Monday, February 19, 2018

કરજ 200 રૂપિયાનું!!


કવિતા, ગીત, ગઝલ વિશેની વાતો કરતા કરતા ચાલો આજે થોડી વાત કવિ, ગીતકાર અને શાયરની પણ કરીયે.

ગઈકાલે મારે મારા મામાજીના ટ્વિન્સ પુત્રોના એટલેકે જોડિયા લગ્ન સમારંભમાં હાજરી આપવા જવાનું થયું. ખૂબ જ જાહોજહાલી અને આનંદ ભર્યા વાતાવરણમાં સૌ મશગુલ હતાં. સ્વાભાવિક રીતે જ આવા સામાજિક મેળાવડામાં અલકમલકની ચર્ચાઓ થાય. એક સુંદર ગીતકારની સત્યઘટનાના રસપ્રદ વિષય પર એક ચર્ચા શરૂ થઈ. એને શબ્દોમાં અહીં રજું કરું છું!!

વર્ષો પહેલાની વાત છે. હિન્દી ફિલ્મોના એક ખૂબ જ પ્રસિદ્ધ ગીતકાર તરીકે જેમની ગણના થતી હતી એ લુધિયાનામાં જન્મેલા એવા શાહીર લુધિયાનવીની આ વાત છે...કોણ નથી ઓળખતું એમને...!! એવું કહેવાતું કે એ અરસાના લગભગ તમામ સંગીતકારોની કારકિર્દી ઘડવામાં એમનો બહુ મોટો ફાળો હતો. તેઓ બધા માટે શુકનિયાળ કહેવાતા. તેથીજ એમની બહુ જ ડિમાન્ડ પણ રહેતી. એ સિવાય પણ તેઓ મુશાયરામાં તથા પોતાના ઘરે એમના શાગીર્દ સાથે બેઠકો કરતા. મોડી સાંજ કે રાત્રિ સુધી ચાલતી એ બેઠકોમાં સૌનું રાત્રિભોજન પણ તેમના ઘેરજ હોય.

બન્યું એવું કે એક નવોદિત ગીતકાર/શાયર ને એમના સમાચાર મળ્યા. આ નવોદિત માટે ફિલ્મી મુંબઇ નગરી એ માયાવી નગરી જ હતી. બહુ જ સ્ટ્રગલ બાદ પણ એને ક્યાંય કામ નહોતું મળતું. આ રાત્રિભોજની અને મહેફિલ વિશે સાંભળી એણે શાહિર સાબની રાત્રિબેઠકમાં જવાનું શરૂ કર્યું. આશય એક જ હતો રાત્રિભોજન!! કેમ કે, ખાવાપીવાના પૈસા હતા નહીં અને કોઈ કામ પણ નહીં, જ્યારે અહીં થોડી ગીત, ગઝલની શિક્ષા ઉપરાંત ઘણાં નામી કલાકારો જોડે મુલાકાત ઉપરાંત જમવાનું પણ મળી રહેતું!! ધીમે ધીમે એ નિત્યક્રમ બની ગયો, લગભગ રોજ સાંજે આ નવોદિત, શાહિર સાબને ઘરે જ હોય. શાહિર સાબને પણ સાચી પરિસ્થિતિની ખબર પડી ગઈ હતી.

એક દિવસ આ નવોદિત ગીતકાર, શાહિર સાબના ઘરે સવારે પહોંચી ગયો. આમ ઓચિંતો એને જોઈ શાહિર સાબને નવાઈ લાગી. એના મોં પરની ચિંતા જોઈ શાહિર સાબે પૂછ્યું, "શું થયું? કેમ અત્યારે? પૈસાની જરૂર છે તારે?" નવોદિત બોલ્યો, "એ તો છે જ. પણ મારે પૈસા નથી જોઈતા!" શાહિર બોલ્યા, "તો પછી શું કરીશ? લે આ થોડા પૈસા રાખ!" નવોદિતે ફરી કહ્યું, "ના શાહિર સાબ, મને પૈસા નહીં કામ જોઇયે છે!! મને ક્યાંક કામ અપાવો, હું આપનો ઋણી રહીશ!!" શાહિર સાબે કહ્યું, "બેટા, કામ તો તું મેળવીશ જ. તારા પોતાના બળ પર!! તારામાં ખરેખર સારી આવડત છે, તું નાહકની ચિંતા કરે છે!!" પણ એ નવોદિત એની માંગણીમાં મક્કમ હતો.

જ્યારે જ્યારે શાહિર સાબ મૂંઝાતા ત્યારે તેઓ અરીસા સામે પોતાના વાળ ઓળે રાખતા!! અત્યારે પણ તેઓ એ જ કરવા લાગ્યા!! બહુ વાર થઈ પછી, કબાટમાંથી એમણે 200 રૂપિયા કાઢ્યા, અને એ નવોદિતને આપ્યા. ( 200 રૂપિયા એટલે શું ઘણી વાત એ સમયના!!) અને બોલ્યા, આ તો તું રાખ અત્યારે અને તું ઘણી પ્રગતિ કરીશ એવા મારા આશીર્વાદ છે તને!!

કહે છે ને કે, 

ના મહોબ્બત ના દોસ્તી કે લિયે, 
વક્ત રૂકતા નહીં કિસીકે લિયે!
વક્ત કે સાથ સાથ ચલતા રહે,
યહી બેહતર હે આદમી કે લિયે!


સમય પસાર થતો ગયો. શાહિર સાબના જ સમકાલીન એવા મજરૂહ સાબની જિંદગીમાં પણ ઉતાર ચઢાવ આવતા ગયા. એમના બેબાક શબ્દો-શાયરીને લીધે સરકારે એક વાર એમને જેલભેગા પણ કર્યા!! માફી માંગવાની તક આપીને તત્કાલીન સરકારે કહ્યું, કે જો આપ માફી માંગી લેશો અને ભૂલ કબૂલી લેશો તો તમારી સજા માફ કરવામાં આવશે!! પણ માફી માંગે એ બીજા, અને એ પણ એમના નિખાલસ, સ્પષ્ટ કામ માટે!!?? મજરૂહ 2 વર્ષનો જેલવાસ ભોગવી રિહા થયાં. પણ હવે એમની જોડે કામ કરતા લોકો ગભરાવા લાગ્યા. જ્યારે આ બાજુ 2 વર્ષમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સમયાનુસાર નવોદિતોને તક આપી બીજા વિકલ્પો શોધી ચુકી હતી. હવે, શાહિર - મજરૂહ ની જગ્યાએ શકીલ બદયુની અને એક પેલો નવોદિત પણ હતો!!

આ એજ નવોદિત કે જે માત્ર રાત્રિભોજ માટે શાહિર સાબને ત્યાં જતો. હવે એની તુલના પણ નામાંકિત ગીતકારોમાં થવા લાગી. નામ, દામ ને કામ બધું મળવા લાગ્યું હતું!! આ નવોદિતના એક સત્કાર સમારંભમાં શાહિર સાબ ખુદ હાજર હતા ત્યારે એણે કહ્યું, " શાહિર સાબ, તમારા 200 રૂપિયા મારી પાસે છે. આજે હું જે કંઈ પણ છું એ આપના આશીર્વાદ થકી જ છું. અને આજે હું આપને એક વાત કહીશ કે એ ઘટના બાદ જ મને પ્રગતિ સાંપડી છે અને હું તમને એ 200 રૂપિયા એટલે જ પાછા નહિ આપું!! એ તમારા આશીર્વાદ છે મારી પાસે!! "

શાહિર સાબ પણ રુહાની અંદાજમાં બોલ્યા, " બેટા, તું ભલે એ રાખ. પણ એ 200 રૂપિયા એ તારા પર મારુ કરજ છે. અને કરજ તો તારે ચૂકવવું જ પડશે...!! એ કરજ મારે હવે કઇ રીતે વસુલવું એ મને આવડે છે!! "

સમય વહેતો ગયો. એમની ઢળતી ઉંમરે શાહિર સાબ સાવ એકાંકી હતા. થોડું ઘણું કામ હતું. તેઓને જ્યારે પૂછવામાં આવ્યું  ત્યારે કહ્યું, "ચાલ્યા કરે, અત્યારે તો હાલત એવી છે કે આંધળી બસ્તીમાં દર્પણ વેચુ છું એમ લાગે છે..!!" તેમની શાયરીઓ, ગઝલો અને એની ઊંડાઈ સમજનારો વર્ગ ઘટતો જતો હતો.

શાહિર-મજરૂહની જોડીએ ઘણા એવા શબ્દો ફિલ્મી ગીત-ગઝલોમાં આપ્યા કે જે તે અગાઉ ક્યારેય નહોતા વપરાયા!! જેમ કે, "સનમ", "જાનમ" જે અત્યારે ચણા મમરાની જેમ લગભગ દરેક ફિલ્મી ગીતોમાં હોય છે!!

શાહીરને તાજમહાલ માટે અને ત્યાર બાદ કભી કભી માટે બેસ્ટ ગીતકારનો ફિલ્મફેર એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો.

અને છેલ્લે: 

એમની બે બહેનો અને ચુનિંદા રિશતેદારો વચ્ચે એમનું ઇન્તેકાલ થયું!! પેલો નવોદિત આ સાંભળી સૌ પ્રથમ પહોંચી ગયો! થોડા સગાંવહાલાં, યશ ચોપરા અને ફિલ્મી હસ્તીઓ વચ્ચે શાહિર સાબ સમો એક ઉત્કૃષ્ટ શાયર અને યુગ આજે કબરમાં દફન થવાનો હતો!! દફનવિધિ સંપૂર્ણ થઈ. સૌ સગાંવહાલાં વિખરાઈ ગયા, પેલો નવોદિત ભૂતકાળની યાદો તાજી કરતો હજુય ત્યાંજ કબર જોડે જ ઉભો હતો!! પછી એણે પણ હવે કબ્રસ્તાનની બહાર જવા પગ ઉપાડ્યા!!

અચાનક જ પાછળથી એક અવાજ આવ્યો, "માફ કરશો સાહેબ, આપની પાસે 200 રૂપિયા છે??"

પેલો નવોદિત કુતૂહલવશ ચમક્યો અને તરતજ પાછળ જોયું.

કબરની બાજુમાંથી જ એક માણસ આગળ આવ્યો અને ફરી બોલ્યો, " સાહેબ 200 રૂપિયા??"


પેલો નવોદિત બોલ્યો, "હા કેમ? શું થયું?"

"સાહેબ, આ ભાઈની કબર ખોદી, એમની દફનવિધિ થઈ, કબર પર મિટ્ટી ડાલી ... સબ કામ કીયા હમને. ઓર સબ લોગ ચાલે ગયે!! એનું મહેનતાણું તો આપો કોઈ મને!! તમે જ છેલ્લા છો હવે, જો આપ આપી શકો તો .....?? "

પેલો નવોદિત આંખમાં આંસુ સાથે બોલી ઉઠ્યો, " વાહ શાહિર સાબ વાહ!! શું રીત રહી આપની પણ કરજ વસુલવાની !! 200 રૂપિયા આપી એ નવોદિત રડતો રડતો એક યુગ આથમી ગયાનો શોક લઈ પાછો ફર્યો!!!

આ નવોદિત ગીતકાર એ બીજું કોઈ નહીં પણ સુપ્રસિદ્ધ "જાવેદ અખ્તર" અને આ ઘટના એ સંપૂર્ણ સત્યઘટના છે. આજે પણ જાવેદ અખ્તર આ કિસ્સો યાદ કરતાં જ રડી પડે છે!!!

શબ્દો અને આલેખન: ડો. કાર્તિક શાહ

વિચારબીજ: ડો. ચિરાગ શાહ

1 comment:

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...