વાતચીત "એક કળા"
29.01.1860 - 15.07.1904
રશિયાના વિખ્યાત નવલિકા અને લઘુવાર્તા લેખક એન્ટન ચેખોવને મળવા માટે ત્રણ સ્ત્રીઓ આવી આ સ્ત્રીઓએ વિચાર્યું હતું કે આવા મહાન સર્જકને મળીએ છીએ તો એમની સાથે વાતો પણ કંઈ સામાન્ય ન જ થાય. આથી ત્રણેયે કોઈ ગંભીર પ્રશ્ન વિષે એમની સાથે વાર્તાલાપ કરવાનું નક્કી કર્યું. એ સમયે ગ્રીસ અને તુર્કસ્તાન વચ્ચે યુદ્ધ ચાલતું હતું.
એક મહિલાએ આ ગંભીર પ્રશ્નને પ્રસ્તુત કરતા કહ્યું, "ગ્રીસ અને તુર્કસ્તાનના યુદ્ધની બાબતમાં આપણું શું મંતવ્ય છે?"
એન્ટન ચેખોવે કહ્યું, "મારી ધારણા મુજબ આ યુદ્ધનો અંત શાંતિમાં આવશે!"
બીજી મહિલાએ પ્રશ્ન કર્યો, "આ યુદ્ધમાં કોની જીત થાય એમ તમને લાગે છે? ગ્રીસની કે તુર્કસ્તાનની?"
એન્ટન ચેખોવે કહ્યું, "મારી ધારણા પ્રમાણે તો જે વધુ શક્તિશાળી હશે, તે વિજયી બનશે!"
ત્રીજી મહિલાએ પૂછ્યું, "તમારી દ્રષ્ટિએ કોણ વધુ શક્તિશાળી છે?"
ચેખોવે કહ્યું, "એ જ સહુથી શક્તિશાળી છે, જે પુરુષાર્થયુક્ત અને શિક્ષિત છે!'
આવા જવાબોથી હતપ્રભ થઈને હવે શું પૂછવું અને શું વાત કરવી એની દ્વિધા સાથે ત્રણે મહિલાઓએ એકસાથે સીધેસીધું એમ જ પૂછ્યું, "એટલે કે, ગ્રીસ અને તુર્કસ્તાનમાં તમને કોણ વધુ પસંદ છે?"
એન્ટન ચેખોવે હવે સ્મિત આપ્યું અને કહ્યું, "મને તો અમુક પ્રકારનો ખીરો વધુ ભાવે છે. તમને કઈ ચટણી વધુ પસંદ છે?"
અને આખીય ચર્ચા યુદ્ધના બદલે ખીરા-ચટણી પર આવીને અટકી ગઈ. એ પછીના વાર્તાલાપમાં એ મહિલાઓએ ઘણી હળવાશનો અનુભવ કર્યો!
એ સ્ત્રીઓ ગઈ ત્યારે એન્ટન ચેખોવે મનોમન કહ્યું, "આપણે જે રીતે વાત કરવા ટેવાયેલા હોઈએ એ જ પોતીકી ભાષા અને શૈલીમાં વાત કરવી જોઈએ ! ખોટો દંભ અને વાણીચાતુર્યનો દેખાડો કરવાનો કોઈ સાર હોતો નથી!"
-- ડો. કાર્તિક શાહ
-- ડો. કાર્તિક શાહ

Comments
Post a Comment
આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...