Saturday, July 21, 2018

ઉમાશંકર જોષી


ચાલો કૈક નવું આજે
~~~~~~~~~~~~~~~~

એક મિત્રની ષષ્ઠિપૂર્તિના સંદર્ભે કવિ સુરેશ દલાલે, કવિવર ઉમાશંકર જોશીને ટાંકીને એક યાદગાર પ્રસંગ કહેલો....!

કવિવર ઉમાશંકર જોશીને સાંઠ વર્ષ પૂરાં થયેલાં. તેથી સાહિત્યકાર મિત્રો એમને શુભેચ્છા આપવા ગયેલા. સાહિત્યાકર મિત્રોને જોઈને ઉમાશંકર જોશીને બુદ્ધિક્ષમતાનું માપ કાઢવાની રમત સૂઝી ! એમણે સાહિત્યકાર મિત્રોને પૂછ્યું : '' હમણાં જ ઘરમાંથી એક કુંવારી છોકરી ગઈ એ તમે આવતા હતા ત્યારે સામે જ મળી હશે નહીં ?'' 

સાહિત્યકાર મિત્રોએ 'ના' પાડી.

પછી ઉમાશંકર જોશી સાહિત્યકાર મિત્રો સાથે સાહિત્યરસમાં ગળાડૂબ બન્યા. પરંતુ કોઈ સાહિત્યકારનું ધ્યાન ઉમાશંકરભાઈની વાતમાં હતું જ નહીં ! એમને તો ઉમાશંકર જોશીના ઘરમાંથી કઈ કુંવારી છોકરી નીકળી એનું નામ જાણવામાં જ રસ પડેલો !

સાહિત્યકાર મિત્રોએ તો ઊમાશંકરને પૂછી જ લીધું કે અમે સાંઠની શુભેચ્છા આપવા આવ્યા છીએ પણ તમારા ઘરમાંથી કઈ છોકરી નીકળી ? 

એટલે ઉમાશંકર જોશીએ એમને છાજે એવો જવાબ આપ્યો: '' બુદ્ધિ ! આપણે ત્યાં એમ કહેવાય છે કે સાઠે બુદ્ધિ નાઠી ! એટલે મારા ઘરમાંથી પણ બુદ્ધિ તમે શુભેચ્છા આપવા આવ્યા ત્યારે નીકળી !''

રમૂજના આ કિસ્સાનો વળાંક તો હવે આવે છે. એમણે સાહિત્યકાર મિત્રોને કહ્યું કે સાઠે બુદ્ધિ નાઠી એ વાત સાચી. સાઠ વર્ષે બુદ્ધિ જાય પણ પ્રજ્ઞા આવે ! હવે પછીના દિવસો તો પ્રજ્ઞાવાન થવાના દિવસો છે !

કવિવર ઉમાશંકર જોશીનો આ કિસ્સો બુદ્ધિ અને પ્રજ્ઞાના સંદર્ભમાં પ્રગટ થવા મથતા સત્ય માટે આલેખ્યો છે. સાઠ સુધી રાહ જોયા વગર સોળના હોઇએ ત્યારે પણ પ્રજ્ઞાાને તો ચકાસવી જ જોઇએ ! ડીપ્રેશન 'ડીપ' ત્યારે જ બને, જ્યારે બુદ્ધિ છબછબિયાં કરતી હોય !

સંકલિત:  ડો.  કાર્તિક શાહ 

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...