Monday, April 25, 2016

ધ્યાન

ધ્યાન

કાશ્મીરમાં બુલેશાહ નામે એક મોટા સૂફી સંત થઈ ગયા. કવિ તરીકે પણ એ વિખ્યાત છે. એમના ગુરુ હતા ઈનાયતશાહ. ઈનાયતશાહ માળીનું કામ કરતા હતા. એ બગીચામાં કામ કરી રહ્યા હતા ત્યાં બુલેશાહ આવ્યા. બુલેશાહે એમને પ્રશ્ન કર્યો : ‘ગુરૂજી, હું ખુદાને કેવી રીતે પામી શકું ?’ ઈનાયતશાહે જવાબમાં મૂળમાંથી એક છોડવાને ઉખેડી નાખ્યો અને પછી ફરીથી તેને બીજી જગ્યાએ રોપ્યો.
બુલેશાહને કંઈ સમજ ન પડી. તેણે પૂછ્યું : ‘છોડવાને એક જગ્યાએથી બીજી જગ્યાએ રોપવાનો શો અર્થ ?’
ઈનાયતશાહે જવાબ આપ્યો : ‘ખુદાને પામવા તમારે માત્ર તમારા ધ્યાનના મૂળને એક જગ્યાએથી ઉપાડી લઈ બીજી જગ્યાએ પરોવવાનું છે. દુનિયા અને દુન્યવી ચીજોમાં મન રમમાણ રહે છે તેમાંથી ધ્યાનને ખેંચી લઈ ખુદામાં કેન્દ્રિત કરો. તરત જ ખુદા પામશો.’
આવો જ ઉત્તર હજૂર બાબા સાવનસિંહજી મહારાજે આપેલો. એક માણસે તેમને પૂછ્યું હતું કે ભૌતિક વિશ્વમાંથી આધ્યાત્મિક ભૂમિકાએ પહોંચતા કેટલી વાર લાગે ? બાબા મહારાજે પળવાર આંખો બંધ કરી અને તરત જ ઉઘાડી અને જણાવ્યું : ‘આટલી જ વાર લાગે. હું આધ્યાત્મિક વિશ્વમાં ગયો અને ત્યાંથી પાછો ફર્યો છું.’ અર્થ એટલો જ કે આપણે એક જગાએથી બીજી જગાએ જતાં જ નથી, માત્ર ધ્યાનને ચેતનાના એક પ્રદેશમાંથી બીજા સ્તરે લઈ જઈએ છીએ.
ઈશ્વરપ્રાપ્તિ કે આધ્યાત્મિક ઉન્નતિ માટે ધ્યાનને માત્ર દુન્યવીમાંથી દિવ્યમાં લઈ જવાનું છે.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...