Wednesday, May 24, 2017

સ્ત્રીને ખરેખર શું જોઈએ છે?

રાજા હર્ષવર્ધન યુધ્ધમાં હારી ગયો. તેને હાથકડીઓ પહેરાવીને પાડોશી રાજાની સામે હાજર કરવામાં આવ્યો. પાડોશી દેશનો રાજા પોતાની જીતથી ખુશ હતો એટલે તે રાજાએ હર્ષવર્ધનની સામે એક  પ્રસ્તાવ રાખ્યો..

*“જો તું એક પ્રશ્નનો ઉત્તર મને લાવીને આપીશ તો અમે તારું રાજ્ય પાછું આપી દઈશું, તે સિવાય ઉમ્ર કેદ માટે તૈયાર રહેજે….પ્રશ્ન છે….. એક સ્ત્રીને ખરેખર શું જોઈતું હોય છે?”*

આના માટે તારી પાસે એક મહિનાનો સમય છે. હર્ષવર્ધને આ પ્રસ્તાવ મંજૂર કર્યો.

તે જગ્યાએ જગ્યાએ – ગામેગામ જઈને વિદુષીઓ, વિદ્વાનો અને તમામ ઘરેલું સ્ત્રીઓથી લઈને નૃત્યાંગનાઓ, વૈશ્યાઓ, દાસીઓ અને રાણીઓ, સાધ્વીઇઓ સૌને મળ્યા અને જાણવાં લાગ્યાં કે, એક સ્ત્રીને ખરેખર શું જોઈતું હોય છે ?

કોઈકે સોનું, કોઈ કે ચાંદી, તો કોઈકે હીરા જવેરાત, કોઈ કે પ્રેમ, કોઈ કે પુત્ર, પિતા, પતિ અને પરિવાર તો કોઈ કે રાજ્યપાટ અને સન્યાસની વાતો કરી, પણ હર્ષવર્ધનને સંતોષ ન થયો.

મહિનો પૂરો થવા આવ્યો છતા હર્ષવર્ધનને કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો.
કોઈકે સલાહ આપી કે, દૂર દેશમાં એક જાદૂગરણી રહે છે, તેની પાસે દરેક વાતનો જવાબ હોય છે. કદાચ એની પાસે આ પ્રશ્નનો પણ જવાબ હોય!


હર્ષવર્ધન પોતાના મિત્ર સિદ્ધરાજની સાથે જાદુગરણી પાસે ગયો અને પોતાનો પ્રશ્નની રજુઆત કરી.
જાદુગરણીએ હર્ષવર્ધનના મિત્રની સામે જોતા કહ્યું, હું તમને સાચો ઉત્તર બતાવીશ પણ એના બદલામાં તમારા મિત્રને મારી સાથે લગ્ન કરવા પડશે. જાદુગરણણી વૃદ્ધ તો હતી જ, પણ સાથે સાથે ખૂબ જ બદ્સૂરત પણ હતી. જયારે તેણે પોતાનું સ્મિત હર્ષવર્ધનની તરફ ફેંક્યું, ત્યારે એન દુર્ગંધી બોખા મુખ માંથી એક સડેલા દાંતે દેખા દીધી.


હર્ષવર્ધને પોતાના મિત્રને સમસ્યામાં ન નાખતા જાદુગરણીને સ્પષ્ટ ના પાડી દીધી. સિદ્ધરાજે હર્ષવર્ધનની એક વાત ના સાંભળી અને પોતાના મિત્રના જીવનની ખાતર જાદુગરણી સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગયો.

ત્યારે જાદુગરણી એ ઉત્તર કહ્યો, *“સ્ત્રીઓ, પોતે જાતે પોતાનો નિર્ણય લેવા માટે આત્મનિર્ભર બનવા ઇચ્છે છે.”*
આ જવાબ સાંભળીને હર્ષવર્ધનને સંતોષ થયો, પાડોશી રાજ્યના રાજાએ પણ આ ઉત્તર સ્વીકાર કરી લીધો અને તેણે હર્ષવર્ધનને એનું રાજ્ય ફરી આપી દીધું.

અહીં આ બાજુ જાદુગરણી સાથે સિદ્ધરાજના લગ્ન થઇ ગયા. જાદુગરણીએ અડધી રાતે પતિને કહ્યું,
"કેમ કે તમારું હ્દય પવિત્ર છે અને પોતાના મિત્ર માટે તમે કુરબાની આપી છે, આથી હું ચોવીસ કલાકમાં બાર કલાક તો રૂપસી રૂપમાં રહીશ અને બાકીના બાર કલાક પોતાના સાચા રૂપમાં, બોલ તને શું પસંદ છે? – પહેલા રૂપાળી અપ્સરાનું રૂપ કે મારું સાચું રૂપ?”

સિદ્ધરાજે કહ્યું, “પ્રિયતમા આ નિર્ણય તારે જ કરવાનો છે, મેં તને પત્નીના રૂપમાં સ્વીકાર કરી છે, અને તારું દરેક રૂપ મને પસંદ છે.”


જાદુગરણી આ સાંભળીને રૂપસી બની ગઈ, એણે કહ્યું, “તે નિર્ણય મારા પર મુક્યો છે તો હું હવે હંમેશા આજ રૂપમાં રહીશ. આમ પણ, મારું અસલી રૂપ જ આ છે. કદરૂપી વૃદ્ધાનું રૂપ તો મેં આપણી આસપાસના દુનિયાના ખરાબ લોકોને દૂર કરવા માટે ધારણ કર્યું હતું.”

એટલે કે, સામાજીક વ્યવસ્થાએ સ્ત્રીઓને પરતંત્ર બનાવી દીધી છે, પણ માનસિક રૂપમાં કોઈ પણ સ્ત્રી પરતંત્ર નથી.
એટલે જે લોકો પત્નીને ઘરની માલિક બનાવી દે છે, તે વારંવાર ખુશ દેખાતા હોય છે. આપ તેને માલિક ભલે ના બનાવો, પણ એની જીંદગીના એક ભાગને મુક્ત કરી દો. એને એ ભાગથી જોડાયેલા નિર્ણય પોતે જ લેવા દો…..પછી જુઓ મજા!

--  અજ્ઞાત (સંકલિત...કાર્તિક શાહ)

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...