સમજણ ને સજામુક્તિ
ઈરાનના બાદશાહ નૌશીરવાન એક દિવસ ભોજન લઈ રહ્યા હતા. એમના અનેક માનીતા ગુલામો પૈકીનો એક હોશિયાર ગુલામ એમને ભોજન પીરસી રહ્યો હતો. ભોજન પીરસતાં પીરસતાં અચાનક જ ભૂલથી એક ખાદ્ય ચીજ બાદશાહના ભવ્ય પોષાક ઉપર પડી ગઈ અને બાદશાહના મગજની કમાન છટકી ! બાદશાહના ગુસ્સાને તો કોઈ રોકી શકે નહિ ! એમની લાલચોળ આંખો અને લાલઘુમ ચહેરો જોઈને ગુલામને થયું કે હવે તો મોત સિવાય કોઈ આરોવારો નથી !
પરંતુ બીજી જ પળે તે ગુલામે પોતાની ત્વરિત નિર્ણયશક્તિથી એક તરકીબ અજમાવી. જે મોટા થાળ દ્વારા તે જુદી જુદી ભોજનની ચીજો પીરસી રહ્યો હતો તે આખો જ થાળ તેણે બાદશાહ નૌશીરવાન ઉપર ઢોળી દીધો ! એથી બાદશાહ તો ડઘાઈ જ ગયો ! તેને થયું કે આ ગુલામ પાગલ થઈ ગયો છે ! તેણે તાડૂકીને કહ્યું : ‘તેં આ શું પાગલવેડા માંડ્યા છે ?’ જવાબમાં પેલા ગુલામે ખૂબ જ વિનમ્રતાથી કહ્યું : ‘બાદશાહ સલામત, આપના કીમતી પોષાક ઉપર ફક્ત એક જ ચીજ ઢોળાઈ હોય અને આપ નામદાર મને ફાંસીની સજા ફરમાવો તો લોકો આપના એ હુકમની જરૂર ટીકા કરશે. પરંતુ આખો થાળ આપની ઉપર ઠાલવી દેવાથી મારો મોટો વાંક-ગુનો બધા જ યોગ્ય ઠેરવશે ! આપની બદબોઈ ના થાય એટલા ખાતર મેં આમ કર્યું છે !’ બાદશાહને ગુલામની ત્વરિત નિર્ણયશક્તિ અને ચતુરાઈ માટે માન ઉપજ્યું અને તેને સજામાંથી મુક્તિ આપી.
No comments:
Post a Comment
આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...