Saturday, December 23, 2017

અમિતાભની રિલીઝ ન થઈ શકેલી ફિલ્મો વિશે


એક્ટિંગના શહેનશાહ ગણાતા અમિતાભ બચ્ચનનો અાજે આ ઉંમરે પણ ૪૪૦ વોલ્ટનો કરંટ જળવાયેલો રહ્યો છે. અાજે પણ અમિતાભની એક્ટિંગમાં એ જ દમ છે, જે દાયકાઅો પહેલાં જોવા મળતો હતો. અાજે પણ સ્ક્રીન પર અમિતાભ બચ્ચન દેખાય ત્યારે થિયેટર મૌન બની જાય છે.

અમિતાભ બચ્ચને સાડા ચાર દાયકાની કરિયરમાં ૧૮૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. અા સંખ્યા હજુ પણ વધી શકત, પરંતુ અોછામાં અોછી ૪૦થી વધુ ફિલ્મ શૂટિંગ દરમિયાન જ બંધ થઈ અથવા તો કોઈ કારણસર બચ્ચને તે ફિલ્મમાં કામ ન કર્યું.


યશરાજ ફિલ્મ્સે અમિતાભ બચ્ચનને લઈને ‘રિશ્તે’ ફિલ્મની જાહેરાત કરી હતી, પરંતુ અા ફિલ્મ શરૂ ન થઈ શકી. રાજ કપૂરે એક વાર અમિતાભ બચ્ચનને લઈને ‘પરમવીરચક્ર’ બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ અા ફિલ્મ ન બની.  પ્રકાશ મહેરાઅે ફિલ્મ ‘જાદુગર’ની સાથે ‘સાધુ અૌર સંત’ નામની એક ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. ફિલ્મમાં અમિતાભની સાથે મિથુન ચક્રવર્તી અને મીનાક્ષી શેષાદ્રી હતાં. જોકે ‘સાધુ ઔર સંત’ ફિલ્મ ડબ્બાબંધ જ રહી. ક્રાંતિવીર જેવી ફિલ્મ બનાવનાર મેહુલ કુમારે અમિતાભ બચ્ચન અને અરશદ વારસી સાથે એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, પરંતુ ફિલ્મ શરૂ ન થઈ શકી.

રમેશ સિપ્પીઅે પણ અમિતાભ બચ્ચન અને શશી કપૂરને લઈને ૮૦ના દાયકામાં ત્રણ હીરોવાળી ફિલ્મ ‘રાસ્તા’ની જાહેરાત કરી હતી, પરંતુ તે ફિલ્મ ન બની. વિધુ વિનોદ ચોપરાઅે અમિતાભ બચ્ચન સાથે તાલિસ્માન નામની ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી, પરંતુ ફાઈનાન્શિયલ કારણસર અા ફિલ્મ ડબ્બામાં પડી રહી.

ફિલ્મ ‘અાલિશાન’ ટીનુ અાનંદનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. અા ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને માધુરી દીક્ષિત એકસાથે હતાં. ફિલ્મનું શૂટિંગ એક અઠવાડિયા સુધી ચાલ્યું અને પછી બંધ થઈ ગયું. અમિતાભની અન્ય કેટલીક ફિલ્મોમાં ‘યે મેરી જિંદગી’, ‘કરિશ્મા’, ‘શિવા’, ‘ટાઈગર’ અને ‘શિનાખ્ત’ જેવી ફિલ્મો સામેલ છે, જે ક્યારેય બની ન શકી.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...