Wednesday, February 28, 2018

સમજણથી સમસ્યાનો ઉકેલ


એક ગરીબ ખેડૂતે નગરના શાહુકાર પાસેથી મોટી રકમ વ્યાજ પર લીધેલી હતી.

એક દિવસ શાહુકારે ખેડૂતને બોલાવીને કહ્યું, “મને મારી રકમની જરૂર છે માટે બધી જ રકમ વ્યાજ સહિત એક અઠવાડિયામાં આપી દેજે નહીંતર તારી જમીન મને લખી આપજે.” ખેડૂત મૂંઝાયો. આટલી રકમની વ્યવસ્થા કરવી શક્ય જ ન હતી. જીવનનો એકમાત્ર આધાર એવી જમીન હાથમાંથી જતી રહેશે એ વિચારમાત્રથી ખેડૂત ધ્રૂજતો હતો.

એક અઠવાડિયું પૂરું થયું અને ખેડૂત રકમ ન આપી શક્યો એટલે શાહુકારે ગામના પંચને ભેગું કર્યું અને બધી વાત કરી. પંચે કહ્યું કે, “ખેડૂત રકમ નથી આપી શક્યો માટે એમણે જમીન શાહુકારને આપી દેવી જોઈએ.” આ વાતચીત ચાલતી હતી ત્યાં પેલા ખેડૂતની યુવાન દીકરી આવી. અત્યંત સ્વરૂપવાન છોકરી જોઈને આ શાહુકારને બીજો વિચાર આવ્યો.

શાહુકારે ગામલોકોને કહ્યું, “હું આ ગામનો જ છું એટલે મને આ ખેડૂતની ચિંતા થાય છે. હું એની જમીન છીનવવા નથી માંગતો. હું એમને એક તક આપવા માગું છું. મારી આ થેલીમાં બે પથ્થર નાખીશ અને પછી એની દીકરી આ બે પથ્થરમાંથી એક ઉપાડશે. જો તે ધોળો પથ્થર ઉપાડે તો એનું તમામ દેવું માફ, પણ જો એ કાળો પથ્થર ઉપાડે તો એણે એમની છોકરી મારી સાથે પરણાવવાની રહેશે.”

ખેડૂતે તો તુરંત જ ના પાડી દીધી પણ દીકરીએ બાપને કંઈક મદદ થઈ શકે એવી આશાએ આ શરત સ્વીકારી. બૂઢા શાહુકારે નીચે પડેલા સફેદ અને કાળા રંગના પથ્થરોમાંથી બે પથ્થર ઉપાડીને પોતાની થેલીમાં નાખ્યા. પેલી છોકરીની તીક્ષ્ણ નજર એ પામી ગઈ કે શાહુકારે બંને કાળા પથ્થર જ થેલીમાં નાખ્યા છે. એક ક્ષણ છોકરીને વિચાર આવ્યો કે બાપના માટે મારું નસીબ સમજીને આ બંને કાળા પથ્થરમાંથી એક ઉપાડી લઉં અને આ શાહુકાર સાથે ચાલી જાઉં. પણ બીજી જ ક્ષણે એને કંઈક જુદો વિચાર આવ્યો અને એના ચહેરા પર રોનક આવી ગઈ.

એણે થેલીમાં હાથ નાખીને એક પથ્થર ઉપાડ્યો અને જેવો હાથ બહાર કાઢ્યો કે હાથમાંથી પથ્થર નીચે પડી ગયો. જમીન પર તો અનેક કાળા અને ધોળા પથ્થર પડેલા હતા. છોકરીના હાથમાંથી નીચે પડેલો પથ્થર કાળો હતો કે ધોળો તે નક્કી કરી શકાય તેમ ન હતું. છોકરીએ કહ્યું, “હવે એક કામ કરો આ થેલીમાં રહેલો બીજો પથ્થર બહાર કાઢો. જો તે ધોળો હોય તો મેં ઉપાડેલો પથ્થર કાળો હતો અને જો એ કાળો હોય તો મેં ઉપાડેલો પથ્થર ધોળો હતો.” થેલીમાંથી તો કાળો પથ્થર જ નીકળ્યો અને શરત પ્રમાણે ખેડૂતનું દેવું માફ થઈ ગયું.

પરિસ્થિતિ ગમે તેવી વિકટ હોવા છતાં હકારાત્મકતા સાથે જો થોડો વિચાર કરવામાં આવે તો સમ્સ્યાઓને સુવિધાઓમાં બદલાવી શકાય છે.

સંકલન: ડો. કાર્તિક શાહ "સમજણનો સઢ" પુસ્તકમાંથી

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...