Tuesday, February 27, 2018

આબીદભાઈ કરીમભાઈ ખાનજી



દિવસે દિવસે લોકોમાં વાચનવૃત્તિ ઘટતી જાય છે. જે લોકો વાંચે છે તે વધુ વાંચવા પ્રેરાય, આજની આવી પરિસ્થિતિમાં પણ જેઓ નથી વાંચતા તેઓ પણ વાંચતા થાય તે માટે દાહોદના રહેવાસીઆબિદભાઈ કરીમભાઈ ખાનજી’ છેલ્લાં 29 વર્ષથી એકલા હાથે કોશિશ કરી રહ્યા છે. જેનું સારું પરિણામ ધીરે ધીરે નજર પડી રહ્યું છે. 

તેઓએ આ સેવાકાર્યની શરૂઆત ‘અખંડ આનંદ’ માસિકથી કરેલી. ‘ભણો અને ભણાવો, વાંચો અને વંચાવો’ ને જીવનમંત્ર બનાવી, દર માસે તેમને મળતા ‘અખંડ આનંદ’ના દરેક અંકને, પ્રથમ ચારે બાજુ ટ્રાન્સપેરેન્ટ સેલ્ફ એડહેસિવ ટેપ લગાવી દે છે. જેથી તેની આવરદા વધી જાય, સાથે જોવામાં આકર્ષક પણ લાગે છે. પછી તેમાં પીરસાયેલ સાહિત્યને વાંચતા જાય છે. સાથે સાથે ભિન્ન ભિન્ન રુચિ ધરાવતા લોકો પણ વાંચવા પ્રેરાય એવાં ભાગોને લાલ શાહીવાળી પેનથી ચોકઠું (ચોરસ) બનાવી વાંચવા માટે અન્યને આપે છે. એક પાસેથી વંચાઈને આવે એટલે બીજાને, ત્રીજાને એમ વાંચવા આપતા રહે છે. અને છેલ્લે દાહોદમાં, ગુજરાતમાં, ભારતમાં તો ભારત બહાર પણ વાંચીને વંચાવતા રહેવાની અપીલ સાથે ભેટ મોકલી આપે છે. આમ, તેમના હાથનો સ્પર્શ પામેલ આ અંકો ગુજરાતના મુખ્યમંત્રીથી માંડીને મ્યુનિસિપાલિટીના પ્રમુખશ્રી, ડિસ્પેચ કલાર્કથી ડૉક્ટર સુધી, પટાવાળાથી માંડીને આઈ.આઈ.એમ. ના પ્રોફેસર ધોળકિયા જેવા મહાનુભાવો સુદ્ધાં વાંચી ચૂક્યા છે.

તા. 1-1-1980થી અત્યાર સુધીમાં તેમની મહેનતથી ‘અખંડ આનંદ’ના 350, ‘ચિત્રલેખા’ સાપ્તાહિકના 786, ‘અભિયાન’ના 396 અને ‘નવનીત સમર્પણ’નાં 72 અંકોને ઉપર જણાવેલી ‘માવજત’ મળી છે. ઉપરાંત કોઈ સગાં-સંબંધી ઓળખીતાઓને ત્યાં શુભ-પ્રસંગ આવે ત્યારે તેમને જીવન ઉપયોગી પુસ્તકો ખરીદી લાવી, ઉપરોક્ત ‘માવજત’ આપી, ભેટ આપે છે. સાથે તેમના બને એટલા વધુ લોકોને વાંચવા રહેવાની તસ્દી લેતા રહેવાની વિનંતી પણ કરતા રહે છે.

તા. 3-10-1978થી તા. 02-08-1990 સુધી ‘મુંબઈ સમાચાર’ દૈનિકનાં તા. 15-3-1991 થી તા. 31-8-1993 સુધી, ‘સંદેશ’ દૈનિકનાં, તા, 1-1-1994થી તા.22-01-2002 સુધી ‘ગુજરાત સમાચાર’ દૈનિકનાં અને તા. 1-4-2004થી ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકનાં બધાં પાનાં સાથે રાખી, તેમની સાઈડમાં સિલાઈ લગાવી, વાંચીને, ખાસ વાંચવા યોગ્ય લખાણોને લાલ શાહીથી અંકિત કરી, રોજ તેમના પાડોશી દુકાનદારો અને તેમને ત્યાં આવતા ગ્રાહકો અને મુલાકાતીઓ માટે આ દૈનિકનું વાંચન સુલભ કરાવી ચૂક્યા છે. અને સુલભ કરાવી રહ્યા છે. 

વધુમાં, સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય, ભદ્ર-અમદાવાદ દ્વારા આબિદભાઈના જન્મ વર્ષ-1951માં પુન:પ્રકાશિત ‘આર્યભિષક-સુબોધ વૈદક’ નામનો દળદાર ગ્રંથ જર્જરિત હાલતમાં 1997માં એક મિત્ર પાસેથી તેમને ભેટ મળ્યો હતો. તેની ફાટી ગયેલી સંપૂર્ણ અનુક્રમણિકા ફરીથી બનાવડાવી, આ ગ્રંથને બાઈન્ડિંગ કરાવી, તેનાં બચી ગયેલાં બધાં જ 782+15 = 797 પૃષ્ઠો પર ત્રણે બાજુ પારદર્શક સેલોટેપ લગાવી દીધી છે. જેને બીમારી થતાં પહેલાં જ અટકાવવાના ઈચ્છુકો વાંચવા લઈ જઈ રહ્યા છે.
આટલેથી ન અટકતાં આબિદભાઈએ તા. 21-07-2006ના રોજ દાહોદ નગરસેવા સદનના ગુમાસ્તાધારા અધિકારીને એક અરજી આપી. તેઓ આ સેવાકાર્યનું ફલક વિસ્તારી શકે તે માટે, તેમની દુકાન, અઠવાડિક રજા-રવિવારના રોજ ફક્ત વાંચન અને લેખનકાર્ય કરવા માટે ખોલવા દેવાની પરવાનગી આપવાની વિનંતી કરી છે.

આબિદભાઈ આર્થિક રીતે ઘણા સદ્ધર છે, એવું કોઈ રખે માનતા ! તેઓએ સિલાઈકામની ટાંચી આવકમાંથી ખર્ચમાં કાપ મૂકી, ‘ભણો અને ભણાવો, વાંચો અને વંચાવો’ ઉક્તિને સાર્થક કરી બતાવી છે.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...