Wednesday, February 28, 2018

પૂજા મૂર્તિની કે સાક્ષાત પ્રભુની?!



એક ભાઈ ખૂબ ધાર્મિક હતા. ઘરમાં એક સરસ મજાનું નાનું મંદિર બનાવેલું. એમાં ભગવાનની મૂર્તિ પધરાવીને તેની સવાર-સાંજ પૂજા કરતા હતા. ભગવાન કૃષ્ણ પ્રત્યે એમને અપાર શ્રદ્ધા આથી મુરલીધરની મૂર્તિની પૂજા કરતા હતા.

એકવાર કોઈ મોટી નાણાકીય મુશ્કેલી આવી. એણે ઘરમંદિરમાં રહેલી મૂર્તિ સમક્ષ મુશ્કેલીના નિવારણ માટે પ્રાર્થના કરી. સમાસ્યાનો નિવેડો આવવાને બદલે સમસ્યા વધતી ચાલી. દિવસે દિવસે આ ભાઈને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ઘટવા લાગી.

ભગવાન કૃષ્ણ કંઈ કામ કરતા નથી એવી માન્યતા દ્રઢ થઈ એટલે એણે નક્કી કર્યું કે જે મારી મુશ્કેલીના સમયે મને મદદ ન કરે એની પૂજા મારે શા માટે કરવી જોઈએ ? ભગવાન કૃષ્ણની મૂર્તિ મંદિરમાંથી દૂર કરી અને ભગવાન રામને પધરાવ્યા. હવે એ ભગવાન રામની મૂર્તિની પૂજા કરવા લાગ્યો.

એક દિવસ સવારમાં ભગવાન રામની મૂર્તિની પહેરાવેલા કપડા પર એ ભાઈ અત્તર છાંટતા હતા. અત્તર ખૂબ સારું હતું. અત્તર છાંટતા છાંટતા એમનું ધ્યાન મંદિરમાંથી દૂર કરેલી અને ઘરના ખૂણામાં રાખી મૂકેલી કૃષ્ણની મૂર્તિ તરફ ગયું. એ ભાઈ ઊભા થયા અને કૃષ્ણની મૂર્તિના નાકમાં રૂ ભરાવી દીધું અને પછી બોલ્યો, “કંઈ કામ તો કરતા નથી તો પછી આ અત્તરની સુગંધ મફતમાં નહીં મળે.”

ભગવાન કૃષ્ણ ખડખડાટ હસી પડ્યા અને મૂર્તિમાંથી પ્રગટ થયા. પેલો ભક્ત તો જોઈ જ રહ્યો. એણે ભગવાનને ફરિયાદ કરી, “આટલાં વર્ષોથી તમારી પૂજા કરતો હતો પણ કોઈ દિવસ મને દર્શન નથી આપ્યાં અને હવે તમારી પૂજા બંધ કરી ત્યારે કેમ દર્શન દીધાં ?” ભગવાને હસતાં હસતાં કહ્યું, “અત્યાર સુધી તું મને માત્ર મૂર્તિ જ સમજતો હતો પણ આજે પહેલી વાર મને પણ અત્તરની સુગંધ આવતી હશે એમ માનીને તે મને મૂર્તિને બદલે જીવંત સમજ્યો.”

આપણે પણ આપણી જાતને સવાલ પૂછવા જેવો છે કે મંદિરમાં આપણે માત્ર મૂર્તિનાં દર્શન કરવા જઈએ છીએ કે સાક્ષાત પ્રભુને મળવા જઈએ છીએ ?

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...