શાંતિનો અહેસાસ

એક રાજા દ્વારા શાંતિનો અર્થ સમજવા અને સમજાવવા માટે એક ચિત્રની હરિફાઈ કરવામાં આવી. ઘણા કલાકારોએ પોતાનાં ચિત્રો તૈયાર કર્યાં. બધાંય ચિત્રો બારીકાઈથી રાજાએ જોયાં અને બે ચિત્રો ગમ્યાં. એક ચિત્રમાં શાંત સરોવરની બધી બાજુ પર્વતો છે અને એ બધાયનું સરોવરના પાણીમાં સ્વચ્છ પ્રતિબિંબ ઝિલાય છે. જાણે, સરોવર સરસ અરીસો હોય એવું લાગતું હતું. બીજા ચિત્રમાં પણ પર્વતો હતા પણ તે ખરબચડા અને બોડા હતા. ઉપરનું આકાશ જાણે કોપાયમાન હોય એવું લાગતું હતું. મુશળધાર વરસાદ પડતો હતો સાથે વીજળીના ચમકાર હતા. એક પર્વતની બાજુમાં મોટો ધોધ હતો. પણ ચિત્રકારે ચિત્રમાં બીજી અદ્‍ભુત રચના કરેલ હતી. ધોધની પાછળ ખડકના પોલાણમાં મઝાનું નાનકડું એવું ઝાડ દોર્યું હતું. એ ઝાડમાં માળો બાંધી પક્ષી બચ્ચાને સાચવીને બેઠું હતું. મુશળધાર વરસાદ અને ધોધના ધસમસતા પાણીના અવાજ વચ્ચે પણ પક્ષી અને બચ્ચાં એવાં શાંતિથી અને નિરાંતથી બેઠાં હતાં કે સંપૂર્ણ શાંતિમય વાતાવરણનો અહેસાસ થતો હોય.
રાજાએ શાંતિના અર્થ માટે બીજું ચિત્ર પસંદ કર્યું, પોતાની પસંદગી પાછળનું કારણ સમજાવતાં રાજાએ કહ્યું, ‘શાંતિનો અર્થ એવો નથી કે જ્યાં અવાજ ન હોય, મુશ્કેલી ન હોય કે પરિશ્રમ ન હોય. આ બધું હોય છતાં, એની વચ્ચે જેમના દિલમાં, ચહેરામાં શાંતિનો અહેસાસ થાય એ જ સાચી શાંતિ.’
– નીલેશ મહેતા

Comments

Popular posts from this blog

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

સમયનું મહત્વ

ભાઈ―બહેન