કલાકાર કે વૈજ્ઞાનિક??!!


લંડનના બર્લિંગ્ટન હાઉસમાં ભારતીય ચિત્રકળાનું પ્રદર્શન ભરાયું હતું. તેની બહાર લગાડેલા પોસ્ટર પર ઉપર બતાવેલો ફોટો પણ હતો.
એડિનબર્ગમાં શાસ્ત્રીય યુરોપિયન સંગીતનો સમારોહ યોજાઈ રહ્યો હતો; અને તેમાં વિશ્વ વિખ્યાત સંગીતકાર બીથોવનના સંગીત અંગે બહુ ઊંડાણથી ચર્ચા થવાની હતી. ઉપરોક્ત ફોટા વાળો યુવાન બીથોવનના સંગીતનો ખાં ગણાતો હતો; બીથોવનની એક તર્જને સમજવા માટે જરૂરી ઓપસ નમ્બર વિશે તેણે વિદ્વત્તાવાળો લેખ લખેલો હતો; અને તેને પણ આ સમારોહમાં એ સમજાવવા આમંત્રણ અપાયું હતું. પણ તેમાં આ યુવાન ભાગ લઈ શકે તેમ ન હતું. એનું કારણ જાણવાની મજા આવશે....!!
તે તેની લેબોરેટરીમાં એટોમિક એનર્જી અંગેની બહુ જટિલ ( અઘરી) ચકાસણી કરવામાં વ્યસ્ત હતો!

કેમ નવાઈ લાગી ને? ભારતીય ચિત્રકળા, યુરોપિયન સંગીત અને એટોમિક એનેર્જી ત્રણેમાં ખાં?
હા એ પ્રતિભાશાળી યુવાન હતો  હોમી ભાભા.
 —————–
આઝાદી પછી તરત જ ભારત માટે વિજ્ઞાનના રાહની કેડી કંડારનારા બે ગુજરાતીઓ હતા, ડોકટર હોમી ભાભા અને ડોકટર વિક્રમ સારાભાઈ. ગર્ભશ્રીમંત પરિવારમાં ઉછરેલા અને વિદેશી કેળવણીનો લાભ મેળવનારા આ બન્ને વૈજ્ઞાનિકોએ સંશોધનકાર્ય ઉપરાંત માતબર સંસ્થાઓ સ્થાપીને સ્વતંત્ર ભારતના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો.
હોમી ભાભાનો જન્મ ૩૦મી ઓકટોબર, ૧૯૦૯માં એક શિક્ષિત અને ધનાઢ્ય પારસી કુટુંબમાં થયો હતો. એમના પિતા જહાંગીર ભાભા ઓક્સફર્ડમાં ભણેલા બેરિસ્ટર હતા. માતાનું નામ મહેરબાઈ હતું. તેમનું કુટુંબ તાતા કુટુંબનું સંબંધી હતું.  હોમીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈમાં લીધેલું. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણવા ઈંગ્લેન્ડ ગયા. ત્યાં તેઓ મિકેનિકલ એન્જિનિઅરીંગમાં સ્નાતક થયા. તેમનાં માતાપિતાની ઇચ્છા હતી કે હોમી તાતા સ્ટીલમાં કોઈ હોદ્દો સંભાળે, પણ હોમીની ઇચ્છા વૈજ્ઞાનિક બનવાની હતી.
બીજા વિશ્વયુધ્ધની શરૂઆત થઈ જતાં હોમી ભાભા ભારત પાછા ફર્યા અને મહાન વૈજ્ઞાનિક સી. વી. રામન સાથે બેંગલોરમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સમાં જોડાયા. અહીં એમણે ઘણી મહત્ત્વની વૈજ્ઞાનિક શોધખોળો કરી. ૧૯૪૫માં તેમની પ્રેરણાથી તાતાએ મુંબઈમાં ‘તાતા ઈન્સ્ટીટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ’ની સ્થાપના કરી અને હોમી ભાભાને તેનો કારોબાર સોંપ્યો.

આઝાદીની પહેલાંથી જ જવાહરલાલ નહેરૂ હોમી ભાભાના મિત્ર હતા. આઝાદી મળ્યા પછી જવાહરલાલ નહેરૂ વડાપ્રધાન થયા. હોમી ભાભાની સલાહથી તેમણે ૧૯૪૮માં એટોમિક એનર્જી કમિશનની સ્થાપના કરી અને હોમી ભાભાને તેના વડા બનાવ્યા. ૧૯૫૦ સુધીમાં હોમી ભાભા દુનિયાભરમાં અણુવિજ્ઞાની તરીકે જાણીતા થઈ ગયા.

૧૯૫૪માં તેમની સેવાઓની કદર કરવા ભારત સરકારે તેમને પદ્મભૂષણ ખિતાબથી નવાજ્યા. તેમને ભારત સરકારના ખાસ વૈજ્ઞાનિક સલાહકારનો દરજ્જો આપવામાં આવ્યો. તેમની દેખરેખ નીચે મુંબઈમાં ટ્રોમ્બે પાસે ૧૨૦૦ એકર જમીન ઉપર ભારતનું પ્રથમ અણુસંસ્થાન સ્થપાયું. આજે આ સંસ્થા ભાભા એટૉમિક રિસર્ચ સેન્ટર તરીકે ઓળખાય છે.
૨૪મી જાન્યુઆરી, ૧૯૬૬ના યુરોપની આલ્પ્સ પર્વતમાળાના માઉન્ટ બ્લેન્ક નજીક,  એક વિમાની અકસ્માતમાં,  હોમી ભાભાનું માત્ર ૫૬ વર્ષની વયે જ મૃત્યુ થયું. (વધુ એક રહસ્યમય મૃત્યુ!!, સુભાષચંદ્ર બોઝ, લાલબહાદુર શાસ્ત્રી અને બીજા અગણિત વૈજ્ઞાનિકોના રહસ્યમય મૃત્યુની જેમ જ, જેના પર ભવિષ્યમાં એક લેખ લખવાનો પ્રયત્ન કરીશ) વિજ્ઞાનની સેવા કરવાની રટને લીધે હોમી ભાભા જીવનભર અપરિણીત રહ્યા હતા. સંશોધક હોવા ઉપરાંત ભાભા નખશિખ કલાપ્રેમી હતા. પોતે પિયાનો અને વાયોલિન વગાડી શકતા હતા અને ચિત્રો પણ દોરતા હતા. આજે ડો. હોમી ભાભાની ગણના ભારતના અણુવિજ્ઞાનના પિતા તરીકે થાય છે.

Comments

Popular posts from this blog

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

સમયનું મહત્વ

ભાઈ―બહેન