Wednesday, July 5, 2017

અમૃત

ગ્રીષ્મના તાપથી ઉત્તંક ઋષિ તૃષાતુર બની વેદના અનુભવતા હતા. ત્યારે તેમને સ્મરણ થયું કે મહાભારતના યુદ્ધ પછી ભગવાન શ્રીકૃષ્ણ તેમના આશ્રમમાં પધાર્યા હતા ને કહ્યું હતું કે ‘ઋષિવર, જ્યારે કંઈ કષ્ટ અનુભવો તો મારું સ્મરણ કરજો. હું તરત કષ્ટ દૂર કરીશ.’ ઉત્તંક ઋષિએ કૃષ્ણનું સ્મરણ કર્યું. કૃષ્ણએ ઈન્દ્રને એ તપોનિષ્ઠ મુનિ માટે જળને બદલે અમૃત મોકલવાની આજ્ઞા કરી. ઈન્દ્રએ અમૃત તો મોકલ્યું, પરંતુ તે ચાંડાલ મારફત ચામડાની મશકમાં મોકલ્યું. ઉત્તંક ઋષિ જે મરુભૂમિમાં તપ કરતા હતા ત્યાં ચાંડાલ અમૃતની મશક લઈ પહોંચ્યો. પરંપરાગત અને પ્રચલિત ધર્મને અનુસરનારા ઋષિએ એક ચાંડાલને મશક સાથે આશ્રમમાં પ્રવેશેલો જોઈ તેને કાઢી મૂક્યો.

ઘણા સમય પછી ભગવાન શ્રીકૃષ્ણ ઉત્તંક ઋષિના આશ્રમે આવ્યા. ક્ષેમકુશળ પુછાયા. ઋષિએ જળ વિના પોતે તરફડ્યા તે વિશે કૃષ્ણને ફરિયાદ કરી. કૃષ્ણએ કહ્યું : ‘ઋષિરાજ, મેં તો ઈન્દ્ર દ્વારા જળને બદલે આપની પાસે અમૃત મોકલાવેલું. આપે જ તેમનો અસ્વીકાર કર્યો. ચામડાની એ મશકમાં ચાંડાલ અમૃત લાવ્યો હતો.’ ભગવાનની વાત સાંભળી ઋષિને ખૂબ જ પસ્તાવો અને દુઃખ થયાં, પણ હવે શું થાય ? જેમની દષ્ટિ સંકુચિત અને સીમિત હોય, જે નિયત ધર્મના પરંપરાગત માળખામાં પુરાયેલા હોય, કાલાતીત ધર્મને અંગીકાર કરવાની જેમનામાં ક્ષમતા ન હોય તે અમૃત ગુમાવે છે.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...