Sunday, August 13, 2017

શ્રી વિજય ભાટકર

વિજય ભાટકરનો જન્મ અકોલા. મહારાષ્ટ્રના એક મરાઠા પરિવારમાં ૧૧ ઑક્ટોબર ૧૯૪૯ ના રોજ થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ અકોલા ગામમાં જ પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ ૧૯૬૫ માં એન્જિનિયરની ડિગ્રી પ્રાપ્ત કરવા તેઓ વી.એન.આઇ.ટી. નાગપુર ગયા. વી.એન.આઇ.ટી. મહારાષ્ટ્રની પ્રતિષ્ઠિત કોલેજોમાંની એક છે. આ કોલેજની સ્થાપના જૂન ૧૯૬૦ માં ભારતીય સરકારના શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત થઇ હતી. આ કોલેજનું પ્રથમ સત્ર ૧૯૬૦ માં શરૂ  થયું અને બોર્ડ ઓફ ગવર્નરે સર એમ. વિશ્વેશ્વરૈયા ના નામથી કોલેજનું નામકરણ કર્યું. એન્જિનિયરની ડિગ્રી મેળવ્યા બાદ ૧૯૬૮ માં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરવા તેઓ એન્જિનિયર વિશ્વવિદ્યાલય, વડોદરા ગયા. ૧૯૭૨ માં આઇ.આઇ.ટી. દિલ્હીથી તેમણે એન્જિનિયરીંગમાં ડોકટરેટની પદવી મેળવી. ત્યારબાદ વિજય ભાટકરે આઇ.ટી.માં  શિક્ષણના વ્યાપ માટે આંતરરાષ્ટ્રીય સૂચના પ્રૌદ્યોગિકી સંસ્થાનની સ્થાપના કરી. આ સંસ્થાનમાં ઉચ્ચતર શિક્ષણ માટે શોધ-સંશોધન સુવિધા ઉપરાંત  એક હજારથી વધુ વિદ્યાર્થીઓ એક સાથે શિક્ષણ મેળવી શકે તેવી યોજના તૈયાર કરવામાં આવી. શ્રી વિજય ભટનાગરના આઠ પુસ્તકો અને ૮૦ થી વધારે શોધ સંશોધન પત્રો પ્રકાશિત થઇ ચુકેલા  છે.

ભારતને સુપર કમ્પ્યુટર ટેકનોલોજી આપવાના અમેરીકાના ઈન્કારથી રાજીવ ગાંધી સમસમી ઉઠયા અને વિજય ભાટકરે સુપર કમ્પ્યુટર બનાવ્યુ.

અમેરીકા પાસે ‘ક્રે’ નામનુ સુપર કોમ્પ્યુટર તે સમયે હતુ. હવામાનની સચોટ આગાહી કરી શકાય તે માટે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ અમેરીકા પાસે આ કોમ્પ્યુટર ટેકનોલોજી માંગી હતી. અમેરીકાએ ભારતને એવુ રોકડુ પરખાવ્યુ હતું કે તમે તેનો ઉપયોગ સંરક્ષણ ક્ષેત્રે કરી શકો તેમ છે એટલે તમને આ ટેકનોલોજી નહી મળે. જેના પગલે રાજીવ ગાંધીએ ઘરઆંગણે આ પ્રકારની ટેકનોલોજી વિકસાવી શકાય કે નહી તેની શક્યતાઓ ચકાસવાના આદેશ પોતાની ટીમને આપ્યા હતા. જ્યારે આ માટે વિજય ભાટકરને બોલાવવામાં આવ્યા ત્યારે રાજીવ ગાંધીએ તેમને  સીધો પ્રશ્ન પૂછ્યો હતો કે તમે સુપર કોમ્પ્યુટર બનાવી શકશો?  ત્યારે વિજય ભાટકરનો જવાબ  “હા” હતો. ભારતના સુપર કોમ્પ્યુટરના આર્કીટેક્ટ ડો.વિજય ભાટકરે ઘરઆંગણે સુપર કોમ્પ્યુટર બનાવવાનો પડકાર સફળતાપૂર્વક ઝીલી બતાવ્યો હતો.

મિસાઇલ તકનિક અને  ક્રાયોજનિક(નીચા તાપમાનના એન્જિન) અને પરમાણુ વિસ્ફોટો ના સમય દરમિયાન એક સાથે કરોડોની ગણતરી કરવી પડે છે. આના માટે સુપર કમ્પ્યુટરની જરૂર પડે છે. ‘પરમ’  શ્રેણીનું પ્રથમ સુપર કમ્પ્યુટરની શોધ કરીને ડૉ.વિજય ભાટકરે ભારત દેશને વૈશ્વિક પટલ પર શક્તિશાળી દેશના રૂપમાં સ્થાપિત કર્યો છે. સુપર કમ્પ્યુટર ‘પરમ’ ના સર્જક તરીકે ડૉ.વિજય ભાટકરનું નામ સર્વોપરી છે. જેઓનું નામ આઇ.ટી વૈજ્ઞાનિકોના જૂથમાં ઉલ્લેખનીય છે.

ઈ.સ.૨૦૦૦ ની સાલમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ડો.ભાટકર ટોચના સાયન્ટીસ્ટ હોવા ઉપરાંત દેશને આઈટી ક્ષેત્રે ઉચ્ચ કક્ષાનું નેતૃત્વ પુરું પાડયું છે. હાલમાં તે ઈન્ડિયા ઈન્ટરનેશનલ મલ્ટિર્વસિટીના ચાન્સેલર, ઈ.ટી.એચ. રિસર્ચ લેબના ચેરમેન, આઈ.ટુ.આઈ.ટી.ના ચીફ મેન્ટર, વિજ્ઞાન ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ કેન્દ્ર સરકારની કેબિનેટના વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના સભ્ય તરીકે સેવા આપી રહ્યાં છે. ઇ.સ. ૨૦૦૩ માં રોયલ સોસાયટી તરફથી દક્ષિણ આફ્રિકા મોકલવામાં આવેલા વૈજ્ઞાનિકોની ટુકડીનું નેતૃત્વ વિજય ભાટકરે કર્યું હતું. હાલમાં તેઓ ઘરેલું શિક્ષણ પદ્ધતિ ઇ.ટી.એચ. અને જનકલ્યાણમાં વધારો થાય તેવી પરિયોજનાઓ પર કામ કરી રહ્યા છે. હાલમાં તેઓ ભારત સરકારના વૈજ્ઞાનિક સલાહકાર સમિતીના સભ્ય પદ પર પણ કાર્યરત છે. આ ઉપરાંત ભારત દેશમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સુવિધાને દૂરદૂર સુધીના અંતરિયાળ ક્ષેત્રોમાં પહોંચાડવાની પરિયોજનાપર કામ કરી રહ્યા છે.
ભારતીય આઇટી.ક્ષેત્રમાં મહાન યોગદાન બદલ વિજય ભાટકરને અનેક પ્રતિષ્ઠિત  પુરસ્કારોથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. ૧૯૯૯-૨૦૦૦ માં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર, ૨૦૦૦માં પ્રિયદર્શિની પુરસ્કાર, અને ૨૦૦૧ માં સૂચના પ્રદ્યોગિકી ક્ષેત્રમાં ઓમપ્રકાશ ભસીન ફાઉન્ડેશન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. કહેવાય છે કે આજનો યુગ જ્ઞાન વિસ્ફોટનો યુગ છે. આ યુગમાં આગળ વધવા માટે સૂચના પ્રધોગિકી ક્ષેત્રમાં નિપુણતા મેળવવી જરૂરી બને છે.’પરમ’ શ્રેણીના સુપર કમ્પ્યૂટરની શોધ કરીને વિજય ભાટકરે ભારતને વિશ્વમાં ઉચ્ચ કક્ષાએ પહોચાડવાની આધારશિલા ઉપ્લબ્ધ કરાવી છે. મિસાઇલ અને પરમાણું ક્ષેત્રમાં ભારતે જે સિદ્ધિઓ હાંસલ કરી છે. તેનું શ્રેય વિજય ભાટકરના ફાળે જાય છે. પુનાના સી-ડેક ખાતે ૧૯૯૧ની સાલમાં તેમણે દેશનું સૌપ્રથમ સુપર કમ્પ્યુટર 'પરમ-૮૦૦૦' તૈયાર કર્યું હતું. ત્યારબાદ પરમ-૧૦૦૦૦ તૈયાર કર્યું હતું. હવે અમેરિકા અને જાપાન જ જે કમ્પ્યુટર બનાવી શક્યા છે તે 'પેટાસ્કેલ સુપર કમ્પ્યુટર' ડિઝાઈન કરવા પર કાર્યરત છે. ૧૯૯૧માં ‘પરમ’ અને ૧૯૯૮માં તેનુ વધારે અપગ્રેડેડ વર્ઝન બનાવનારા ડો.ભાટકરે આ સુપર કોમ્પ્યુટરની ક્ષમતાનો ખ્યાલ આપતા કહ્યુ હતું કે ૧૯૯૮માં બનેલા ‘પરમ’ સુપર કોમ્પ્યુટરના વધારે આધુનિક વર્ઝનની ક્ષમતા પ્રતિ સેકન્ડ ૧ ટ્રીલીયન (૧૦૦૦ અબજ) ગણતરી કરવાની હતી.’ આ ટેકનોલોજી જુની થઈ ગઈ છે. હાલમાં જે સુપર કોમ્પ્યુટર્સ વિકસીત દશોએ બનાવ્યા છે તે પ્રતિ સેકન્ડ એક પેટા સુધીની ગણતરી કરી શકે છે. એક પેટા એટલે ૧૦૦૦ ટ્રીલીયન ગણતરી થઈ.

ભારત જે સુપર કોમ્પ્યુટર બનાવવા જઈ રહ્યુ છે તેની ક્ષમતા પ્રતિ સેક્ન્ડ એક એક્ઝાની ગણતરી કરવાની હશે. એક એક્ઝા એટલે ૧૦૦૦ પેટા થાય છે..!! આમ ભવિષ્યમાં બનનારુ સુપર કોમ્પ્યુટર એક સેકન્ડમાં કેટલી ગણતરી કરશે તેનો અંદાજ કેલક્યુલેટર વડે બાંધવો પણ મુશ્કેલ હશે. આમ પદ્મ શ્રી ડો.ભાટકરનું આગલુ લક્ષ્ય ભારત માટે વિશ્વનુ સૌથી ફાસ્ટેટ સુપર કોમ્પ્યુટર 'એકઝાકલ સુપર કમ્પ્યૂટર’ બનાવવાનુ છે. આ સુપર કોમ્પ્યુટર બનાવવાનો ખર્ચે ૧૧૦૦૦ કરોડ રૂપિયા થશે. ભારત સરકારે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે.આ માટે હાલના તબક્કે ૫૦૦૦ કરોડ રૃપિયા મંજુર કરાયા છે. ભારતના જેટલા પણ કોમ્પ્યુટર નિષ્ણાતો છે તે આ સુપર કોમ્પ્યુટર પર કામ કરશે. આ લક્ષ્ય ૨૦૨૦ સુધીમાં આ કોમ્પ્યુટર તૈયાર કરી નાંખવાનુ છે ‘પરમ’ સુપર કોમ્પ્યુટર ૨ વર્ષના સમયગાળામાં તૈયાર થઈ ગયુ હતુ તે જ રીતે આ સુપર કોમ્પ્યુટર ૨૦૨૦ સુધીમાં ચોક્કસપણે તૈયાર થઈ શકે છે.

 ડો. ભાટકરની ઇચ્છા  'કમ્પ્યૂટરમાં સંસ્કૃત ભાષા હોય’ તે તરફની છે. જેની માટે મૂળભૂત રિસર્ચ જરૂરી છે. જે દિવસે કમ્પ્યૂટરમાં સંસ્કત ભાષાનો સમાવેશ થશે તે દિવસથી સમગ્ર દુનિયા સંસ્કૃત વાંચી શકશે. ડો. ભાટકરના સ્વપ્ન પ્રમાણે આગામી દિવસોમાં મનમાં વિચારશો તેનો સીધો જ જવાબ મળી રહે તેવા કમ્પ્યૂટર હશે. આગામી દિવસોમાં માત્ર વિચાર કરો અને તેનો જવાબ મળી જાય તેવા થ્રીડી, વર્ચ્યુઅલ કમ્પ્યૂટર હશે.
તેમનું કહેવું છે કે “સ્વતંત્રતાની શતાબ્દિ પર ભારત નંબર વન હશે.  દેશને આઝાદી મળી ત્યારે ભારતને ગરીબ દેશ માનવામાં આવતો હતો. આજે અર્થવ્યવસ્થા ક્ષેત્રે ભારત ત્રીજા સ્થાને છે. અમેરિકા, ચીન બાદ ભારતનો નંબર આવે છે. ૨૦૪૭ એટલે કે સ્વતંત્રતાની શતાબ્દિ વર્ષમાં ભારત આર્થિ‌ક, વિજ્ઞાન અને ટેકનોલોજી, શિક્ષણ જેવા તમામ ક્ષેત્રમાં અગ્રેસર હશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.”

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...