Sunday, December 16, 2018

ગુસ્સો


લગભગ 1950-60ના દસકાની આ વાત આજે હું કરું છું. એન્ડ્રુ કાર્નેગીની આ વાત છે. એક દિવસ કાર્નેગીના ગુસ્સાનો પાર ના રહ્યો! એક નાનકડી ભૂલ બદલ આટલી બધી ટીકા અને ગુસ્સો!! પોતાના જેવી ખ્યાતનામ વ્યક્તિને એક સામાન્ય નારી આવી રીતે કઠોર અને કટુ શબ્દોમાં ઠપકો આપે અને આકરાં વાક્યો લખી આલોચના કરે, તે તો કેમ ચાલે?

અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકન વિષે કાર્નેગીએ એક રેડિયો વાર્તાલાપ કર્યો હતો અને  લિંકનના જીવન અંગે એક ખોટી તારીખ બોલાઈ ગઈ હતી! એક મહિલાએ આ વાર્તાલાપ આખો સાંભળ્યો અને કાર્નેગીની ભૂલનો ખ્યાલ આવ્યો. 

આ નારી કાર્નેગી પર જાણે રીતસરની તૂટી જ પડી,એણે પત્ર લખ્યો કે "લિંકન જેવી  મહાન વ્યક્તિ વિષે વક્તવ્ય આપતી વખતે તારીખની બાબતમાં ઝીણવટભરી કાળજી લેવી જ જોઈએ. તમારામાં આ ચીવટ અને ચોક્સાઈનું નામોનિશાન જોવા મળતું નથી! જો આવી સામાન્ય બાબતોનું ધ્યાન આપ રાખી શકતા ન હો, તો કૃપા કરીને વાર્તાલાપો કરવાનું બંધ કરશો!!"

કાગળ વાંચતાની સાથે જ કાર્નેગી ઉકાળી ઉઠ્યા!! એક સામાન્ય ભૂલ માટે આટલો સખત ઠપકો! કાર્નેગીએ એ મહિલાને સણસણતો જવાબ આપતો પત્ર લખ્યો. એની અભદ્ર ભાષા વિષે આકરી ટીકા કરી. એક નાની ભૂલને આટલું બધું મોટું સ્વરૂપ આપવા માટે એ મહિલાનો ઉધડો લીધો.  સાથોસાથ શિષ્ટતા અને સુરુચિ કોને કહેવાય તે વિષે સ્પષ્ટતા કરતુ એક લાબું સંભાષણ લખ્યું. કાર્નેગી એ પત્ર બીડીને પોસ્ટ કરવાનો વિચાર કરતા હતા ત્યાં કોઈ કામ આવી જતા પત્ર પોસ્ટ કરવાનો રહી ગયો! 

બીજે દિવસે પત્ર મોકલવાનો વિચાર કરતા હતા ત્યાં મનમાં થયું કે ગુસ્સામાં જરા વધુ પડતું લખી નાખ્યું છે. એ મહિલાની વાત તો સાચી છે તો પછી મારે એની આવી સખત ટીકા કરવાની જરૂર નથી. આથી અગાઉનો પત્ર ફાડી નાખી નવેસરથી પત્ર લખવા બેઠાં. હજી ગુસ્સો ઓગળ્યો નહોતો એટલે થોડા ઠપકાના વચનો કઠોર ભાષામાં લખ્યા.

ફરી કાગળ મોકલવાનો વિચાર કરતા હતા તો એમ થયું કે એ મહિલા શિષ્ટ લખાણ ના લખે તે તો સમજી શકાય પણ પોતે આવી અશિષ્ટ ભાષા લખે એ બરોબર નથી. આથી ફરી કાગળ ફાડી નાખ્યો અને નવેસરથી લખ્યો. આ રીતે, પત્રલેખનની સાથોસાથ પત્ર નાશ કરવાનું કામ ચાલતું રહ્યું! આખરે  સાતમી વખત તેઓએ પત્ર લખ્યો! એ પત્રમાં આ મહિલાનો પોતાની આવી ક્ષતિ તરફ ધ્યાન દોરવાનો આભાર માન્યો અને સાથોસાથ અવકાશે પોતાના ત્યાં આવવાનું અને ભોજનનું નિમંત્રણ આપ્યું. થોડા દિવસ પછી એ મહિલા એન્ડ્રુ કાર્નેગીના ત્યાં મહેમાન બનીને આવી અને બંનેએ એકબીજાને આદર આપ્યો. એમની વચ્ચે ન તો કોઈ ઘર્ષણ થયું કે ન કોઈ શાબ્દિક ટપાટપી!! ઉલટું, એમની વચ્ચે લાગણી અને આદરભર્યો સંબંધ બંધાયો અને આજીવન હૂંફ રહી...! 

એથીજ, ગુસ્સો જે કામ નથી કરી શકતો એ પ્રેમ અને લાગણીભર્યા બે શબ્દો સરળતાથી કરી જાય છે...!


-- ડો. કાર્તિક શાહ 

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...