કોણ હતા ગુજરાતી ભાષાના આ લબ્ધપ્રતિષ્ઠ કવિ?
અમદાવાદ પાસે સાબરકાંઠામાં એક ગામ આવેલું હતું જે અત્યારે તો તાલુકો છે, આ ગામે ભીખાભાઇ જોશીને ઘરે ૧૯૦૪માં એક બાળકનો જન્મ થયો. માતાજીનું નામ હતું પ્રસન્નબેન. બાળકનું નામ હતું ચીમન. મોટા થયા એટલે ચીમનલાલ થયાં!! પણ બાળપણથી જ ધુની સ્વભાવ. નિશાળે જાય તો બીજા બધા પાઠો કરતાં કવિતાઓમાં જ વધુ રસ પડે. આમ એક દિવસ એક કવિતા પાઠ કરવા માટે આપવામાં આવી: "માને દેખી બહુ હરખાઉં, દોડી દોડી સામે જાઉં!" આ કવિતા પાઠ કરતી વખતે તેઓ હર્ષઘેલા થઈ ગયા. સીધા સરળ શબ્દોમાં પણ કવિએ માતૃત્વનું કેવું ઉત્કૃષ્ટ દર્શન કરાવ્યું છે અને માતૃભક્તિ એ બાળકના હૃદયમાં સ્થાન પામી. જ્યારે જ્યારે પણ માતાની સેવા કરવાના પ્રસંગો આવ્યા ત્યારે મુંબઈથી પણ તેઓ પોતાના વતન પહોંચી જતા અને માતા વૃદ્ધ થતાં બીમાર થયા ત્યારે ખડે પગે અને અખંડ રાતોના રાત ઉજાગરા કરી માતૃસેવામાં લાગી ગયાં! પરંતુ ખાસ વાત એ હતી કે આ કવિતાનો પાઠ કરતા કરતા એમના બાલમાનસમાં એક બીજ રોપાયું અને પછી આગળ જતાં અંકુર પણ ફૂટ્યો કે, "લાવ, હું પણ કવિતા કરું!" તેઓ જ્યારે જ્યારે મંદિરમાં જતા ત્યારે ભજન કીર્તનમાં કલાકોના કલાક સુધી બેસી રહે. ...