના એક ગીતના રેકોર્ડિગ માટે કિશોર રૂપતારા સ્ટુડિયોમાં આવ્યાં હતા સાથે રૂમાદેવી હતાં.

ઋષિદા એ સમયે રૂપતારામાં હતાં. કોણ જાણે કેમ પણ એમને એ સમયે એવું લાગ્યું હતું કે રૂમાદેવી કિશોર કરતાં વધારે સુંદર પણ છે અને ટેલેન્ટેન્ડ પણ. આ જોઈને એમના મનમાં વિચાર આવ્યો કે કોઈ પુરુષ પોતાના કરતાં ચડિયાતી પત્નીને સહન કરી શકે ખરો? પ્રારંભમાં તો પત્નીનાં વખાણ સાંભળીને એ ખુશ થાય, એ વિચારે કે આ બધાં જેના વખાણ કરે છે એ સ્ત્રી આખરે તો પોતાની પત્ની જ છે ને! પણ જ્યારે પત્નીની લોકપ્રિયતા એના ખુદના કરતાં વધી જાય ત્યારે એનો 'મેઈલ ઈગો' જરૂર ઘવાવાનો જ. આ પુરુષ પ્રધાન દેશનો કોઈ પણ પતિ પોતાનાથી ચડિયાતી પત્નીને સહન કરી શકે જ નહીં.

ઋષિદાને એ સમયે એવું લાગ્યું હતું કે કિશોર અને રૂમાનું લગ્નજીવન લાંબુ ચાલશે નહીં. પછી ખરેખર એવું જ બન્યું. એ બંને છુટ્ટા પડી ગયાં. દીકરો અમિત પિતાની પાસે રહ્યો અને રૂમાદેવી કિશોરની જિંદગીમાંથી કાયમને માટે ચાલ્યા ગયાં.

કિશોર-રૂમાનાં છુટાછેડા પાછળ બીજાં કારણો પણ હશે, પરંતુ એક મહત્વનું કારણ પ્રતિભાઓની પ્રતિસ્પર્ધા અને અહમનો ટકરાવ તો ખરો જ.

આ વિચારબીજ ઉપરથી ઋષિદાએ એક ફિલ્મ-વાર્તા લખીને તૈયાર કરી દીધી. એનું શીર્ષક રાખ્યું: અભિમાન. એમની તીવ્ર ઈચ્છા હતી કે આ અનોખા કથા વિષય પરથી એક ફિલ્મ બને, પણ એના માટે એમને બે એવા કલાકારોની જરૂર હતી જેઓ વાસ્તવિક જિંદગીમાં પણ પતિ-પત્ની હોય. ઉપરાંત બંન્ને જણાં એક જ ક્ષેત્રના કલાકારો હોવા જોઈએ. અને જો પત્ની પ્રતિભાની બાબતે પતિ કરતાં ચડિયાતી હોય તો સોનામાં સુંગધ એકલી શા માટે ?? સાથે સાથે સ્વાદ પણ ભળી જાય!! આવું એક પણ કલાકાર યુગલ ફિલ્મ જગતમાં દીવો લઈને શોધવા છતાં મળતું ન હતું.

આ સંજોગોમાં જયાએ એકવાર સામે ચાલીને એમને વિનંતી કરી - "ઋષિદા! પ્લીઝ, તમે અમિતને લઈને એક ફિલ્મ ન બનાવી શકો? અથવા અમને બંનેને સાથે લઈને...! ફિલ્મના નિર્માણ માટેના પૈસા અમે...!

ઋષિદા મનોમન કેટલા ખુશ થયા હશે એ હવે તો તમે પણ સમજી ગયા હશો. મુશ્કેલી માત્ર એક જ હતી: એ સમયે રિયલ લાઈફમાં આ બંન્ને પતિ-પત્ની ન હતા!!

ઋષિદાએ જવાબમાં કહ્યું હતું: "જોઉં છું, વિચારીને તને જણાવું છું." એ પછી ખૂબ ટૂંકા સમયમાં જયા અને અમિતાભ પરણી ગયા. ઋષિકેશજીનો જવાબ બદલાઈ ગયો: "હવે હું જરૂર તમને બેયને લઈને એક સુંદર ફિલ્મ બનાવીશ."

જયા-અમિતાભનું આ એક માત્ર પ્રોડક્શન. અમિતાભના નામમાંથી 'અમિ' અને જયાનાં નામમાંથી 'યા' લઈને એમના પ્રોડક્શન હાઉસનું નામ રાખવામાં આવ્યું: અમિયા પ્રોડક્શન. માત્ર એક જ ફિલ્મ બનાવ્યાં પછી બેનરને સમેટી લેવામાં આવ્યું. કોઈ બેટ્સમેનની સદી પૂરી થાય એ પછી તરત જ દાવ પૂરો થયેલો 'ડિક્લેર' કરી નાખવામાં આવે એવી આ ઘટના છે. પણ સત્ય એ છે કે એ પછીનાં પ્રોડક્ષન હાઉસ બનવાની કોઈ જરૂર રહી ન હતી.

મૂડીરોકાણની દરખાસ્ત ઋષિદાએ મંજુર રાખી લીધી એ પાછળ એમની મજબૂરી કારણભૂત હતી. ત્યાં સુધીમાં જયા-અમિતાભ સાથે હોય તેવી બે ફિલ્મો ટિકીટબારી ઉપર સંદતર પીટાઈ ચૂકી હતી. 'બંશી બિરજુ' અને 'એક નજર'. આવી હાંજા ગગડાવી નાખે તેવી ઘોર નિષ્ફળતા જોઈ લીધા પછી ફિલ્મ ઉદ્યોગનો એક પણ નિર્માતા જયા અને અમિતાભને સાથે લેવા માટે તૈયાર થાય તેમ ન હતો. ઋષિદા જેવા ઋષિદા પણ કોઈને સમજાવી શકે તેમ ન હતા કે "મારી આગામી ફિલ્મમાં તમે નાણાં રોકો, તમારા પૈસા ડૂબશે નહી."

'અભિમાન' શરૂ થઈ, પૂરી થઈ અને રીલિઝ પણ થઈ ગઈ. દેશભરમાં આ ફિલ્મને જબરદસ્ત પ્રતિભાવ મળ્યો. આ ફિલ્મ જ્યારે બની રહી હતી ત્યારે એક દિવસ ફિલ્મની નિષ્ફળતાની બીકે અમિતજીએ ઋષિદાની પાસે જઈને ફિલ્મના ગીતો વિષે નારાજગી વ્યક્ત કરી - " દાદા, આ ફિલ્મના ગીતો બકવાસ છે. મને જરા પણ ગમ્યાં નથી. ધૂનો પણ જામે તેવી નથી. મને લાગે છે કે આના કારણે ફિલ્મ પીટાઈ જશે."

ઋષિદાએ એને આશ્વસ્ત કર્યો હતો. "તારા કરતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મેં વધુ વર્ષ કાઢ્યા છે. આ ફિલ્મના ગીત-સંગીત માટે મેં બે જૂનાં અને નીવડેલા કલાકારોને લીધાં છે. એસ.ડી.બર્મનદા ની ધૂનો સદાબહાર હોય છે. એવું જ મજરૂહ સાહેબના ગીતોનું. એમની કલમમાંથી ગીતો નથી ટપકતાં, પણ જાદુ જન્મે છે. તું તારે શાંતીથી જોયા કર!"

'અભિમાન'ના તમામ ગીતોએ દેશ ગજાવી મૂક્યો. એક-એક ધૂન સફળ સિદ્ધ થઈ. અમિતાભે જિંદગીમાં ક્યારેય ઋષિદાની સાથે ફરીવાર આ મુદ્દા વિષે વાત ન કરી, અલબત્ત એના મૌનમાં જ એની શરમિંદગી સમાઈ જતી હતી.

ભારતમાં તો 'અભિમાન'ની રજૂઆત સાથે જ થિયેટરો છલકાઈ ગયા, પણ શ્રીલંકા જેવા પડોશી દેશમાંયે એણે નવો વિક્રમ સર્જ્યો. શ્રીલંકામાં 'અભિમાન' પૂરા બે વર્ષ સુધી ચાલતી રહી. બેવડી સુવર્ણજંયતિ ઉજવી.

'73'માં અમિતાભની ત્રણ ફિલ્મોએ ધૂમ મચાવી, ઝંઝીર, અભિમાન અને નમકહરામ. આ ત્રણમાંથી બે ફિલ્મો તો ઋષિદાની હતી.

'અભિમાન'નું સંકુચિત અને માનસિક રીતે અટપટુ પાત્ર ભજવવું એ અમિતાભ માટે એક મોટો પડકાર હતો. પણ આવી અધરી ભૂમિકા એણે સુંદર રીતે ભજવી બતાવી. એ પછી તો ઋષિદા અને અમિતાભની જોડી જામી ગઈ. ઋષિદાની ફિલ્મ હોય એટલે એમાં અમિતાભ તો હોય જ એવું સમીકરણ બની ગયું. કુલ મળીને અમિતાભે ઋષિકેશ મુખર્જીની આઠ ફિલ્મોમાં અભિનય કર્યો. આનંદ, અભિમાન, નમકહરામ, બેમિસાલ, મિલી, ચુપકે-ચુપકે, આલાપ અને જુર્માના.

એકવાર અમિતાભ બચ્ચને એક ઈન્ટર્વ્યુમાં પોતાના અભિનયવાળી શ્રેષ્ઠ દસ ફિલ્મોના નામ જાહેર કર્યાં હતાં. એમાંની ત્રણ ફિલ્મો એકલા ઋષિદાની દિગ્દર્શિત કરેલી ફિલ્મો હતી. એ હતી આનંદ, નમકહરામ અને બેમિસાલ. એ યાદીમાં 'અભિમાન'ને સ્થાન આપવામાં આવ્યું નથી.

પણ ઋષિદાની ખુદના મત અનુસાર એમની તમામ ફિલ્મોમાં અમિતજીનો શ્રેષ્ઠ અભિનય જો ગણાવો હોય તો એ 'અભિમાન'માં કરેલો અભિનય હતો...!!

(આ વાંચનસામગ્રી વિષેના આપના અભિપ્રાયો ચોક્કસથી જણાવતાં રહેશો!!)

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...