Thursday, July 27, 2017

માઓ- ત્સે-તુંગ

માર્કસ અને લેનિનના સાચા વારસદાર અને પ્રજાસત્તાક ચીનના સ્થાપક માઓ- ત્સે-તુંગ બાળપણમાં દાદીમા સાથે રહેતા હતા. એમના દાદીમાને બગીચાનો ભારે શોખ, પરંતુ એકાએક બીમાર પડતાં એમણે બગીચાની સંભાળ લેવાનું કામ માઓને સોંપ્યું. એમણે માઓને કહ્યું, 'બેટા! આ બગીચાનાં વૃક્ષ-છોડ મારા પ્રાણ સમાન છે એટલે એમને તું ભારેજતનથી જાળવજે.' બાળક માઓએ વચન આપ્યું કે એ બગીચાનું સંપૂર્ણ ધ્યાન રાખશે. એ પછી થોડા સમય બાદ દાદીમા સ્વસ્થ થતાં બગીચામાં લટાર મારવા ગયા, તો એમને ઊંડો આઘાત લાગ્યો. એમણે જોયું કે ઘણાં વૃક્ષ અને છોડ સૂકાઇ ગયાં હતાં. બગીચો લગભગ ઉજ્જડ બની ગયો હતો.

દાદીમાએ માઓને પૂછ્યું કે તેં આપેલું વચન કેમ પાળ્યું નહીં, ત્યારે માઓએ કહ્યું, 'દાદીમા, હું રોજ આ પાંદડાઓને સંભાળી-સંભાળીને લૂછતો હતો અને એનાં મૂળિયાં પાસે નિયમિત રોટલીના ટુકડા નાખતો હતો, છતાં કોણ જાણે કેમ, એ બધાં સૂકાઇ ગયાં!'

દાદીમાએ કહ્યું, 'બેટા, પાંદડાં લૂછવાથી કે રોટીના ટુકડા નાખવાથી વૃક્ષ વધતું નથી. તારે તો વૃક્ષનાં મૂળમાં પાણી નાખવું જોઇએ. વૃક્ષ પાસે એટલી શક્તિ હોય છે કે એના મૂળએની આસપાસની ધરતીમાંથી જ પોતાનું ભોજન પ્રાપ્ત કરી લે છે, અને વધતા રહે છે.'

માઓ વિચારમાં પડી ગયો. એણે પૂછ્યું, 'દાદીમા, માણસનાં મૂળ ક્યાં હોય છે?' દાદીમાએ ઉત્તર આપ્યો, 'મનનાં સાહસ અને હાથના બળમાં આપણાં મૂળિયાં હોય છે. જો એને રોજ પોષણ મળે નહીં, તો આપણે તાકાતવાન બની શકીએ નહીં.'

માઓએ તે સમયે નક્કી કર્યું કે એ પોતાના મૂળિયાં મજબૂત કરશે અને સાથોસાથ એના સાથીઓને શક્તિશાળી બનાવશે. આ માઓ-ત્સે-તુંગે ચીનને બળવાન અને સમર્થ રાષ્ટ્ર તરીકે વિશ્વના નકશા પર સ્થાન અપાવ્યું.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...