Sunday, July 30, 2017

ડો. વિલિયમ એલ. એડગર અને કાર્ય કુશળતા


અમેરિકાના વિખ્યાત મનોચિકિત્સક ડૉ. વિલિયમ એલ. એડગરની પાસે ‘નર્વસ-બ્રેકડાઉન’થી પીડાતા શિકાગો શહેરમાં વ્યાપારી પેઢી ધરાવતા ધનપતિ સારવાર માટે આવ્યા. તેઓ ગભરાયેલા, મૂંઝાયેલા, ચિંતાથી ઘેરાયેલા અને પુષ્કળ ટેન્શન અનુભવતા હતા. 

એમણે આ મનોચિકિત્સકને પોતાની રામકહાણી કહેવાની શરૂ કરી, ત્યાં તો એડગર પર એક ફોન આવ્યો અને એડગરે એનો ત્વરિત ઉત્તર આપી દીધો. એ પ્રશ્નને કઈ રીતે ઊકેલવો એનું સીધેસીધું માર્ગદર્શન આપ્યું. એવામાં એક બીજો ફોન આવ્યો અને એણે એડગર સાથે ચર્ચા કરવાની વાત કરી, તો એડગરે પોતાનો નિરાંતનો સમય ફાળવી આપ્યો. પછી એડગર નિરાંતે ધનિક દર્દીની વ્યથાની કથા સાંભળવા લાગ્યા.

શિકાગોમાં વ્યાપારી પેઢી ધરાવતા સજ્જન એડગરની કાર્યપદ્ધતિ અત્યાર સુધી જોતા રહ્યા અને એમના મનમાં ચમકારો થયો. એમણે ડૉ. એડગરને કહ્યું, ‘મારે તમારા ટેબલનાં બધાં ખાનાં જોવા છે’ અને જોતાં ખ્યાલ આવ્યો કે એક માત્ર ‘સપ્લાય’ કરવાના ખાનાં સિવાય બીજાં બધાં ખાનાં ખાલી હતાં.

‘તમારા વ્યવસાયના બીજા કાગળો ક્યાં મૂક્યા છે ?’
‘સઘળું કામ પૂરું થઈ ગયું છે. જરૂરી કાગળો ફાઈલ થઈ ગયા છે.’
‘પણ જવાબ આપવાના પત્રો તો બાકી હશે ને ?’
એડગરે કહ્યું : ‘ના, હું કોઈપણ પત્રનો જવાબ તરત મારી સેક્રેટરીને લખાવી નાખું છું. કોઈ કાગળ બાકી રહેવા દેતો નથી.’


શિકાગોમાં વેપારી પેઢી ધરાવનાર ધનપતિ સમજી ગયો કે એની સૌથી મોટી ભૂલ હતી એ કોઈપણ કામનો ત્વરિત ઉત્તર કે ઉકેલ આપવાને બદલે એ કામને અદ્ધર લટકાવી દેતો હતો. આને પરિણામે કામો ભેગાં થતાં, કાગળો ભેગા થતાં અને પત્રો ભેગા થતાં અને આ અવ્યવસ્થા એ જ એના ટેન્શનનું કારણ બનતી હતી...!!!

રજુઆત:- કાર્તિક શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...