Saturday, March 17, 2018

શું વાસ્કો ડી ગામાએ ભારત આવવાનો માર્ગ શોધ્યો?


 શું વાસ્કો ડી ગામાએ ભારત આવવાનો માર્ગ શોધ્યો?
 ભારતીય નૌકા ઉદ્યોગ અને એનો નાશ કરવાનું સુનિયોજિત કાવતરું

ભારતની નૌસેનાએ આજે પોતાના મુદ્રાલેખ "शं नो वरुण:" રાખેલ છે. જેનો અર્થ થાય છે, ' હે વરુણ દેવતા અમારું કલ્યાણ  કરો.' સમુદ્રી ઇતિહાસ ભારતનો ખુબ જ સમૃદ્ધ રહ્યો છે. મહર્ષિ અગસ્ત્ય સમુદ્રી દ્વિપો અને દ્વિપોન્તરોની યાત્રા કરનારા મહાપુરુષ હતા. આ કારણથી જ મહર્ષિ અગસ્ત સમુદ્રને પી ગયેલા એવી કથા પ્રચલિત થઇ હશે. આ ઉપરાંત નૌકાવિજ્ઞાન અને તેની બનાવટની ફાવટ પણ હિન્દુસ્તાનમાં પહેલેથીજ સિદ્ધહસ્ત ગણાય છે. આના કેટલાય પ્રમાણો આજે પણ મોજુદ છે.

પાંચમી સદીમાં જન્મેલા વરાહમિહિરના પુસ્તક 'બૃહતસંહિતા' માં તથા અગિયારમા સદીમાં થઇ ગયેલા રાજા ભોજ દ્વારા રચિત 'યુક્તિ કલ્પતરૃ'શાસ્ત્ર માં પણ વહાણોના નિર્માણ ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. 

'વૃક્ષ આર્યુર્વેદ'માં લાકડાના પ્રકારો વર્ણવામાં આવ્યા છે. કોમળ અને સહેલાઈથી જોડી શકાતા લાકડામાંટે 'બ્રાહ્મણ' શબ્દ, વજનમાં હલકું છતાં કઠણ લાકડું અને જેને બીજા લાકડા સાથે જોડવું અઘરું છે તેવા લાકડાને 'ક્ષત્રિય' અને હલકા છતાં કઠણ લાકડાને 'વૈશ્ય'  તથા વજનમાં ભારે અને કઠણ લાકડાને 'શુદ્ર' કહ્યા છે.  આ રીતે સામાન્ય નૌકા અને વિશેષ નૌકા કઈ રીતે બનાવવી એનું માપ સાથે એમાં વર્ણન છે. 

નૌકાઓ નો ઉપયોગ ભારતમાં વૈદિક કાળથી થતો આવ્યો છે. મુઘલોનું આક્રમણ સાતમી સદીથી શરુ થયું. એ વખતે પણ ભારતમાં મોટા વહાણો બનતા હતા. માર્કોપોલો તેરમી સદીમાં ભારત આવ્યો તે સમયે એણે ભારતમાં બનતા વહાણોની ભરપૂર પ્રશંશા પણ કરી હતી. 15મી સદીમાં નિકોલો કાંટી નામનો પ્રવાસી ભારત આવ્યો અને એ લખે છે કે, "ભારતના વહાણો અમારા વહાણો કરતા ખુબ મોટા હોય છે. તેના તળિયા ત્રણ થરવાળા લાકડામાંથી બનાવેલ હોય છે. તે ભયકંર સમુદ્રી તોફાનો સામે લડવા સક્ષમ છે. અને કોઈ એક ભાગ નુકસાન પામે તોય બાકીના ભાગથી કામ ચાલી શકે તેમ હોય છે."

બર્થ લખે છે કે "લાકડાના પાટિયાનું જોડાણ એવી રીતે થતું કે સહેજ પણ પાણી અંદર પ્રવેશી શકે નહિ. આ સિવાય સઢની બનાવટ વિષે પણ કુતુહલ રજુ કર્યું હતું" 

શું વાસ્કો ડી ગામાએ ભારત આવવાનો માર્ગ શોધ્યો?

આપણા દેશમાં અંગ્રેજૉએ એક ભ્રમ એવો ફેલાવ્યો કે વાસ્કો-ડી-ગામાએ ભારત આવવાના માર્ગની શોધ કરી. વાસ્કો-ડી-ગામા ભારત આવ્યો એ હકીકત છે પણ તે કેવી રીતે આવ્યો એની સાચી હકીકત આપણે જાણીયે તો ખાતરી થશે કે વાસ્તવિકતા શું છે?

પ્રસિદ્ધ પુરાતત્વવિજ્ઞાન શાસ્ત્રી ડો. વિષ્ણુ શ્રીધર વાંકનકર જણાવે છે કે, "હું મારા વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયો હતો, ત્યાં એક સંગ્રહાલયમાં મને વાસ્કો-ડી-ગામાની ડાયરી અંગે જણાવાયું. આ ડાયરીમાં વાસ્કો-ડી-ગામાએ તે ભારત કેવી રીતે આવ્યો તેનું પોતે વર્ણન કર્યું છે." તે લખે છે, 'જયારે મારુ વહાણ આફ્રિકાના જાંજીબારની પાસે પહોંચ્યું તો મારા વહાણથી ત્રણગણું મોટું વહાણ મેં ત્યાં જોયું. ત્યારે એક આફ્રિકન દુભાષિયાને લઈને હું એ વહાણના માલિકને મળવા ગયો. જહાજનો  માલિક ચંદન નામનો એક ગુજરાતી વેપારી હતો. જે ભારતમાંથી ચીડ અને સાગવાનના લાકડા અને મસાલા લઈને ત્યાં આવ્યો હતો. અને તેના બદલામાં હીરા લઈને તે કોચીનના બંદરે આવીને વેપાર કરતો હતો. તો વાસ્કો-ડી-ગામા જયારે મળવા તેની પાસે પહોંચ્યો, ત્યારે તે ચંદન નામનો વેપારી તદ્દન સામાન્ય કપડામાં એક પાટિયા પર બેઠૉ હતો. એ વેપારીએ વાસ્કો-ડી-ગામાને પૂછ્યું કે તમે ક્યાં જઈ રહ્યા છો? તો વાસ્કો-ડી-ગામાએ જવાબ આપ્યો કે હિન્દુસ્તાન ફરવા જવું છે. ત્યારે ચંદને તેને કહ્યું કે હું આવતી કાલે હિન્દુસ્તાન જાઉં છું. મારી પાછળ પાછળ આવી જાવ." આમ એ વેપારીના વહાણનો પીછો કરતા કરતા વાસ્કો-ડી-ગામા ભારત પહોંચ્યો. 

સ્વતંત્ર ભારતમાં નવી પેઢીને આ સત્ય હકીકતો બતાવવી જોઈતી હતી. પરંતુ દુર્ભાગ્યે આવું બન્યું નથી. ઉપરયુક્ત વર્ણન વાંચીને ડો. વિષ્ણુ શ્રીધર વાંકનકર લખે છે કે "મનમાં એવો વિચાર આવે છે કે વહાણો બનાવવાની કલામા ભારતની આટલી મોટી પ્રગતિ થઇ હતી તો તે વિદ્યાનો નાશ કેવી રીતે થઇ ગયો?" 

આ દ્રષ્ટિથી અંગ્રેજોના ભારતમાં આવ્યા પછી અને તેમના રાજકાળમાં યોજનાપૂર્વક ભારતના વહાણવટા ઉદ્યોગને નષ્ટ કરવાના ઇતિહાસ અંગે આપણે જાણવું જરૂરી છે!

વધુ આગળ લખે છે:
" પશ્ચિમના લોકોનો જયારે ભારત સાથે સંપર્ક થયો તો તેઓ અહીંના વહાણો જોઈને ચકિત થઇ ગયેલ. 17મી સદી સુધી યુરોપના વહાણો વધુમાં વધુ 600 ટનના હતા. પરંતુ ભારતમાં એમણે એક ગોધા નામનું જહાજ એ વખતે જોયું જે 1500 ટનનું હતું. વધુમાં ભારતના વહાણો ટકાઉ હતા, 50-60 વર્ષો સુધી મરમ્મત વગર એ કાર્ય આપતા."

ઈ.સ. 1811 માં ફ્રાન્સના એક પ્રવાસી વોલ્ટજર સોલ્વિંન્સએ "લે હિન્દૂ" નામના એના પુસ્તકમાં લખ્યું છે કે "પ્રાચીન સમયમાં નૌકાઓના નિર્માણ કાર્યમાં હિન્દુસ્તાનીઓ સૌથી અગ્રેસર હતા. અને આજે પણ એ લોકો યુરોપને પાઠ ભણાવી શકે તેમ છે. અંગ્રેજોએ જે કલાઓ તેમને શીખવાની જરૂર હોય તે બધી હિન્દુસ્તાનીઓ પાસેથી એક પછી એક શીખી લીધી. ભારતીય વહાણોમાં સુંદરતા અને ઉપયોગિતાનો ખુબ સારી રીતે સમન્વય થતો. મુંબઈના કારખાનામાં ઈ.સ. 1736 થી 1863 સુધી 300 વહાણો તૈયાર કરવામાં આવ્યા, જેમના મોટા ભાગના ઇંગ્લેન્ડના શાહી કાફલામાં સમાવિષ્ટ થયા. ઈ.સ. 1782 થી 1821 સુધી 1,22,693 ટનના 272 વહાણો માત્ર હુગલીમાં તૈયાર થયા હતા.

બ્રિટનના વહાણનાં વેપારીઓ આ સહન ન કરી  શક્યા. અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતીય વહાણોનો ઉપયોગ ના કરવા માટે દબાણ કરવા લાગ્યા. લંડનના બંદરના કારીગરોએ સૌથી પહેલા હોહા મચાવી અને કહ્યું કે "આપણા બધા કામો ચોપટ થઇ જશે. અને અમારા કુટુંબો ભૂખે મરશે." આ ઉપરથી ઈ.સ. 1814માં એક કાયદો પસાર થયો જે મુજબ "ભારતીય ખલાસીઓને બ્રિટિશ નાવિક બનવાનો અધિકાર ઝુંટવાઈ ગયો. બ્રિટિશ વહાણો પર પણ ઓછામાં ઓછું ત્રણ ચતુર્થાંશ અંગ્રેજ ખલાસીઓ રાખવાનું ફરજીયાત બનાવાયું. લંડનના બંદરમાં કોઈ એવા વહાણને પ્રવેશવાનો અધિકાર ન રહ્યો કે જેનો માલિક કોઈ બ્રિટિશ ન હોય. અને એવો પણ નિયમ બનાવવામાં આવ્યો કે ઈંગ્લેન્ડમાં અંગ્રેજો દ્વારા બનાવાયેલા વહાણોમાં જ બહારથી માલ ઈંગ્લેન્ડમાં લાવી શકાશે!! અનેક કારણો થી આ કાયદાનો અમલીકરણ ઢીલો રહ્યો. પરંતુ ઈ.સ. 1863થી ( વિપ્લવ પછી) આ કાયદાનો પૂરો અમલ શરુ થયો. ભારતમાં પણ અંગ્રેજો દ્વારા આવા જ કાયદાઓ બનાવવામાં આવ્યા કે જેથી અહીંની પ્રાચીન વહાણ વિદ્યાનો અંત આવે. ભારતીય વહાણોમાં ભરાયેલ માલસામાન ઉપરની જકાત વધારી દેવામાં આવી અને એ પ્રમાણે તેને વ્યાપારથી જુદા કરવાના પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા. સર વિલિયમ ડીગ્વીએ સાચે જ લખ્યું છે કે "પાશ્ચત્ય દુનિયાની રાણીએ આ રીતે પુરાતન સાગરની રાણીનો વધ કરી નાખ્યો!' 

ટૂંકમાં ભારતીય વહાણો બનાવવાની કલા અને ઉદ્યોગ ને સુનિયોજિત રીતે ખતમ કરવાની આ હકીકત છે. જેને અત્યારના વિદેશોનો ભારતીય ઉદ્યોગો પ્રત્યેના વલણ જોડે અને ઇન્ટરનેશનલ વ્યાપાર જગત જોડે જો સરખાવીએ તો કદાચ એવું પણ લાગે કે ક્યાંક ઇતિહાસનું પુનરાવર્તન તો થવા નથી જઇ રહ્યું ને!! આપ વિચારીને કહેજો........


સંકલન/સંશોધન : ડો. કાર્તિક શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...