આપણાં ગુજરાતી ભાઇ બહેનો માટે
ખાસ ગુજરાતીમાં લેખ :
====================================
ત્રણ-ત્રણ પ્રકારની ચટણી, એટલા જ પ્રકારના સલાડ, બે-ત્રણ ફરસાણ, બે-ત્રણ મીઠાઇ, ત્રણ-ચાર શાક, પાપડ, દાળ અથવા કઢી, ભાત, રોટલી, ભાખરી, થેપલાં અથવા રોટલો, છાશ, ગણ્યાં ગણાય નહીં, અને ખાધાં ખવાય નહીં એટલાં હેતકનાં (જાણે ગાડામાં માલ ભરાયો હોય એવું !!) વ્યંજનો!!
તમતમારે ખાઓ દબાવી-દબાવીને! વ્યંજનોની સંખ્યા 20થી વધુ અને 30ની અંદર. વ્યક્તિ જમવા માટે સ્થાન ગ્રહણ કરે એટલે વેઇટરોનું ધાડું આક્રમણ કરે. એક પછી એક પીરસણિયાઓ થાળી પર તૂટી પડે. એક પછી એક આવે અને નિયત સ્થાને વ્યંજન મૂકીને અદૃશ્ય થઈ જાય.
હજી તો કોળિયા અન્નનળીમાં અધવચ્ચે હોય ત્યાં એ જ ધાડું બીજી વખત હાજર થાય. થાળીમાં 25 પ્રકારનાં વ્યંજન છે ને પીરસનારો ઓછામાં ઓછો પાંચ વખત તો આવે જ. જમવાના 20થી 30 મિનિટના સમયકાળમાં આશરે 125 વખત નિર્ણય લેવો પડે તેવી આકરી સ્થિતિનું નિર્માણ થાય. કાં હા પાડો કાં ના પાડો. ત્રીજો કોઇ વિકલ્પ હોતો નથી. 25 મિનિટમાં 125 વખત નિર્ણય લેવાનો અને તે પણ જમતાં-જમતાં.
જમનારની નિર્ણયશક્તિ મંદ હોય, ધીમી હોય તો? અહીં એનો ઉકેલ હાજર છે. મંદ કે ધીમી નિર્ણયશક્તિ ધરાવતી વ્યક્તિ જો સતત 15 દિવસ સુધી ગુજરાતી ડાઈનિંગ હોલમાં જમવા જાય તો તેની નિર્ણયશક્તિ સુધરી જાય!
આપને ખ્યાલ તો આવી જ ગયો હશે કે હું શેની વાત કરી રહ્યો છું. જી હા, સ્વાદિષ્ટ ગુજરાતી થાળીની જ હું વાત કરી રહ્યો છું. ચાણક્યે જેવા મહાન ચિંતકે પણ કહ્યું છે કે જમવાનો આનંદ સૌથી મોટો છે. ગુજરાતી પ્રજા જમવાનો આનંદ બરાબર માણે છે. ગુજરાતી પ્રજા ખાવાની શોખીન પ્રજા છે. ડાઈનિંગ હૉલમાં મળતી ગુજરાતી થાળી ગુજરાતીઓના ખાવાના વૈવિધ્યપૂર્ણ પ્રેમનું પ્રતીક છે. ગુજરાતી થાળીમાં શું શું હોય તેના કરતાં શું શું નથી હોતું તે પ્રશ્નનો જવાબ સહેલો પડે તેવી સ્થિતિ હોય છે.
ગુજરાતી થાળી એ મિનિ અન્નફૂટ છે. તેમાં બત્રીસ પ્રકારનાં ભોજન પીરસાય છે. ગુજરાતીઓ વિચારે છે કે જો ભગવાનના અન્નકૂટમાં અનેક વ્યંજન હોય છે તો ભક્ત તરીકે આપણે શું કામ પાછળ રહેવું! જેવા ભગવાન તેવા ભક્ત!
ગુજરાતી થાળી પહેલાં 'ભાણું'
તરીકે
ઓળખાતી.
જૂની
પેઢીના
લોકો
બહાર
નીકળતા
એટલે
નગર-શહેરમાં 'ભાણું'
ખાઈ
લેતા.
ગુજરાતી
સાહિત્યની
ઘણી
કૃતિઓમાં
'ભાણું' આવે છે. 'ભાણું' એટલે રોટલી-શાક-દાળ અને ભાત. જો સમય સાંજનો હોય તો દાળ અને ભાતનું સ્થાન કઢી-ખીચડી લે. 'ભાણું'ને 'ગુજરાતી થાળી'માં પરિવર્તિત કરવાનો યશ અમદાવાદના ફાળે જાય છે. ઇતિહાસમાં ફંફોળતાં આ ગુજરાતી થાળી શરુ કરવામાં બે નામ સામે આવે છે. પરંતુ સંદર્ભો તપાસીએ અને આપણી પાસે હયાત પુરાવાઓ જોઈએ તો એક જ નામ મોખરે રહે છે. આપણે એ બધી વિસંગતતાઓમાં નથી જવું અને બંનેને સરખો શ્રેય આપીએ એ જ યોગ્ય છે.
1861માં શાહપુર વિસ્તારમાં રણછોડલાલ છોટાલાલે અમદાવાદની સર્વપ્રથમ કાપડની મિલ શરૂ કરી, ત્યારબાદ તો એનેક મિલો સ્થપાઇ અને અમદાવાદ વેપાર- વાણિજ્યનું મુખ્ય કેન્દ્ર તરીકે ક્રમશઃ વિકાસ પામ્યું. મિલ ઉદ્યોગની સાથે સાથે અનેક નાના- મોટા ઉદ્યોગો તેમજ વેપાર, રોજગાર વિકસ્યા. મિલોની બહાર પાન-બીડીના ગલ્લા, ચાની લારી, ભજીયા-નાસ્તાની લારી કે કટલરીનો સામાન મળવા લાગ્યો. રિસેસ કે છુટવાના સમયે લારીઓનું બજાર ભરાતું અને પગારના દિવસે તો ખાસ. આ રીતે 'મિલ કલ્ચર'નો વિકાસ થયો. વળી પાનકોરનાકાથી રેલવે સ્ટેશનને જોડતો આજનો ગાંધી રોડ એ સમયે 'રિચી રોડ' કહેવાતો હતો, તેનો વિકાસ થયો. રિચી રોડની નજીક માણેક ચોકનું મુખ્ય બજાર અને શેર બજાર હતું.
આ કિસ્સાની શરૂઆત તપાસીએ તો, મૂળ સિદ્ધપુરના વતની આ યુવાનના પૂર્વજો અનેક સદીઓ પહેલાં ઉદયપુર પાસે આવેલા પવિત્ર યાત્રાધામ શ્રીનાથજીથી 13 કિ.મી. દૂર આવેલા બામેડા ગામમાં વસ્યા હતા. આ યુવાનનો જન્મ પણ આ જ ગામમાં થયો હતો. એક દિવસ આ કિશોરને નસીબ અજમાવવાનો વિચાર થયો અને તેમણે અમદાવાદની વાટ પકડી. આ પહેલા ક્યારેય નગર જોયું ન હતું. તેથી અમદાવાદ રેલવે સ્ટેશન પર બેઠા-બેઠા વિચારતા હતા ક્યાં જવું? એટલામાં એક સજ્જનની નજર તેમના પર પડી. આ કિશોર તેમને સારા ઘરનો લાગ્યો. કદાચ તે ઘરથી નાસીને આવ્યો હોય તેમ લાગ્યો. પરંતુ નસીબ અજમાવવા નિકળેલા કિશોરનો આત્મવિશ્વાસ જોઇને તે સજ્જન રાજી થયા અને પોતાની સાથે લઇ ગયા. કિશોરને પહેલાથી જ રસોઇ કરવાનો શોખ હોવાથી ત્યાં રસોઇ કરવા લાગ્યા. એક દિવસે તે સજ્જને એ કિશોરનો હાથ જોયો. હાથમાથી ધન રેખા જોઇને તેમણે એને સલાહ આપી કે તારે ઘણું આગળ વધવાનું છે અને મારે તારી સેવા લેવી નથી. તું મહેનત કર અને આગળ વધ. અને એ કિશોરનો રહ્યો સહ્યો આશ્રય પણ જતો રહ્યો, છતાં તે નાસીપાસ થયો નહીં અને ત્રણ સાથીઓની સાથે ચાની રેંકડી શરૂ કરી.
આમ, 19મી સદીના અંતમ દશકામાં રિચી રોડ પર ચાર યુવાનોએ મળીને ચાની રેંકડી શરૂ કરી. ફૂટપાથ પર શરૂ થયેલો આ પ્રયોગ નિષ્ફળ જતાં ત્રણ સાથીઓ રાજીખુશીથી છુટા પડ્યા. હવે એમાંથી ચોથો યુવાન એકલો રહી ગયો. શું થયુ એ તો ખ્યાલ નથી પણ એમાંથી ત્રણ યુવાનો ભાગીદારીમાંથી ખસી જતા આ ચોથા યુવાનનાં નસીબ આડેનું પાંદડુ ખસી ગયું અને ઉકળતી ચાની ભરેલી કિટલીઓ ફટાફટ ખાલી થવાં લાગી!! ચા સાથે ટોસ્ટ, બિસ્કિટ, નાનખટાઇ અને નાસ્તો વેચવાનો શરૂ કર્યો. ધીરે-ધીરે રેંકડી જામી ગઇ. એ યુવાને પેલા ત્રણ ભાગીદારોને પાછા બોલાવવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ તેઓ હવે પાછા આ ધંધામાં આવવા તૈયાર નહોતા. બે રૂપિયા કમાયા એટલે આ યુવાનને રેંકડીને વ્યવસ્થિત સ્વરૂપ આપવાનો વિચાર થયો. એટલે નજીકની એક દુકાન ભાડે લેવામાં આવી. ગ્રાહકો બેસીને ચા-નાસ્તો કરી શકે તે માટે મેજ-ખુરશી બનાવવામાં આવ્યા. સન 1900ની આસપાસ શહેરની પ્રથમ રેસ્ટોરાં આ રીતે શરૂ થઇ.
આ યુવાન હતા, સ્વ. ચીમનલાલ જોશી અને એમણે જે હોટલ/રેસ્ટોરાં ચાલુ કરી એનું નામ એમણે એમના દાદાના નામ ચંદ્રભાણ પરથી રાખ્યું ચંદ્રવિલાસ હોટેલ!! નદીપારનું અમદાવાદ તો એ સમયે માત્ર જંગલ હતું, ત્યારે ગાંધીરોડ અને રીલીફ રોડ રાજમાર્ગ ગણાતા હતા. રાજસ્થાનથી આવેલા બ્રાહ્મણ ચીમનલાલ હેમરાજ જોશીએ ૧૯૦૦ની સાલમાં ગાંધીરોડ ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ શરૂ કરી હતી ત્યારે પહેલાં અહીં એક પોસ્ટ ઓફિસ અને ઘોડા બાંધવાની જગ્યા હતી. ચંદ્રવિલાસના મૂળ સ્થાપક ચીમનલાલ જોશીના પૌત્ર મૌલિક જોશીના જણાવ્યાનુસાર દાદાએ ચંદ્રવિલાસ શરૂ કરવા માટે ઘરેણાં ગીરવે મૂક્યા હતા. બે પટેલો તેમના ભાગીદાર હતા.
ચંદ્રવિલાસની ચા એટલી વખણાઇ કે તે પીવા માટે મોટા શેઠિયાઓ પણ આવતા હતા. મણના હિસાબે દુધ આવતું હતું. એક સમયે ચંદ્રવિલાસની ચાની એટલી બધી માંગ વધી ગઇ કે ચિમનલાલે પાણી ઉકાળવા માટે પિત્તળનું ખાસ બોઇલર બનાવડાવવું પડ્યું હતું. એટલું બધુ દુધ આવતું હતું કે તેની ખુબ જ મલાઇ ઉતરતી. હવે ગ્રાહકો માટેની નવી વાનગી 'મલાઇ જલેબી' શરૂ થઇ. અને આ જ કારણથી ચંદ્રવિલાસ હોટલમાંથી ફાફડા જોડે જલેબીનું DEADLY COMBINATION આ પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યું!! ( અને 'આટાપાટા અમદાવાદ'ના ગીતમાં સ્વ. ચિનુ મોદીએ પણ એમાં સ્થાન આપ્યું છે, "પ્રેમમાં થોડી ફરેબી જોઈએ, ફાફડા સાથે જલેબી જોઈએ!" )
એક સમયે આ રેસ્ટોરાંમાં 25 જેટલી જુદા જુદા સ્વાદની ચા મળતી હતી અને તે પીવા માટે લોકો દુર-દુરથી આવતા હતા. એખ નાનકડી ચાની રેંકડીમાંથી શરૂ થયેલું અમદાવાદનું સર્વપ્રથમ રેસ્ટોરાંની લગભગ 120 વર્ષની સફર રોમાંચક છે.
બાદશાહી, ડબલ કડક, લિપ્ટન, બોર્નવિટા, ડબલ પાણી વગેરે જાતજાતની ચા બનતી. ચંદ્રવિલાસનું મસાલાવાળું દુધ વખણાતું હતું. ચા-નાસ્તાની સાથે સાથે આઇસ્ક્રીમ પણ બનાવવામાં આવતો. રેસ્ટોરાં જામી ગયા બાદ ગુજરાતી થાળીની શરૂઆત થઇ. હવે તો આ જ માર્ગ પર અન્ય રેસ્ટોરાં શરૂ થઇ ચુક્યા હતા. જેમની સ્પર્ધા ચંદ્રવિલાસ સાથે શરૂ થઇ. હરીફોએ એક સંપ થઇને પોતાની થાળીના ભાવ ઘટાડ્યા. જેની અસર ચંદ્રવિલાસ પર ચોક્કસ થઇ. વિરોધીઓનો ધંધો વધ્યો પણ તેમને ગુણવત્તા સાથે છૂટછાટ લેવાની શરૂ કરી. જ્યારે અડગ ચિમનલાલે કોઇપણ જાતની બાંધછોડ કર્યા વગર ગુણવત્તા જાળવી રાખતા ગ્રાહકો થોડાક જ દિવસોમાં પાછા ફર્યા.
ચંદ્રવિલાસના ફાફડાની ચટણી એટલી લોકપ્રિય થઇ કે ગ્રાહકો વાટકી ઉપર વાટકી ચટણી માંગતા. ''ગ્રાહક સંતોષ'' ચિમનલાલનો મહામંત્ર હોવાથી તેઓ ગ્રાહક માંગે તેટલી ચટણી આપતાં. પછીથી તો ચંદ્રવિલાસની જાહેરાત અમદાવાદના જુદા-જુદા અખબારોમાં પ્રસિદ્ધ થવા લાગી. આ ચિમનલાલ જોષીનો સ્વર્ગવાસ થાયે પાંચેક દાયકા થયા પણ તેમણે સ્થાપેલ 'ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ' અને ફાફડા-જલેબીનું કોમ્બિનેશન તેમની સ્મૃતિરૂપે કાયમ છે અને ઇતિહાસમાં એમના નામે જ અમર રહેશે જ !!
દશેરા એટલે અમદાવાદ જ નહિ પણ આખું ગુજરાત ફાફડા-જલેબીમય થઈ જાય છે. સવાલ એ પેદા થાય છે કે દશેરાના દવિસે ફાફડા ઝલેબીનું ચલણ કેમ શરૂ થયું? ત્યારે તમારે આ ઇતિહાસના પાના તપાસવા માટં ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટને યાદ કરવી જ પડે...!
હવે થોડું આગળ અને અન્ય રોચક પ્રસંગો:
અમદાવાદમાં દાલફ્રાયને બદલે જ્ઞાતિનું દાળનું કલ્ચર હતું. ત્યારની આ વાત છે. દાળ વાટકી વડે કે ચમચી વડે પીવાની નહિ પણ આંગળા વડે ખાવાની વાનગી ગણાતી. જેની દાળ બગડી જેનો દિવસ બગડ્યો એવું માનતા લોકો દિવસ ન બગડે તે માટે ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ પર દાળ લેવા ભીડ કરતાં હતાં. બાકીનું
ભોજન
ઘરે
બનાવ્યું
હોય
પણ
દાળ
લેવા
માટે
ચંદ્રવિલાસ
પર
બહાર
ડોલચાધારીઓની
લાઈનના
દશ્યો
ઘણા
અમદાવાદીઓ
આજે
પણ
યાદ
કરે
છે.
આંગળા ચાટી જવાય એવી દાળ ઉકળતા સમય લાગે તેમ ચંદ્રવિલાસનો ધંધો જામતા પણ સમય નીકળી ગયો. ચીમનલાલના બીજા ભાગીદારો છૂટા થઈ ગયા. પટેલો છૂટા પડવાની સાથે કોઈ અગમ્ય કારણસર ચંદ્રવિલાસની ખ્યાતિની સુગંધ પ્રસરવા લાગી, પાટિયા પર વાનગીઓનું લિસ્ટ પણ લાગવા લાગ્યું. ફક્ત ચા-નાસ્તાથી શરૂઆત કરનાર ચંદ્રવિલાસના ફાફડા-જલેબી વખણાવા લાગ્યા.
ભાગીદારોને છૂટા પડી જવાને બદલે અફસોસ થાય એટલી હદે ચંદ્રવિલાસ પ્રસિદ્ધ થઈ ત્યારે ૬૨ જેટલી વાનગીઓ ત્યાં પિરસાતી હતી…!! ચારોળી અને પિસ્તાવાળું દૂધ પીવા માટે ચંદ્રવિલાસ સુધી લાંબા થનારા શોખીનોની પણ ખોટ ન હતી. સવારના પાંચ વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધી ચાલતી રેસ્ટોરન્ટમાં સમાજના તમામ વર્ગના લોકો મુલાકાત લેતા હતા. મિલ ઉદ્યોગના સુવર્ણયુગમાં મિલ માલિકો – શેઠીયાઓ ઠાઠથી ઘોડાગાડીને ચંદ્રવિલાસની બહાર ઊભી રાખીને ફાફડા જલેબી ઝાપટવા આવતાં, સરદાર પટેલ, ગાંધીજી અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા નેતાઓ પણ નાની ચા-નાસ્તા મિટિંગ અને ગુજરાતી થાળીનો આસ્વાદ માણવા માટે અવશ્ય આવતા.
અન્ય એક કિસ્સો પ્રથમ ટ્યુબલાઇટ વિષે અત્યંત રોચક અને જાણવા જેવો ખરો !!
ચીમનલાલ જોશીએ અમદાવાદમાં પહેલી ટ્યુબલાઇટ ચંદ્રવિલાસમાં ફીટ કરાવી હતી. ત્યારે આખા અમદાવાદમાં તે અંગે ચર્ચા થઈ કે આ ‘ધોકાબત્તી’ કે ‘અજવાળું કરતું લાકડી’ વળી કઈ બલા છે. લોકો આ ટ્યુબલાઇટને જોવા કૌતુકતાથી આવતા હતા, વકરો એટલો આવતો કે છૂટા પૈસા ગણવાને બદલે ત્રાજવાથી તોલવામાં આવતાં.
મૌલિક જોશીના જણાવ્યાનુસાર ગ્રાહકને જોઈતી વાનગી માટે ભૂંગળા ટેલિફોન હતો અને પાઇપ કોમ્યુનિકેશનથી જે તે ટેબલ પર વાનગી પીરસાતી હતી. આ બધી વસ્તુની દેખરેખ એવી કાચની પદ્ધતિથી ગોઠવણ હતી કે દરેક ટેબલનું લોકેશન થાન પર બેઠેલ શેઠ જોઈ શકે.
પચ્ચીસ વર્ષ પહેલાના ૩૬ કર્મચારીઓથી આજે ૩૬૦ જેટલાં કર્મચારીઓ છે. આજે પણ લોકો ફાફડા-જલેબી ખાવા આવે જ છે. શહેરની ગીચતા અને ગાંધીરોડ એક માર્ગીય રોડ થઈ જતાં પાર્કિંગનો પ્રશ્ન ઉભો થતાં બહાર દેખાતી લાઇનો બંધ થઈ ગઈ પણ અંદર ગીર્દી બરકરાર રહી છે.
બે માળની ચંદ્રવિલાસ પ્રથમ દષ્ટિ ‘રામ ભરોસે હિન્દુ હોટલ જેવી લાગે પણ અંદર ગયા પછી તેની વિશાળતાનો અંદાજ આવે છે. હોટલમાંના જૂના ખુરશી ટેબલની શૈલી આજે પણ એવાને એવા જ ઝળવાઈ રહ્યાં છે.
અમદાવાદ આખામાં ફાસ્ટ ફુડમાં ભાજીપાઉં અને પીઝાના જમાનામાં પણ ચંદ્રવિલાસને ફાફડા જલેબીની લોકપ્રિયતામાં કોઈ આંચ આવી નથી. દશેરા અને દિવાળીના દિવસે ફક્ત ફાફડા જલેબી જ વેચાય છે. જ્યારે ઉત્તરાયણમાં ઊંધિયું. 120 વર્ષના આરે પહોંચેલી ચંદ્રવિલાસની આજ તંદુરસ્તીનું રહસ્ય છે.
અન્ય એક આડવાત: સૌરાષ્ટ્રના ફાફડા-ગાંઠિયા સારા કે અમદાવાદના એ મુદ્દે સૌરાષ્ટ્ર વાસીઓ અને અમદાવાદીઓ ખૂબ ચર્ચા ચાલે છે.
વેપારીઓએ એક જ સૂરે કહ્યું હતું કે, ‘અમદાવાદ અને સૌરાષ્ટ્રના ફાફડા અલગ છે. તેના પર વિવાદ કરવાની જરૂર નથી. બંન્નેનો ટેસ્ટ અને ખાવાની પદ્ધતિ અલગ છે.’ ચંદ્રવિલાસ હોટલના માલિક શ્રી જોશી કહે છે, ‘સૌરાષ્ટ્રના ફાફડા પાતળા અને અમદાવાદના જાડા અને મજબૂત હોવાનુ કારણ એ છે કે અમદાવાદમાં ફાફડા કઢી સાથે ખાવાના હોય છે જ્યારે સૌરાષ્ટ્રમાં કઢીનું ચલણ નથી. પાતળા ફાફડા કઢીમાં બોળવાથી તૂટીને કઢીમાં ડુબી જવાનો ભય રહેતો હોવાથી અમદાવાદમાં જાડા અને પ્રમાણમાં મજબૂત ભૂંગળી ફાફડા બને છે. જેથી તેમાં કઢી ભરાઈ શકે.’
વાત આગળ વધારતા તેઓ કહે છે, ‘ફાફડામાં અમે સતત ત્રણ દિવસ શેકીને પાપડિયો ખારો(ખાવાનો સોડા) નાખતા હોઈએ છીએ.’ ઓસ્વાલના હિરાભાઈ કહે છે,
'ફાફડામાં અમે ચાર દિવસ શેકીને પાપડિયો ખારો નાખીએ છીએ જ્યારે સૌરાષ્ટ્રમાં ખારો સીધો જ નાખવામાં આવે છે. સોડા શેકવાથી તેનો કાર્બન ઊડી જાય છે અને ફાફડાની ભૂંગળી વળવામાં મદદરૂપ થાય છે'
જયારે સૌરાષ્ટ્રના રૂષભભાઈ કહે છે,
‘સૌરાષ્ટ્રના
ફાફડામાં ખારાનું પ્રમાણ અમદાવાદી ફાફડા કરતા અડધું હોય છે અને મોણ વધારે પ્રમાણમાં નંખાય છે અને તેને ખુબ જ મસળવામા આવે છે. જેના કારણે ફાફડા પાતળા બને છે.’
હવે વાત કરીયે એવાજ એક સ્થાપક સ્વ. શાંતિલાલ પટેલની !! તેઓ વિખ્યાત 'ચેતના'હોટલના માલિક. રિલીફ રોડ પર આવેલી ચેતના હોટલનો આમ તો મસાલા-ઢોંસો ખૂબ વખણાતો. લોકો સજી-ધજીને આ જ હોટલમાં ખાવા જતા. આ શાંતિભાઈ પટેલે પણ ભાણુંને આધુનિક વાઘા પહેરાવીને ત્રણ પ્રકારની ગુજરાતી થાળીનો પ્રારંભ કર્યો હતો. ત્રણેય ભાવ જુદો-જુદો અને તેમાં મળતી વાનગીઓ ઓછી-વત્તી. શાક-દાળ-ભાત-રોટલીનો વ્યાપ વધ્યો અને થાળી વ્યંજનોથી ભરાઈ ગઈ. સ્વ. ચીમનલાલ જોશીએ પણ ઈ.સ. 1900માં સ્થપાયેલ "ચંદ્રવિલાસ"માં ગુજરાતી થાળીનો પ્રારંભ કર્યો હતો. એ સમયે તેનો ભાવ રાખ્યો હતો 1 રૂપિયો/થાળી !!
દોડવું'તું ને ઢાળ મળ્યો, એમ ગુજરાતીઓને તો ખાવું હતું અને થાળી મળી! એ જમાનામાં ગુજરાતી થાળી એટલી લોકપ્રિય થઇ હતી કે રાત્રે દસ વાગ્યા સુધી લાઈન રહેતી. ક્યારેક તો 'ચેતના'ના સંચાલકો લાઇનમાં ઊભા રહેલા લોકોને હાથ જોડીને કહેતા કે આજે અમે તમને જમાડી શકીએ તેમ નથી, કાલે આવજો. જમવા માટે કલાકો સુધી લાઇનોમાં ઊભા રહેતા ગુજરાતીઓનો જમવાનો પ્રેમ કેટલો તીવ્ર હશે તે આના પરથી સમજી શકાશે.
ગુજરાતીઓનો ખાવાનો અને મનોરંજનનો પ્રેમ એકબીજામાં કેવી રીતે ભળી જતા તેની એક રસપ્રદ વાત જાણવા જેવી છે.
'ચેતના' લોજની બાજુમાં જ કૃષ્ણ થિએટર હતું. (હવે નથી.' ચેતના' છે, કૃષ્ણ અંતર્ધ્યાન છે.) એ વખતે કૃષ્ણમાં ‘મુગલ-એ-આઝમ’ રજૂ થયેલું. એ વખતે મલ્ટિપ્લેક્ષ નહોતાં. સિનેમા ગૃહોમાં ફિલ્મ જોવી એ ઉત્સવ જેવી ઘટના હતી. લોકો ટિકિટ ખરીદવા મોડી રાતથી લાઇનમાં બેસી જતા. 'મુગલ-એ-આઝમ'ની ટિકિટ લેનારાની લાઇન અને 'ચેતના' બહાર ઊભેલા લોકોની લાઇન... આ બન્ને લાઇનની ભેળસેળ થઇ જતી.
જોનારા
અને
ખાનારા
એકબીજામાં
ભળી
જતા.
જોવાના
આનંદ
અને
જમવાના
આનંદનો
સંગમ
થઇ
જતો.
એકને યાદ કરીએ અને બીજાને ભૂલી જઇએ તો તેને ખોટું લાગે. અમદાવાદના ગાંધી રોડ પર આવેલી ચંદ્રવિલાસ લોજનો પણ ત્યારે સુર્વણકાળ હતો. આમ જોઈએ તો ચંદ્રવિલાસ એ અમદાવાદની પ્રથમ રેસ્ટોરાં કહેવાય છે! ચંદ્રવિલાસની દાળ (તુવેરદાળ) ખૂબ વખણાતી. ચંદ્રવિલાસની દાળ લોકો હોંશે હોંશે પીતા. અમદાવાદની પોળોમાં રહેતા લોકો ઘરે બીજી બધી વાનગીઓ બનાવે, દાળ સિવાય. ડોલચું (મોટો પરિવાર હોય તો મોટું વાસણ) લઇને ચંદ્રવિલાસની દાળ ખરીદવા આવતા. તેનીય લાઇન લાગતી. માત્ર તુવેરદાળ આ રીતે, બનેલી, તૈયાર, વેચાતી હોય તેવી એ પહેલી ઘટના હતી. ઘણાને તો ચંદ્રવિલાસની આ દાળનો એવો જબરજસ્ત ચટાકો લાગતો કે ગુજરાતના પોતાના ગામ કે નગરથી ખાસ ચંદ્રવિલાસમાં જમવા આવતા. 'રતનપોળ'માં કપડાંની ખરીદી કરવી એ પહેલું કામ અને પછી ચંદ્રવિલાસમાં જમવું એ બીજું કામ.
આ કારણે જ ગુજરાતીઓને દાળ-ભાતીઆ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની આ ઓળખ ચંદ્રવિલાસ પહેલાંની છે કે પછીની એ બાબતે ઈતિહાસ મગનું નામ મરી પાડતો નથી પણ અહીં તેનો ઉલ્લેખ કરવો જોઈએ એટલે કરું છું.
માહિતી સંકલન, સંશોધન અને રજૂઆત: ડો. કાર્તિક શાહ
No comments:
Post a Comment
આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...