વિલિયમ હેઝલીટ


પ્રસિદ્ધ નિબંધકાર વિલિયમ હેઝલીટનાં જીવનમાં પારાવાર મુશ્કેલીઓ આવી. ગરીબી અને હતાશાના બોજ હેઠળ એણે જીવનના ઘણાં વર્ષો કાઢ્યા. ઉત્તમ સર્જનકાર્ય કરનાર આ લેખકના માથે દેવું એટલું બધું વધી ગયું કે એને કારાવાસ ભોગવવો પડ્યો. સારા વોકર નામની યુવતીને એ ચાહતો હતો. એની સાથે લગ્ન કરવા માટે વિલિયમ હેઝલીટે પોતાની પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા. પરંતુ એ પછી એને ખ્યાલ આવ્યો કે સારા વોકર તો એની સાથે પ્રેમનું નાટક કરતી હતી, પરણવા ચાહતી નહોતી. વિલિયમ હેઝલીટે છવ્વીસ વર્ષની વયે સાહિત્ય સર્જનનો પ્રારંભ કર્યો. બાવન વર્ષની વયે એ અવસાન પામ્યા. 25 વર્ષનાં આ સર્જનકાળમાં એમણે ઘણું સાહિત્યપ્રદાન કર્યું, કિન્તુ એની યોગ્ય પ્રતિષ્ઠા એમને પ્રાપ્ત ન થઈ.

જ્હોન કિટ્સની કવિતાની વિવેચકો અવગણના અને આકરી ટીકા કરતા હતા, જ્યારે હેઝલીટે એની પ્રતિભા પારખીને એની કવિતાને યોગ્ય સ્થાન આપ્યું. પોતાને યોગ્ય સાહિત્યિક સન્માન મળતું નહોતું તે છતાં એમણે બીજાને ઉચિત સન્માન આપવામાં કદીએ પાછીપાની કરી નહોતી.

જીવનમાં અને સાહિત્ય ક્ષેત્રે અનેક કટુઅનુભવો થયાં હોવા છતાં હેઝલીટે પોતાના મનની પ્રસન્નતા જાળવી રાખી અને નિજાનંદમાં રહ્યા. પોતાના આ વિધેયાત્મક અભિગમ ઉપર જીવનના વિષમ સંજોગોની અસર ના પડે એનો ખાસ ખ્યાલ રાખ્યો. એક દિવસ એમના દસ વર્ષના પુત્રને સંબોધી એક પત્ર લખ્યો: 

"સારી વાત એ છે કે 'હંમેશા શ્રેષ્ઠ જ થશે' એવી આશા રાખવી. અનિષ્ટોની કલ્પના કરવી નહીં. કોઈ પણ વ્યકિતને પૂર્વગ્રહથી જોવી નહીં.કારણકે આપણે એમની સાચી પરિસ્થિતિથી વાકેફ હોતા નથી. કદી કોઈનો તિરસ્કાર કરવો નહીં કે ઈર્ષ્યા પણ કરવી નહીં. દરેક વ્યક્તિને સારી જ ગણવી."

પોતાના જીવનની આસપાસ વેદનાનો દાવાનળ સળગતો હોવા છતાં વિલિયમ હેઝલીટે પોતાના હૃદયમાં શીતળતા અને જીવનનાં શુભમાં શ્રદ્ધા જાળવી રાખી!!

ડો. કાર્તિક શાહ

Comments

Popular posts from this blog

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

સમયનું મહત્વ

ભાઈ―બહેન