જયા-કુળલક્ષ્મી..ભાગ્યલક્ષ્મી...ગૃહલક્ષ્મી

તેરમી જુન, 1973. વહેલી પરોઢે પોતાની નવોઢાને લઈને અમિતાભ બચ્ચન 'મંગલ' નિવાસના બારણે પહોચ્યાં. હિંદુ રીવાજ અનુસાર નવદંપતીને થોડી ક્ષણો માટે પ્રતિક્ષા કરવાનું કહેવામાં આવ્યું. ત્યાં સુધીમાં બાબુજી અને તેજી બચ્ચન ઘરની અંદર ચાલ્યા ગયા. અક્ષત અને કુમકુમની થાળી લઈને પાછા આવ્યાં. પ્રવેશ દ્વારમાં ઊભેલા દીકરાને અને ખાસ તો નવવઘૂને ઘરમાં આવકારવાની એ પવિત્ર ક્ષણ હતી.

આપણામાંથી બધાં જ એક કરતાં વધુવાર આવી ઘટનાના સાક્ષી બની ચૂક્યા છીએ. વધૂનાં કંકુપગલાં, અક્ષત ભરેલાપાત્રને પગ વડે હળવો હડસેલો મારવો, પછી સાસુ-સસરાને પગે લાગવું...વગેરે...વગેરે...!

'મંગલ'ના પ્રવેશદ્વારે જે બન્યું એવું, ભારતવર્ષમાં કદાસ ક્યારેય બન્યું નહીં હોય. અમિત-જયા ગૃહપ્રવેશની રાહ જોતા ઊભા હતાં ત્યાં કવિ હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચન એમને વધાવવા માટે આવ્યાં.

બંન્ને જણાં પરંપરાથી વિપરીત પુત્રવધૂનો ચરણસ્પર્શ કરવા માટે નીચે ઝૂક્યાં. કવિ બચ્ચન લાગણીથી છલકાતાં સ્વરે બોલી ઉઠ્યાં: "ગૃહલક્ષ્મી, ભાગ્યલક્ષ્યી અને કુળલક્ષ્મી રૂપે તમે આ ઘરમાં પ્રવેશ કરો...?

જોનારા અને સાંભળનારા દંગ રહી ગયા. ક્યાં પોતાની ઉત્કૃષ્ટ કવિતાથી દેશ આખાને મંત્રમુગ્ધ કરી મૂકનાર 'મધુશાલા'ના રચયિતા બચ્ચનજી? અને દેશના વડાપ્રધાનના અંગત સહેલી તેજીજી? અને ક્યાં 'ગુડ્ડી' અને 'બાલિકાબધુ' જેવી આંગળીના વેઢે ગણાય એટલી ફિલ્મોથી જાણીતી થયેલી અભિનેત્રી?

બે સ્વમાનધન્ય વ્યક્તિઓ એક અબોધ કન્યાને શબ્દશ: ચરણસ્પર્શ કરીને પોતાના ઘરમાં આવકારી રહ્યાં હતાં!!!

બાપડી ગુડ્ડી તો પાણી-પાણી થઈ ગઈ. એના સંકોચનો પાર ન રહ્યો. પછી ધીમે-ધીમે એને ચેષ્ટાનું મહત્ત્વ સમજાતું ગયું. બચ્ચન દંપતીએ જયામાં એક ભારતીય નારીની કલ્પના કરી હતી. આ દેશ પ્રાણપ્રતિષ્ઠાનો દેશ છે. એક નિર્જીવ પત્થરમાં પણ ઈશ્વરની કલ્પના કરીને એની પ્રાણપ્રતિષ્ઠા કરવાથી એ પત્થર ભગવાન બની જાય છે. ત્યારે એક સામાન્ય યુવતી લક્ષ્મીનું રૂપ શા માટે ધારણા ન કરી શકે?

લક્ષ્મી પણ પાછી એક પ્રકારની નહીં, ત્રણ-ત્રણ પ્રકારની. જયાએ આ ભાવના સમજી લીધી અને સ્વીકારી પણ લીધી. એ આવી અને અમિતાભના ઘરમાં ગૃહલક્ષ્મીનો પ્રવેશ થયો. ગૃહલક્ષ્મી એટલે વધૂ. જયા આવી એ સાથે અમિતાભના કિસ્મત આડેનું પાંદડુ ખરી ગયું. એ અર્થમાં ભાગ્યલક્ષ્મી. અને જયાએ બચ્ચન પરિવારને બે સુંદર સંસ્કારી સંતાનો આપ્યા. વંશવેલો આગળ ધપાવ્યો. આ અર્થમાં એ કુળલક્ષ્મી સિદ્ધ થઈ.

પણ આ ત્રણેય અર્થોનો સંગમ તો જયાજીએ એની આગળ રીતે સાર્થક કરી બતાવ્યો. જ્યાર-જ્યારે અમિતાભની ફિલ્મી કારકિર્દી ડામાડોળ થવા માંડી ત્યારે જયાએ જ એને બચાવી લીધી. લગ્ન પહેલાં 'ઝંઝીર'માં જયાએ જ એની સાથે કામ કરવાની તૈયારી દર્શાવી. લગ્ન પછી પણ જયાએ અમિતાભ પાસે કામ નહતું. ત્યારે ઋષિકેશ મુકરજીને વિનંતી કરીને જયાએ જ 'અભિમાન'નું નિર્માણ હાથમાં લીધું. એ પછી આસમાનમાં ચગતો અમિતાભનો પતંગ અચાનક જ્યારે ગોથા ખાવા માંડ્યો ત્યારે ફિલ્મોમાંથી અદ્રશ્ય થી ગયેલી જયાએ જ 'સિલસિલા'માં કમ-બેક કરીને (એ પણ રેખાની સામે અમિતાભનો પતંગ ફરી પાછો હવામાં સ્થિર કરી આપ્યો.)

'કૂલી'નો અકસ્માત, બીચકેન્ડીમાં સારવાર, જીવન-મૃત્યુ વચ્ચેના ઝોલાં, પતિની ખડે પગે કરેલી ચાકરી, વૃદ્ધ સાસુ-સસરાને તેમજ નાનાં બાળકોને સાચવતાં રહેવું, સિદ્ધિ-વિનાયકના મંદિરે પગપાળા દર્શન કરવા જવું આ બધું ગુડ્ડી બા-કાયદા અને બ-ખુબી કરતી રહી.

રેખા અને અમિતાભનો પ્રેમસંબંધ દેશભરમાં ગાજ્યો અને દાયકાઓ સુધી ગાજતો રહ્યો. પતિ-પત્ની વચ્ચે બેડરૂમમાં બંધબારણે કશીક ચર્ચા કે તકરાર કે સવાલ-જવાબ તો થયા જ હશે ને? પણ જગતની સામે આ સંસ્કારી નારીએ એક પણ વાર જવાબ નથી ખોલી. ઝેર પીનારાં બધાં શંકર નથી હોતા! ક્યારેક પાર્વતીએ પણ ઝેર પીવું પડે છે અને જીવવું પડે છે.

કસોટીઓ ઓછી નથી થઈ. કંટકો ઓછા નથી વાગ્યા. એ.બી.સી.એલની ભયંકર ખોટા, નાદારીના આરે પહોંચી ગયેલો પતિ, પરવીન બાબીએ મૂકેલા આરોપ, બોફોર્સમાં મળેલી બદનામી, 'પ્રતિક્ષા'નું લગભગ નક્કી થી ચૂકેલું લીલામ, એકસો પાંત્રીસ કરોડનું કથિત દેવું, પણ જયાએ તમામ પરિસ્થિતિઓ જાળવી લીધી અને જીરવી પણ લીધી.

આ સ્ત્રીને ક્યારેય માનમાં એવું નહીં થયું હોય કે 'લાવ, જગતની સામે જઈને જવાબ આપું! મીડિયા પાસે જઈને ખુલાશો પેશ કરું! રેખાના વાળ ઝાલીને જાહેરમાં ખેંચુ, એની ફજેતી કરું!

જયાજીએ જીવનભર ખામોસ રહ્યાં છે. ક્યાંય ન લખાયેલી એક અતિશય નાજુક ઘટના અહીં જણાવું છું. ફિલ્મ 'સિલસિલા'માં એક દ્રશ્યનું ફિલ્માંકન ચાલતું હતું. અમિતાભ એક સભાગૃહમાં મંચ ઉપર બોલી રહ્યાં છે અને એમની પ્રેમિકા રેખા શ્રોતાવર્ગમાં પ્રથમ પંક્તિમાં બેસીને એમને તાકી રહ્યાં છે. ઘરે બેઠેલી જયા ટી.વી સેટ ઉપર આ દ્રશ્ય જોઈ જાય છએ. બધું સમજી જાય છે અને ટી.વી બંધ કરી દે છે. કેમેરા એમનાં ચહેરાનો 'ક્લોઝ અપ' બતાવે છે. જયાની આંખોમાં બીનાશ તરવરી ઉઠે છે.

એક પછી એક કેટલાંયે 'રીટેક્સ' થયા, પણ છેલ્લી ભીનાશવાળી વાત બનતી ન હતીં. થાકીને જયાએ એમનાં મેકઅપ મેનને કહ્યું 'દાદા! ગ્લિસરીન આપશો મને?

એમનો જૂનો મેકઅપમેન ધ્રૂજી ઉઠ્યો, "બૌદી! તમને રડવા માટે ગ્લિસરીનની જરૂર ક્યારથી પડવા લાગી?" (બંગાળીમાં બૌદી=ભાભી)

જયાએ બહું ટૂંકો ઉત્તર આપ્યો, "દાદા રડી-રડીને હવે તો આંસુઓ પણ ખૂટી ગયા છે"

આ ઘટના કુદિયે પ્રકાશમાં નથી આવી. બહું અતરંગ માણસ પાસેથી સાંભળવા મળી છે.

આનું તાત્પર્ય માત્રએ જણાવવાનું છે કે અમિતાભ જેવા મોટા અને મહાન કલાકર પત્ની બનવાની વેદનાઓ પણ મોટી હોય છે. પણ જયા આ બધું જીરવી ગયા છે. પતિની જાહેર પ્રતિમાને એમણે લેશમાત્ર ખંડીત થવા નથી દીધી.

મને તો આની પાછળ એક જ કારણ દેખાય છે. લગ્ન પછી ગૃહપ્રવેશ કરવાની ક્ષણે જે સસરાજી અને સાસુજી પોતાની વહુનાં પગમાં ઝૂકીને વિંનતી કરે કે બેટા! આ ઘરની આબરૂને સાચવી લે જે! એ ઘરની પુત્રવધૂ જયા જેવી મહાન સ્ત્રી બની શકે.

બીજા દિવસે જે વિમાન પકડીને જયા-અમિતાભ લંડન જવા માટે રવાના થઈ ગયા. એમનો ત્યાં ત્રણ ચાર અઠવાડિયા સુધી કરવાનો કાર્યક્રમ હતો. હકીકતમાં લંડન પ્રવાસ એ જ મુખ્ય કાર્યક્રમ હતો, આ લગ્ન તો બાબુજીના આદેશથી વચમાં ટપકી પડેલી ઘટના હતી.

દીકરો-વહુ ઉડી ગયા એ પછી બાબુજીએ નિકટના મિત્રો અને સ્વજનોને એક-એક નાનકડું પોસ્ટકાર્ડ લખીને જાણ કરી: "તમને એ જાણીને હર્ષ થશે કે ત્રીજી જુનની સાંજે અમિત અને જયાનાં લગ્ન થઈ ગયા છે. આપણે એમનાં સુધી દામ્પત્ય માટે પ્રાર્થના કરીએ."

Comments

Popular posts from this blog

રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત, ઝંડા ગીત

સમયનું મહત્વ

ભાઈ―બહેન