Thursday, April 14, 2016

કર્મનો સિદ્ધાંત

કૃષ્ણ ભગવાનનો કર્મનો સિદ્ધાંત જીવન કાર્યને મૂલ્ય તો અર્પે છે જ, પણ જીવનકાર્ય પ્રત્યેના અભિગમને ભારણ ન ગણતા, ઉત્સવ માનવા પ્રેરે છે. 

તેનું એક દ્રષ્ટાંત ઓશોએ આપ્યું છે. એક મંદિર બનતું હતું. અનેક મજુરો ત્યાં પથ્થર તોડવાનું કાર્ય કરતા હતા. એક માણસે એ સ્થળે જઇ એક મજુરને પૂછ્યું, ‘તમે શું કરો છો?’ મજુર આ પ્રશ્ન સાંભળી ગુસ્સામાં બોલી ઊઠ્યો, ‘આંધળા છો? જોતા નથી કે પથ્થર તોડું છું?’ એ જ વ્યક્તિ બીજા મજુર પાસે ગયો અને તેને પણ એ જ પ્રશ્ન પૂછ્યો, ‘તમે શું કરો છો?’ પેલા મજુરે એક નજર એ વ્યક્તિ પર નાખી. પછી હથોડો નીચે મૂકતા કહ્યું, ‘પથ્થર તોડું છું. એ રીતે મારા કુટુંબ માટે રોટલો રળું છું.’ એ જ વ્યક્તિ ત્રીજા મજુર પાસે ગઇ. 

એ મજુર આનંદના સ્વરે ગીત ગાતાં ગાતાં પથ્થર તોડતો હતો. પેલી વ્યક્તિએ તેને એ જ સવાલ પૂછ્યો, ‘તમે શું કરો છો?’ પેલા મજુરે ગીત ગાવાનું અટકાવીને કહ્યું, ‘ભગવાનનું મંદિર બનાવી રહ્યો છું.’ અને પાછો એ મજુર ગીત ગાતો ગાતો પથ્થર તોડવામાં મગ્ન થઇ ગયો.

આ ત્રણે માનવીઓ એક જ કામ કરતા હતા. પણ ત્રણેનો પોતાના કાર્ય પ્રત્યેનો અભિગમ ભિન્ન છે. ત્રીજો માનવી પથ્થર તોડવાના પોતાના કાર્યને ઉત્સવ સમજી કરી રહ્યો છે. અને એ જ ઇશ્વરે સોંપેલ કાર્ય (કર્મ) કરવાની સાચી દ્રષ્ટિ છે.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...