Thursday, September 20, 2018

સામાજિક આભડછેટ, એક મહાન વૈજ્ઞાનિક અને ઉત્તમ વ્યક્તિત્વ

ચાલો આજે એક એવા છોકરાની વાત કરીયે કે જેણે બાળપણમાં સામાજિક આભડછેટ ભોગવી હતી અને આ જ છોકરો આગળ જતાં વિશ્વપ્રસિદ્ધિ પામ્યો અને ઇતિહાસમાં અમર થઇ ગયો... કોણ હતો આ? વાંચો આજે આ રોચક પ્રંસંગો:

આ છોકરાનો જન્મ તત્કાલીન મદ્રાસ રાજ્યમાં આવેલ ટાપુ – ગામ રામેશ્વરમમાં એક મધ્યમવર્ગીય તામિલ કુટુંબમાં થયો હતો. એના પિતા જૈનુલબ્દીને ન તો વ્યવસ્થિત શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું કે ન તો તેમના પાસે ધન હતું; આવી પ્રતિકૂળતાઓ વચ્ચે પણ તે જન્મજાત, સહજ અને ભરપૂર ડહાપણ તથા ઉદાર ચિત્ત ધરાવતા હતા. આ બાબતોમાં તેમને, આશિયામ્મા, એક આદર્શ સહધર્મચારિણી તરીકે મળી ગયાં હતાં. તે દરરોજ કેટલાક લોકોને ભોજન કરાવતાં તે હું કંઈ ચોક્કસ કહી શકું તેમ નથી, પણ મને ખાતરી છે કે આ કુટુંબના બધા સભ્યોનો સરવાળો કરીએ તે કરતાં વધારે સંખ્યામાં બહારના લોકો એમની સાથે જમતાં હતા!!!

આ માતાપિતાની સમાજમાં એક આદર્શ દંપતી તરીકે ગણતરી થતી હતી. માતાના પૂર્વજો ગૌરવપ્રદ રીતે જીવ્યા હતા. એક પૂર્વજને બ્રિટિશરોએ ‘બહાદુર’નો ઈલ્કાબ પણ આપ્યો હતો. 

આપણે જે બાળકની વાત કરવા જઈ રહ્યા છીએ એ બાળક એમનાં અનેક સંતાનોમાંનો એક હતો. જેના માતાપિતા ઊંચાં અને દેખાવડાં હતાં, પણ આ બાળક ઓછી ઊંચાઈ ધરાવતો અને ઓછો ધ્યાનાકર્ષક દેખાવ ધરાવતો છોકરો હતો. 

આ પરિવાર ઓગણીસમી સદીના મધ્યમાં બંધાયેલ એમના પૂર્વજોના ઘરમાં રહેતું  હતું. તે રામેશ્વરમની મસ્જિદ શેરીમાં આવેલ, ચૂના તથા ઈંટોનું બનેલ, વિશાળ અને પાકું મકાન હતું. ચુસ્ત સાદાઈમાં માનતા એ પિતા બિનજરૂરી સગવડો અને મોજમજાને ટાળતા. અલબત્ત, તેઓ ખોરાક, દવાઓ કે વસ્ત્રો જેવી જરૂરિયાતો સરસ રીતે પૂરી પાડતા. 

સામાન્ય રીતે આ બાળક ભોજન એની માતા સાથે, રસોડાની જમીન પર બેસીને લેતો. તેઓ એની પાસે કેળનું પાંદડું મૂકતાં, જેના પર ભાત, ખુશ્બોદાર સંભાર, ઘેર બનાવેલ તીખાં વિવિધ અથાણાં અને નાળિયેરીની તાજી ચટણીનો લોંદો કડછીથી પીરસતાં.

ભગવાન શંકરનું પ્રખ્યાત મંદિર, જેના કારણે રામેશ્વરમ યાત્રાળુઓ માટે પવિત્ર ધામ બન્યું હતું, જે આ ઘરથી દસ મિનિટના અંતરે હતું. અને આ વિસ્તાર મહદ અંશે મુસ્લિમ કુટુંબોનો હતો, પરંતુ ત્યાં થોડાં હિન્દુ કુટુંબો પણ વસતાં હતાં અને બધાં ખૂબ હળીમળીને રહેતાં હતાં. આ વિસ્તારમાં એક ખૂબ જૂની મસ્જિદ હતી. બાળકનાં પિતા એને દરરોજ સાંજે નમાજ માટે લઈ જતા. 

અરબી ભાષામાં ગવાતી આ પ્રાર્થનાઓનો અર્થ શો થાય છે તેની એને તો શું ખબર હોય? એને તો પૂરી શ્રદ્ધા હતી કે તે ખુદાને પહોંચે જ છે. જ્યારે પિતા નમાજ પૂરી કરી મસ્જિદ બહાર આવતા, ત્યારે વિવિધ પંથો અને સંપ્રદાયોના લોકો તેમની રાહ જોતા રહેતા. ઘણાં તેમને પાણીનું વાસણ ધરતા. તેઓ પોતાની આંગળી બોળી તેને સ્પર્શતા અને પ્રાર્થના કરતા. આ પાણી પછી વિવિધ ઘરોમાં અપંગો માટે જતું. અને ઘણા લોકો પોતે સાજા થઈ ગયા બાદ એના પિતા પાસે કૃતજ્ઞતા વ્યક્ત કરવા આવતા. તેઓ ત્યારે  માત્ર સ્મિત કરતા અને તેમને દયાળુ એવા પરવરદિગાર અલ્લાહનો આભાર માનવાનું કહેતા.

રામેશ્વરમ મંદિરના મુખ્ય પૂજારી પાક્ષી લક્ષ્મણ શાસ્ત્રી તેમના ગાઢ દોસ્ત હતા. આ બાળકના બાળપણની જે મધુર અને સ્પષ્ટ સ્મૃતિઓ છે તેમાંની એકમાં આ બે વડીલોને, તેમનાં પરંપરાગત વસ્ત્રોમાં, ધાર્મિક અને આધ્યાત્મિક ચર્ચામાં મશગૂલ જોવાની રહેલી. જ્યારે તેની ઉંમર પ્રશ્નો પૂછવા જેટલી થઈ, ત્યારે એ પિતાને નમાજ કે પ્રાર્થનાની ઉપયોગિતા વિશે પૂછતો. જે જવાબ આપતા તે મુજબ નમાજમાં કશું રહસ્યમય ન હતું. પ્રાર્થના તો, ઊલટી, લોકો વચ્ચે આત્મિક સંવાદને શક્ય બનાવે છે. ‘જ્યારે તમે પ્રાર્થના કરો છો’ તે કહેતા, ‘ત્યારે તમે તમારા દેહભાવને અતિક્રમો છો અને અસ્તિત્વનો જ એક હિસ્સો બની જાવ છો, જ્યાં ધન, વય, જ્ઞાતિ, કર્મ વગેરે વિશે કોઈ ભેદભાવ નથી હોતો.’ 

પિતાની એક વિશિષ્ટતા એ હતી કે તેઓ ગમે તેવા કઠિન ધાર્મિક વિચારોને ખૂબ સરળ અને વ્યવહારુ તામિલમાં સમજાવી શકતા. તેમણે એક વાર કહેલું, ‘પોતાના કાળમાં, પોતાના સ્થળમાં, પોતે જે વાસ્તવિક છે, અને શુભ-અશુભ જે સ્તરે પહોંચેલ છે, દરેક મનુષ્ય પૂર્ણ વ્યક્ત પરમાત્માનો એક વિશિષ્ટ અંશ છે. એટલે તકલીફો, પીડાઓ અને સમસ્યાઓથી શા માટે ગભરાવું જોઈએ ? જ્યારે મુશ્કેલીઓ આવે, ત્યારે આ પીડાઓનો સંદર્ભ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. પ્રતિકૂળતા હંમેશાં આત્મચિંતન માટે વિશાળ તકો પૂરી પાડે છે.

જે લોકો તમારી પાસે સહાય અને સલાહ લેવા આવે છે તેમને તમે શા માટે આ નથી કહેતા ?’ એણે હિંમતપૂર્વક પિતાને પ્રશ્ન કર્યો, ત્યારે તેમણે એના ખભા પર સ્નેહથી હાથ મૂકી અને આંખોમાં આંખ પરોવી થોડી પળો સુધી કશો જવાબ ન આપ્યો, જાણે કે એ તેમનો જવાબ સમજી શકશે કે નહીં તેમ માનીને એની શક્તિને તેઓ ચકાસતા હતા. 

પછી ધીમા, ઘેરા અવાજે બોલ્યા, જે ઉત્તરથી એક અદશ્ય શક્તિ અને ઉત્સાહથી એ બાળક ઊભરાઈ ગયો હતો : ‘જ્યારે જ્યારે મનુષ્યો પોતાને એકલા કે વિખૂટા અનુભવે છે, ત્યારે – સહજ પ્રત્યાઘાતરૂપે – તેઓ કોઈ સાથને શોધવાનો પ્રયત્ન કરે છે; જ્યારે તેઓ મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે કોઈ પોતાને સહાય કરે તેવી વ્યક્તિની શોધ કરે છે; જ્યારે કોઈ મડાગાંઠની પરિસ્થિતિમાં મુકાય છે, ત્યારે તેઓ કોઈ માર્ગદર્શકની શોધમાં રહે છે. ફરી ફરીને સર્જાતાં પીડા, ઈચ્છાઓ અને અપેક્ષાઓ પોતપોતાના ખાસ મદદગારોને શોધી લેતાં હોય છે. દુઃખમાં ફસાયેલ જે લોકો મારી પાસે આવે છે, તેમના માટે હું, પ્રાર્થના અને અર્ચના વડે, તેમને સતાવતાં પાશવી તત્વોને શાંત કરવાના પ્રયાસોમાં માધ્યમ જ હોઉં છું. આ અભિગમ જરા પણ સાચો નથી અને તેને અનુસરવા જેવું પણ નથી. વ્યક્તિએ નિયતિનાં ભયગ્રસ્ત દર્શન તથા એ દર્શન, જે આપણામાં રહેલ પૂર્ણતાને આડખીલીરૂપ શત્રુઓને શક્તિમાન બનાવે છે – તે બે વચ્ચેનો તફાવત સમજી લેવો જોઈએ.


હા, આ ઉદ્યમશીલ પિતાનો દિવસ બરાબર સવારે ચારને ટકોરે શરૂ થઈ જતો. ભળભાંખળું થાય તે પહેલાં તે નમાજ કરતા. નમાજ પછી ઘરથી ચાર માઈલ દૂર આવેલ પોતીકી માલિકીના નાળિયેરીના વનમાં ચાલ્યા જતા. પાછા વળતાં તેઓ પોતાના ખભા પર એકાદ ડઝન નાળિયેર બાંધીને લઈ આવતા. ત્યાર પછી જ તેઓ નાસ્તો કરતા. આ નિયમ તેમણે પોતે છ દાયકા પસાર કરી ગયા ત્યાં સુધી ચાલુ રાખ્યો હતો. 

આ બાળક કહે છે એમ, એના સમગ્ર જીવન દરમિયાન એણે આજના આ વિજ્ઞાન અને ટેકનોલૉજીના જગતમાં પણ એના પિતાને અનુસરવાનો પ્રયાસ કર્યો છે!! પિતા થાકી જ એણે એની સામે પ્રગટ કરેલ પાયાનાં સત્યોને સમજવા પ્રયત્ન કર્યો છે અને નિશ્ચયાત્મક રીતે અનુભૂતિ કરી છે કે વિશ્વમાં એક એવી દિવ્ય શક્તિ અસ્તિત્વ ધરાવે છે, જે વ્યક્તિને તેની મૂંઝવણ, દુઃખો, ઉદાસીનતા અને નિષ્ફળતાની પળોમાં તેનાથી ઉપર ઉઠાવે છે અને તેના સાચા – આદિમ સ્થળ તરફ દોરે છે અને એક વખત વ્યક્તિ પોતાનાં શારીરિક અને સાંવેગિક બંધનોથી મુક્ત થાય છે, તરત તે મુક્તિ, આનંદ અને મનની શાંતિના માર્ગ પર ગતિ કરવા લાગે છે.
છ વર્ષની નાની ઉંમરે એના પિતાએ યાત્રાળુઓને રામેશ્વરમથી ધનુષકોડી (તેને ‘સેતુ કરાઈ’ પણ કહેતા) લઈ જવા લાકડાનું વહાણ બાંધવાનું શરૂ કર્યું. તેમણે આ કામ પોતાના એક સંબંધી અહમદ જલાલુદ્દીનની મદદથી દરિયાકાંઠે શરૂ કર્યું. નાનકો એવો આ બાળજીવ, આ વહાણને આકાર લેતું જોતો. વહાણનું કાઠું તથા તળિયું વનની આગની ગરમીથી મજબૂત બન્યાં હતાં. એના પિતા આ વહાણની મદદથી પોતાનો વ્યવસાય ખૂબ જ સારી રીતે કરી રહ્યા હતા, જ્યારે એક દિવસ સો માઈલની ઝડપે આવેલ પવનનું વાવાઝોડુ સેતુ કરાઈની થોડી જમીન સાથે વહાણને પણ તાણી ગયું. ત્યાં આવેલ પંબન-પુલ પણ તેના પરથી જતી, મુસાફરોથી લદાયેલી ટ્રેન સાથે તૂટી પડ્યો. 

જ્યારે વહાણનો અકાળે અંત આવ્યો ત્યારે જલાલુદ્દીન અને આ નાનકડો બાળ, ઉંમર વચ્ચે તફાવત છતાં, ગાઢ મિત્ર બની ચૂક્યા હતા. તેઓ એનાથી લગભગ પંદર વર્ષ મોટા હતા અને એ એને ‘આઝાદ’ કહીને બોલાવતા. બંને દરરોજ સાંજે લાંબે સુધી ફરવા જતા. મસ્જિદ શેરીથી શરૂઆત કરી ટાપુના રેતાળ દરિયાકિનારા સુધી પહોંચતા ત્યાં સુધી જલાલુદ્દીન અને આઝાદ મુખ્યત્વે આધ્યાત્મિક વિષયો પર જ વાત કરતા. યાત્રાળુઓથી સતત છલકાતા રામેશ્વરમનું વાતાવરણ જ આવી ચર્ચાને ઉત્તેજન પૂરું પાડતું. બંનેનું પ્રથમ રોકાણ ભગવાન શંકરના વિશાળ મંદિર પાસે જ હોય. દેશના દૂરસુદૂરના ભાગોમાંથી આવતા યાત્રાળુઓ જે પૂજ્યભાવથી મંદિરની પ્રદક્ષિણા કરે, તેવા જ ભાવથી તેઓ પણ પ્રદક્ષિણા કરતા અને પોતાનાં મન અને શરીરમાં અદશ્ય શક્તિનો આવિર્ભાવ થતો અનુભવતા.

જલાલુદ્દીન ખુદા વિશે એવી રીતે વાત કરતા, જાણે કે તેઓ એના કોઈ ભાગીદાર હોય, તેમજ તેમની શંકાઓ ખુદા સામે એવી રીતે રજૂ કરતા, જાણે કે ખુદા તેમની સામે તેનો નિકાલ કરવા જ ઊભા હોય. આઝાદ જલાલુદ્દીન સામે એકીટશે જોયા કરતો. પછી સમુદ્રમાં પવિત્ર સ્નાન કરતા, મંત્રો બોલતા, વિધિઓ કરતા અને નિર્ગુણ, સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે ઊંડો પૂજ્યભાવ પ્રગટ કરતા તથા મંદિરની પ્રદક્ષિણા કરતા. પેલો બાળક વિશાળ યાત્રાળુઓના સમૂહને જોતો. ને એ બાબતે કદી પણ શંકા ન થતી કે મંદિરમાં થતી પ્રાર્થના પણ મસ્જિદમાં થતી નમાજની જેમ એક જ સ્થાને પહોંચે છે, પણ જલાલુદ્દીનની વાતો સાંભળ્યા પછી એ વિચાર આવતો કે શું જલાલુદ્દીનને ખુદા સાથે કોઈ વિશિષ્ટ સંપર્ક તો નથી ને ! જલાલુદ્દીનનું શાળાકીય શિક્ષણ તેમના કુટુંબની તાણભરી પરિસ્થિતિને કારણે ખૂબ જ ઓછું હતું. કદાચ આ જ પરિબળ હશે કે તેઓ હમેશાં આઝાદનાં અભ્યાસમાં શ્રેષ્ઠત્વ મેળવવા પ્રોત્સાહિત કરતા અને એની સફળતાને જાણે પોતાની સિદ્ધિ હોય તે રીતે ભરપેટ માણતા. પોતાની ઓછપ માટેનો આંશિક ગુસ્સો પણ  તેમનામાં ક્યારેય નથી ઉદ્ભવ્યો. ઉલ્ટાનું, જિંદગીએ તેમને જે કંઈ આપ્યું હતું તે માટે તેઓ હંમેશાં કૃતજ્ઞતા પ્રગટ કરતા.

દરેક બાળક એક વિશિષ્ટ સામાજિક-આર્થિક અને ભાવનાત્મક પર્યાવરણમાં કેટલાંક વારસાગત લક્ષણો લઈને જન્મે છે અને વડીલો દ્વારા એક ચોક્કસ પ્રકારની તાલીમ મેળવે છે. એમ વારસામાં પિતા પાસેથી પ્રામાણિકતા અને આત્મશિસ્ત આઝાદને મળ્યાં; માતા પાસેથી ભલાઈમાં વિશ્વાસ અને ઊંડી કરુણા મળ્યાં.

  એમ સ્પષ્ટપણે કહી શકાય કે, આ બાળકે જે સમય જલાલુદ્દીન અને સમશુદ્દીન સાથે ગાળ્યો, તેણે એના બાળપણને વિશિષ્ટ ઘાટ આપ્યો અને તેને પરિણામે જ તેની પછીની જિંદગીમાં મોટું પરિવર્તન આવી શક્યું. જલાલુદ્દીન તથા સમશુદ્દીનને જીવનની શાળામાંથી મળેલ ડહાપણ નિઃશબ્દ સંદેશાઓ દ્વારા એવું આંતરપ્રેરિત અને સંવેદનશીલ હતું કે નિઃશંકપણે કહી શકાય કે આગળ જતાં આ બાળકમાંથી જે સર્જનાત્મકતા પ્રગટી તે બાળપણમાં મળેલી તેમની સંગતનું જ પરિણામ હતું. 

હવે એક રસપ્રદ કિસ્સો: 

બાળપણમાં એના ત્રણ ગાઢ મિત્રો હતા – રામાનંદ શાસ્ત્રી, અરવિંદન અને શિવપ્રકાશન. આ ત્રણે છોકરાઓ રૂઢિચુસ્ત હિન્દુ બ્રાહ્મણ કુટુંબોમાંથી આવતા હતા, પરંતુ બાળકો તરીકે, આમાંથી કોઈ પણ, ધાર્મિક તફાવત કે ઉછેર છતાં, પરસ્પર જુદાપણું અનુભવતા ન હતા. અગત્યની બાબત તો એ હતી કે રામાનંદ શાસ્ત્રી તો રામેશ્વરમ મંદિરના મુખ્ય પૂજારી પાક્ષી લક્ષ્મણન શાસ્ત્રીનો પુત્ર હતો. મોટો થયો ત્યારે તેણે જ પિતા પાસેથી મંદિરનું પૂજારીપદ સંભાળ્યું હતું. અરવિંદન ત્યાં આવતાં યાત્રાળુઓને વાહનવ્યવહારની વ્યવસ્થા ગોઠવી આપવાના વ્યવસાયમાં પડ્યો અને શિવપ્રકાશન રેલવેમાં ભોજન પૂરું પાડવાના કોન્ટ્રેક્ટમાં પડ્યો હતો. 

દર વર્ષે યોજાતા શ્રી સીતારામ કલ્યાણમ ઉત્સવમાં આ છોકરાનું કુટુંબ ખાસ પ્લેટફૉર્મવાળા વહાણની ગોઠવણ કરી આપતું. જેમાં એના ઘર નજીક આવેલ રામતીર્થ નામના તળાવની વચ્ચે આવેલ લગ્નની જગ્યાએ (મંદિરથી) ભગવાનની મૂર્તિને લઈ જવામાં આવતી. જયારે એની માતાજી તથા દાદીજી સૌ બાળકોને દરરોજ રાત્રે સૂવા વખતે રામાયણના પ્રસંગો તથા પયગંબરના જીવનપ્રસંગોની વાર્તાઓ કરતાં.

રામેશ્વરમ એલિમેન્ટરી સ્કૂલમાં જયારે એ પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે, એક દિવસ, એક નવા શિક્ષક વર્ગમાં આવ્યા. એ, રૂઢિ મુજબ ત્યારે ટોપી પહેરતો, જેને કારણે મુસ્લિમ તરીકે ઓળખાતો હતો. આ બાળક હંમેશાં પ્રથમ બાંકડે અને રામાનંદ શાસ્ત્રીની બાજુમાં જ બેસતો. તે ત્યારે યજ્ઞોપવીત પહેરતો. આ નવા શિક્ષક હિન્દુ પૂજારીનો છોકરો મુસલમાન છોકરા સાથે બેસે તે સહન કરી ન શક્યા.!! ત્યારે સમાજમાં જે ઊંચ-નીચની વ્યવસ્થા હતી તે ન્યાયે આ બાળકને છેલ્લે બાંકડે જઈ બેસવાની તેમણે આજ્ઞા કરી, બાળક તો ખૂબ ઉદાસીન થઈ ગયો. રામાનંદ શાસ્ત્રી પણ. જ્યારે છેલ્લે બાંકડે એની બેઠક બદલાવી, ત્યારે તેની આંખમાં હતાશા પથરાઈ ગઈ. ત્યારની તેની રડતી છબી આ બાળક પર અમીટ છાપ મૂકી ગઈ. શાળા પૂરી થયા બાદ બંને ઘેર ગયા અને વડીલોને આ ઘટનાની વાત કરી. લક્ષ્મણન શાસ્ત્રીએ તરત જ શિક્ષકને બોલાવ્યા અને બાળકોની હાજરીમાં જ શિક્ષકને કડક સૂચના આપી કે આ નિર્દોષ બાળકોના મનમાં સામાજિક અસમાનતા અને ધાર્મિક અસહિષ્ણુતાનું ઝેર ન પ્રસરાવવું. તેમણે શિક્ષકને સ્પષ્ટ કહ્યું કે કાં તો તે માફી માગે અથવા ગામ છોડી દે. શિક્ષકે માફી માગી, એટલું જ નહીં, પણ લક્ષ્મણન શાસ્ત્રીની નિશ્ચયાત્મક દષ્ટિને પરિણામે તેઓ સુધરી પણ ગયા.

આવો જ એક બીજો પ્રસંગ: 

એકંદરે જોઈએ તો, રામેશ્વરમનો નાનકડો સમાજ જુદાં જુદાં ચોક્કસ સ્તરોમાં વહેંચાયેલો હતો અને વિવિધ સમાજિક જૂથોના ભેદભાવની બાબતોમાં આત્યંતિક રીતે રૂઢિચુસ્ત હતો. 

આ બધા વચ્ચે પણ, જોકે, એક શિક્ષક શિવસુબ્રમણ્યા ઐયર, ભલે પોતે જુનવાણી બ્રાહ્મણ તથા ખૂબ જ રૂઢિચુસ્ત પત્નીવાળા હોવા છતાં, કંઈક બળવાખોર જેવા હતા. તેઓ સામાજિક બંધનો તોડવાનો ખૂબ પ્રયાસ કરતા, જેથી વિવિધ સમાજોમાંથી આવતા લોકો સરળતાથી હળીમળી શકે. તે આ બાળક સાથે કલાકો ગાળતા અને કહેતા, ‘યુવાન, હું તને એટલો વિકસિત જોવા માગું છું, જેથી તું મોટાં શહેરોમાં ખૂબ શિક્ષિત લોકોની સમકક્ષ ઊભો રહી શકે.

એક દિવસ તેમણે આ યુવાનને ભોજન માટે આમંત્રણ આપ્યું. એક મુસ્લિમ છોકરો પોતાના વૈદિક પવિત્ર રસોડામાં આવીને જમે તે ખ્યાલે જ તેમનાં પત્ની તો છળી જ મર્યાં ! તેમણે તેને રસોડામાં પીરસવાની ચોખ્ખી ના પાડી દીધી. શિવસુબ્રમણ્યા ઐયરને ન તો ખલેલ પહોંચી કે ન તો તે પોતાની પત્ની પર ગુસ્સે થયા. તેને બદલે તેમણે યુવાનને પોતાના હાથે ભોજન પીરસ્યું અને એની બાજુમાં જ જમવા બેઠા. તેમનાં પત્ની રસોડાનાં બારણાં પાછળ ઊભાં એમને નીરખતાં હતાં. આ યુવાનને પણ વિચાર આવતો હતો કે એ જે રીતે ભાત ખાતો હતો, પાણી પીતો હતો કે ભોજન પછી જે રીતે જમીન સાફ કરતો હતો, એ જોઈ શિવસુબ્રમણ્યા ઐયરના પત્ની તેમાં કોઈ તફાવત જોઈ શક્યાં હશે ? 

એ જ્યારે વિદાય લેતો હતો, ત્યારે શિવસુબ્રમણ્યા ઐયરે પછીના અઠવાડિયે ફરી જમવા આવવાનું એને આમંત્રણ આપ્યું!! મોં પર ખચકાટ જોઈ, જરાય મૂંઝવણ ન અનુભવવાનું કહી તેઓ બોલ્યા,એક વાર એક પ્રથા બદલાવવાનો તમે નિર્ણય લો છો, તો આવી સમસ્યાઓનો સામનો તો તમારે કરવો જ પડે.જ્યારેએ યુવાન બીજા અઠવાડિયે તેમના ઘેર ગયો, ત્યારે શિવસુબ્રમણ્યા ઐયરનાં પત્ની એને પોતાના રસોડામાં લઈ ગયાં અને પોતાના હાથે ભોજન પીરસ્યું!!
આ બાળક અને યુવાન એટલે આપણા લોકલાડીલા વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ શ્રી અબુલ પકીર જૈનુલબ્દીન અબ્દુલ કલામ આઝાદ!! અને પોતાના પ્રારંભિક શિક્ષણનો ખર્ચ ઉપાડવા તેઓએ છાપાં વહેંચવાનું કામ પણ કર્યું હતું..!!

આ ઉપરનાં તમામ ઉત્સાહવર્ધક ક્વોટ ચિત્રો (Inspirational Quotes) એમનાં જ છે! અને એવું પણ તારણ નીકળ્યું છે કે, દક્ષિણી કોરિયામાં એમના પુસ્તકો અને એ પોતે ખૂબ જ લોકપ્રિય છે. અને ત્યાં એમના પુસ્તકોની જબરદસ્ત ડિમાન્ડ છે. એ લોકો એમને કદાચ ભારતીયો કરતાં પણ વધુ વાંચે છે!!

સંકલન: ડો. કાર્તિક શાહ ( તેમના જ પુસ્તકો "વિંગ્સ ઓફ ફાયર" અને "ગાઈડિંગ સૌલ્સ - ડાયલોગ્સ ઓફ ધ પર્પઝ ઓફ લાઈફ" માંથી...)

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...