Thursday, November 29, 2018

અનોખી સંગીત સારવાર


એક વાર ઘેઘુર કંઠના માલિક અને સુગમ સંગીતના દિગ્ગજ રાસબિહારી દેસાઈ ગાડીમાં તેમના નિવાસથી વસ્ત્રાપુર ખાતે નવરાત્રી નિમિત્તે શ્રી માતાજીનું સ્તુતિગાન કરવા જઇ રહ્યા હતા. ગાડીમાં ૐકારની શાસ્ત્રીય ધ્વનિ અસર ઉભી કરતી સીડી વાગી રહી હતી.

રાસભાઈ બે જ મિનિટમાં મૌન થઇ ગયા અને જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચ્યા સુધીમાં તો ધ્યાનસ્થ થઇ ગયા. થોડી ક્ષણો પછી શ્રી માતાજીના સ્થાપન પાસે બિરાજી એમણે એકાદ સ્તુતિગાન કર્યું. પણ આજે આંખમાંથી અશ્રુ વહ્યા કર્યા!! રાસભાઈ ભાવસમાધિના કલાકાર હતા, પણ આજે સૌને આશ્ચર્ય થયું કારણકે રાસભાઈએ શ્રી માને કંઠગાનનો નહિ પણ અશ્રુધારાનો અભિષેક આજે  કરાવ્યો હતો. રાસભાઈ એ કહ્યું, " આજે ગાડીમાં જે સીડી સાંભળી છે એની આ અસર છે!!"

આટલો બધો પ્રભાવ સંગીતનો !! અને એ પણ સિદ્ધહસ્ત દિગ્ગજ કલાકાર પર...સાચે જ જાણવા જેવી વાત પર આજે આપણે આગળ વધી રહયા છીએ. આ જે સીડી રાસભાઈએ ગાડીમાં સાંભળી એ એક નવ સીડીના સેટનો એક ભાગ હતી. આલ્ફા મ્યુઝિકની આવી નવ સીડી એક વિજ્ઞાન કોલેજના પ્રોફેસર અને એમના બે એન્જીનીયર દીકરાઓએ બનાવી છે. જી હા, જેમને સંગીતમાં પાંડિત્ય જરાય નહોતું પણ હા, વિજ્ઞાનની થોડી સુઝબુઝ ખરી! આ પ્રોફેસર વિજ્ઞાનની એક કોલેજમાં 40 વર્ષ સુધી કેમેસ્ટ્રીના પ્રોફેસર રહી ચુક્યા છે. અને ૐકારની દિવ્ય અસર ઉભી કરનાર આ સીડી તેઓએ જ બનાવેલ નવ સીડીમાંથી એક છે જેની દિવ્ય અસર રાસબિહારી દેસાઈ ઉપર જોવા મળી.

આવો હવે આગળ અન્ય એક રોચક પ્રસંગ તરફ આગળ વધીએ,

આ પ્રોફેસરનો જન્મ મુંબઈમાં 1 જૂન, 1943ના રોજ થયો હતો. 4 ધોરણ સુધી મુંબઈ ભણ્યા અને પછી આગળ ભણવા તેઓ આણંદ આવ્યા જ્યાં સેન્ટ ઝેવિયર્સમાં આગળ ભણ્યા. ત્યાંજ સાયન્સ કોલેજમાં તેઓ ભણ્યા. 1965માં  બેચલર ઓફ સાયન્સ થઇ ગયા. આમ તો, નાનપણથી જ તેઓ જાદુના ખેલ અને રહસ્યો જાણવામાં મસ્ત રહેતા હતા. 

આ પ્રોફેસર કોલેજમાં ભણતા હતા ત્યારે એક પ્રસંગ બન્યો, જેને કારણે તેઓ આખી દુનિયામાં વિખ્યાત થઇ ચુક્યા છે. નાનપણથી જ તેઓને જૂની વસ્તુઓ સંગ્રહ કરવાનો શોખ હતો. માળીયે બધું ભેગું કરે રાખતા. એક વાર આવી જ કોઈક વસ્તુ ફાંફાફોળા કરતા કરતા લાકડા કાપવાની એક જૂની કરવત માળીએથી નીચે પડી. અને એમાં એક વિચિત્ર ઝણઝણાટીવાળો અવાજ એમને સંભળાયો. ત્યાર બાદ એમણે એ જ કરવતને ફરીથી ઊંચકી બે પગ વચ્ચે પકડી તેની પાર ફરીથી એક ટકોરો માર્યો, તો સંગીતનો એક સરસ સૂર સંભળાયો!! પછી એકદમ જ્ઞાત થયું કે અરે આમ તો સંગીતના ઘણાં સૂર છુપાયેલા છે!! ત્યારથી એક લાકડા કાપવાની કરવતમાંથી સૂરો કાઢવાની એમની યાત્રા શરૂ થઇ અને ઈ.સ. 2000માં એને મૂર્તિમંત સ્વરૂપ પણ આપી દીધુ.

શરૂઆતમાં કોલેજથી સાંજે ઘરે આવીને કરવત લઇ તેઓ જાતજાતના અવ્વાજ કાઢવા બેસી જાય. ભિન્ન ભિન્ન રીતે પ્રયોગો કરે એટલે ઘરના બધા સભ્યો સ્વાભાવિક જ આ અવાજથી હેરાન થાય. એટલે પ્રોફેસર ઉપાડે બધો સમાન અને પહોંચે ખેતર વચ્ચે. આમ અથાગ પ્રયત્નો બાદ એક નોખું વાજિંત્ર વિકસ્યું જેનું નામ પણ એમણે આપ્યું!! એ પછી જોઈએ! વાંચો એ પહેલા અન્ય એક રોચક પ્રસંગ!!

વર્ષ 2003ની વાત છે. કેલિફોર્નિયા, USAમાં IMSA (international musical saw competition) પ્રતિયોગિતામાં એમને ભાગ લેવાનું આમંત્રણ મળ્યું. તેના રિયાઝ માટે સવાર ને સાંજ એક-એક કલાક કલાક ઘરના બગીચામાં એ કરવત વગાડવા બેસી જાય. થોડા સમય બાદ અવલોકન કરતાં માલુમ પડ્યું કે આ સંગીત કે ધ્વનિની અસરને લીધે હોય કે ખબર નહિ પણ ઘરની વાડીમાં જ્યાં એ રિયાઝ કરતા તેની આજુબાજુના રીંગણાના છોડ 9 ફૂટ, તુવેર સિંગના છોડ 14 ફૂટ અને લેમન ગ્રાસ 9 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા!! જયારે વાડીના અન્ય દૂરના છોડ માત્ર 3 ફૂટના હતાં !! સ્વાભાવિક રીતેજ ધ્યાન ખેંચાય એવું આ પરિવર્તન હતું!! અને વિજ્ઞાની જીવ એટલે મંડ્યા આગળ રિસર્ચ કરવા!!! સરદાર પટેલ યુનિવર્સીટી, વલ્લભ વિદ્યાનગરના ભૌતિકશાસ્ત્રના ટેક્નિકલ ડાયરેક્ટર શ્રી લાલ ઝાનો સંપર્ક કરી અને ભૌતિકશાસ્ત્રના જ પ્રોફેસર ડો. એસ. જી. પટેલના માર્ગદર્શન હેઠળ પોતાની વાતને સંશોધન રૂપે ચકાસવાની શરૂઆત કરી. અને આ જ પ્રયોગ રિપીટ કર્યો. પણ આ વખતે કોમ્પ્યુટરાઇઝડ ઓસિલોસ્કોપ (OSCILLOSCOPE)માં તેઓ દ્વારા ઉત્પન્ન થતા સંગીતના ધ્વનિ તરંગો, ધ્વનિ દબાણ, ધ્વનિ ઉર્જા, ધ્વનિ તરંગોના પ્રકાર વિગેરેનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવામાં આવ્યો. એ જ અસરનું ફરીથી નિરૂપણ થયું. અને જાણવા મળ્યું કે આ ધ્વનિ તરંગો એ આપણે જે સાંભળી શકીયે છીઍ એવા જ ધ્વનિક્ષેત્રમાં છે પણ તેની ઉર્જા અન્ય સંગીત વાદ્યથી ઉદભવતા ધ્વનિ કરતા 25 ગણી વધુ છે !! અને ધ્વનિ દબાણ 70 ડેસિબલ જેટલું અસામાન્ય છે. આ વાદ્યમાંથી આલ્ફા તરંગો કે જે આપણે સાંભળી શકતા નથી એ પણ નીકળે છે. 
આલ્ફા તરંગોના આ યુનિક રિસર્ચથી પ્રોફેસરની દિશા જ બદલાઈ ગઈ. વિજ્ઞાનના અનુસ્નાતક અને ડોક્ટરેટ થયેલા પ્રાધ્યાપક એટલે પોતે હજુ વધુ સંશોધનરત થયા. અને વિચાર્યું કે વનસ્પતિ જેવા જીવ પર જો આ વાદ્યની અસર થતી હોય તો મનુષ્ય પર કેમ નહી ?  મનુષ્યના મગજ પર પણ કેમ નહી ? અને શરુ થયો પ્રોજેક્ટ મ્યુઝિક થેરાપીનો, ડો. લાલ ઝાના માર્ગદર્શન હેઠળ !! જેમાં એમણે એવું મશીન વિકસાવ્યું કે જે કાન ઉપર આલ્ફા તરંગો, કપાળમાં આલ્ફા પલ્સ, અને આંખો પાર વિઝયુઅલ ઇફેક્ટ જેવી નિયંત્રિત અસરો ઉભી કરી શકે છે. અને આ ત્રણ અસરો મગજના તરંગોને આલ્ફા ક્ષેત્રમાં લાવવા મદદ કરે છે એટલે જે-તે દર્દી તરત જ આરામદાયક સ્થતિનો એટલે કે તણાવરહિત સ્થિતનો, જો એને દર્દ હોય તો દર્દશામક પરિસ્થિતિનો સુખદ અનુભવ કરે છે.  છે ને આશ્ચર્યજનક શોધ...!! અને હા આ બધું જ આપણા ગુજરાતી અને ગુજરાતમાં જ થયું છે જેની પુરી દુનિયામાં હવે નોંધ પણ લેવાઈ ચુકી છે. ગિનેસબૂકમાં પણ એમનું આગવી શોધમાં નામ રજીસ્ટર થઇ શુંકયુ છે. અને કેટલાય પરિસંવાદો, સેમિનાર, પ્રાયોગિક શિબિરોમાં વાદ્યના જીવંત ડેમોન્સ્ટ્રેશન/ઉદાહરણો પણ તેઓએ રજુ કર્યા છે. 
પ્રોફેસરને સમજાઈ ચૂક્યું હતું કે, તેમનું આ વાદ્યમશીન ધ્વનિતરંગોને ધ્વનિ પલ્સમાં ફેરવે છે અને તેની સાથે વિશેષ ઇલેક્ટ્રોડ જોડીને કોણી-સાંધા-કમર-ખભા વિગેરે દર્દીને જ્યાં દુખાવો થતો હોય ત્યાં એને પસાર કરતા ત્યાંના સ્નાયુ અને વાહિનીઓ ખેંચાય છે અથવા તો સ્ટિમ્યુલેટ થાય છે. જેનાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને દુઃખાવો  દૂર થાય છે. અમદાવાદના આપણા અગ્રગણ્ય નામાંકિત ન્યુરોફિઝિશિયન ડો. સુધીર શાહે પોતાના દર્દી પર આ પ્રયોગ બે વર્ષ કરી પોઝિટિવ પરિણામ પણ મેળવ્યા અને પ્રોફેસરની પીઠ પણ થાબડી છે.  આઈ આઈ એમ, અમદાવાદમાં પણ તેમનું આ વાદ્ય વાગી ચૂક્યું છે. લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ તેમને સ્થાન  પ્રાપ્ત થયું છે. IBC, કેમ્બ્રિજ, યુ. કે. દ્વારા, વોશિંગટન ગુજરાતી સમાજ દ્વારા, સ્વાસ્થ્ય સેવા ટ્રસ્ટ દ્વારા, રોટરી ઇન્ટરનેશનલ દ્વારા વિગેરે દ્વારા બહુમાન થયું છે. એમના સંશોધન પત્રો અનેક વિશ્વ સામાયિકોમાં પ્રસિદ્ધ થઇ ચુક્યા છે. 
આણંદ જેલમાં એમના આ સંગીતના કેમ્પ દરમયાન કેટલાય કેદીઓ ચોધાર આંસુએ બરાબર રાસબિહારીની જેમ જ ગર્ભિત અસરથી રડવા લાગ્યા અને વર્તમાન સ્થિતિમાંથી બહાર આવવા તૈયાર થયા. આપઘાતના પ્રયાસ કરનારી ચાર બહેનો માત્ર ચાર સિટિંગમાં સંકલ્પબદ્ધ થઇ કે હવે જીવન આનંદથી જીવીશું. અને આ બધુ હકીકત છે કઈ ગપગોળા નથી!!
નબળી આર્થિક પરિસ્થિતિમાં ઉછરેલ આ પ્રોફેસર નાનપણમાં રેલવે પ્લેટફોર્મ પર તાડફળી વેંચતા, પાણી પાતા અને થોડા ઘણા પૈસા આ રીતે કમાઈને માતાને મદદ કરતા !! પાડોશમાં હાર્મોનિયમ વગાડતા ભગત પાસે જઈને બેસી જતા અને સારેગમપધનીસા શીખતાં. એક વાર રસ્તામાં 20 રૂપિયાની નોટ મળી તો એનાથી તેઓએ માઉથ ઓર્ગન  ખરીદ્યું અને આજીવન પોતાની પાસે સાચવી રાખીને વગાડ્યા કર્યું છે. વાંસળી ખરીદવાનો શોખ થયેલો પણ પછી વાયોલિન પોતાની નોકરીના પહેલા પગારમાંથી જ ખરીદી શક્યા.

આજે આટલા વર્ષે તેઓ પોતાના નવા વિકસાવેલા આ સાધન મારફતે વાયોલિન, વાંસળી, માઉથ ઓર્ગન, હાર્મોનિયમ, બેન્જો અને કરવત એક સાથે વગાડીને યાદગાર ગીતોની દુનિયામાં સૌને ગરકાવ કરી શકે છે. તેઓ આજે કરવત ઉપર ત્રણ સપ્તક સુધીના સૂર કાઢી શકે છે જે વર્લ્ડ રેકોર્ડ છે!! 

તેઓની નાનપણથી જ ડોક્ટર થવાની તીવ્ર ઈચ્છા હતી, માર્ક્સ પણ હતા પણ આર્થિક પરિસ્થિતિ ન હતી એટલે સાયન્સ જ ભણ્યા!! પણ આજે ડોક્ટરેટ પણ છે અને ડોક્ટર પણ છે અને સંગીતની દવાથી કેટલાય દર્દીઓને એમના દર્દથી તથા તણાવથી એમણે મુક્તિ આપી છે. કેટલાય વૃક્ષોને જીવન આપ્યું છે અને કેટલાય દુઃખીઓને શાતા પહોંચાડી છે. ભગવાન ઈસુના કરુણા સંગીત કણકણમાં ફેલાવતા આ નિવૃત પ્રાધ્યપક ગુજરાતના વલ્લભ-વિદ્યાનગરમાં નાના બજારમાં મોટા થઈને પ્રેમમગ્ન  થઈને જીવી રહ્યા છે. 
આ પ્રાધ્યાપકનું નામ છે ડો. હરીશ ગેર્શોમ અને તેમણે વિકસાવેલ વાજિંત્રનું નામ છે હરિશોફોન!! અન્ય સાધન કે જે દર્દીઓને સારવાર આપવા માટે બનાવ્યું છે એના નામ છે : 1. માઈન્ડ મશીન 2. THNMS  - ટ્રાન્સ ક્યુટેનિયસ હરિશોફોન નર્વ એન્ડ મસલ સ્ટીમ્યુલેટર !! અને જે મ્યુઝિક અને ધ્વનિ તરંગોથી સારવાર અપાય છે તેનું નામ છે : આલ્ફા ટચ થેરાપી (મ્યુઝિક થેરાપી)!!

-- ડો. કાર્તિક શાહ  

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...