અનુભવસિદ્ધ નમ્રતા

જન્મ: 16.12.1917    અવસાન: 19.03.2008

યુનિવર્સીટીના શતાબ્દી મહોત્સવ વખતે યુનિવર્સીટીના પૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને આચાર્યો એકત્રિત થયા હતા. કુલપતિશ્રીના પ્રમુખસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં અગ્રણી વ્યક્તિઓએ વક્તવ્યો આપ્યા. 

ક્તવ્યો પછી દસેક મિનિટના વિરામ બાદ પુન: કાર્યક્રમનો પ્રારંભ થવાનો હતો. આ સમયે એક પ્રૌઢ સજ્જને પોતાની બાજુમાં બેઠેલા એક યુવાનને પૂછ્યું, "કેમ, તમારે બહાર જવું નથી?"

યુવાને કહ્યું, "ના સાહેબ, મારે કાર્યક્રમ માણવો છે. એની એક ક્ષણ પણ જવા નથી દેવી, તેથી બહાર જઈને પાછા આવતા જો થોડું મોડું થઇ જાય તો શું? વળી, મને એવી કોઈ આદત પણ નથી, સિગારેટ તો શું, પણ ચા-કૉફીય પીતો નથી!"

પ્રૌઢ સજ્જન સ્નેહલ સ્મિત સાથે બોલ્યા, "ભાઈ, તમારો સ્વભાવ મને ગમ્યો,આપણે બંને સરખા જ છીએ. નાહકની દોડાદોડી કરવાનો અર્થ શો? બરાબરને?"

આ યુવાન અને પ્રૌઢ સજ્જન વચ્ચે આ સંવાદમાંથી સંબંધ સર્જાયો અને ત્યારે એ પ્રૌઢ સજ્જને યુવાનને પૂછ્યું, "આપ શું કરો છો? ક્યાં સુધી અભ્યાસ કર્યો?"

યુવાને કહ્યું, "મેં? મેં ખગોળશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. એના અભ્યાસની પાછળ ખુબ મહેનત કરી છે. શું વાત કરું એની, પણ તમને ખ્યાલ નહી આવે કે સ્નાતક કક્ષાએ ખગોળશાસ્ત્રનો અભ્યાસ કેટલો કઠિન હોય છે?"

પ્રૌઢ સજ્જન એની વાત સાંભળતા રહ્યા અને યુવાને હવે જરા અહંકારથી કહ્યું, "સાહેબ, ખગોળશાસ્ત્રમાં હું સ્નાતક બન્યો અને તે પણ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થઈને, અમારે ત્યાં ગણ્યા-ગાંઠ્યા વિદ્યાર્થીઓને આ વિષયમાં પ્રથમ વર્ગ પ્રાપ્ત થાય છે!"

પ્રૌઢ સજ્જને કહ્યું, "ઓહો, એમ? એ તો ઘણું જ સરાહનીય કહેવાય, અભિનંદન!"

યુવાને કહ્યું, "અને આજે હવે હું ખગોળશાસ્ત્રમાં નિષ્ણાત બની ગયો છું!"

પ્રૌઢ સજ્જને કહ્યું, "વાહ, તમે ખરા નસીબદાર છો. આવા ગંભીર વિષયમાં તમે પારંગત બન્યા એ તો કેટલી મોટી વાત કહેવાય! ખગોળશાસ્ત્રમાં મને રસ છે, પણ હજી હું તો એમાં પા-પા પગલી જ ભરી રહ્યો છું."

યુવાને કહ્યું, "અરે! ખગોળશાસ્ત્રનું જ્ઞાન એ તો એક વિશાળ સાગર જેવું છે. એમાં ડૂબકી મારી હોય એને જ ખબર પડે કે તજજ્ઞ કઈ રીતે થવાય!"

યુવાનની વાત સ્વીકારતા પ્રૌઢે કહ્યું, "સાવ સાચી વાત! આ વિષયમાં જેમ જેમ હું ઊંડો અભ્યાસ કરતો જાઉં છું, તેમ તેમ મને લાગે છે કે ખગોળશાસ્ત્ર તો જ્ઞાનનો મહાસાગર છે અને એના અભ્યાસ માટે એક તો શું, સાત સાત જન્મ પણ મને ઓછા પડે!!"

હવે આ યુવાનને કૈક અચરજ થયું અને એણે એ સજ્જનનું નામ પૂછ્યું, "સાહેબ, આપનું નામ શું?"

સામેથી અવાજ આવ્યો, "આર્થર ક્લાર્ક"

યુવાન નતમસ્તક ઝૂકી ગયો અને ભોંઠપ સાથે બોલ્યો, "અરે, તમે વિશ્વવિખ્યાત ખગોળશાસ્ત્રી સર આર્થર ક્લાર્ક??!!!"

"It has yet to be proven that intelligence has any survival value!"

રજૂઆત: ડો. કાર્તિક શાહ 

Comments

Popular posts from this blog

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

સમયનું મહત્વ

ભાઈ―બહેન