Friday, March 16, 2018

ડો. અબ્દુલ કલામ: આપણી ભારતના ઇતિહાસ અને સંશોધનો પ્રત્યેની માનસિકતા

1835ની સાલમાં લોર્ડ થોમસ બોબિંગટન મેકૌલેએ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરુ કરી. તેનો હેતુ હતો - આગામી પેઢીના ભારતીય લોકો પોતાની પરંપરા, સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રત્યે ગૌરવનો ભાવ ન રાખે. એ સમયે દેશમાં અનેક જગ્યાએ મોટી સંખ્યામાં સંસ્કૃત પાઠશાળાઓ અને ઉચ્ચ શિક્ષણ માટેની વિદ્યાપીઠો હતી. ધીરે ધીરે એ સંસ્કૃત શાળાઓને સમાપ્ત કરીને ઉચ્ચ શિક્ષણ માટે અંગ્રેજી શાળાઓ અનિવાર્ય બનાવી. (વાંચો ENGLISH EDUCATION ACT, 1835 કે જે લોર્ડ વિલિયમ બૅટિક દ્વારા સ્વીકૃતિ પામ્યો)

આ શાળાઓ માટે જે પાઠ્યક્રમ બનાવાયો, જે પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા તેમાં કોઈ પણ વિષયમાં ભારતનું પ્રદાન છે એવા પ્રકારનો કોઈ સંદર્ભ જ ના આવે એનું ખાસ ધ્યાન પણ રાખવામાં આવ્યું. વિજ્ઞાન અને સંશોધનના વિષયમાં આ બાબતનું સવિશેષ ધ્યાન રાખવામાં આવ્યું. પરિણામે અંગ્રેજી શાળાઓમાં ભણીને બહાર નીકળતા ડિગ્રીધારીઓ ભારતના પ્રદાન અંગેની સમસ્ત જાણકારીથી વંચિત રહી ગયા. 

અંગ્રેજોનો ઉદેશ્ય તો સામ્રાજ્યવાદી હતો એથી એમણે શિક્ષણને આ દેશના મૂળમાંથી કાપી નાખવાના પ્રયત્નો કર્યા. પરંતુ સ્વાંતત્ર્ય પછી લોકોની આશા અને કલ્પના હતી કે દેશમાં આત્મવિશ્વાસનો ભાવ જાગૃત કરવા માટે ભારતની પરંપરાગત દેનને શિક્ષણ સાથે જોડવામાં આવશે. દુર્ભાગ્યે આઝાદી બાદ પણ એ જ જૂનો અંગ્રેજોના જમાના વખતનો ઈરાદાપૂર્વકનો બાયસ્ડ અભ્યાસક્રમ ચાલુ રહ્યો જેમાં યુરોપના દેશોના પ્રદાનને જ અભિવ્યક્ત કરી મહત્વ આપવામાં આવી રહ્યું હતું. પરિણામે પૂર્વકાળમાં ભારતમાં વિવિધ વિષયોનું જે અધ્યયન અને તે અંગેના પ્રયોગો થયા હતા તે અને તેના પ્રમાણો 170 વર્ષોથી ચાલતી આવેલી શિક્ષણ પ્રક્રિયાનું અંગ બની શક્યા નહીં. અને આ ખુબ જ અગત્યની એવી માહિતી પ્રસારણ પર અંકુશ મેળવવામાં અંગ્રેજો એક રીતે સફળ પણ થઇ શક્યા એવું કહી શકાય. 

ભારતીયતા સાથે કપાઈ ગયેલા આ પાઠ્યક્રમને ભણી રહેલા આ સમાજને અને તેના માનસને આ કારણે એક દુષ્પરિણામનો સામનો કરવો પડ્યો. વિકાસની દ્રષ્ટિએ જે કોઈ પ્રદાન છે તે યુરોપ અને પાશ્ચાત્ય દેશોમાંથી જ આવેલું છે અને તેમાં આપણું કે ભારતનું કોઈ જ યોગદાન નથી એવી વૃત્તિ અત્યારે સૌના માનસપટમાં ઘર કરી ગઈ છે. આપણું કોઈ યોગદાન હોઈ શકે છે એવા પ્રકારનું સ્વાભિમાન જાગવાને બદલે અનુકરણની, દાસતાની મનોવૃત્તિ ચારેબાજુ દેખાય છે. 

આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડો. અબ્દુલ કલામ ના બે અનુભવો આ મુદ્દાને ઉજાગર કરે છે.  ડો કલામની  આંખોમાં એક સમર્થ અને વિકસિત ભારતનું સ્વપ્ન હમેંશા રહેતું. તેમણે આ સ્વપ્નને તેમના પુસ્તક " ઇન્ડિયા ટુ થાઉસન્ડ ટવેન્ટી: અ વિઝન ફોર ન્યુ મિલેનિયમ " માં વ્યકત કર્યું છે. આ પુસ્તકમાં તેમને વિકસિત ભારતના નિર્માણનું વર્ણન કર્યું છે એની સાથે જ તેમાં સૌથી મોટી દ્વિધા પોતાના જીવનના બે અનુભવો થી અભિવ્યક્ત કરી છે: 

પ્રથમ અનુભવ અંગે તે લખે છે: 

" મારા ઓરડામાં દિવાલ પર એક બહુરંગી કેલેન્ડર ટાંગેલ છે. આ સુંદર કેલેન્ડર જર્મનીમાં છપાયેલ છે અને તેમાં આકાશમાંથી સ્થિર ઉપગ્રહો દ્વારા યુરોપ અને આફ્રિકાની ખેંચાયેલ તસવીરો છે. કોઈ પણ વ્યક્તિ આ ચિત્રોને જુએ છે તો પ્રભાવિત થાય છે. પરંતુ જયારે તેને કહેવામાં આવે છે જે ચિત્ર એમાં છપાયેલ છે તે ભારતીય દૂરસંવેદી ઉપગ્રહો દ્વારા ખેંચાયેલ છે તો તેના ચેહરા પર અવિશ્વાસના ભાવ તરી આવે છે અને જ્યાં સુધી એ કેલેન્ડરમાં નીચે ફૂટનોટમાં એ કંપની દ્વારા ભારતીય દૂરસંવેદી ઉપગ્રહો દ્વારા ખેંચાયેલ ચિત્રો મેળવવા બદલ આભાર અને ક્રેડિટ નોટની માહિતી વાંચે નહિ ત્યાં સુધી એ ભાવો દૂર થતા જ નથી...!!"


બીજા અનુભવ વિષે તે લખે છે, 

" એકવાર હું રાત્રી ભોજન માટે એક સ્થળે આમંત્રિત હતો ત્યાં બહારના અનેક વૈજ્ઞાનિકો તથા ભારતના અમુક વૈજ્ઞાનિકો અને જાણીતા લોકો આમંત્રિત હતા. ત્યાં વાતવાતમાં રોકેટની ટેક્નિકના વિષયમાં ચર્ચા નીકળી. કોઈકે કહ્યું કે ચીની લોકોએ હજાર વર્ષો પહેલા તોપની શોધ કરી. તે પછી તેરમી સદીમાં એ તોપમાં વપરાતા પાઉડરની મદદથી અગ્નિતીરોનો પ્રયોગ યુદ્ધોમાં શરુ થયો. આ ચર્ચામાં ભાગ લેતા મેં મારો એક અનુભવ બતાવ્યો કે થોડા સમય પહેલા હું ઇંગ્લેન્ડ ગયો હતો ત્યાં લંડનની પાસે કુલીચ નામના સ્થાન પાર રોટુન્ડા નામનું એક સંગ્રહાલય છે. આ સંગ્રહાલયમાં સુલતાન ટીપુના શ્રી રંગપટ્ટનમમાં અંગ્રેજોની સાથે થયેલા યુદ્ધમાં ટીપુની સેના દ્વારા ઉપયોગમાં લેવાયેલ રોકેટ મેં જોયા. રોકેટનું આ યુદ્ધ વિશ્વનું સર્વપ્રથમ રોકેટ યુદ્ધ હતું અથવા તો એમ કહું કે કોઈ યુદ્ધ માં રોકેટ વપરાયા હોય તેવી આ સૌ પ્રથમ ઘટના હતી. મારુ આટલું જ માત્ર કહેવાનું સાંભળીને એક પ્રમુખ ભારતીયે ટિપ્પણી કરી કે "એ ટેકનીક ફ્રેન્ચ લોકોએ ટીપુને આપેલી હતી." (આ કોન્ટ્રોવર્સી આપને વેબજગતમાં મળી રહેશે) એથી મેં નમ્રતાપૂર્વક એમને કહ્યું કે આપ જે કહી રહ્યા છો એ બરાબર નથી. હું આપને પ્રમાણ બતાવીશ. થોડા સમય બાદ મેં એમને પ્રખ્યાત બ્રિટિશ વૈજ્ઞાનિક સર બર્નાડ લોપેલનુ પુસ્તક " ઘી ઓરિજિન્સ એન્ડ ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ ઓફ સ્પેસ એક્સપ્લોરેશન " બતાવ્યું. જેમાં તે લખે છે કે વિલિયમ કોન્ગ્રેવે ટીપુની સેના દ્વારા ઉપયોગમાં લેવાયેલ રોકેટનો અભ્યાસ કર્યો અને તેમાં અમુક સુધાર કરીને ઈ.સ. 1805માં તે વખતના પ્રધાનમંત્રી વિલિયમ પીટ  તથા યુદ્ધ સચિવ ક્રેસર લીડની સામે રજુ કર્યા. તે બંને એ જોઈને પ્રભાવિત થયા.  અને એને સેનામાં સામેલ કરવા માટેની સ્વીકૃતિ આપી. 1806ની સાલમાં નેપોલિયન સાથે થયેલા  Boulong Harbour પાસેના યુદ્ધમાં તથા 1807માં કોપેનહેગન ઉપર કરાયેલ આક્ર્મણમાં તેનો પ્રયોગ કર્યો. જયારે ટીપુ સુલ્તાનનો શાસક સમય લગભગ ઈ.સ. 1760 થી 1799 સુધી હતો. પુસ્તકમાં રજુ કરાયેલ વિગતને ધ્યાનપૂર્વક વાંચીને એ પુસ્તક મારા હાથમાં પાછું મુકતા એ વિશિષ્ટ ભારતીય સજ્જને જણાવ્યું કે આ એક મોટો રોચક પ્રસંગ છે...!! એમને આ વાત રોચક લાગી પણ તેમના મુખ-મંડળ ઉપર આ ભારતીય શોધ પ્રત્યે કોઈ પ્રકારનો અહોભાવ કે ગૌરવનો ભાવ દેખાયો નહિ. દુર્ભાગ્યે આપણે ભારતમાં આપણા શ્રેષ્ઠ સર્જકોને ભૂલી ગયા છીએ. બ્રિટિશ લોકો કોન્ગ્રેવની બાબતમાં સારી માહિતી રાખે છે પણ આપણે આપણાં એ મહાન એન્જીનીયરોને કે જેમણે ટીપુની સેના માટે રોકેટ બનાવ્યા તેમના વિષે કોઈ પણ જાણકારી રાખતા નથી. એનું કારણ એ જ છે કે વિદેશીઓના પ્રભાવથી આપણી પ્રત્યેની લઘુતાગ્રંથિથી દેશના બુદ્ધિમાન લોકો આજે પણ ગ્રસ્ત છે અને આ પ્રકારની માનસિકતા દેશની પ્રગતિ માટે સુધી મોટી અડચણ છે. "

સર સી. વી. રામને ઈ.સ. 1949માં પ્રયાગમાં એક કોલેજના પદવીદાન સમારંભમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું હતું કે " વિદ્યાર્થીઓ, જયારે આપણે ક્યાંકથી કશું આયાત કરીઍ છીએ ત્યારે આપણે માત્ર આપણા અજ્ઞાનની કિંમત ચુકવતા નથી પણ આપણી અક્ષમતાની પણ કિંમત ચૂકવીએ છીએ! "

અને છેલ્લે:

હમણાં થોડા સમય પહેલા અમારા કાકાજીના ઘરે મુલાકાત લેવાનું થયુ. એ સમયે મારો રસનો વિષય  સમજીને થોડા પુસ્તકો કે જે મારા કાકાજીએ વસાવેલા,  રાહુલભાઈ (એમના પુત્ર) દ્વારા મને ખાસ વાંચવા માટે આપવામાં આવ્યા. આ વાસ્તવિકતાઓ એ પુસ્તકમાંથી અને થોડા મનોમંથન બાદ ઉદ્ભવેલી ફલશ્રુતિ છે. એ બદલ હું તેમનો આભારી છું. ભવિષ્યમાં પણ આવા રોચક પુસ્તકો વાંચન માટે મળી રહેશે એવી આશા પણ રાખું છું. 

આપણા દેશમાં આજે આપણી પોતાની વાતોમાં, અને પરંપરાઓમાં દેશની ક્ષમતા અંગેની માનસિકતામાં પરિવર્તન લાવવા માટે અમુક મૂળભૂત વાતો અંગે વિચાર કરવાની આવશ્યકતા છે. સૌથી પહેલા તો આપણી માન્યતા છે કે પશ્ચિમની વ્યક્તિ જ બુદ્ધિમાન અને તર્કશીલ કે પ્રયોગશીલ હોય છે જયારે ભારતની વ્યક્તિ કોઈ ગ્રંથને જ પ્રમાણ માનનાર, અંધશ્રધ્ધાળુ અને પ્રયોગથી દૂર ભાગનાર જ હોય છે. પણ વાસ્તવિક સ્થતિ શું છે એ જોવા સમજવાની તાતી જરૂર છે આપણે સૌએ. વધુ આવી વાસ્તવિકતાઓ લઈને ફરી મળીશ.... ત્યાં સુધી વિરામ..!


સંકલન: ડો. કાર્તિક શાહ.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...