કોણ હતા ગુજરાતી ભાષાના આ લબ્ધપ્રતિષ્ઠ કવિ?
અમદાવાદ પાસે સાબરકાંઠામાં એક ગામ આવેલું હતું જે અત્યારે તો તાલુકો છે, આ ગામે ભીખાભાઇ જોશીને ઘરે ૧૯૦૪માં એક બાળકનો જન્મ થયો. માતાજીનું નામ હતું પ્રસન્નબેન. બાળકનું નામ હતું ચીમન. મોટા થયા એટલે ચીમનલાલ થયાં!!
પણ બાળપણથી જ ધુની સ્વભાવ. નિશાળે જાય તો બીજા બધા પાઠો કરતાં કવિતાઓમાં જ વધુ રસ પડે. આમ એક દિવસ એક કવિતા પાઠ કરવા માટે આપવામાં આવી:
"માને દેખી બહુ હરખાઉં, દોડી દોડી સામે જાઉં!"
આ કવિતા પાઠ કરતી વખતે તેઓ હર્ષઘેલા થઈ ગયા. સીધા સરળ શબ્દોમાં પણ કવિએ માતૃત્વનું કેવું ઉત્કૃષ્ટ દર્શન કરાવ્યું છે અને માતૃભક્તિ એ બાળકના હૃદયમાં સ્થાન પામી. જ્યારે જ્યારે પણ માતાની સેવા કરવાના પ્રસંગો આવ્યા ત્યારે મુંબઈથી પણ તેઓ પોતાના વતન પહોંચી જતા અને માતા વૃદ્ધ થતાં બીમાર થયા ત્યારે ખડે પગે અને અખંડ રાતોના રાત ઉજાગરા કરી માતૃસેવામાં લાગી ગયાં!
પરંતુ ખાસ વાત એ હતી કે આ કવિતાનો પાઠ કરતા કરતા એમના બાલમાનસમાં એક બીજ રોપાયું અને પછી આગળ જતાં અંકુર પણ ફૂટ્યો કે, "લાવ, હું પણ કવિતા કરું!"
તેઓ જ્યારે જ્યારે મંદિરમાં જતા ત્યારે ભજન કીર્તનમાં કલાકોના કલાક સુધી બેસી રહે. ડાયરાઓમાં પણ એમની અચૂક હાજરી રહેતી. પાછળથી તેઓ જ્યારે મુંબઇ આવ્યા ત્યારે ૧૯૨૮માં કોરોનેશન થિયેટરમાં મુંબઇ ગુજરાતી નાટક મંડળી કાર્યરત હતી. અને નાટકોના પ્રયોગો થતાં રહેતા. એ સમયે એક નાટક પ્રચલિત થયું હતું, નામ અત્યારે કહેતો નથી. પણ, એમાં અમુક અમુક હાસ્ય પ્રસંગો આવતા હતા જેમાં નવા ગીતો મુકવાની જરૂર મંડળીના બાપુલાલ નાયકને લાગી. આ બાપુલાલ નાયક પણ એક અલગારી મુઠ્ઠી ઉંચેરા કલાકાર હતા, પણ એમના વિષે હું આપ સૌને ફરી ક્યારેક કહીશ!!
રાતના નવ વાગ્યા હતા. એ સમયે બાપુલાલ અને એ નાટકના સંગીત નિયોજક પંડિત વાડીલાલ નાયક ચર્ચા કરી રહ્યા હતા. અને શબ્દો મઢી રહ્યા હતા ત્યાં જ એમને કાને કંઈક આવા શબ્દો પડ્યા:
"છે કુમુદ સરવર જળે ને ચંદ્ર છે આકાશમાં
છે લાખ જોજન દૂર પણ બંધાય પ્રીતિ પાશમાં!"
એવું નહોતું કે કોઈ એમને કહી રહ્યું હતું અથવા તો એમની ચર્ચા સાંભળી એમને સલાહ આપવા કે ધ્યાન દોરવા ગણગણી રહ્યું હતું. તો શું હતું આ?
બાપુલાલે એક નજર નાખી. જોયું કે, એક યુવાન મસ્ત રીતે આકાશમાં ચંદ્રને નિરખતો આ પંક્તિઓ બોલી રહ્યો હતો. બાપુલાલને એના શબ્દોમાં રસ પડ્યો. અને એને બોલાવ્યો.
પરંતુ એ તો પોતાની મસ્તીમાં જ મસ્ત હતો, નિજાનંદમાં હતો.
અને બાપુલાલ પોતે બબડયા આવું તે કંઈ હૉતું હશે, કોઈ પાગલ, મોજીલો અને મનસ્વી વિચારસરણીનો માણસ લાગે છે આ તો! આપણે બોલાવીએ અને ધ્યાન પણ ના આપે? આ કેવું? અને ખરેખર, એવું જ હતું...એ યુવાનનું કોઈ જ ધ્યાન આ બાપુલાલ પર નહોતું!!
પછીથી આ યુવાનને મનાવી આ મુંબઇ ગુજરાતી નાટક મંડળીમાં માસિક ૩૫ રૂપિયાના પગારે નિયુક્ત કર્યા. અને આપણે ઉપર જે નાટકની વાત કરી એ જ નાટકમાં નવા ગીતો લખી આપ્યા અને હાસ્ય પ્રસંગોમાં થોડાં ફેરફાર કરવાના સૂચનો પણ આપ્યાં!! એ નાટક હતું "કાશ્મીરનું પ્રભાત"! ત્યાર બાદ એક બીજું નાટક આવ્યું "અપ-ટુ-ડેટ મવાલી", જેમાં દ્રશ્યો લખ્યા અને ગીતો પણ લખ્યા. આ જ નાટક ફરીથી "કિમીયાગર"ના નામે આવ્યું અને ખૂબ જ સફળ રહ્યું જેના માટે એમને વધારાનો પુરસ્કાર પણ મળ્યો!
આપ નહીં માની શકો કે નિરાભિમાની અને પ્રસિદ્ધિથી સદાયે દૂર રહેનારા આ યુવાને પછીથી ૨૭ જેટલા નાટકો લખ્યા, ૨૧ ચલચિત્રો અને લગભગ અધધધ ૩૦૦૦ જેટલા ગીતો પણ લખ્યા છે!! અને એમાંથી ઘણાં બધાં ગીતો તો ગ્રામોફોન રેકર્ડ રુપે પણ બહાર પડ્યા...આપને વિશ્વાસ તો હશે જ કે એ મારી પાસે મળી રહેશે!!
કોણ હતા ગુજરાતી ભાષાના આ મહાન અને લબ્ધપ્રતિષ્ઠ કવિ? વાચકમિત્રોને વિનંતી કે સચોટ અનુમાન કરે...વધુ આવતા અંકે! અહીં જ મળશું શબ્દ-સંપુટમાં!
― ડો. કાર્તિક શાહ

Comments
Post a Comment
આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...