Friday, October 5, 2018

આવો મળીએ એક નોખી ગુજરાતી પ્રતિભાને!!



ભારતમાં અંગ્રેજોનું શાસન હતું તે સમયની આ વાત છે. 
   
શૈક્ષણિક તેજસ્વિતાની ટોચ સમો આ બાળક ૧૮૬૩માં સુરતમાં જન્મ્યો. પિતા કલ્યાણદાસ જબરા શિલ્પી. કાષ્ઠ અને પથ્થર બંને પર એ બારીક કોતરકામ, ઘડતર કરી શકે. કામ કરે ત્યારે નાનકડા દીકરાનેય બેસાડે. નક્શીકામમાં ધીરજ, એકાગ્રતા અને ચીવટ જોઈએ. ભણતા દીકરામાં આ આવ્યું. પ્રાથમિક શાળામાં અને હાઈસ્કૂલમાં એ ક્યારેય પ્રથમ નંબર અને ઈનામ ના ગુમાવે. સુરતમાંથી મેટ્રિકમાં સારા માર્ક્સ લાવીને તે મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાં જોડાયો. 

કોલેજમાં થયેલા તેમના મિત્રો પછીનાં વર્ષોમાં ખૂબ જાણીતા થયા હતા. કાયદાવિદ્દ ચીમનલાલ સેતલવાડ અને સાહિત્યકાર કેશવ હર્ષદ ધ્રુવ તેમાં હતા. ૧૮૮૨માં તેઓ ૭૫ ટકા સાથે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે બીએસ.સી. થયા. કોલેજે તેમને ફેલો બનાવ્યા. તેઓ રસાયણશાસ્ત્ર અને પદાર્થવિજ્ઞાન શીખવતા અને સાથે સાથે એમએસ.સી. કરતા હતા. ભણતી વખતે એમણે ‘હિંદની ગરીબાઈ’નું દાદાભાઈ નવરોજીએ લખેલું પુસ્તક વાંચ્યું. હિંદની ગરીબાઈ તેમને ખટકી અને તે નિવારવા કોઈ નક્કર કામ કરવાનું વિચારતા થયા.

૧૮૮૪માં તેઓ પ્રથમ વર્ગ સાથે એમ.એસ.સી. થયા. તેમની ઝળહળતી શૈક્ષણિક પ્રતિભા અને પ્રતિષ્ઠાને કારણે સામે ચાલીને તેમને બે જગ્યાએથી નોકરીની ઓફર મળી. સિંધમાં કરાચીની કોલેજ તેમને માસિક ૩૦૦ રૂપિયા પગાર આપવાની હતી તો વડોદરાના મહારાજા તેમને ૨૦૦ રૂપિયાનો પગાર આપવા તૈયાર હતા. જે જમાનામાં ૧૮થી ૨૦ રૂપિયે તોલો સોનું મળતું ત્યારની આ વાત.

આ યુવાનને હિંદની ગરીબી દૂર કરવામાં ભાષણોને બદલે હુન્નરઉદ્યોગ એ જ સાચો રસ્તો છે એમ દેખાતું હતું. મહારાજની પ્રતિષ્ઠા હુન્નરપ્રેમીની હોવાથી તેમણે ઓછો પગાર હોવા છતાં વડોદરામાં રસાયનશાસ્ત્રના પ્રોફેસરની નોકરી સ્વીકારી.

એની વિદ્યા અને ધગશથી સયાજીરાવ મહારાજા રાજી થયા. ખેતીવાડીના અભ્યાસ માટે ઈંગ્લેન્ડ મોકલવા તૈયારી બતાવી પણઆ યુવાનને માત્ર વિજ્ઞાન અને હુન્નરમાં રસ હોવાથી તેમણે વિવેકપૂર્વક આમંત્રણ ન સ્વીકાર્યું. સયાજીરાવે આ પછી તેમને રંગાટીકામ અને છાપકામના વિકાસની જવાબદારી સોંપી. જે માટે એણે  આ માટેની પ્રયોગશાળા શરૂ કરી. કપડાં રંગવા રંગરેજ અને ભાવસારને રાખ્યા. જર્મનીમાંની મોટી ફેક્ટરીઓ સાથે સંબંધ બાંધ્યા. જાણકારી મેળવી અને તે પ્રકારની તાલીમ આપવાનું શરૂ કર્યું.

સયાજીરાવે કલાભુવન શરૂ કરીને તેની જવાબદારી પણ એને સોંપી. આ યુવાનની જ રાત-દિવસની મહેનત, જ્ઞાન અને ચીવટથી કલાભુવન વિક્સ્યું. અહીં ભાતભાતના અભ્યાસક્રમ શરૂ કર્યા. સુથારીકામ, લુહારીકામ, ચિત્રકામ, મકાનનું બાંધકામ, વણાટકામ, રંગકામ શીખવાનું. રંગ અને રસાયણશાસ્ત્રનું તલસ્પર્શી જ્ઞાન અપાતું.

આગાઉ કહ્યું એમ એ હુન્નર ઉદ્યોગ કરી શકાય એવા શિક્ષણને મનથી ચાહતા હતા. ગરીબી નિવારણનો એ જ એકમાત્ર રસ્તો છે એવું માનતા. તે ગરીબ વિદ્યાર્થીઓને પોતાને ઘરે રાખતા, આર્થિક મદદ કરતા અને જમાડતા. આને કારણે તેઓ ખૂબ લોકપ્રિય થયા. અદેખા અમલદારોને એટલે જ આ પ્રોફેસર ના ગમતા. તેમણે તેમના કામમાં થાય તેટલી દખલ કરવા માંડી. અને  સ્વમાની એવા આ ભાઈ આનાથી કંટાળ્યા, થાક્યા અને ઈ.સ. 1896માં રાજીનામું આપીને મુંબઈ ગયા.

હવે એક ખાસ વાત જેણે એમને પ્રસિદ્ધિ આપી:

ઇ.સ.૧૮૯૮ માં મુંબઇના એક વિસ્તારમાં મુકાયેલા મહારાણી વિક્ટોરિયાના પૂતળાના મોં ઉપર કોઇએ કાળો રંગ ચોપડી દીધો. અંગ્રેજ સરકારે આ કાળો રંગ દૂર કરવા ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ વિક્ટોરિયાના પૂતળાના મોં પર કાળા ડાઘા રહી ગયા. અંગ્રેજ સરકાર અને દેશ વિદેશના તજજ્ઞોએ બહુ મહેનત કરી પણ આ કાળા ડાઘા દૂર થઇ શક્યા નહિ. એવામાં આ ગુજરાતી યુવાને આ ડાઘા દૂર કરી આપવાનું બીડું ઝડપ્યું અને અંગ્રેજ સરકારને સામેથી આહ્વાન આપ્યું ડાઘ દૂર કરવાનું અને કહ્યું કે હું એ ડાઘ દૂર કરી દઈશ!! અને તેણે આ ડાઘા દૂર કરી પણ આપ્યા. આ યુવાન હતો ત્રિભુવનદાસ ગજ્જર. અંગ્રેજ સરકારે તેને ઇનામ તો આપ્યું અને વિશ્વભરમાં પ્રસિદ્ધિ પણ આપી. અને આમ પ્રસિદ્ધ થયા બાદ એક બીજી ક્રાંતિકારી શોધ કરી કે જેમાં તેઓએ એવા કેમિકલનો ઉપયોગ કર્યો કે જે જુના અને પીળા પડી ગયેલા ઓરીજીનલ મોતીને ફરી ચકચકિત કરી શકતા હતાં. અને આ શોધે એમને પ્રસિદ્ધ અને તવંગર પણ બનાવી દીધા. માત્ર આટલું જ નહિ પરંતું ભારતમાં કલા અને હુન્નર ઉદ્યોગોનો પાયો મજબૂત બનાવવામાં ત્રિભુવન ગજ્જરનો ફાળો મહત્વનો છે.

મુંબઈની વિલ્સન કોલેજમાં રસાયણશાસ્ત્રના પ્રોફેસર બન્યા. તેમની શીખવવાની પદ્ધતિ અને જ્ઞાનથી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ખુશ થયા. પ્રોફેસર ગજ્જરની નામની વધી. તે જમાનામાં રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર બંને ભેગાં હતાં. તેમણે બંને અલગ કરવા ખૂબ મહેનત કરી. બંને અલગ થતાં રસાયણશાસ્ત્રનો વિકાસ થયો.

દરમ્યાનમાં મુંબઈમાં પ્લેગ ફાટી નીકળ્યો. મોટા પ્રમાણમાં જાનહાનિ થવા લાગી. તે જમાનામાં પ્લેગની કોઈ દવા ન હતી. પ્રોફેસર ગજ્જરે પ્લેગની દવા શોધી એનું નામ આયોડીન ટર્કોલાઈડ. આ દવા અક્સીર નીવડી અને તેનાથી લાખો માણસોનો જીવ બચ્યો. ડોક્ટરોએ દવા વખાણી. કેટલાકે પેટન્ટ લઈ લેવા માટે પ્રોફેસર ગજ્જરને કહ્યું કે જેથી બીજા કોઈ એ દવા બનાવીને કમાઈ ન લે. પ્રોફેસર ગજ્જર માનવતાવાદી હતા. પૈસાના લોભી ન હતા. એમને પૈસા કરતાં માણસો વધારે વહાલા હતા. એમણે દવાની પેટન્ટ ના લીધી. અને જાહેર કર્યું કે જે કોઈ કંપનીને આ દવા બનાવી હોય તે બનાવી શકે છે પણ શરત એક જ કે દર્દીઓને દવા સસ્તા મૂલ્યમાં ઉપલબ્ધ થવી જોઈએ.

પ્રોફેસર ગજ્જરે ટેકનો-કેમિકલ લેબોરેટરી સ્થાપી. ત્યાં વૈજ્ઞાનિક સંશોધનો અને પ્રયોગ થતા. આમાં કામ કરીને દેશને ઉપયોગી થાય તેવા કેટલાક વૈજ્ઞાનિકો મળ્યા. આ પ્રયોગશાળામાંથી પ્રોફેસર ગજ્જર તે જમાનામાં લાખો રૂપિયા કમાયા. ભારતના જાણીતા વૈજ્ઞાનિક સર પ્રફુલ્લચંદ્ર પ્રોફેસર ગજ્જરનાં સંશોધનોથી પ્રસન્ન થયા હતા. ગુજરાત આજે દેશભરમાં ઔષધ ઉત્પાદન ક્ષેત્રે મોખરે છે. તેનો યશ પ્રોફેસર ગજ્જરને ઘટે છે. ગુજરાતમાં ઔષધ ઉત્પાદનની પ્રથમ ફેક્ટરી તે વડોદરામાં એલેમ્બિક. તેની સ્થાપનામાં ભાઈલાલભાઈ અમીન સાથે કોટિ ભાસ્કર હતા. આ કોટિ ભાસ્કર પ્રોફેસર ગજ્જરના વિદ્યાર્થી હતા.

જાણીતા સમાજવાદી અશોક મહેતાના પિતા અને જે રણજીતરામ ચંદ્રકથી ગુજરાતી સાહિત્યકારોને નવાજાય છે તે રણજીતરામ વાવાભાઈ મહેતાએ પ્રોફેસર ગજ્જરના અંગત મંત્રી તરીકે કામ કર્યું હતું. આ રણજીતરામ મહેતાને લોકકલ્યાણ માટે કલ્યાણગ્રામ બનાવવાની યોજના કરવાની જવાબદારી તેમણે સોંપી હતી. આ યોજના દ્વારા સ્વાવલંબનથી ગરીબી દૂર કરવાનો હેતુ હતો. કૌટુંબિક વિખવાદોમાં યોજના અટવાઈ જતાં અમલી ન બની.

તેમના પરમ મિત્ર અને ભૂતપૂર્વ વિદ્યાર્થી કોટિ ભાસ્કરનું અવસાન થયું અને તે જ અરસામાં પત્નીનું પણ અવસાન થયું. આનો ત્રિભોવનદાસ ગજ્જરને જબરો આઘાત લાગ્યો. હતાશામાં વ્યવસાય પર ધ્યાન ના રહ્યું અને આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ. તેમણે પોતાની સંપત્તિ નેશનલ મેડિકલ કોલેજને ભેટ આપી અને ૧૯૨૦માં તેમનું અવસાન થયું.

ઉત્તમ આદર્શો અને માનવ કલ્યાણનાં સપનાં ધરાવતાં પ્રોફેસર ગજ્જર માનતા કે, ‘હું વિજ્ઞાન ભણ્યો પણ વ્યવહારમાં એ જ્ઞાન મને ઉપયોગી ના થાય તો એવા જ્ઞાનનો શો અર્થ? વિજ્ઞાનને હું જાણું એટલું જ બસ નથી. એનો ઉપયોગ માનવતાના હિતમાં કરવો જોઈએ.’

મહાત્મા ગાંધીએ પ્રોફેસર ગજ્જરને કહ્યું હતું, ‘આપના કોઈ કાર્ય નિષ્ફળ ગયાં નથી. આપનું કાર્ય સંગીન છે અને સમગ્ર ગુજરાતનું જીવન ઘડવામાં એનો ફાળો છે.’

આવા પ્રોફેસર ગજ્જર અને અન્ય કેટલાય મહાનુભાવો ગુજરાતના સામાજિક, આર્થિક, ઔદ્યોગિક, સાહિત્યિક વિકાસના પાયાના પથ્થર હતા. જેના વિષે આપણે વાત કરીશું એક પછી એક....અને જાણીશું કૈક નવું અને રોચક દર શુક્રવારે!

ડો. કાર્તિક શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...